અર્વાચીન કવિતા/(૧) અનુવાદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરિશિષ્ટ

અનુવાદો અને સંગ્રહો

(૧) અનુવાદો

આપણી અનુવાદપ્રવૃત્તિ

ગુજરાતી કવિતાના લગભગ પ્રારંભથી તેના કવિઓ બીજી ભાષાઓમાંથી કાવ્યોના વિષયો લેતા આવ્યા છે અને તેમાંનાં કાવ્યોના અનુવાદ કરતા આવ્યા છે. અર્વાચીન ગાળા પૂર્વેની પ્રાચીન કવિતા તેના વિષય પરત્વે તો લગભગ પરોપજીવી રહી છે. અર્વાચીન કવિતા વિષયોની બાબતમાં વધારે આત્મોપજીવી બની છે, તોપણ બીજી ભાષામાંની કવિતાને ગુજરાતીમાં લઈ આવવાનું કાર્ય આજ લગી ચાલુ રહ્યું છે. અર્વાચીન કાળમાં ગુજરાતનો શિક્ષિત વર્ગ સંસ્કૃત ઉપરાંત અંગ્રેજી, ફારસી તથા હિંદની બીજી ભાષાઓના પરિચયમાં આવતો ગયો તેમ તેમ તે ભાષાની કવિતામાંથી ભાષાન્તરો પણ થવા માંડ્યાં. આ બધી ભાષાઓમાંથી સૌથી વધુ અનુવાદો સંસ્કૃત કવિતામાંથી થયા છે. તે પછી અંગ્રેજી અને ફારસી ભાષામાંથી થયેલા અનુવાદોની સંખ્યા આવે છે. બંગાળીનો પરિચય આપણા શિક્ષિત વર્ગને મોડો થયો છે, એટલે તેમાંનાં કાવ્યોના સીધા અનુવાદો થવાને બદલે તેના હિંદી કે અંગ્રેજીમાં થયેલા અનુવાદો પરથી અનુવાદો થયેલા છે. ફારસીમાંથી પણ મૂળ પરથી થોડા જ અનુવાદો થયા છે. મરાઠી જેવી આપણી પાડોશી ભાષામાંથી એકાદબે નામ લેવા પૂરતા જ અનુવાદો થયા છે. આ અનુવાદો શરૂઆતમાં મોટે ભાગે આપણા કોઈ પ્રચલિત છંદમાં તથા કાવ્યરૂપમાં થતા. પણ સંસ્કૃતના અનુવાદોમાં ધીમેધીમે મૂળના જેવા જ સમશ્લોકી અનુવાદ કરવાનો આગ્રહ વધતો ગયો. હવે બંગાળીમાંથી તથા ફારસીમાંથી મૂળવત્‌ અનુવાદો કરવાના પ્રયત્નો પણ થવા લાગ્યા છે. અંગ્રેજી ભાષાનું છંદોરૂપ ગુજરાતીથી સર્વથા ભિન્ન રૂપનું હોવાથી મૂળવત્‌ અનુવાદને અવકાશ નથી રહેતો. અને એ અનુવાદો માટે છંદ નિરૂપણ આદિની પસંદગી કરવામાં અનુવાદ કરનારની કળાશક્તિની હમેશાં કસોટી રહે છે. આપણા લગભગ દરેક અર્વાચીન પ્રતિષ્ઠિત કવિએ કંઈ નહિ તો થોડાક અનુવાદો પર પણ કલમ ચલાવેલી છે, જેમાં દરેકને પોતાની શક્તિ પ્રમાણે વધુઓછી ફતેહ મળેલી છે. નર્મદાશંકર, નવલરામ, શિવલાલ ધનેશ્વર, બાળાશંકર, મણિલાલ, ગોવર્ધનરામ, હરિલાલ ધ્રુવ, ભીમરાવ, કલાપી, નરસિંહરાવ, ન્હાનાલાલ, બળવંતરાય, મનસુખલાલ, તથા ઉમાશંકર જેવા જાણીતા લેખકોએ ઉપરની ભાષાઓમાંથી એક યા બીજી ભાષાના કોઈ ને કોઈ કાવ્ય કે નાટકના અનુવાદો કરેલા છે. એ સિવાય બીજા વધુઓછી શક્તિઓવાળા લેખકોએ એકલા અનુવાદો કરેલા છે એવા લેખકો પોતાના અનુવાદબળે પણ કવિતાકળાના ઊંડા મર્મવિદ તરીકે સ્થાપિત થયેલા છે.

કેશવલાલ ધ્રુવનું વિશિષ્ટ સ્થાન


એવા અનુવાદકોમાંથી સૌથી વધુ આગળ તરી આવતું નામ કેશવલાલ હ. ધ્રુવનું છે. અનુવાદકળાને તેમણે ‘જેટલી આરાધી છે તેટલી કદાચ હિંદભરમાં બીજા કોઈએ ભાગ્યે જ આરાધી હશે. તેઓ માત્ર અનુવાદક જ રહ્યા નથી, પરંતુ પોતાની ઊંડી વિદ્વત્તાને આ અનૂદિત કૃતિઓના પાઠસંશોધન અને તેમના કર્તાઓના ઇતિહાસશોધન પાછળ પ્રયોજી તેઓ ઉત્તમ ગ્રંથસંપાદક પણ બનેલા છે, જેને લીધે તેમનું સ્થાન બીજા માત્ર અનુવાદકો કરતાં વધારે મહત્ત્વનું બનેલું છે. આ ઉપરાંત તેમની થોડીએક મૌલિક ગંભીર તથા અગંભીર, ‘કવણ રસિકતા જાણશે’ તથા ‘પોલકાંપચ્ચીસી’ જેવી રચનાઓ પણ છે. ‘ગીતગોવિંદ’ જેવી કૃતિના છાયાનુવાદ જેવી નૂતન સર્જનાત્મક રચનાને લીધે તેમને કંઈ નહિ તો એક મહત્ત્વના છાયાકવિનું સ્થાન મળે તેમ છે. બેશક, તેમનું કાવ્યમાનસ મધ્યકાલીન અલંકારપ્રધાન સંસ્કૃત શૈલીનું રહેલું છે, અને કેટલીક વાર કાવ્યને અલંકારથી સુખચિત કરવામાં તેમણે મૂળ કૃતિ સાથે કદાચ ઇષ્ટ ન ગણાય તેટલી હદે છૂટ લીધેલી છે તથા તેના રસત્વને હાનિ પહોંચાડે તેટલી હદે તેઓ અલંકારની સજાવટમાં ખેંચાઈ ગયા છે. તોપણ તેમના અનૂદિત કાવ્યની બાની હમેશાં એક શક્તિશાળી સર્જકની કોટિની જ રહેલી છે. એમની અનૂદિત કૃતિઓ સૌન્દર્યનિષ્પત્તિમાં મૂળના જેટલી જ સફળ થયેલી છે. એ અનુવાદની પાછળ તેમનું પ્રાચીન, અર્વાચીન તથા લૌકિક ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ તેમજ શબ્દસામર્થ્ય ડગલે ડગલે વ્યક્ત થાય છે. તે પણ તેમની કાવ્યશક્તિનું એક મોટું ઘટનાત્મક બળ છે તથા તેમની કીર્તિનું એક બીજું શિખર છે. આ બધા લેખકોના અનુવાદોની યથાશક્ય ચર્ચા તેમની કવિતાના અવલોકન સાથે કરી લીધેલી હોવાથી અત્રે અનૂદિત કૃતિઓ લક્ષ્યમાં રાખી તેમની નોંધ કરી લઈએ. સૌથી પહેલાં સંસ્કૃતમાંથી થયેલા અનુવાદોને લઈશું.

સંસ્કૃતમાંથી અનુવાદો

[૧] કવિતા

પૃથિવીસૂક્ત ઋતુસંહાર
રઘુવંશ શશિકલા અને ચૌરપંચાશિકા
મેઘદૂત શૃંગારત્રિવેણી
છાયાઘટકર્પર ગંગાલહરી
અમરુશતક મહિમ્નઃસ્તોત્ર
ગીતગોવિંદ અનુવાદબાવની
વૃદ્ધચાણક્ય ભાગવતપુષ્પાંજલિ
લઘુચાણક્ય દેવીસ્તુતિ
ભર્તુહરિશતકત્રય   ભગવદ્‌ગીતા

બીજી ભાષાનાં કાવ્યોમાંથી સૌથી વધુ અનુવાદો સંસ્કૃતના થયેલા છે. આ અનુવાદો આપણા કવિઓને કે શિક્ષિતોને જે ક્રમે સંસ્કૃત કાવ્યનો પરિચય થતો ગયો તે ક્રમે થતા આવેલા છે અને તેમાં અનુવાદકની પ્રેરણા સિવાય બીજું કશું નિયામક તત્ત્વ રહેલું નથી. અર્વાચીન કવિતાના પહેલા સ્તબકમાં ચંડીપાઠ દેવીસ્તુતિ વગેરે ધાર્મિક કાવ્યોના અનુવાદોથી શરૂ કરી, સંસ્કૃત સુભાષિતો, પુરાણોમાંથી તથા ભાગવત વગેરેમાંથી અમુક ટૂંકા ખંડો, ત્યાંથી આગળ જતાં સંસ્કૃતનાં જાણીતાં ખંડકાવ્યો, મહાકાવ્યો, નાટકો તથા છેવટે સૌથી છેલ્લે વેદનાં સૂક્તોના અનુવાદો ગુજરાતીમાં થયા છે. આ અનુવાદોમાંથી મહત્ત્વના અનુવાદો જોઈશું. રામનારાયણ વિ. પાઠકનો ‘પૃથિવીસૂક્ત’ (૧૯૨૪)નો અનુવાદ લગભગ મૂલવત્‌ છે તથા તેના ગુજરાતી અવતારમાં પણ વૈદિક વાણીનો આસ્વાદ કરાવે તેવો છે. સંસ્કૃત પંચ મહાકાવ્યોમાંથી મોટા ભાગના અનુવાદો ગદ્યમાં થયેલા છે. રઘુવંશના પ્રથમ બે સર્ગ ૧૮૭૬માં દેશી ઢાળોમાં જુદા જુદા કડવાં રૂપે રેવાશંકર મયાધર ભટે ગુજરાતીમાં ઉતાર્યા છે. અનુવાદમાં મૂળના અર્થનું સંપૂર્ણ રીતે પ્રાસાદિક અવતરણ થયેલું છે, પણ મૂળનાં પ્રૌઢિ તથા સૌંદર્ય વિશીર્ણ થઈ ગયાં છે. ૧૮૯૭માં હરિલાલ નરસિંહરામ વ્યાસ તરફથી લગભગ આખા રઘુવંશનો બીજો અનુવાદ થયેલો છે. એ સમશ્લોકી નથી. લેખકે યથેચ્છ રીતે મૂળના છંદોને માત્રામેળ કે ગણમેળ છંદોમાં પલટી નાખેલા છે. એમાં છંદની શુદ્ધિ પૂરતી જળવાઈ નથી, તોયે ઉપરના કરતાં તે કંઈક સારો છે. આખા રઘુવંશનો સમશ્લોકી પદ્યાનુવાદ ઠેઠ ૧૯૩૩માં નાગરદાસ અમરજી પંડ્યા તરફથી થયેલો મળે છે. અનુવાદ સરળ છે, પણ તેમાં મૂળનાં સૌન્દર્ય અને રસ પૂરા ઔચિત્યથી ઊતર્યા નથી. રઘુવંશનો બીજો સંપૂર્ણ અનુવાદ ચતુરભાઈ ગોવિંદભાઈ પટેલે કરેલો છે. અનુવાદમાં છંદોની શિથિલતા છે અને વાણીની દુર્બળતા ઘણે ઠેકાણે દેખાય છે. શબ્દશુદ્ધિમાં પણ અનુવાદકે ચૂકો કરી છે. કેટલાક ભાગ રસાવહ બન્યા છે. આપણા કોઈ સિદ્ધહસ્ત નવીન કવિને હાથે રઘુવંશના જેવા મહાકાવ્યના સંપૂર્ણ અનુવાદને માટે હજી યે અવકાશ રહે છે. ‘મેઘદૂત’ના અનુવાદો – બળવંતરાવ રામચંદ્ર જુન્નરકર (૧૮૬૬), નવલરામ લક્ષ્મીરામ (૧૮૭૧), ભીમરાવ ભોળાનાથ (૧૮૭૯), હરિકૃષ્ણ બળદેવ ભટ્ટ (૧૮૯૬), શિવલાલ ધનેશ્વર (૧૮૯૮), વિહારી (૧૯૦૮), કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ (૧૯૧૩), હરિલાલ હ. ધ્રુવ પૂર્વમેઘ (?), ન્હાનાલાલ દ. કવિ (૧૯૧૧), ત્રિભુવન ગૌ. વ્યાસ (૧૯૩૭), મનહરરામ હરિરામ મહેતા (૧૯૪૨) – ‘યક્ષાખ્યાન’ નામથી, નટવરલાલ ભાઈશંકર જાની (૧૯૪૭). સંસ્કૃતમાંથી કોઈ પણ કાવ્યના સૌથી વધુ અનુવાદો થયા હોય તો તે ‘મેઘદૂત’ના છે. આ એક કાવ્યના અનુવાદોના બારતેર જેટલા પૂરાઅધૂરા પ્રયત્નોમાં ગુજરાતી કવિતાની અનુવાદપ્રવૃત્તિની સારી એવી રૂપરેખા મળી આવે છે. મેઘદૂતનો સૌથી પહેલો અનુવાદ બળવંતરાવ જુન્નરકરનો છે, પણ તે મારા જોવામાં આવ્યો નથી. એ પછી નવલરામ દ્વારા મહત્ત્વનો પ્રારંભ ૧૮૭૧માં થાય છે તે વખતે ગુજરાતી ભાષામાં સંસ્કૃત રૂપમેળ વૃત્તોને સફળ રીતે કાવ્યમાં વાપરી શકાય તેવું બહુ થોડાને લાગે છે. એ સ્થિતિમાંથી ગુજરાતી ભાષા બહાર નીકળી મૂળવત્‌ સમશ્લોકી અનુવાદની ક્ષમતાએ પહોંચી શકી છે; જોકે નવાઈની વાત એ છે કે મૂળવત્‌ સમશ્લોકી અનુવાદ કરવાની અસાધારણ શક્તિ ધરાવનાર કેશવલાલ હ. ધ્રુવે આ કાવ્યનો માત્રામેળ દેશીમાં જ અનુવાદ કર્યો, અને તે ય થોડોક જ. મેઘદૂતના સમશ્લોકી વૃત્તમાં અનુવાદ ભીમરાવ, વિહારી, કીલાભાઈ અને ન્હાનાલાલના છે. શિવલાલ ધનેશ્વરનો અનુવાદ રૂપમેળ, પૃથ્વી અને સ્રગ્ધરા જેવાં વૃત્તોમાં છે. હરિકૃષ્ણનો અનુવાદ હરિગીત છંદમાં છે. ત્રિભુવન ગૌ. વ્યાસનો ઝૂલણામાં છે. આમાંથી દરેકના ભાષાન્તરની કંઈ ને કંઈ વિશિષ્ટતા છે, મર્યાદા પણ છે. નવલરામના ભાષાંતર (૧૮૭૧)માં છંદ બદલાયો છે, છતાં સ્વતંત્ર કાવ્યકૃતિ તરીકે તેની આસ્વાદ્યતા કેટલાક ભાગોમાં ઘણી રહી છે. તેની પંક્તિઓમાંથી અંત્ય વિરામ નીકળી ગયો છે, એ અજાણપણે બનેલું છે છતાં છંદોરચનાના વિકાસમાં એ વિગત નોંધવા જેવી છે. હરિકૃષ્ણના અનુવાદમાં તો ભાષા પણ ઘણી અવિકસિત છે, અને મૂળનો અર્થ આવ્યો છે પણ સૌન્દર્ય નથી આવી શક્યું. શિવલાલ ધનેશ્વરના ભાષાંતર (૧૮૯૮)માં પૃથ્વી છંદનો પ્રયોગ અદ્યતન લેખકો જેવો પ્રબળ અને સંસ્કારી રીતિનો છે. છંદ બદલાયા છતાં આ રૂપમેળ છંદોમાં વિષયનો વેગ અને સંસ્કૃતના જેવી રમણીયતા આવી છે. ભીમરાવ, વિહારી, કીલાભાઈ અને ન્હાનાલાલના અનુવાદોમાંથી સૌથી વધુ પ્રચારમાં આવેલો અનુવાદ કીલાભાઈનો છે. વિહારી તથા ન્હાનાલાલના અનુવાદોની બે આવૃત્તિઓ તો થયેલી છે. ભીમરાવના અનુવાદમાં કંઈક ક્લિષ્ટતાનું પ્રમાણ વધુ છે, તો કીલાભાઈમાં તેને લોકગમ્ય કરવા ખાતર કે લેખકની અશક્તિને લીધે અર્થને પાતળો કરી નાખતી આઠઆઠ જેટલી પંક્તિઓમાં શ્લોકોને લંબાવેલા છે તેમાં કેટલીક પંક્તિઓ અને શબ્દો ગ્રામ્ય પણ થઈ ગયાં છે. ન્હાનાલાલના અનુવાદમાં તેમણે લીધેલી છંદની છૂટ સર્વત્ર સુભગ નથી. એ કરતાં વિહારીનો અનુવાદ વધુ સુશ્લિષ્ટ અને પ્રસાદપૂર્ણ લાગે છે. બીજા અનુવાદકોના દોષો ક્લિષ્ટતા, ગ્રામ્યતા, પોચો અર્થવિસ્તાર, તથા છંદોવૈરૂપ્યમાંથી તેમનો જ અનુવાદ સૌથી વધુ બચી ગયેલો છે. ત્રિભુવન વ્યાસનો ઝૂલણાનો અનુવાદ પ્રસાદપૂર્ણ હોવા છતાં તે શબ્દાળુતા અને શિથિલતામાંથી બચી શક્યો નથી. સંસ્કૃત સાહિત્યનાં બીજાં ઉત્તમ ખંડકાવ્યો કે મુક્તકોના કે નાટકોના અનુવાદ કેશવલાલ હ. ધ્રુવને હાથે થયેલા છે તેમાં ‘છાયાઘટકર્પર’*[1] ‘અમરુશતક’ (૧૮૯૨) તથા ‘ગીતગોવિંદ’ (૧૮૯૫)ના અનુવાદો મહત્ત્વના છે. એક જ હાથે આ અનુવાદો થયા હોવા છતાં મેઘદૂતને જેમ અનેક અનુવાદકોનો લાભ મળ્યો છે તેમ, આ કાવ્યોને પણ એના એ અનુવાદકને હાથે અનેક વાર પુનઃસંસ્કરણ મળતું રહ્યું છે અને તે ઉત્તરોત્તર ઉત્તમ બનતા ગયા છે. ‘અમરુશતક’ના અનુવાદમાં ગુજરાતી ભાષા અર્થાભિવ્યક્તિની પોતાની ઉત્તમ શક્તિ બતાવે છે અને અનુવાદોમાં પહેલી વાર ગુજરાતી ભાષાની મૌલિક ફોરમ પ્રગટે છે. અનુવાદક મૂળ કૃતિનાં પ્રૌઢિ અને રસ બંને લાવી શક્યા છે; જોકે આ સિદ્ધહસ્ત અનુવાદકમાં ઝડઝમક તરફ વધારે વલણ દેખાય છે. એ સાધવા માટે તેઓ પાઠમાં પણ કળાદૃષ્ટિએ અક્ષમ્ય એવા ફેરફારો કરે છે. આ મુક્તકોમાં શબ્દાર્થ હમેશાં યથાર્થ ઘટાવાયો નથી, તથા અનુવાદકે વિશેષણો વગેરે પણ પોતાનાં ઉમેરી દીધાં છે, જે હમેશાં મૂળ કૃતિના રસતત્ત્વને પોષક નથી બનેલાં; તોપણ અનુવાદક પોતાની કૃતિ પાછળ ખૂબ શ્રમ લે છે તથા તેને ‘તાછ, ઓપ અને સોનાગેરુના સંસ્કારો’ આપવામાં કસર રાખતા નથી. ‘ગીતગોવિંદ’ના અનુવાદને અનુવાદકે છાયાકૃતિ કહી છે તે સર્વથા ઉચિત છે. અનુવાદની કળા તથા સ્વતંત્ર સર્જનશક્તિ બંનેના મિશ્રણનું આ કાવ્ય ઉત્તમ ઉદાહરણ છે. આ કૃતિનું સૌન્દર્ય મૌલિક કહેવાય તેવું છે. અને તે મૂળ કૃતિના જેટલો જ રસનો પરમ આહ્‌લાદ આપી શકે તેવી, આપણાં અનૂદિત કાવ્યોમાં શકવર્તી ગણાય તેવી કૃતિ બનેલી છે. આ અનુવાદનો આશ્રય લઈ ગીતગોવિંદનાં બીજાં બે રૂપાન્તર ‘ગઝલે ગીતગોવિંદ’ (૧૯૨૩) – નટવરસિંહ બલદેવભાઈ દેસાઈ તથા ‘સરલ ગીતગોવિંદ’ (૧૯૨૭) – નટવરલાલ હ. શાહ દ્વારા થયાં છે, પણ તે અત્યંત નિકૃષ્ટ પ્રકારનાં છે. સંસ્કૃત સાહિત્યની આ સીમાચિહ્ન જેવી કેટલીક કૃતિઓ સિવાય બીજી પ્રકીર્ણ કૃતિઓના જે અનુવાદો થયા છે તે નીચે પ્રમાણે છે. આ અનુવાદો જેમ અર્વાચીન કાળની નજીક આવતા જાય છે તેમ મૂળવત્‌ સમશ્લોકી બનતા જાય છે. પ્રારંભમાં તો ગમે તે છંદમાં ગમે તે રીતે અનુવાદો થતા રહ્યા છે. મૂળનાં વૃત્ત છોડીને કરેલા અનુવાદોમાં અર્થ ઊતરે છે. પણ રસ કે અર્થની અસલ ચોટ ઊતરતી નથી.

૧૮૭૪ વૃદ્ધ ચાણક્યનું ભાષાન્તર – બાળકરામ નંદરામ માંડવીકર, સમશ્લોકી નથી.
૧૮૭૪ લઘુ ચાણક્ય નીતિસંગ્રહ – ”, અનુષ્ટુપ છંદમાં છે.
૧૮૭૭ ભર્તૃહરિનું નીતિશતક – જગજીવન ભવાનીશંકર, સમશ્લોકી નથી પણ અર્થ સારો ઊતર્યો છે.
૧૮૮૮ ભર્તૃહરિકૃત શૃંગાર શતક – સી. એલ. કંથારિયા, સમશ્લોકી જેવું, છંદોમાં કચાશ, શબ્દવિન્યાસમાં શિથિલતા છતાં સુવાચ્ય.
૧૯૦૧ ભર્તૃહરિ શતકત્રય – કાલિદાસ ઋતુસંહાર – પ્રાણજીવન ત્રિભુવન ત્રિવેદી, ભર્તૃહરિનાં ત્રણે શતકનો એકસાથે સૌથી પહેલો અનુવાદ. પંક્તિઓ શિથિલ છે, ભાષા કૃત્રિમતાવાળી છે.
૧૯૨૮ નીતિશતક – શ્રી ગિરિધર શર્માજી. સારો વફાદાર અને પ્રાસાદિક અનુવાદ.
૧૮૭૭ શૃંગારદર્શન – ઠા. પ્રેમજી ખેતસિંહ કંજરિયા. સમશ્લોકી નથી. કાલિદાસના શૃંગારતિલક અને થોડા શૃંગારિક શ્લોકોનો વિસ્તારીને થયેલો અનુવાદ.
૧૮૯૯ ઋતુસંહાર – મોહનલાલ પ્રસાદરાય મહેતા. સમશ્લોકી નથી. મૂળનું સૌન્દર્ય ઓછું છતાં ગુજરાતી પૂરતી સરળતા અને સુંદરતા આવી છે.
આ કાવ્યનો બીજો અનુવાદ ૧૯૧૩માં હરિકૃષ્ણ બળદેવ ભટ્ટે કરેલો છે, જે મારા જોવામાં આવ્યો નથી. તે પછી ૧૯૩૮માં વકીલ જેઠાભાઈ બહેચરભાઈએ ત્રીજો અનુવાદ કર્યો છે. શબ્દયોજનામાં શિથિલતા છે. છતાં અમુક પ્રાસાદિકતા આવી શકી છે.
૧૯૨૬ શશિકલા અને ચૌરપંચાશિકા – નાગરદાસ ઈ. પટેલ. સમશ્લોકી મૂળવત્‌ મૂળનો શબ્દાર્થ સર્વત્ર સફળ રીતે નથી ઊતર્યો, તથા અર્થ ઘણી વાર નબળો થઈ ગયો છે, તોપણ કાવ્ય પ્રાસાદિક બન્યું છે.
૧૯૨૭ શૃંગારત્રિવેણી – તનમનીશંકર લાલશંકર શિવ. આમાં ‘ચૌરપંચાશિકા’, ‘શૃંગારતિલક’ અને ‘પુષ્પખાણવિલાસ’ના અનુવાદો લેખકે ત્રીજી વાર કરેલા છે. અને તેમાં પ્રગતિ છે. અનુવાદક મૂળને વધુ સફળતાથી વફાદાર રહી શક્યા છે. આ અનુવાદો ઉત્તમ અનુવાદોની હારમાં મૂકી શકાય તેવા બન્યા છે.
૧૯૦૭ ગંગાલહરી – લાલજી વીરેશ્વર જાની. મોટે ભાગે સમશ્લોકી અનુવાદ. બીજો અનુવાદ, ભીખુભાઈ રા. ગોહિલનો છે (૧૯૪૨).
૧૯૩૫ ગંગાલહરી – વિયોગી. પૂરો સમશ્લોકી અને વધારે સારો અનુવાદ છે. કેટલાક મૂળના ક્લિષ્ટ શબ્દો બદલી શકાય તેવા છે છતાં તેવા ને તેવા લેખકે રાખી મૂક્યા છે. અર્થ ક્યાંક મૂળ કરતાં પણ વધુ ક્લિષ્ટ બન્યો છે.
૧૯૦૮ મહિમ્નઃસ્તોત્ર – વિશ્વનાથ સદારામ પાઠક. સમશ્લોકી અને સુંદર.
૧૯૧૩ અનુવાદ બાવની – નાગરદાસ વૈકુંઠજી પંડ્યા. પ્રકીર્ણ બાવન સંસ્કૃત શ્લોકો, પંક્તિઓમાં વધારો કરીને.
ભાગવત પુષ્પાંજલિ – વિહારી. ભાગવતમાંથી ૨૧૬ શ્લોકોનો સમશ્લોકી અનુવાદ, મૂળનાં પ્રસાદ, ગાંભીર્ય અને શિષ્ટતા સાથે.
૧૯૨૦ દેવીસ્તુતિ – ભટ શંકરલાલ પ્રભાશંકર. સમશ્લોકી સારું પદ્ય.
૧૯૧૦ ભગવગદ્‌ગીતા – ન્હાનાલાલ દ. કવિ. ગીતાનો સંપૂર્ણ અને સુભગ સમશ્લોકી અનુવાદ.
૧૯૨૭ ગીતા અમૃતસાગર – પં. ગણેશરામ છગનરામ વરતિયા. પહેલા નવ અધ્યાયનો માત્રામેળ છંદોમાં સહેલો સમજાય તેવો અનુવાદ.
૧૯૩૪ ગીતાધ્વનિ – કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા. ન્હાનાલાલના અનુવાદમાંથી ઘણો એક ભાગ આમાં સ્વીકારી લઈ તેને વધુ સરળ અને સ્પષ્ટ કરેલો છે. પરંતુ તે ન્હાનાલાલ જેટલો સુંદર નથી થયો.
૧૯૩૬       સંગીત ગીતા – રંગ અવધૂત. ગીતાના અર્થને સરળ માત્રામેળ પદ્યમાં મૂકવામાં આવ્યો છે. પણ મૂળનું અર્થગાંભીર્ય તથા કાવ્યમય બાની બહુ અલ્પ પ્રમાણમાં ઊતરી છે.

[૨] નાટકો

અનુવાદોનું સ્વરૂપ ભાષાના વિકાસ તથા લેખકની રચનાશક્તિ સાથે કેટલો બધો સંબંધ રાખે છે એનું ઉદાહરણ સંસ્કૃત નાટકોના ગુજરાતીમાં થયેલા અનુવાદોમાં જોવા મળે છે. નાટક સંસ્કૃતમાં એક રીતે કાવ્યનો જ પ્રકાર ગણાય છે, તોપણ સંસ્કૃત નાટકો સાથે તેમના માત્ર પદ્યભાગ પૂરતો આપણે અહીં સંબંધ હોઈ શકે. કેટલાંક નાટકોનો એકથી વધારે લેખકોને હાથે અનુવાદ થયેલો છે. લેખકની શક્તિને લીધે અનુવાદનું રૂપ કેવું બદલાઈ જાય છે તે પણ તેમાં વિશેષ જોવા મળે છે. અત્યાર લગીમાં નીચેનાં નાટકો ગુજરાતીમાં અનુવાદ પામ્યાં છે :

કાલિદાસ
૧૮૪૦ (?) માલવિકાગ્નિમિત્ર નાટક રણછોડરામ ઉદયરામ
૧૯૩૨, (પ્રેમની પ્રસાદી) કેશવરામ કા. શાસ્ત્રી
૧૯૩૩, બળવંતરાય ક. ઠાકોર
૧૮૬૮, વિક્રમોર્વશીય ત્રોટક રણછોડરામ ઉદયરામ
૧૮૯૮ વિક્રમોર્વશીય કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ
૧૯૦૬, વિક્રમોર્વશીય હિમ્મતલાલ ગ. અંજારિયા
૧૯૧૨, વિક્રમોર્વશીય કિંવા પરાક્રમની પ્રસાદી કેશવલાલ હ. ધ્રુવ
(૧૯૦૧, બીજી આવૃત્તિ)   અભિજ્ઞાન શાકુન્તલ નાટક દલપતરામ પ્રાણજીવન ખખ્ખર
૧૮૬૭, ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક
૧૯૦૬, બળવંતરાય ક. ઠાકોર
૧૯૧૫, મગનલાલ ચતુરભાઈ પટેલ
૧૯૨૬, શકુન્તલાનું સંભારણું ન્હાનાલાલ દ. કવિ
૧૯૨૮, સ્મૃતિભ્રંશ, શાપિત શકુન્તલા મનસુખલાલ મ. ઝવેરી
૧૯૪૯, કાલિદાસનાં ત્રણ નાટકો કેશવરામ કા. શાસ્ત્રી
૧૯૫૫, શાંકુતલ ઉમાશંકર જોશી
ભવભૂતિ
૧૯૧૨ ઉત્તરરામચરિત. મણિલાલ ન. દ્વિવેદી
૧૯૧૨, માલતીમાધવ મણિલાલ ન. દ્વિવેદી
*૧૯૫૦, ઉત્તરરામચરિત ઉમાશંકર જોશી
પદ્માવતી દેસાઈ
શૂદ્રક
૧૮૮૪, મૃચ્છકટિક નાટકસાર (પાંચ અંકી) ઠા. દામોદર રતનશી સોમાણી
૧૮૯૩, મૃચ્છકટિ પ્રકરણ બાળશંકર ઉ. કંથારિયા
ભાસનું (?) દરિદ્ર ચારુદત્ત ડોલરરાય રં. માંકડ
૧૯૪૪, મૃચ્છકટિક સુન્દરમ્‌
ભાસ
૧૯૨૬, પ્રતિમા મણિલાલ છબારામ ભટ્ટ
૧૯૨૮, કેશવલાલ હ. ધ્રુવ
૧૯૧૬, સાચૂં સ્વપ્ન કેશવલાલ હ. ધ્રુવ
૧૯૧૭, મધ્યમવ્યાયોગ લાલશંકર હરિપ્રસાદ
૧૯૨૦, મધ્યમ કેશવલાલ હ. ધ્રુુવ
૧૯૧૨, ગુપ્તપાણ્ડવ લલ્લુભાઈ નારણજી દેસાઈ
૧૯૨૦, પાણ્ડવગુપ્તનિવાસ ઈશ્વરલાલ વીમાવાળા
૧૯૨૨, પ્રધાનની પ્રતિજ્ઞા કેશવલાલ હ. ધ્રુવ
વિન્ધ્યવનની કન્યકા કેશવલાલ હ. ધ્રુવ
સ્વપ્નની સુંદરી કેશવલાલ હ. ધ્રુવ
કર્ણભાર રામનારાયણ વિ. પાઠક
દૂતવાક્યમ
બાલચરિત
*[2]ઊરુભંગ
હર્ષ
૧૮૯૬, પ્રિયદર્શિકા યમુનાદત્ત વલ્લભજી જોશી
૧૯૧૫, પ્રિયદર્શના કેશવલાલ હ. ધ્રુવ
(?) પ્રિયદર્શિકા મોહનલાલ પ્રસાદરાય મહેતા
૧૮૯૦, નાગાનન્દ રાજારામ રામશંકર ભટ્ટ
૧૯૨૭, નાગાનન્દ રમણીક જયચંદભાઈ દલાલ
વિશાખદત્ત
૧૮૮૪, મુદ્રારાક્ષસ કિંવા મેળની મુદ્રિકા કેશવલાલ હ. ધ્રુવ
૧૯૫૦, કેશવરામ કા. શાસ્ત્રી
કૃષ્ણમિશ્ર
૧૮૭૭, પ્રબોધચંદ્રોદય વલ્લભજી હરિદત્ત આચાર્ય
૧૮૭૯, મૂળશંકર રામજી
૧૮૮૧, ભોગીલાલ મહાનંદ ભટ્ટ
મૂળ લેખક (?)
૧૮૮૨, ચંદ્રાવલિ બાળશંકર ઉ. કંથારિયા
રામચંદ્રાચાર્ય
૧૮૮૬, નિર્ભયભીમવ્યાયોગ ગોસાંઈ નારાયણ ભારતી
૧૯૫૨, કેશવરામ કા. શાસ્ત્રી
બાણભટ્ટ
૧૮૯૧, પાર્વતીપરિણય નાટક કીલાભાઈ ઘનશ્યામ
ભાસ્કર કવિ
૧૮૯૪, ઉન્મત્તરાઘવ દુર્લભરામ રામજી જાની
૧૯૨૯, કેશવરામ કા. શાસ્ત્રી
૧૮૯૯, વૈદેહીવિજયમ્‌ મગનભાઈ ચતુરભાઈ પટેલ
(?) વેણીસંહાર અનુવાદક (?) (કૃ. મો. ઝવેરીએ ‘ગુ.સા.ના વધુ માર્ગસૂચક સ્તંભો’માં નોંધેલું)
૧૮૬૭, સુખેશ્વર બાપુજી શાસ્ત્રીજી
૧૮૭૭, બળવંતરામ મહાદેવરામ મહેતા
બોધાયન
(?) ભગવદજ્જુકીય ડોલરરાય રં. માંકડ
૧૯૩૯, સુન્દરમ્‌
૧૯૫૦, મુકુંદ કે. શાસ્ત્રી

આ યાદી જોતાં જણાય છે કે સંસ્કૃત નાટકસાહિત્યની લગભગ બધી ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં આવી ગઈ છે. અને તેને માટે ગુજરાતી સાહિત્ય સહેજે ગૌરવ લઈ શકે તેમ છે. કાલિદાસ, ભવભૂતિ, અને ભાસનાં તો લગભગ બધાં નાટકો તથા હર્ષ, વિશાખદત્ત શૂદ્રક આદિની એકાદબે છતાં ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં આવી છે. આમાંનાં ‘પ્રબોધચંદ્રોદય’ જેવાં કેટલાંક પ્રકીર્ણ નાટકો તેમના સાહિત્યગુણ કરતાં લાક્ષણિક વિષયોને લીધે અનૂદિત થયેલાં છે. આ અનુવાદકોમાંના ઘણાખરા પોતે ગુજરાતીના સારા કવિઓ છે, પણ જેમણે કાવ્યની બીજી પ્રવૃત્તિ કરેલી નથી તેવાઓએ પણ આ અનુવાદોનું કામ ઉપાડ્યું છે તે ખાસ ધ્યાન ખેંચે તેવી બીના છે. એમાંય કીલાભાઈ અને કેશવલાલ જેવાઓએ જે રીતે સંસ્કૃત પદ્યના અનુવાદો કર્યા છે તેમાં તેમની કવિ તરીકે ગણના થઈ શકે તેટલી રચનાશક્તિ પ્રગટી છે.

નાટકોમાંનું પદ્ય

આ અનુવાદોમાં લગભગ ૧૮૮૦ સુધીના અનુવાદોનું પદ્ય દલપતયુગની શૈલીનું જ રહેલું છે. સમશ્લોકી અનુવાદની કલ્પના તો કીલાભાઈ અને કેશવલાલના અનુવાદોથી જ દૃઢ થવા લાગી. તે પહેલાં તો મૂળના પદ્યને એના મૂળ વૃત્તને લાંબુંપહોળું કરીને યા તો દોહરા ચોપાઈ કે ગઝલ અને મનહરાદિ માત્રામેળ કે અક્ષરમેળ કોઈ પણ વૃત્તમાં ગોઠવીને કે નાટકનાં ગાયનોની ઢબે યથેચ્છ રૂપ આપીને ગુજરાતીમાં લાવવામાં આવેલું છે. રણછોડરામ ઉદયરામના*[3] તથા ‘પ્રબોધચંદ્રોદય’ના અનુવાદકોના અનુવાદો આ છેલ્લા બે પ્રકારના છે. બાલાશંકરના અનુવાદમાં વૃત્તનાં આ ત્રણે રૂપો મળે છે. તે પછીનાં નાટકોનું પદ્ય વધારે મૂલાનુસારી સમશ્લોકી બનતું ગયું છે. મૂળ નાટકના સરળ પદ્યને લીધે તથા અનુવાદકની શક્તિને બળે કેટલાંક નાટકોનો પદ્યભાગ ઘણે ભાગે સૌષ્ઠવવાળો અને સુંદર બનેલો છે. એમાં નારાયણ ભારતી, ઈશ્વરલાલ વીમાવાળા, લાલશંકર ભટ્ટ, રાજારામ વગેરેના પદ્યાનુવાદો તેમના સૌષ્ઠવને લીધે ખાસ ધ્યાન ખેંચે છે. પણ અનુવાદકની શક્તિની ખરી કસોટી તો મહાકવિઓનાં નાટકોમાં જ જણાઈ આવે છે. એ કસોટીમાંથી પૂરેપૂરા પાર ઊતરનાર બે જ અનુવાદકો છે, કીલાભાઈ અને કેશવલાલ ધ્રુવ. તેમણે ભવભૂતિની તથા કાલિદાસની ‘શાકુન્તલ’ જેવી બીજી પ્રૌઢ કૃતિઓ ઉપર પોતાની શક્તિ અજમાવી નથી એટલે તે બાબતમાં તેઓ કેવું પરિણામ લાવી શકત તે કહેવું મુશ્કેલ છે. તોપણ કેશવલાલ ધ્રુવે વિશાખદત્તના વિકટ પદ્યના અનુવાદમાં અસાધારણ શક્તિ બતાવી છે તથા કીલાભાઈએ ‘વિક્રમોર્વશીય’ના જ પદ્યાનુવાદમાં કેશવલાલ કરતાં ય વધુ પ્રાસાદિકતા અને મૂલાનુસારી સૌન્દર્ય નિપજાવ્યું છે એ બંનેની શક્તિનાં ઉત્તમ દૃષ્ટાંતો છે. એકંદરે જોતાં ગદ્ય અને પદ્ય ઉભયનું સર્વાંગીણ સૌષ્ઠવ આ બે જ અનુવાદકોએ સૌ અનુવાદકોમાં વિશેષ બતાવ્યું છે.+[4] મણિલાલ નભુભાઈના પદ્યના અનુવાદો સમશ્લોકી નથી. એ નાટકોના તે પછી બીજા અનુવાદો, ‘ઉત્તરરામચરિત’નો અંશ ભાગ મનસુખલાલ ઝવેરીએ અનુવાદ્યો છે તે સિવાય, થયા જ નથી, એનું કારણ ભવભૂતિની સઘન બાની હોય એમ માનીએ તો મણિલાલે જે કંઈ કર્યું છે તે માટે તેમને જશ ઘટે છે. અનુવાદકોની શક્તિની રસિક તુલના ‘શાકુન્તલ’ના અનુવાદોમાં મળી આવે છે. આ પ્રસિદ્ધ કૃતિએ કાવ્યની કે રસત્વની જેને કશી ગતાગમ નથી એવા અનુવાદકોને પણ આકર્ષ્યા છે અને ખખ્ખર જેવાએ મૂળ સંસ્કૃત મૂકીને મરાઠીમાંથી પણ અનુવાદ કરી, નાખવાની ઉત્સુકતા સેવી છે. આ જ નાટકના બીજા અનુવાદકો બ. ક. ઠાકોર, મ. ચ. પટેલ, ન્હા. દ. કવિ અને મ. મો. ઝવેરી પ્રતિષ્ઠિત કવિઓ પણ છે અને તેમની કાવ્યની શૈલી તેના બધા ગુણાવગુણ સાથે અનુવાદોમાં આવી છે. બ. ક. ઠા.ના અનુવાદમાં અર્થની ચોકસાઈ છતાં ઘણી અક્કડતા અને જડતા આવેલી છે. મગનભાઈના અનુવાદમાં પ્રાસાદિકતા છે પણ મૂળનું સૌન્દર્ય થોડું છે. જ્યારે કે. કા. શાસ્ત્રીએ સાધેલા નવા અનુવાદોમાં ભજવી શકાય એ દૃષ્ટિએ પ્રવેશપદ્ધતિ દાખલ કરી, અનુવાદ ન દેખાય એ. રીતે ગુજરાતી સ્વાભાવિક ગદ્ય રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ન્હાનાલાલનો પદ્યાનુવાદ કદાચ આ સૌ અનુવાદમાં, તેમાં વૃત્તભંગની વિરૂપતા જ્યાં આવી છે તેટલા ભાગને બાદ કરતાં સૌથી વધુ સુભગ છે. હમણાં છેલ્લાં વરસોમાં ‘ઉત્તરરામચરિત’ અને ‘શાકુન્તલ’ના અનુવાદો ઉમાશંકર જોશી તરફથી મળ્યા છે. પ્રસાદયુક્ત મધુર કાવ્યબાનીને વરેલા તેમજ ઉત્તમ વિદ્યાસંપન્ન ધીવાળા આ કવિને હાથે આ અનુવાદો થતાં એમ થાય કે હવે આ બે ઉત્કૃષ્ટ કૃતિઓનો શક્ય તેટલો સંપૂર્ણ અનુવાદ આપણને મળી જશે. પરંતુ અનુવાદો જોતાં આ આશા પૂરેપૂરી ફળીભૂત નથી થતી. ગદ્યપદ્ય ઉભયના ઉત્તમ સ્વરૂપને પિછાણનાર આ કવિને હાથે મૂળનાં સૌન્દર્ય, માધુર્ય, અર્થનો પ્રસાદ અને બળ અનુવાદમાં જેટલાં ઊતર્યાં છે તેથી વિશેષ ઊતરે તેવી અપેક્ષા રહે છે. અનુવાદોનો ઉત્તમ અંશ તે કવિએ મૂળ ગ્રંથોને અંગે કરેલું ઊડું અને વ્યાપક અધ્યયન અને ગ્રંથના વસ્તુ અંગેની ઘણી ઝીણવટભરેલી આપેલી ટિપ્પણી છે.

સંસ્કૃત શૈલીનાં ગુજરાતી મૌલિક નાટકો

સંસ્કૃત નાટકોના અનુવાદની સાથેસાથે એ નાટકોની શૈલીને અનુસરી ગુજરાતીમાં લખાયેલાં મૌલિક નાટકોની નોંધ પણ અહીં કરવી જોઈએ. એ નાટકોનું ધ્યાન ખેંચનારું તત્ત્વ તેના વસ્તુમાં ગૂંથેલી પઘરચનાઓ છે. એ પદ્યરચનાઓમાં પણ કેટલાક લેખકોએ સારી શક્તિ બતાવી છે. લલ્લુભાઈ નારણજી દેશાઈનાં ‘યોગેન્દ્ર’ (૧૯૦૨) અને ‘રામવિયોગ’ (૧૯૦૬) નાટકોમાં સારી પદ્યરચના જોવામાં આવે છે. ‘રામવિયોગ’ના અર્પણરૂપે લેખકે એક ૧૧૭ શ્લોકોનું ‘માતૃશતક’ મૂક્યું છે. વિષય વધારે પડતો લંબાયેલો છે છતાં આપણાં માતૃભક્તિનાં કાવ્યોમાં આ ગણનાયોગ્ય કૃતિ છે. લેખકે અર્વાચીન શૈલીની સંસ્કૃત રૂપની શિષ્ટતા સારી હાથ કરી છે. પ્રેમયોગીનાં ‘ચંદ્રભીષ્મપ્રતિજ્ઞા નાટક’ (૧૯૨૨) અને ‘પ્રભાવતી’ (૧૯૨૭)માં તથા મણિલાલ છ. ભટ્ટના ‘સીતાહરણ’ (૧૯૩૧)માં પણ આ રીતની સુભગ પદ્યરચના છે.

અંગ્રેજીમાંથી અનુવાદો

અંગ્રેજી ભાષામાંથી થયેલા અનુવાદો નીચે પ્રમાણે છે :

ગીત ગ્રંથ – જતિ
ડૅવિડનાં ગીતો Essay on Man
The Traveller   – મનુષ્યાવતાર
  – ગોલ્ડસ્મિથની મુસાફરી     – રસધારા
The Deserted Village We are Seven
  – ભાંગેલું ગામ   – અમે છૈયેં સાત
  – તજાયેલ તિલકા   – Light of Asia
Gray’s Elegy   – બુદ્ધચરિત
Ode on Intimations   – સિદ્ધાર્થસંન્યાસ
of immortality Crimean Sonnets
Eleg;y on Thyrza   – ગુલે પોલાંડ
The Hermit The Prophet
  – પ્રેમગીત   – વિદાય વેળાએ
૧૮૫૮   ગીતગ્રંથ – ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનાઓ. તદ્દન પ્રસાદ વગરની અગુજરાતી જેવી ભાષા. અનુવાદ તરીકે આ સૌથી પહેલી કૃતિ છે.
૧૮૭૬ ડૅવિડનાં ગીતો – વાહાલજી બેચર. ખ્રિસ્તી psalmના આ ભાષાન્તરમાં છંદો સારા છે, પરંતુ ભાષાશૈલી ઉપરના જેવી જ અગુજરાતી છે.
૧૮૯૩ Merchant of Venice : Shakespeare – સ્ત્રી-ન્યાયકલા યાને વેણીપુરનો વેપારી – શાહ નરસીલાલ વનમાળીદાસ.
The Traveller – ગોલ્ડસ્મિથની મુસાફરી  – (૧૮૫૯)

હીરાલાલ ઉમિયાશંકર અર્વાચીન કવિતાની આટલી શરૂઆતમાં આ અંગ્રેજી કાવ્યનો અનુવાદ આપણી અર્વાચીન કવિતાપ્રવૃત્તિમાં સૌથી પહેલો હોવાનું મહત્ત્વ ધરાવે છે. મૂળના અંગ્રેજી બ્લૅન્ક વર્સને અનુવાદકે શિખરિણી, ભુજંગી, ગીતિ, ઝૂલણા, માલિની જેવાં જુદાંજુદાં વૃત્તોમાં ગોઠવ્યું છે. એ છંદોવૈવિધ્ય તથા છંદમાં પંક્ત્યંતવિરામનો ત્યાગ એ આ અનુવાદનાં મુખ્ય લક્ષણો છે. કાવ્યમાં માધુર્ય ઓછું છે, તોપણ તે વખતનો ભાષાવિકાસ જોતાં આ અનુવાદ ઘણો જ પ્રશસ્ય છે. The Deserted Village

(૧) ૧૯૧૫, ભાંગેલું ગામ – શંકરપ્રસાદ છગનલાલ રાવળ. ગોલ્ડસ્મિથની એક બીજી કૃતિ The Deserted Villageનો આ અનુવાદ છે. અનુવાદ માટે ઓખાહરણના ઢાળ લીધા છે, જે કાવ્યના વાતાવરણ સાથે મેળ ખાતા નથી. એ ઢાળને લીધે કાવ્ય શિથિલ બન્યું છે. મૂળના અર્થની વફાદારી જળવાઈ છે, રસની નહિ. (ર) ૧૯૨૩, તજાયેલ તિલકા અથવા ગ્રામ્યગૌરવ – પોપટલાલ પૂંજાભાઈ શાહ. ગોલ્ડસ્મિથના ‘ડેઝર્ટેડ વિલેજ’નું આ અનુકરણ-અનુકૃતિ છે. મૂળ કાવ્યના વસ્તુને સૌરાષ્ટ્રના એક ગામડાની આસપાસ ગોઠવ્યું છે અને આપણા ચોરા ચબૂતરા તથા ગ્રામજીવનનાં પાત્રોને ઉચિત રીતે ગોઠવ્યાં છે. અનુકૃતિ સફળ થઈ છે. ભાષા અને છંદો શુદ્ધ પ્રૌઢ અને સરળ છે. મૂળનું કારુણ્ય આ કૃતિમાં આવી શક્યું છે. લેખકે સીધો અનુવાદ કર્યો હોત તોપણ તે સફળ થઈ શકત એમ લાગે છે. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકમાં મંજુલાલ. જ. દવેના નીચેના અનુવાદો પ્રસિદ્ધ થયેલા છે, જે પુસ્તક રૂપે પ્રગટ થયા નથી. ૧૯૧૭, ગ્રેઝ એલેજી. ૧૯૧૮, વડ્‌ર્ઝવર્થનું Ode on Intimations of Immortality. ૧૯૧૯, બાયરનનું Elegy on Thyrza. ગુજરાતી ભાષામાં અંગ્રેજી કૃતિઓને સૌથી વધુ સફળ અને રસાવહ રીતે આ લેખક લઈ આવ્યા છે. મૂળની કૃતિના વસ્તુને તથા રસને ગુજરાતીમાં ઝીલે તેવાં છંદ ભાષા તથા શૈલીની પસંદગીમાં આ લેખકે બહુ ઔચિત્ય બતાવ્યું છે. આ સિવાય The Hermitનો ‘પ્રેમગીત’ નામે તથા Essay on Manનો ‘મનુષ્યાવતાર’ નામે (૧૯૦૩) અનુવાદ પણ થયેલો છે. ‘હરમિટ’નો ‘પ્રેમયોગી’ નામે ગોવર્ધનરામે કરેલો અનુવાદ, જે અધૂરો રહેલો તેને નરહરિ ત્ર્યંબકલાલે પૂરો કરેલો છે. એ કાવ્યનો ‘જતિ’ નામે ડૉ. એમ. ઓ. સુરૈયાએ પણ ૧૯૩૯માં અનુવાદ કર્યો છે. રચના સરળ પ્રાસાદિક બની છે. ગ્રેની ‘એલેજી’નો બીજો એક અનુવાદ (૧૯૨૩) લાલજી વીરેશ્વર જાનીએ કરેલો છે. છંદ મંદાક્રાન્તા લીધો છે. મૂળની છાયા અલ્પાંશે ઊતરી છે. ‘રસધારા’ (૧૯૨૪)માં શાંતિલાલ સારાભાઈ ઓઝાએ કેટલાંક પ્રકીર્ણ અંગ્રેજી કાવ્યોને સુગ્રથિત રીતે અનૂદિત કર્યાં છે. આવો પ્રયત્ન આ સૌથી પહેલો છે; જોકે લેખકને સફળતા બહુ જ થોડી મળી છે. ‘અમે છૈયેં સાત’ (૧૯૩૯) એ. કુ. કુલસુમ એ. સુરૈયાએ વડ્‌ર્ઝવર્થના કાવ્ય ‘We are Seven’નો કરેલો સાદો અનુવાદ છે. અંગ્રેજીમાંથી કોઈ ગંભીર કાવ્યના ગંભીરતાથી અનુવાદ થયા હોય તો તે આર્નોલ્ડના Light of Asiaના છે. એમાંના છૂટક છ પ્રસંગોના અનુવાદ નરસિંહરાવે ૧૮૯૧થી ૧૯૨૪ સુધીમાં કર્યા છે, જે ‘બુદ્ધિચરિત’ નામે ૧૯૩૪માં પ્રસિદ્ધ થયા છે. આ અનુવાદો તેમાંના દેશી લયના ઢાળો, ભાષા તથા નિરૂપણ દરેક બાબતમાં બહુ અસંતોષકારક રહેલા છે. આ જ કૃતિનો બીજો અનુવાદ ‘સિદ્ધાર્થ સંન્યાસ’ (૧૯૨૧) નામે જગન્નાથ હરિનારાયણ ઓઝાએ કરેલો છે. એ લેખકે મૂળના ૮માંથી પ ખંડનો સળંગ સંપૂર્ણ અનુવાદ આપ્યો છે. નરસિંહરાવના અનુવાદ કરતાં આ અનુવાદ અનેક ગણો સારો બનેલો છે, એટલું નહિ, તે એક સ્વતંત્ર આસ્વાદ્ય મૌલિક કૃતિ જેવો પણ થયો છે. લેખકે વૃત્ત ભાષા વગેરેમાં સંસ્કૃત મહાકાવ્યની શૈલીમાં અનુવાદને ઢાળ્યો છે. અને તેમાં સાચે જ સંસ્કૃત મહાકાવ્યનું વાતાવરણ તથા રસાવહતા લાવી શક્યા છે. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવેલી કૃતિઓમાં સૌથી ઉત્તમ અનુવાદ આ કૃતિ છે. અંગ્રેજી કવિતા ઉપરાંત પશ્ચિમના બીજા દેશોની કવિતાના ગુજરાતીમાં બહુ થોડા અનુવાદો થયેલા છે. વળી એ સીધા મૂળ ભાષામાંથી નહિ પણ તે કૃતિઓના અંગ્રેજી અનુવાદમાંથી થયા છે. એમાં અત્યારે માત્ર બેએક કૃતિ મળે છે. તેમાંની પહેલી છે ‘ગુલે પોલાંડ’ (૧૯૩૯) અને બીજી છે ‘વિદાય વેળાએ’ (૧૯૩૮). ‘ગુલે પોલાંડ’ પોલિશ કવિ મિત્સ્કિયેવિચના ‘Crimean Sonnets’નાં સૉનેટોનો ઉમાશંકર જોશીએ કરેલો અનુવાદ છે. અર્વાચીન કવિતામાં પ્રચલિત થયેલા આ યુરોપીય કાવ્યપ્રકાર સૉનેટના આ અનુવાદો ગુજરાતી મૌલિક સૉનેટરચનાઓ જેવા જ કળાપૂર્ણ તથા મૂળના જેવા જ રસાવહ અને હૃદ્ય બનેલ છે. કર્તાની મૌલિક કાવ્યશક્તિ અનુવાદમાં પણ તેટલી જ પ્રવૃત્ત થઈ છે. આ અનુવાદોમાં લેખકની લાક્ષણિક કાવ્યશૈલીના પણ બધા ગુણો ઊતર્યા છે અને તેથી આ અનુવાદકૃતિઓ પણ ઉત્તમ ગુજરાતી કાવ્યકૃતિઓની કક્ષામાં મૂકી શકાય તેવી બની છે. ‘વિદાય વેળાએ’ એ ખલિલ ઝિબ્રાનના ‘The Prophet’નો કિશોરલાલ ઘ. મશરૂવાળાએ કરેલો અનુવાદ છે, મૂળ પુસ્તક બાઇબલની ભાષાની લાક્ષણિક શૈલીમાં લખાયું છે અને એનો અનુવાદ પણ તેવા જ ગદ્યમાં થયો છે. આ કૃતિની ભાષા મૂળમાં તેમજ અનુવાદમાં ગદ્યરૂપની છે છતાં તેમાંનું વિચારતત્ત્વ ઊંચી કોટિની આર્ષ રીતિની ભાષામાં વ્યક્ત થયેલું છે, અને તેમાં કાવ્યની ઘનતા અને તીવ્રતા છે. ગુજરાતી ગદ્યાનુવાદ પણ એવી જ એક લાક્ષણિક સુરાવટ આપે છે, જેમાં કાવ્યનું રસતત્ત્વ સહજ જડે છે. અનુવાદમાં વાણીનું ગાંભીર્ય તેમજ પ્રૌઢ શિષ્ટતા અને મધુર સરળતા આવ્યાં છે. અંગ્રેજી પદ્યાત્મક નાટકોના અમુક ખંડના થોડાક અનુવાદો પદ્યમાં થયા છે, પણ તે પ્રવૃત્તિએ હજી ગંભીર રૂપ નથી લીધું તથા તે જેટલી થઈ છે તેટલી ગ્રંથસ્થ નથી બની. આ અનુવાદો નાટ્યરચનામાં બ્લૅન્ક વર્સ જેવું સળંગ પદ્ય શોધવાના એક પ્રયોગ રૂપે મહત્ત્વ ધરાવે છે. તેમાંનો પહેલો પ્રયોગ કેશવ હ. ધ્રુવનો છે. તેમણે શેક્સ્પિયરના ‘જુલિયસ સીઝર’માંથી બ્રૂટસના ભાષણવાળો ભાગ ‘વનવેલી’ – મનહરમાં અનુવાદ કર્યો છે. તે પછી રામનારાયણ પાઠકે ‘મર્ચન્ટ ઑફ વેનિસ’માંથી ‘શેર માંસનો મુકર્દમો’વાળો ભાગ એ જ ‘મનહર’માં અનૂદિત કર્યો છે. આ દિશામાં છેલ્લો અને વધારે સાતત્યવાળો પ્રયોગ ઉમાશંકર જોશીએ “ઇફ્જીનિયા ઇન ટૉરિસ’નો મનહરમાં કરેલો અનુવાદ છે. આ બધા અનુવાદો એક પ્રયોગ રૂપે ખૂબ નોંધપાત્ર છે. અને દરેક લેખકે પોતાની પદ્યશક્તિ અને કાવ્યશક્તિ તેઓની પાછળ પૂરેપૂરી ખરચી છે.

બંગાળીમાંથી અનુવાદો

ગીતાંજલિ અને ફલચયન
બાલચંદ્ર
ઉત્સર્ગ
ગીતાંજલિ અને બીજાં કાવ્યો

બંગાળી ભાષામાંથી માત્ર ટાગોરની કવિતા ગુજરાતીમાં આવી છે, પણ પ્રથમ તો તે અંગ્રેજી દ્વારા ગદ્યરૂપમાં આવી છે, અને હવે બંગાળીમાંથી પણ આવવા લાગી છે; જોકે બેમાંથી એકે રીતે તે મૂળ જેટલી રસાવહ નથી બની શકી. ‘ગીતાંજલિ અને ફલચયન’ (૧૯૨૩)માં રામચન્દ્ર અધ્વર્યુએ એ કાવ્યોનો અનુવાદ કર્યો છે. ‘બાલચંદ્ર’ (૧૯૨૬) એ શ્રી ગિરિધર શર્માજીએ કરેલો અનુવાદ છે. ‘ઉત્સર્ગ’ (૧૯૩૩)નો ગોરધનદાસ ડા. એંજિનિયરનો અનુવાદ મૂળ બંગાળીમાંથી મૂળના છંદોમાં જ છે. એ રીતે એ પહેલો મૂળવત્‌ અનુવાદ બને છે. આ અનુવાદમાં મૂળનો રસ નથી આવી શક્યો. મૂળના ઢાળમાં ગુજરાતી કવિતાની પદાવલિ મૂળના જેવી રસાવહ નથી બની શકી. મૂળ ભાષા અને અનુવાદની ભાષામાં જ્યાં તત્સમ શબ્દોનું ઘણું સામ્ય હોય ત્યાં તે જ શબ્દો પ્રત્યયાન્તર સાધવાથી તથા બીજા શબ્દો અનૂદિત બનવાથી ભાષા કોક નવી જ વિકૃતતા ધારણ કરી લે છે. પ્રત્યેક શબ્દની રસપોષકતાનો સૂક્ષ્મ વિચાર કરીને કામ લેવાય તો જ અનુવાદ મૂળનો અર્થ લઈ આવવા ઉપરાંત મૂળનો રસ પણ લઈ આવે. ‘ગીતાંજલી અને બીજાં કાવ્યો’ (૧૯૪૨)નો અનુવાદ આપનાર નગીનદાસ પારેખે, તથા ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪)માં ઝવેરચંદ મેઘાણીએ ટાગોરનાં કાવ્યોને ગુજરાતી ભાષાના લય અને છંદની વધુ નજીક લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પોતાને યોગ્ય લાગ્યું તે રીતે મૂળ કાવ્યોને નવા છંદમાં ગોઠવ્યાં છે, છતાં પરિણામ પૂરેપૂરું સંતોષકારક નથી આવ્યું. નગીનદાસના અનુવાદો, કેટલાક ધીરગંભીર શૈલીના મૂળવત્‌ અનુવાદો સિવાય, હજુ વરવા લાગે છે. મૂળમાં જે રસની ઝલક અને શબ્દની ચમક છે તે અહીં નથી. મેઘાણીના અનુવાદો અમુક રીતે વધારે આસ્વાદ્ય બનેલા છે, જોકે તેમાં મૂળ રસની ઘનતા અને કળાની ચારુતા પૂરેપૂરી ઊતરી નથી. બંગાળી ભાષા ગુજરાતીની ઘણી નજીક રહેલી છે છતાં તેની કવિતાનો અનુવાદ કઈ રીતે ઉત્તમ કાવ્યત્વ પામે તે પ્રશ્ન હજી ઉકેલવાનો રહે છે. હજી વધારે સર્જકશક્તિવાળો આપણો કોઈ લેખક એ પ્રશ્ન હાથમાં લે તો એના નિરાકરણની દિશા સ્પષ્ટ થાય ખરી. છેલ્લા થોડા વખત ઉપર અધ્યા. સુરેશ હ. જોષીએ ટાગોરનાં બંગાળી કાવ્યોના જે અનુવાદો આપ્યા છે તે જોતાં પ્રશ્ન ઊકલી ગયો છે એમ આનંદપૂર્વક કહી શકાય.

હિંદીમાંથી અનુવાદો

રસિકપ્રિયા
ભાષાભૂષણ
વૃંદસતસઈ
સમાધિ–સમતા–અનુભવ શતક
બિહારી સતસઈ
શિવરાજ શતક
સુખમની

હિંદી ભાષામાંથી જૂની કવિતાના તથા અલંકારગ્રંથોના નીચેના અનુવાદો થયેલા છે :

૧૮૭૭ રસિકપ્રિયા – કેશવદાસકૃત, અનુવાદક નારાયણ ભારતી, યશવંત ભારતી.
૧૮૭૮ ભાષાભૂષણ – દલપતિરામ દુર્લભરામ યાજ્ઞિક. આ જયદેવ ચક્રવર્તીના ચંદ્રાલોક પરથી લખેલો છે. દોહરામાં અલંકારભાગ સમજાવ્યો છે.
૧૮૮૬ વૃંદસતસઈ – છોટાલાલ સેવકરામે વૃંદ કવિની વ્રજભાષાની કવિતામાંથી આ અનુવાદ કર્યો છે. તે પ્રસન્ન અને સુંદર બન્યો છે.
૧૯૦૭ સમાધિ–સમતા–અનુભવ શતકો – મોહનલાલ અમરશી શેઠ. ન્યાયવિશારદ યશોવિજયજી ઉપાધ્યાયનાં હિંદીમાં રચેલાં ત્રણ દુહાશતકોનો આ ગુજરાતીમાં ભાવાર્થ છે.
૧૯૧૩    બિહારી સતસઈ – બિહારીદાસકૃત, અનુવાદક સવિતાનારાયણ ગણપતિનારાયણ. આ તથા ઉપર નોંધેલું ‘રસિકપ્રિયા’ મારા જોવામાં આવ્યાં નથી.
૧૯૧૬ શિવરાજશતક – કવિ ગોવિન્દ ગીલાભાઈ ચહુઆણ. આ હિંદી કવિ ભૂષણના ‘શિવરાજબાવની’ અને ‘શિવરાજભૂષણ’નો અનુવાદ છે.
૧૯૩૬ સુખમની – મગનભાઈ પ્રભુદાસ દેસાઈ. શીખગુરુ અર્જુનદેવના હિંદીને લગભગ મળતી એવી ભાષામાં રચાયેલા આ ગ્રંથનો લગભગ મૂળને મળતા ચોપાઈના માત્રામેળ માપમાં થયેલો આ અનુવાદ છે. અનુવાદમાં ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓની સરળ છતાં લાક્ષણિક તેજસ્વિતાવાળી કાવ્યબાનીનો મરોડ આવ્યો છે, જે એક ઘણી મોટી વસ્તુ છે. એને લીધે આ પ્રાચીન ગ્રંથના અનુવાદને પ્રાચીન વાણીની મનોહરતાવાળું કલેવર મળ્યું છે. અનુવાદમાં પ્રાસો સરસ રીતે યોજાયા છે, તથા કેટલાક શબ્દના રૂપમાં છૂટ લઈને કરેલા પ્રયોગો ખાસ મનોહર બનેલા છે. મૂળ ગ્રંથના અનુવાદ ઉપરાંત શીખગુરુનો પરિચય વગેરે આપતો ગદ્યભાગ પણ કીમતી વાચન પૂરું પાડે છે.
ઉર્દૂમાંથી અનુવાદ

હામીકૃત કાવ્ય ભા. ૧
ઇસ્લામનો ભરતીઓટ
ઇસ્લામ અને દુનિયા
નઝીર

ઉર્દૂમાંથી નીચેનાં કાવ્યો ગુજરાતીમાં આવેલાં જોવા મળે છે :

૧૮૭૯   હામીકૃત કાવ્ય ભા. ૧ – ગુજરાતીમાં રૂપાન્તર-નિજામુદ્દીન પીરસાહેબ. પ્રાસાદિક ગુજરાતીમાં આ કૃતિ બની છે. પદબંધ સુંદર છે. આ એક પ્રેમકથા છે.
૧૯૦૭ ઇસ્લામનો ભરતીઓટ અથવા મુસદ્દસે હાલી – નનામિયાં રસુલમિયાં. પ્રખ્યાત કવિ હાલીના પુસ્તકનો આ સળંગ ૪૪૪ છપ્પામાં અનુવાદ છે. મુસદ્દસ એ છ લીટીનો ફારસી છંદ છે, અને તેને છપ્પામાં મૂક્યો છે તે યોગ્ય થયું છે. અનુવાદની ભાષા સરળ પ્રાસાદિક તથા જોરદાર પણ બનેલી છે.
૧૯૦૮ ઇસ્લામ અને દુનિયા – સઈયદ ઇબરાહીમ ‘મુહિબ’ અને અહમદ ધાલા જેરાજ. હાલીની આ બીજી બેનમૂન કૃતિનો અનુવાદ છે. આમાં મૂળનો છંદ જ ગુજરાતીમાં પણ રાખ્યો છે, પણ તે બરાબર ઊતર્યો નથી.
૧૯૧૪   નઝીર – ૨૦૦ વર્ષ પર થયેલા ઉર્દૂ કવિ નઝીર અકબરાબાદીનાં કાવ્યોનો મૂળ સાથે આ ગદ્યમાં અનુવાદ છે. ગદ્ય દ્વારા પણ કવિની સુંદર બાનીનો અહીં પરિચય મળે છે.

પ્રકીર્ણ અનુવાદો.

૧૮૭૯ ૧૯૨૫ ગઝલમાં ગાથા – અમૃત એમ. શાહ. આમાં અવેસ્તામાં રચાયેલી અશો જરથુસ્ત્રના ઉપદેશની બનેલી ‘ગાથા’નું ગઝલમાં ભાષાન્તર છે. પારસી ધર્મની આ એક માત્ર કૃતિ તરીકે ખાસ નોંધપાત્ર છે.

ઉમર ખય્યામની રુબાયતોના અંગ્રેજી પરથી તથા મૂળ ફારસી પરથી કેટલાક અનુવાદો થયેલા છે, જેમાંના નીચે મુજબ ગ્રંથસ્થ થયા છે :

૧૯૨૭   રૂબાઇયાત – રૂસ્તમ પેસ્તનજી ભાજીવાલા. આમાં ૮૦૧ રુબાયતો છે. છંદ ફારસી ઢબના છે અને તે મૂળના જેવા લાગે છે. અનુવાદકે સ્પષ્ટ નથી કર્યું કે એમણે મૂળમાંથી કે અંગ્રેજીમાંથી અનુવાદ કર્યા છે. ભાષા પારસી છાંટવાળી છે તથા તેમાં પારસી રીતની અશુદ્ધિઓ પણ છે.
૧૯૨૭ રૂબાઇયાત – હરિલાલ દ્વારકાદાસ સંઘવી. આમાં ૫૦૦ શ્લોકો હરિગીત છંદમાં અનુવાદકે મૂક્યા છે. મૂળની મસ્તી નથી તથા તે કયા મૂળ પરથી કર્યા છે તે સ્પષ્ટ નથી.
૧૯૩૨ અમરવચનસુધા – શ્રી ગિરિધર શર્માજી. આ અનુવાદ ફિટ્‌ઝરાલ્ડના અનુવાદ પરથી કરેલો છે. ૭૫ શ્લોકો રોળા વૃત્તમાં કર્યા છે. અર્થ બરાબર ઊતર્યો છે. પણ મૂળનો રસ બહુ થાડો છે.

  1. * ‘ઘટકર્પર’નું : એક બીજું સમશ્લોકી ભાષાંતર વૈદ્ય શંકરલાલ કુંવરજીએ કરેલું છે.
  2. * કે. કા. શાસ્ત્રીએ ભાસનાં બાલચરિત, દરિદ્ર ચારુદત્ત, પંચરાત્ર, ઉપરાંત પાંચે એકાંકીઓ, ને ભાસને નામે ચડેલા ‘યજ્ઞફલ’નો પણ અનુવાદ કરેલ છે, જે થોડા સમયમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ થશે
  3. * આ જાણીતા નાટકકારે શરૂઆતમાં દલપતરીતિનાં કેટલાંક કાવ્યો પણ લખેલાં છે, જે ‘વિવિધોપદેશ’ (૧૮૫૯) નામે પ્રસિદ્ધ થયાં છે. એ પુસ્તકમાં સહકર્તા તરીકે મનસુખરામ સૂરજરામનું પણ નામ છે. દલપતરીતિની આ કશી ચમત્કૃતિ વિનાની સાદી બોધપ્રધાન કૃતિઓ છે.
  4. + કેશવલાલે ‘પ્રતિજ્ઞાયૌગન્ધરાયણના’ અનુવાદમાં ગદ્યભાગ વનવેલીમાં કર્યો છે, એને એક નોંધપાત્ર બીના ગણવી જોઈએ. પણ તેથી કંઈ વિશેષ રસવત્તા પ્રગટી હોય તેવું બન્યું નથી.