અર્વાચીન કવિતા/ખંડક ૨ : અન્ય કવિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખંડક ૨ : અન્ય કવિઓ


દફતરી દુલભજી હાકમચંદ ( ૧૮૯૮ )
શુક્લ અંબાશંકર શ્યામલ ( ૧૯૧૧ )
ગોહેલ શ્રી સર માનસિંહજી ( ૧૮૯૧ )
પ્રભુલાલ પ્રીતમલાલ પઢિયાર ( ૧૯૧૪ )
ભક્તરાજ અનંતપ્રસાદ ત્રીકમલાલ ( ૧૯૨૨ )
આચાર્ય શ્રીમદ્‌ અજીતસાગર ( ૧૯૨૫ )
રણછોડ અમરજી ( ૧૮૭૦ )
શા. બાલચંદ હીરાચંદ ( ૧૮૯૯ )
વૈદ્ય કુંવરજી નથુ ( ૧૯૦૮ )
કવિ તુલજારામ ઇજતરામ ( ૧૯૦૯ )
ભટ્ટ ભગવાનદાસ નારાયણજી ( ૧૯૧૨ )
ગોરધનદાસ ગિરધરદાસ ( ૧૯૧૩ )
ગં. સ્વ. જસબા ( ૧૯૧૫ )
મોતીલાલ ત્રિભોવનદાસ સટ્ટાવાળા ( ૧૯૧૮ )
અવિનાશાનંદ ( ૧૯૨૧ )
સત્તારશાહ ( ૧૯૨૩ )
પરમાનંદ મણિશંકર ભટ્ટ ( ૧૯૨૩ )
ઋણછોડદાસ માધવદાસ ( ૧૯૨૪ )
પંડિત જગન્નાથ પ્રભાશંકર ( ૧૯૨૬ )
ગં. સ્વ. કાશીબહેન ( ૧૯૨૭ )
અમથાલાલ અને મણિલાલ ( ૧૯૨૯ )
કવિ શોખીન ઊંઝાવાળા ( ૧૯૩૨ )
ભોમારામ હેમારામ ( ૧૯૩૨ )
ઇન્દુમતી હ. દેસાઈજી ( ૧૯૩૫ )
‘શંકર’ મહારાજ ( ૧૯૩૯ )
બહેન સરસ્વતી ( ૧૯૩૯ )
ભગવાનદાસ ચુનીલાલ ( ૧૯૩૯ )
ગુલાબભાઈ વસનજી દેસાઈ ( ૧૯૩૯ )

હવે આપણે જેમના જીવનમાં બાહ્ય રીતની કાંઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી દેખાઈ છતાં જેમણે આ વિષયમાં લખ્યું છે તેવા લેખકોના કાર્ય તરફ વળીએ. એમાંના કેટલાકે ખૂબ લખ્યું છે, પરંતુ તેમાં કાવ્યગુણ બહુ ઓછો રહ્યો છે; છતાં આટલા મોટા પ્રમાણમાં કાવ્યશ્રમ ખેડનાર તરીકે પણ તેમનું નામસ્મરણ કરવું જોઈએ. દફતરી દુલભજી હાકમચંદના ‘દુલભકૃત કાવ્ય’ (૧૮૯૮)નાં ૪૦૦ પાનાંનાં ગદ્યપદ્યના અવનવીન મિશ્રણ વચ્ચે જે બે-ચાર રળિયામણાં ભજનો છે તેમાંનું એક આ રહ્યું :

મોરલિયેે મન હર્યું રે હરી,
નતનત કામણ ઓલે કાનુડે કરી, મોરલિયે.
રાસ રમંતાં રૂડો રંગ જ જામ્યો રે
ચાંદાતણો ચળકાટ,
નેપુર ઝાંઝરિયું તો રણઝણ બોલે બાઇયું
જલ રે જમુનાજીને ઘાટ. મોરલિયે.
...અરધી રાતે રે અમને આરાધું ઊપડી રે
હૈડાં ન રિયાં અમ હાથ, મોરલિયે.
રસબસ કીધી મારી નવરંગ ચુંદલડી રે
ચસ રમતાં અમ સાથ. મોરલિયે.
મ્રદંગ બજાવે બાઇયું બળભદ્ર વીરો રે,
બંસી બજાવે બાળો કાન. મોરલિયે.
અલમકલમની અમને લેયું લગાડી લાલે
નેણુંની કરિયું અમને શાન. મોરલિયે.

એમનું એક બીજું ભજન પણ અહીં ઉતારવા જેવું છે :

વાલીડા આવો વારે રે ચડી
આ ચાકર ઠાકરનો જુનો નાતો ગણી. વાલીડા.
આણીપાણીનો આ તો મચ્યો છે મામલો રે,
બચશે બાજંદો જન કોઈ,
મીંઢળબંધા માઢુડા મસાણે જલિયા,
મેં તો એબીગેબી રમતું જોઈ. વાલીડા.
...જનમ મરણની વાટે હાલે હલકારા રે,
હરીને પોકારે કોય નહીં
રાંધ્યા રે રજકનું રાખી બેઠા રખોપું
ધુતા ધનને ધારાવાડી દઈ.વાલીડા.
બોહળા બખેડામાં બહુ મુઝાણો હું
હૈડાની કોને કહું હાય,
દાસ રે દુલભાના બેલી થૈ ને બચાવો
તમે વપતું વિચારી વ્રજરાય. વાલીડા.

જાણીતા જૂના વિષયને પણ કેવા નવા બળથી નવી જ શબ્દાવલિમાં ઘટતા ઉઠાવથી રજૂ કર્યો છે તે સમજી શકાય તેવું છે. શુક્લ અંબાશંકર શ્યામલનાં ૭૦૦ જેટલાં પૃષ્ઠોના ગ્રંથમાંથી*[1] નીચેની પંક્તિઓ જ ઉદ્ધૃત કરવા જેવી મળે છે :

આજ અમારું મરણ થયું છે! છૂટી ગયો સંસાર રે,
આત્મારામે માર્યું અમને અમોઘ વિજ્ઞાનબાણ રે,
દેહ ભેદાણો દૃઢ મન ભાઈ! તૃષ્ણા ત્યાગી ગયા પ્રાણ રે.
...ભવસુખ વાસના નારી અમારી રુએ હૈયાફાટ રે!
મમતા માયા સુતાએ ફૂટી વાળ્યો મારો ડાટ રે!
...શુભમતિગંગા કાંઠે લાવી, કર્મચિતા રચી દીધી રે!
મૃત મન શવને સ્નાન કરાવી, સત્યે અંત્યેષ્ટિ કીધી રે!

એમની રચનાઓ પ્રાસાદિક અને રોચક છે તથા બીજાઓ કરતાં સંસ્કૃતના અભ્યાસમાંથી જન્મેલી ઊંચી શિષ્ટતા પણ છે, પણ તેમાં પ્રતિભાની બહુ ચમક નથી. પાલિતાણાના ઠાકોર ગોહેલ શ્રી સર માનસિંહજીનાં પાંચસોએક કાવ્યો૧[2], પ્રભુલાલ પ્રીતમલાલ પઢિયારનાં હજારેક પદો૨[3], ભક્તરાજ અનંતપ્રસાદ ત્રીકમલાલનાં દોઢેક હજાર પદો૩ [4], તથા આચાર્ય શ્રીમદ્‌ અજિતસાગરનાં આઠસોએક કાવ્યો૪[5] કોઈ ખાસ લાક્ષણિકતા ધારણ કરી શક્યાં નથી. આમાંના ત્રીજા લેખકે હિંદની અને તેમાં યે ખાસ તો દક્ષિણ હિંદની ખૂબ યાત્રાઓ કરેલી છે, ચોથા લેખક ‘નવા કલાપી’ તરીકે ઓળખાવાયા છે, તથા પહેલા લેખકે ભૈરવની સ્તુતિઓ લખી છે એટલું નોંધવા જેવું છે. શ્રીમદ્‌ અજિતસાગરે આનંદઘનનાં ૧૦૮ પદોનો ગુજરાતી અનુવાદ આપ્યો છે એ એમનું સૌથી સારું કાર્ય છે. આવાં મોટાં પુસ્તકો રચનારા ઉપરાંત નાનાં નાનાં પુસ્તકોના બીજા વીસેક રચનારા પણ તેમની એકાદ સુંદર કૃતિના બળે સ્મરણના હકદાર બને તેવા છે. જૂનાગઢના દીવાન રણછોડજી અમરજીએ ઘણું લખેલું છે. તેમની ભાષામાં બળ અને લાલિત્ય બંને છે. ચંડી અને મહિષાસુરના યુદ્ધમાંથી થોડીક લીટીઓ જોઈએ.*[6]

...મહિષ સાંભળિને આંગળિ દાંતે દશે રે,
અજા કોણ ગજા વાઘની સાંભી ધશે રે.
...કંટક છટક મહાદેવીને સાંભૂ ધશ્યૂં રે,
શેષ સરવળ્યો ને કમઠપીઠ ધસમસ્યૂં રે.
...માતા કોપિયાં ને ઓપિયાં ઉમંગથી રે,
જંગ ઝળકી રહ્યો છે અંગોઅંગથી રે.
...ઝાલે દુષ્ટને મંજાર જેમ કૂકડાં રે,
વીશ વીશના ભરે છે માતા બૂકડા રે.
...રથ વાજી હાથીને મુખ ઘાલિયા રે,
જેવા ફાકડા ભરાય ધાણી દાળિયા રે.

આ નાનકડા ગ્રંથને અંતે ૧૮ પૃષ્ઠો ભરીને ‘અપ્રસિદ્ધ શબ્દોનો સવ્યુત્પત્તિક કોશ તથા દુર્બોધ વાક્યાર્થ’ લેખકે આપ્યો છે, એ બીના આ ગ્રંથના ભાષાના ગૌરવને જણાવવા પૂરતી છે. ઉપરાંત તેમાંથી કાવ્યગુણના સરળતા સાથેના સંબંધ વિશે એ વખતે પણ કેવી સ્થિતિ હતી તે પણ જાણી શકાય છે. શા. બાલચંદ હીરાચંદ પોતાનાં થોડાંક ભજનોમાં પણ કોઈ બીજા જૈન કવિ કરતાં વિશેષ સૌન્દર્ય લાવી શક્યા છે.x[7]

વંદન જિનપદકમલે પ્રેમથી કરું,
ત્વન્મુખ અરવિંદ ભ્રમર ચિત્ત માહરું.
...અજકુલન કેસરી સમ ચરિત માહરું,
આત્મરમણ જિનવરથી તેહ પરિહરું.
*
સહુ કર્મ કટકને દૂર કરો ઉછાઇ,
ઝટ ધરો ધર્મસમશેર હાથમાં ભાઈ.

વૈદ્ય કુંવરજી નથુનાં ભજનોમાં*[8] પ્રસાદ છે, ભક્તિની થોડી ઝલક પણ છે, પદબંધ સળંગ અને સારો છે. પણ તેમની રચનાઓ હિંદીમાં વધારે સારી છે. તેમનું એક સુંદર ઊર્મિક જોઈએ :

પિયા બિનુ કોન કટેજી મોરી રતિયાં.
પિયા પરદેશી મેરો ભર જોબન
રોઈ રોઈ શામ બિનુ ફટ ગઈ છતિયાં.
...દે દે સંદેશા મૈંને પિયાકુ બોલાયા
મેરા કર થક ગયા લિખી લિખી પતિયાં.
કુંવરજીનો રે કંથ હઠીલો.
સ્નેહદીપનકી બુઝાઈ ગઈ બતિયાં.

સ્વ. મહાત્મા બ્રહ્મર્ષિ કવિ તુલજારામ ઇજતરામ પયપાન કરતા કૃષ્ણનું એક અતીવ સુંદર ચિત્ર આપે છે :૧[9]

...ઊંચી આંખ કરી અલબેલો જશોદા સામું જોતા,
ધાવંતાં કંઈ ચૂક પડે તો રંગભીનોજી રોતા.
ક્યારેક ધાવંતાં વછુટી ખોળામાંથી ખસતા,
ક્યારેક જનની સામું જોઈને અલબેલોજી હસતા,
ક્યારેક છાતી પર કર દઈને રમતા ધીમે ધીમે ધાવે,
ક્યારેક રમુજ કરીને રમતા માતાને મન ભાવે.

આ પદો પ્રસિદ્ધ થયાં તે પૂર્વે ઘણા વખતે લખાયેલાં હશે. ભટ્ટ ભગવાનદાસ નારણજીનાં ૧૦૮ પદોમાંથી૨[10] બે-ચાર તો ખૂબ સારાં છે. માત્ર તેમની બે પાણીદાર પંક્તિઓ જ લઈએ :

હે રંગીલા રણછોડ, રંગી દે રંગમાં ત્હારા,
તારા વિના દેખું ન કોઈ હે નેણના તારા!

ગોરધનદાસ ગિરધરદાસનાં ભજનોમાંથી૩[11] થોડીક સંગીતમધુર અને ભાવભરી લીટીઓ આ રહી :

ગાંડા રે ગમાર, ગાંડા ગાંડા રે ગમાર,
રૂદીઆમાં રાખ્યા નહિ દેવ રે મોરાર.
...ઘડી એક ગાયા નહિ જુગદાધાર,
ઘુમીઘુમી ગામમાં તો કર્યો ધમકાર.

આ લેખકે આખી ભગવદ્‌ગીતાને પદોમાં ગોઠવી છે તે નોંધવા જેવું છે. જાણીતા વિદ્વાન જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળનાં માતુશ્રી ગં. સ્વ. જસબાના ‘હરિયશગીત’ (૧૯૧૫)નાં દોઢસોએક પદોમાં છંદરચનાનો કાબૂ તથા વિષયનિરૂપણની ચમક ઠીક ઠીક દેખાય છે.

ધોળાં ધારણ બહુ કર્યાં, મન ધુતારું ધોળ્યું નહિ,
ગર્વગોષ્ટિ પ્રપંચપુષ્ટિ સાક્ષી સદ્ય જાણે સહી.

‘વ્યસનવિટંબણા’ના પદમાં દરેક વ્યસનનું નિરૂપણ કરતાં તેમની કલમ ખીલી છે.

કોઈ રાગ તણા છે રાગી જી, કોઈ ભાંગ તણા છે ભોગી જી,
કોઈ તંબાકુને તલખે જી, કોઈ અમલ દેખીને હરખે જી.

‘વિક્રમની વીસમી સદી’ નામની જાણીતી નવલકથાના કર્તા મોતીલાલ ત્રિભોવનદાસ સટ્ટાવાળાએ દયારામના ‘લોચનમનના ઝગડા” ઉપરથી પ્રેરણા લઈ લોચનપાંપણનો એક ‘રસિક ઝગડો’ (૧૯૧૮) લખ્યો છે. દયારામના નાનકડા ગીત કરતાં આ ‘ઝઘડો’ અનેક ગણો લંબાયો છે, લગભગ આખ્યાન જેવો બની ગયો છે, પણ તેટલો રસાવહ બની શક્યો નથી. દયારામની રાહ લઈ તથા તેના વિષયો પરથી સૂચના મેળવી કેટલીક ગરબીઓ પણ લેખકે લખી છે, પરંતુ તેમાં દયારામની ચમત્કૃતિનો પાસ ન આવ્યો હોય તો તે સ્વાભાવિક છે. નીચેનાં જેવી દયારામનું સ્મરણ કરાવે તેવી થોડીક પંક્તિઓ આખા પુસ્તકમાં છે :

કહાનને હિંડોળે ઝુલાવું રે
હું તો શ્યામની છબી મન લાવું રે.
કહાન ઝુલે ને મારું અંગોઅંગ દૂલે,
રોમ રોમ ઘેરીઓ ઘુમાવું રે હું તો...

લેખકનાં ભાષા છંદ વગેરે ઘણાં શિષ્ટ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અવિનાશાનંદનાં લખેલાં પદો ‘અવિનાશાનંદ કાવ્ય’ (૧૯૨૧)માં સ્વામિનારાયણ જીવનપ્રસંગો વર્ણવાયા છે એ રીતે તે નોંધપાત્ર ઠરે છે. પદબંધની હથોટી સારી છે. આ સાધુએ શૃંગારનાં કેટલાંક મનોહર ગીતો આપ્યાં છે. એ જ સંપ્રદાયના અનુયાયી આપણા કવિ દલપતરામ પોતે ગૃહસ્થાશ્રમી હોવા છતાં જેનાથી દૂર ભાગ્યા છે તે શૃંગારને એ સંપ્રદાયના બ્રહ્મચારી સાધુઓ પણ કેવી નિખાલસતાથી અને સુંદર રીતે ગાય છે તે અહીં જોવા મળે છે. એમાંનું એક પદ અહીં જોઈશુંઃ

છેલ છુવો ન છતિયાં હમાર, ફાટેગો મેરે અંચરવા,
લાખ ટકેકી લીની સારી બિહારી નાગર નંદકુમાર,
ઉરજ ઉતંગ, નહીં શામ ચતુર પિયા, નાજાુક નવીન લગાર.
લોક નગરકે દેખે ડગરમેં ઠાડે સબ નરનાર,
અવિનાશાનંદકુ જેલ ન કીજો છોટી મેં અતિ સુકુમાર.

‘સત્તાર ભજનામૃત’ (૧૯૨૩)ના કર્તા ભક્તકવિ શ્રી સત્તાર શાહ સુંદર ભજનો ગાનાર તરીકે જાણીતા છે. સદ્‌ગત ચંદ્રશંકર પંડ્યાએ આ પુસ્તકનો ઉપોદ્‌ઘાત લખીને તથા તેમને સાથે ફેરવીને તથા જલસા કરાવીને આ કર્તાનો તથા તેમનાં ભજનોનો સારો પુરસ્કાર કર્યો છે. ઘણાં ભજનો સાધારણ છે, કેટલાંક ચમત્કૃતિવાળાં દેખાય છે, પણ તે ચમત્કૃતિ, વિચારની તથા રજૂઆતની, કબીર વગેરેનાં ભજનોમાંથી જ અપનાવેલી છે. લેખકમાં તત્ત્વદૃષ્ટિની કશી સળંગ રેખા દેખાતી નથી. કેટલેક ઠેકાણે ભારે શબ્દો અર્થ સમજ્યા વગર વાપરેલા દેખાય છે. પરમાનંદ મણિશંકર ભટ્ટ તથા નારાયણજી ગોરવર્ધનરામે મળીને ઉદ્ધવ અને ગોપીના સંવાદને વિષય કરી ‘પ્રેમગીતા’ (૧૯૨૩) લખી છે. વિષયની રમણીયતાને લીધે કાવ્ય રસાવહ બન્યું છે, પણ કાવ્યને અર્વાચીન કરવા જતાં આવી પંક્તિઓ પણ તેમણે ગોપી પાસે બોલાવી છે :

કઝાનાં હાથમાં સ્થાપી, સઝા આ ક્રૂર કાં આપી?
મઝા બદલે અરે! તાપી, પ્રભુ ત્યાં મોજ માણે છે!

છતાં કેટલાક સુંદર ખંડો પણ છે :

જે મધુરાં વચનો વદીને અમને વદને મધુ ચુમ્બન દેતા,
રાસ રચી અવકાશ લઈ સુવિલાસ કરી પ્રીતિપીયુષોના;
એહ પ્રભુ તહીં કામિની આગળ વાત યથેષ્ટ કરી કોઈ ટાણે,
ભ્રામ્ય મહીં વસનાર સુખી કદિ શું પ્રભુ યાદ કરી દિલ આણે?

આ લેખકો કરતાં યે નવયુગના વાઘા ધારણ કરવા પ્રયત્ન કરનાર ઋણછોડદાસ માધવદાસેx[12] અંગ્રેજી કક્કા પ્રમાણે અક્ષરો લઈને ઉપદેશ આપ્યો છે! પણ એનું કાળઘાણીનું ગીત ખૂબ ધ્યાન ખેંચે તેવું છે :

ઘાંણી ઘાલી બેઠો રે કાળ ઘાંચી આ જગમાં,
વિના બળદે ચાલે રે પીલી નાખે એક પલમાં.
નહિ લક્કડની નહિ લોઢાની, નહિ ધાતુ નહિ પાણ,
પૃથ્વીથી પ્હોળી આભથી ઊંચી વ્યાપી અનંત બ્રહ્માંડ;
તે પર બેસી પોતે રે વાટ જુએ ક્ષણ ક્ષણમાં.....

પંડિત જગન્નાથ પ્રભાશંકર પોતાનાં *[13]ભજનોમાં સારી હથોટી બતાવે છે. ‘મેં તો ઘટમાં રમતાં ભાળી રે, ઘણું જીવો મારી ઘરવાળી’નું જાણીતું ગીત તેમનું છે. તેમની નીચેની પંક્તિઓમાં એક ચોટદાર દૃષ્ટાંત આવ્યું છે :

હે ગુરુ! આજે સહાય થજો :
ઠૂંઠે બાથ ભરેલી મારી ગુરુજી! છૂટી નથી થાતી જી,
જેમજેમ યત્ન કરૂં તેમતેમ તે અધિકઅધિક જકડાતી.

‘હૃદયકલ્લોલ’ (૧૯૨૭)નાં કર્તા ગં. સ્વ. કાશીબ્હેનને એક સ્ત્રીલેખક તરીકે સ્મરણ કરવા જેવાં છે. તેમનાં ૧૦૧ પદોમાં ‘સરળ લોકભાષા’ લખવાને યત્ન કરવાની કબૂલાત નોંધપાત્ર છે. અમથાલાલ (અમૃત) અને મણિલાલ (ચિંતામણિ) બે ભાઈઓનાં કાવ્યનો સંગ્રહ ‘અમૃતચિંતામણિ’ (૧૯૨૯) આપણને સારી હથોટીવાળાં ભજનો આપે છે. ક્યાંક રચનાનો પ્રસાદ દેખાઈ આવે છે.

લાગી લાગી હૃદય મહીં ચોટ, ..માલિક તારા નામની
મારે ખજાને પડેલી એ ખોટ તું હિ ઘનશ્યામની.
લાગી હૃદયે ચોટ, ખોટ્ય ખજાને પડી...
ચિતડું ચોર્યું સચોટ... બોટ ખરાબે ચડી
ઝુરે ભવસાગરની માંય.... કંથડ વિણ કામની...

ઊંઝાના એક કવિ શોખીન ઊંઝાવાળાએ બહુચરાનાં થોડાંક પદોમાંx[14] પ્રશસ્ય શક્તિ બતાવી છે. એમનું ‘ચુંદડી’ ગીત અર્વાચીન ઊર્મિકોમાં સ્થાન પામે તેવું છે :

રંગમાં ચુંદડી રાતી, બહુચરબાની, રંગમાં ચુંદડી રાતી.
અયુત ચંદ્ર અયુત સૂર્ય પાલવે જડ્યા છે એના;
તારલાની ભારે માંહિ ભાતી. બહુચરબાની.
...ઉરના અંબુજમાં, શ્રીહરિ દૂધ પી રહ્યા,
ક્ષીરનો શાગર શ્રવે છાતી. બહુ.
ઝાંઝર ઝણકાર બાનો ગગનોમાં ગાજતો
વિદ્યુતના તેજે ઓળખાતી. બહુ.
ચુંદડીના ચટકે રંગાણું તારું બાળકું
ઊંઝાવાળું દિનરાતી. બહુ.

એ જ કવિના પડોશના પાટણના ભોમારામ હેંમારામનાં ભજનોમાં*[15] પણ બળ છે :

કોઈ રે બતાવે વૈદ્ય આંખના પળમાં ઉતારે પડોળ જી,
વારી રે જાવું જન જેહને દેખાડે હરની પરોળ જી.

ઇન્દુમતી હ. દેસાઈજીના ‘શ્રીકૃષ્ણમંજરી’ (૧૯૩૫)નાં પદોમાં પ્રસાદ છે, હળવાશ છે, પણ કળાની ચમક બહુ નથી. રૂઢ રીતિની ભાષા છતાં કેટલીકવાર હૃદયની આરત મધુર રૂપે વ્યક્ત થાય છે :

દિન નાહિં જાત રૈના નહિ બીતત
તુમ બિન ગિરધરલાલ,
ઝબક ઝબક મૈં ઉઠત મુરારી
તુમ દિલકો ચુરનહાર.

‘શંકર’ મહારાજનાં ‘શ્રીકૃષ્ણ જન્મોત્સવ’ ‘ઈશ્વરના લાડીલા’ અને ‘પરમતત્ત્વવિલાસ’ ૧૯૩૯માં પ્રસિદ્ધ થયાં છે. કાવ્યોમાં પદબંધ સાદો છે, પણ કશી રસચમત્કૃતિ નથી. છેલ્લા પુસ્તકમાં શંકરાચાર્યનાં કેટલાંક જાણીતાં સ્તોત્રોના અનુવાદ છે તે પૂરતું તે નોંધપાત્ર છે, પણ અનુવાદમાં કશી ખાસ પ્રાસાદિકતા નથી આવી શકી. બ્હેન સરસ્વતીનું ‘શ્રી ભક્તિરસામૃત’ (૧૯૩૯) એક સુજ્ઞ લેખકની કૃતિ તરીકે નોંધપાત્ર બને છે. ‘શ્રી બાલકૃષ્ણલીલામૃત’ (૧૯૩૯)માં ભગવાનદાસ ચુનીલાલ અને બીજા લેખકોએ ભાગવતમાંથી કૃષ્ણજીવનના વિવિધ પ્રસંગોને ધોળમાં ઉતાર્યા છે. પદબંધ સાફ અને પ્રાસાદિક છે, પણ કૃતિઓ બહુ લાંબી થઈ ગઈ છે. ધોળની રચના તરીકે આ પુસ્તકની રચના ખાસ નોંધપાત્ર છે. ગુલાબભાઈ વશનજી દેસાઈના ‘ગુલાબગુચ્છ અને ગોવિંદ ગીતા’ (૧૯૩૯)માં જૂના ભક્તિજ્ઞાનના વિષયો સામાન્ય રીતે નિરૂપાયા છે. કર્તાએ સંસ્કૃત વૃત્તો સારા કૌશલથી વાપર્યા છે. તેમણે છેક અર્વાચીન જીવનની ભાવનાઓ ઉપર પણ ટીકા કરી છે. તેમાં તે કેટલીક વાર રૂઢિચુસ્ત માનસ બતાવે છે, છતાં તેમણે જે હિંમત બતાવી નિખાલસતાથી પોતાના વિચારો રજૂ કર્યાં છે તે ખરેખર પ્રશસ્ય છે. ‘વધુમતીઆ રાજનીતિને પરિણામે દેશેદેશ કાળ સ્વરૂપ સહસ્રાર્જુન થયા છે.’ ‘અગ્નિ, વરુણ, વાયુ વિગેરે દેવ હોય તો શૂદ્રજનના કેદી થઈ દળી ખાંડી પાણી ભરી વેઠ કેમ આપે?’ ‘વરાળયંત્રથી ગંભીર હાનિ’, ‘વિધવાઓએ સતી થવું, નાતરાં કરવાં નહીં’ વગેરે વિષયોનાં કાવ્યોનાં મથાળાં પરથી તેમના વિષયની કલ્પના આવશે. તેમનાં ભજનોમાં કેટલીક વાર ચમત્કૃતિ ભરેલી રચનાઓ આવે છે; જેમ કે,

શૂરા કોઈ ઊઠો રે, હરિમચ્છાને વિંધવી છે,
શિરસટ્ટાનો ખેલ જ રે, પાંચાળી શાંતિ વરવી છે.
क्षुरस्य धारा निशिता दुरत्यया।
दुर्ग पथस्तत् कवयो वदन्ति ॥

આદિ શબ્દોમાં ઉપનિષદકાળથી જે પરમ તત્ત્વ મનુષ્યની પુરુષાર્થવૃત્તિને પ્રેરતું અને આકર્ષતું રહ્યું છે અને કાળનાં વિવિધ પરિવર્તનોમાં પણ જે એકસરખી મંત્રશક્તિવાળી વાણીમાં વ્યક્ત થતું રહ્યું છે, તે ગુજરાતની ગરવી ગુર્જરી ગિરામાં પણ એવા જ વાક્‌સામર્થ્યથી શબ્દરૂપ પામ્યા વિના રહ્યું નથી. આ જ દુર્ગં પથઃને આપણા ગુજરાતી કવિઓએ ‘હરિનો મારગ છે શૂરાનો’ કહીને ઓળખાવ્યો છે, અને આજની ઘડી સુધી પણ એક સાધારણ શક્તિવાળા કવિને મુખે પણ તે તત્ત્વ એક આહ્‌લાદક આહ્‌વાન રૂપે પ્રકટ થાય છે :

શૂરા કોઈ ઊઠો રે, હરિમચ્છાને વિંધવી છે.

માનવજીવનને જડેલા પુરુષાર્થમાં ઈશ્વરતત્ત્વને ઉપલબ્ધ કરવાનો પુરુષાર્થ સૌથી મોટો છે, અને એ પુરુષાર્થનું ગાન જ્યારે જ્યારે પણ એ તત્ત્વ સાથેની નિબિડ અનુભૂતિમાંથી, વા એ પ્રત્યેકની સહૃદય અભીપ્સામાંથી જન્મે છે ત્યારે બલિષ્ઠ અને મધુર વાગ્દેહ ધારણ કરે છે.


  1. * હરિસ્નેહસુધાસિંધુ (૧૯૧૧)
  2. ૧. ભૈરવનાથજીનો સ્તુત્યાત્મક ગાયનસંગ્રહ (૧૮૯૧). ભૈરવમાળા (૧૮૯૬), ભૈરવભજન શતક, ભૈરવનાથજી મહારાજનાં ગાયનો (૧૯૦૦).
  3. ૨. રામવીણા (૧૯૧૪)
  4. ૩. અનંતપદસંગ્રહ (૧૯૨૨)
  5. ૪. કાવ્યસુધાકર, ગીતરત્નાકર (૧૯૦૦)
  6. * ચંડીપાઠના ગરબા (૧૮૭૦)
  7. x સુબોધસ્તવનકુસુમાવલિ (૧૮૯૯)
  8. * કુંવરજીકીર્તનસંગ્રહ (૧૯૦૮)
  9. ૧. સુબોધચિંતામણી (૧૯૦૯)
  10. ૨. શ્રી કૃષ્ણકીર્તનમાળા (૧૯૧૨)
  11. ૩. ભક્તિજ્ઞાનના ભંડાર (૧૯૧૩)
  12. x ઋણછોડવાણી, ભા. ૧ (૧૯૨૪), ભા. ૨ (૧૯૨૯)
  13. * ‘શ્રીજગન્નાથરસતરંગિણી’ (૧૯૨૬)
  14. x બહુચરાભક્તિભાવ (૧૯૩૨)
  15. * શ્રીભક્તિભોમ (૧૯૩૨)