અર્વાચીન કવિતા/ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ


દોલતરામ કૃપારામ પંડ્યા ( ૧૮૮૭ )
ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ ( ૧૮૭૫ )
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ( ૧૮૮૯ )
હરિલાલ હર્ષદરાય ધ્રુવ ( ૧૮૯૫ )
‘મકરન્દ’ – રમણભાઈ મહીપતરામ નીલકંઠ ( ૧૯૧૩ )
નરસિંહરાવ ભોળાનાથ ( ૧૮૮૭ )
‘કાન્ત’ – મણિશંકર રત્નજી ભટ્ટ ( ૧૮૮૯ )
‘પ્રેમભક્તિ’ – ન્હાનાલાલ દલપતરામ કવિ ( ૧૯૦૩ )
‘અદલ’ – અરદેશર ફરામજી ખબરદાર ( ૧૯૦૧ )
‘સેહેની’ – બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ( ૧૯૦૭ )

ઇહજીવનનું કાવ્ય

દલપતરામથી આપણી કવિતાએ ઇહજીવનનાં લૌકિક તત્ત્વો તરફ વિશેષ અભિમુખ થવા માંડ્યું, અને તે સાથે આપણી પ્રાચીન કવિતાના ઉત્તમ કવિઓમાં જીવનની જે ગહનતા હતી, જીવનનાં સ્થૂલ તત્ત્વો કરતાં સૂક્ષ્મની સાથે જે વિશેષ અનુસંધાન હતું તે ઘડીભર લુપ્ત થઈ ગયું. ગયા ખંડકમાં મને જોઈ ગયા તે મસ્તકવિઓમાં એ અનુસંધાન તેવા ને તેવા જ બાહ્ય રૂપે તો નહિ પણ તેના આંતરિક રૂપે, સુંદર અને શાશ્વતની એ ઝંખના રૂપે પાછું આવે છે. એ સિવાયના બીજા કવિઓમાં એ ઝંખનાનો રણકાર નથી. એ કવિઓનું કાવ્ય, આપણું જીવન જેમ વધુ જાગ્રત થતું ગયું, આપણી કેળવણી જેમ વધુ વ્યાપક થવા લાગી તેમ, લૌકિક રીતમાં વિસ્તાર પામવા લાગ્યું. જોકે આ સ્તબકના સાચા કવિઓ જીવનનાં કોઈક ગહન તત્ત્વોની સાથે જાણ્યેઅજાણ્યે અથડાઈ તો પડે જ છે, તો પણ એમનું કાવ્ય એ ખોજ તરફ વળતું નથી, અથવા એમની ખોજ કાવ્ય રૂપે મૂર્ત નથી થઈ. આ કવિઓનું કાવ્ય મુખ્યત્વે ઐહિક જીવન તરફ અભિમુખ રહી તે સાથે સંલગ્ન એવી ઊર્મિઓ તથા બુદ્ધિજન્ય વિચારોથી અને કેવળ સાહિત્યસર્જનની ઈપ્સાથી પ્રેરાતું રહેલું છે. એમાંના કેટલાક કવિઓમાં ક્યાંક-ક્યાંક એ ગુપ્ત સરવાણી સાથે સંપર્ક સાધવાનો આછોપાતળો પ્રયાસ દેખાય છે, પણ તે મોટે ભાગે બૌદ્ધિક સપાટીનો લાગે છે. એ કવિતામાં પણ રસની મસ્તી છે, કશીક તમન્ના છે, કશાકની ખોજ છે, વ્યથા છે, કંઈક દર્શન કે દર્શનનો આભાસ પણ છે, પણ તે બધું ઇન્દ્રિયગમ્ય જગતની અંદરનું છે. આવી રીતનું કાવ્ય બહુ બીતુંબીતું ઇન્દ્રિયાતીત સૃષ્ટિમાં ડોકિયાં કરે છે, કેટલીક વાર તો પોતાના દર્શનને સત્ય માની પેલાને આભાસરૂપ વર્ણવે છે, અને કદીક તો પેલાનું નિષ્ફળ અનુકરણ પણ કરે છે.