ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/અરદેશર ફરામજી ખબરદાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અરદેશર ફરામજી ખબરદાર

સ્વ. મલબારી પછી પારસી લેખકોમાં કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર ગુજરાતી વાચકોમાં બહુ જાણીતા અને લોકપ્રિય છે. એમનો જન્મ ઇ. સ. ૧૮૮૧માં નવેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે દમણમાં થયો હતો. એમનું કુટુંબ પોર્ટુગીઝ રાજ્યમાં પ્રતિષ્ટિત લેખાતું. એમની પાંચ વર્ષની ઉંમર હશે ત્યારે એમના પિતાશ્રી ફરામજી કાવસજી યુવાવસ્થામાં ૨૬મા વર્ષે પાઠાના રોગથી મુંબાઇમાં મૃત્યુ પામ્યા હતા. ખબરદારની અટક એમના કુટુંબીજનોની બાહોશી અને હુંશિયારીથી એમના વડીલોને મળેલી. એમણે અંગ્રેજી અભ્યાસ મુંબાઇમાં ન્યુ હાઇસ્કુલમાં કર્યો હતો. કવિતા અને સંગીતનો શોખ તો એમને ન્હાનપણથી પ્રાપ્ત થયલો. વિદ્યાર્થી અવસ્થામાંથી તેઓએ કવિતા લખવા માંડેલી; તેથી એમના મિત્રો પણ એમને કવિ તરીકે સંબોધતા હતા. શાળા છોડ્યા બાદ દમણમાં આવી રહેલા. અહીંથી તેમણે “માસિક મજાહ” નામનું માસિક, જે સ્વ. દાદી તારાપોરવાળાના તંત્રીપદ હેઠળ ચાલતું હતું. તેમાં સો દ્રષ્ટાંતિક દોહરાઓ હરિફાઈમાં લખી મોકલેલા; અને તેની ઘટતી તારીફ થઇ હતી. એમનો કાવ્યસંગ્રહ પહેલવહેલો સન ૧૯૦૧માં “કાવ્યરસિકા” નામે પ્રકટ થયલો. તે પછી નવી ઢબની કવિતા પાશ્ચાત્ય વિચાર અને અભ્યાસથી રંગાયેલી, લખવી શરૂ કરેલી. તેમાં તેમને એમના ગુરૂ મી. જાલભાઈ દોરાબજી ભરડા તેમજ એમના મિત્ર મી. પેસ્તનજી ખ. તારાપોરવાળા તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. જ્યારે એ કાવ્યોને સંગ્રહ “વિલાસિકા” નામથી પ્રથમ બહાર પડયો ત્યારે સૌ કોઈ તેથી મુગ્ધ થયા હતા અને જાણીતા વિવેચક શ્રીયુત નરસિંહરાવે તેની સમાલોચના કરી, વાચકવર્ગનું તે પ્રતિ વિશેષ લક્ષ ખેંચ્યું હતું. તે પછી પ્રકાશિકા, ભારતનો ટંકાર, સંદેશિકા, કલિકા, ભજનિકા અને રાસચંદ્રિકા એ નામથી એમના કાવ્યગ્રંથો એક પછી ગુજરાતી જનતાને મળતાં રહેલાં છે; અને તે સર્વેનો સારો સત્કાર થઈ, રસભર વંચાય છે. ઇ. સ. ૧૯૦૮ની સાલથી એઓ ગુજરાત છોડી મદ્રાસ જઈ ત્યાં સહકુટુંબ ધંધા અર્થે ઠરીઠામ થયા છે અને ત્યાં સાઈકલ અને મોટરનો વેપાર મોટા પાયા પર ચલાવે છે. અસ્વસ્થ તબીઅતના કારણે તેઓ જાહેરમાં ઝાઝા બહાર આવી શકતા નથી; પણ પ્રસંગોપાત કોઈ મેળાવડામાં ભાષણ આપવાનું બની આવે છે ત્યારે એમના વ્યાખ્યાનો ઉત્કટ લાગણી, સાચી દાઝ, તટસ્થ વિચાર અને વિવેચનથી ખૂબ અસર ઉપજાવે છે. ભાવનગર સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન, અથવા તો મુંબાઇમાં ઉજવાયલા વસન્તોત્સવ પ્રસંગે આપેલું વ્યાખ્યાન, તેના દ્રષ્ટાંતરૂપ રજુ કરી શકાય. કવિશ્રી ન્હાનાલાલની ડોલનશૈલી વિરુદ્ધ એમણે દર્શાવેલા વિચારોએ એક વખત સાહિત્યસૃષ્ટિમાં ખળભળાટ (Sensation) કરેલો; અને એમની દલીલોમાં કંઈક તથ્ય છે, એમ ઘણાંને લાગેલું. સ્વ. મલબારીના સઘળાં કાવ્યગ્રંથોમાંથી તેમની સારી કવિતાઓની ચૂંટણી કરી એક ગ્રંથમાં સંગ્રહીને તેમજ તેમાં એમના જીવન તેમજ એમની કવિતા વિષે એક સારો, વિસ્તૃત અને વિદ્વત્તાભર્યો ઊપોદ્ઘાત લખીને એમણે એકપક્ષે મરનારની તેમજ બીજે પક્ષે ગુજરાતી વાંચનાર આલમની પ્રશસ્ય સેવા કરી છે, એમ ઉપકારસહ નોંધાવું જોઈએ. વળી એઓએ ઇંગ્રેજીમાં પણ ઘણાં કાવ્યો રચેલાં છે, જેમાંનો એક સંગ્રહ Silken Tassel–નામથી પ્રસિદ્ધ થયલો છે. એમના ઘણું ગુજરાતી તથા અંગ્રેજી ગ્રંથો હજી અપ્રસિદ્ધ છે, જે હવે પછી પ્રગટ થશે.

એમના ગ્રંથોની યાદી:

પ્રકાશન વર્ષ
કાવ્યરસિકા (ઇ. સ. ૧૯૦૧)
વિલાસિકા (૧૯૦૫)
પ્રકાશિકા (૧૯૦૮)
મલબારીનાં કાવ્યરત્નો (સંપાદક) (૧૯૧૭)
ભારતનો ટંકાર (૧૯૧૯)
પ્રભાતનો તપસ્વી (૧૯૨૦)
કુકકુટ દીક્ષા (૧૯૨૦)
સંદેશિકા (૧૯૨૫)
કલિકા (૧૯૨૬)
ભજનિકા (૧૯૨૮)
રાસચન્દ્રિકા ભા. ૧ લો. (૧૯૨૯)
The Silken Tassel (૧૯૨૮)
—અંગ્રેજી ઊર્મિ કાવ્યો.
(Published by Fowler Wright Ltd., London.)