ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા

એઓ વાંઝ, તાલુકે ચોર્યાસી, સુરત જીલ્લાના વતની છે. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર છે. એમના પિતાનું પૂરૂં નામ વિઠ્ઠલભાઈ ખુશાલભાઈ અને માતાનું નામ ધનીબ્હેન દુર્લભભાઈ પટેલ છે. એમનો જન્મ તા. ૭મી નવેમ્બર, ૧૮૯૦ના રોજ વાંઝમાં થયો હતો. સાત ધોરણ શિખ્યા પછી પ્રે. રા. ટ્રેનિંગ કૉલેજમાં ત્રણ વર્ષ પૂરાં કરેલાં; અને પાછળથી તેમણે થોડુંક ઇંગ્રેજી તેમજ હિન્દી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓનું વત્તુઓછું જ્ઞાન સંપાદન કરેલું છે. એમનો પ્રિય વિષય ઇતિહાસ અને અર્થશાસ્ત્ર છે. એમનું જીવનસૂત્ર જનસેવા છે. એઓ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી છે અને સુરત જીલ્લામાં એક અગ્રેસર કાર્યકર્તા છે. સ્વ. રણજીતરામના પરિચય અને સહવાસમાં તેઓ આવેલા અને એમના ગાઢ મિત્ર થઈ પડેલા. ગોપ–કાવ્યોનું પુસ્તક Pastoral poems પ્રકટ કરેલું, તે રણજીતરામની સૂચનાથી; અને તેનો ઊપોદ્દઘાત પણ રણછતરામે જ લખી આપેલો. સુરતમાં પાટીદાર બોર્ડિંગ સ્થાપવામાં તેમનો મુખ્ય હાથ હતો. “પટેલ બંધુ” માસિક પણ એમના તંત્રીપદ નિકળતું; અને એક કોમી પત્ર હોવા છતાં તેમાં પ્રસિદ્ધ થતા લેખો, કાવ્યો વગેરે આનંદદાયક જણાઈ અન્ય વાચકોને તે વાંચવાને આકર્ષતા. વળી સાહિત્ય અને લેખનકાર્ય માટે એમને એવું મમત્વ હતું કે એ માટે તેઓ કેટલોક સમય અમદાવાદ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાઈ, એ સંસ્થાને સાત આઠ પુસ્તકો લખી આપેલાં હતાં, જેની યાદી છેવટે નોંધી છે. સુરત સાહિત્ય પરિષદ વખતે પણ એમણે તે કાર્યમાં ઉત્સાહભર્યો ભાગ લીધો હતો. એમના હસ્તક ચાલતી પાટીદાર બોર્ડિંગ સમાજસેવા પ્રવૃત્તિનું એક મધ્યસ્થ કેન્દ્ર થઈ પડેલી છે. મહાત્માજીએ દેશનું સુકાન હાથ ધર્યાં પછી, ઉપર ઉલ્લેખ કર્યાં મુજબ તેઓ એમના માનીતા અનુયાયી થઈ પડ્યા છે. સન ૧૯૧૯માં અસહકાર વખતે તેમણે મુખ્ય ભાગ લીધેલો; અને રાષ્ટ્રીય શાળાઓ માટે કેટલાંક પુસ્તકો પણ રચી આપ્યાં હતાં. ખરી રીતે કલ્યાણજી અને દયાળજીની જોડી સુરત જીલ્લાના કાર્યકત્તાઓમાં અદ્વિતીય ગણાય છે; અને એ રાષ્ટ્રીય લડતના કાર્યમાં એમને કારાવાસની છ માસની સજા પણ થયેલી, અને તે જેલ અનુભવ, પ્રથમ એમના ‘નવયુગ’ અઠવાડિકમાં અને પછીથી ‘ગાંડિવ’માં સવિસ્તર છપાયો છે. અત્યારે તેઓ દેશમાં રાષ્ટ્રીય ચળવળનું મોટું મોજું ફરી રહ્યું છે, તેની ટોચ પર પોતે ઉભેલા છે.

એમના ગ્રંથોની યાદી:

બાલ–પ્રાર્થના (કાવ્યોમાંથી ચૂંટણી) સન ૧૯૧૪
ગોપકાવ્યો (સ્વ. રણછતરામની પ્રસ્તાવના સાથે)
ટુંકી વાર્તાઓ ભા. ૩ જો. ”   ૧૯૧૫
ગુરુ નાનક
ગુરુ ગોવિંદસિંહ (હિન્દીનો અનુવાદ)
જર્મન જાસુસની આત્મકથા (હિન્દીનો અનુવાદ) ”   ૧૯૧૬
ફિજીદ્વિપમાં ૨૧ વર્ષ (હિન્દીનો અનુવાદ)
લોક રહસ્ય (બંગાળીનો અનુવાદ) ”   ૧૯૧૭
કમળાકાન્તનું દફતર, પત્રો અને જુબાની. ( ” ” )
દેશકીર્તન (સત્યાગ્રહ ગીતો) ”   ૧૯૧૯
હૃદયમંથન (શ્રી. મુનશીની પ્રસ્તાવના સાથે)
દોલત કાકા અથવા કંજુસની કર્મકથા (હિન્દીનું ભાષાંતર) ”   ૧૯૨૦
સ્વરાજ્ય કીર્તન (કાવ્યોની ચૂંટણી) ”   ૧૯૨૧
બાળવાડી ભા. ૧, ૨, ૩, (રાષ્ટ્રીય શાળા માટે)
ગુજરાતનું નૂર (દરબાર શ્રી ગોપાળદાસનું ચરિત્ર.) ”   ૧૯૨૨
(કાકા કાલેલકરની પ્રસ્તાવના સાથે)
વિજયનગરનું હિન્દુ સામ્રાજ્ય (ઇંગ્રેજીનો અનુવાદ) ”   ૧૯૨૪
પ્રેમ (બંગાળી વ્યાખ્યાનનું ભાષાંતર) ”   ૧૯૨૫