<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%2F%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%AC</id>
	<title>માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૬ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%2F%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%AC"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%AC&amp;action=history"/>
	<updated>2026-05-10T10:06:19Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%AC&amp;diff=110409&amp;oldid=prev</id>
		<title>Meghdhanu: +૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%AC&amp;diff=110409&amp;oldid=prev"/>
		<updated>2026-04-28T01:19:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;+૧&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૧૬}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બળરામની વાડીમાં માનવ-સમુદાય ઊભરાતો હતો. આજ સુધી તો ખેડૂતોનાં ટોળાં ઊતરી આવતાં કે દ્વારિકા આવેલા રાજપુરુષો વિવેક ખાતર મુલાકાત લઈ જતા. પણ આટલી મોટી સંખ્યામાં અને આટલાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતાં લોકો આ પહેલાં એકઠાં નહોતાં થયાં. બળરામના આમંત્રણને માન આપીને વેદપાઠી બ્રાહ્મણો અને નિર્ગ્રંથ શ્રમણો આવ્યા હતા. અતિવર્ણાશ્રમી અવધૂતો અને એકાંતસેવી મુનિઓ આવ્યા હતા. બ્રહ્મવાદિની કુલસ્ત્રીઓ, સંન્યાસિનીઓ અને પરિવ્રાજિકાઓ પણ આ મહત્ત્વના સંમેલનમાં ભાગ લેવા આવી હતી. બળરામે આમંત્રણમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતના મહાવિનાશની ઘડી આવી પહોંચી છે, અને ત્યારે નવસર્જનનો ભાર તેના દ્રષ્ટાઓ, સ્મૃતિકારો અને સર્વતંત્ર સ્વતંત્ર જીવનસ્વામીઓ પર છે. આ આવાહનને કોઈ ઉવેખી નહોતું શક્યું.&lt;br /&gt;
માત્ર બળરામની વાડીમાં જ નહીં પણ આસપાસનાં ખેતરોમાં તંબૂઓ તાણવામાં આવ્યા હતા. રાવટીઓ નાખવામાં આવી હતી. ઘણા ત્યાગીજનોએ તો વૃક્ષો નીચે જ આસનો જમાવ્યાં હતાં. ઉતારાની વ્યવસ્થા એટલી સુઘડ અને સુંદર હતી કે ગિરદી હોવા છતાં દરેકને મોકળાશ મળી રહેતી. બળરામના વિશાળ હૃદય અને કૃષ્ણની વિચક્ષણ દૃષ્ટિની પ્રતીતિ અતિથિઓને દરેક પ્રસંગે થઈ આવતી.&lt;br /&gt;
આમંત્રિતોમાં ખાસ તો બદરિકાશ્રમથી મહર્ષિ વેદવ્યાસ આવ્યા હતા. કુરુજાંગલના સમર્થ મુનિ મૈત્રેય હતા. ભ્રમણશીલ તથા સમન્વયદર્શી માર્કણ્ડેય પણ હાજર થઈ ગયા હતા. સોમતીર્થના આચાર્ય ભદ્રંકર પોતાના શિષ્યગણ વચ્ચે શોભતા હતા. શ્રમણ નેમિનાથને આ પ્રસંગે બળદેવ પોતે જઈને બોલાવી લાવ્યા હતા. અને સ્ત્રીઓનાં વૃંદમાં તપસ્વિની શાંડિલી, ભગવતી ગૌતમી અને પરિવ્રાજિકા રાજમતી પોતાના તેજથી તરી આવતી હતી.&lt;br /&gt;
ભારતના મનીષીઓ જે આપત્તિને બારતેર વર્ષથી ટાળવા મથતા હતા તે આખરે આવી પડી હતી. ધર્મ-અધર્મને જોખવાનું મુશ્કેલ હતું. કોણ જીતશે? કોણ હારશે? એની અટકળ નકામી હતી. ધર્મનું કોકડું એટલું ગૂંચવાઈ ગયું હતું કે શબ્દને વળગી રહેનારા પોતાનો તર્કબદ્ધ તાર કાઢી શકે એમ ન હતા. શબ્દના મર્મને પકડનારા માટે કોઈ તાર સહેજે હાથ ચડે તેમ નહોતો, અને કોઈ પણ પક્ષના સંપૂર્ણ વિજયની આશા નહોતી. વિજેતાની દશા પરાજિત કરતાં વધારે સારી નહોતી લાગતી. ભારતની કરોડરજ્જુ તૂટી જાય એવી પરિસ્થિતિ હતી. જ્ઞાનીજનો એ પણ જાણતા હતા કે ભારત આ વિધ્વંસમાં ઓરાયું તો હજારો વર્ષ સુધી બેઠું નહીં થઈ શકે. અને આ બધું એક વ્યક્તિની હઠને કારણે?&lt;br /&gt;
કોઈ એક વ્યક્તિને હવે રક્તપિત્તના રોગીની જેમ દૂર કરવાનો સવાલ નહોતો રહ્યો. સત્તા અને સંપત્તિનો કેફ ચેપી રોગની જેમ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો હતો. માણસ બે પરિસ્થિતિમાં બેફામ બની જાય છે : કાં અઢળક સમૃદ્ધિ વચ્ચે અથવા સર્વનાશના ઓળા તળે. ભારતના દુર્મદ અને દુર્મતિ સત્તાધીશો આ બંને સ્ફોટક પદાર્થોથી રમતા હતા. જીવનનાં ઊંચાં મૂલ્યોનો કશો અર્થ નહોતો રહ્યો. જીવન એટલે મદ્યનો ઘટ, જીવન એટલે દ્યૂતનો પાસો. જીવન એટલે નિર્જીવ પદાર્થની જેમ શરતમાં મુકાતી સ્ત્રી.&lt;br /&gt;
અને આવી તમામ વસ્તુઓને યોગ્ય ઠરાવતી ફિલસૂફી પણ ફેલાતી જતી હતી. સત્તા જે વિચારસરણીની પીઠ થાબડે તેને સત્યનું છેલ્લું વાક્ય ગણનારા પછી ઓછા નથી નીકળતા. દુર્યોધન સત્તા, વૈભવ અને ઉપભોગને જ જીવનનું લક્ષ્યબિંદુ માનતો હતો. એની આડે આવતી ઔચિત્ય બુદ્ધિનો તે છડેચોક ઉપહાસ કરતો. જ્યાં સુધી જીવવું ત્યાં સુધી પોતે સુખે જીવવું —એમાં કોઈના ઋણનો, કોઈને થતા અન્યાયનો, કોઈને થતી પીડાનો વિચાર સરખો કરવો એ પામરતાનાં લક્ષણ હતાં. માંસલ ભુજાઓ અને ક્ષુધાતુર આંખો એવી પરવા કરવા બેસે એ નરી નબળાઈ હતી. પોતાના વિચારોને એક જીવનદર્શનમાં વણી આપે એવો મિત્ર દુર્યોધનને મળી ગયો હતો. તેનું નામ ચાર્વાક. લોકાયતોનો આચાર્ય. જડવાદી કહી તેની નિંદા કરનારા પાસે પણ તેની જડબેસલાક દલીલોનો જવાબ નહોતો. આ વાસ્તવિક દુનિયા પર પગ ખોડી તે દિવ્ય તત્ત્વના ફુરચા ઉડાવવામાં રસ લેતો. કર્ણ ઠેર ઠેર દુર્યોધનને રણમાં જીત અપાવી તેના વિજયસ્તંભ રોપતો જતો હતો, એને તત્ત્વજ્ઞાનની પીઠિકા બાંધી આપતો હતો ચાર્વાક.&lt;br /&gt;
દુર્યોધનને પાછો વાળવા અને ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે વ્યાસ તથા વિદુરે બાકી નહોતી રાખી. સામાન્ય રીતે રાજકારણથી દૂર ભાગતા તપસ્વી મૈત્રેય વનવાસી પાંડવોની દુર્દશા જોઈ હસ્તિનાપુર ગયા હતા. દુર્યોધનને તેમણે સમજાવી જોયો હતો. પણ તેણે તુચ્છકારથી હસી મુનિનું અપમાન કર્યું હતું. મૈત્રેયે રાજદરબારમાં જ નિર્ભય વાણી ઉચ્ચારી હતી કે દુર્યોધન પોતાના વિનાશને નોતરી રહ્યો છે. અન્યાય સામે અવાજ ઉઠાવતી ગમે તેટલી નિર્ભય વાણી હોય પણ તેનામાં પ્રતિકાર કરવાની શક્તિ ન હોય તો શું વળે? કૃષ્ણે એવી શક્તિને સંગઠિત કરવાનો પ્રારંભ કરી દીધો હતો. પણ વળી પ્રશ્ન થતો; આગ વરસાવવાથી વનનાં વન બાળી શકાય, કાંઈ તેનાથી નવા અંકુર પાંગરી શકે? બળરામે એટલા માટે સંસ્કૃતિના માળીઓને એકત્રિત કર્યા હતા.&lt;br /&gt;
વાડીના ઘટાદાર આંબાવાડિયામાં સંમેલન મળ્યું ત્યારે બળરામે સહુને આવકારતાં કહ્યું :&lt;br /&gt;
“તમે સહુ મહાન સાધનામાં કે મહત્ત્વના સર્જનમાં ગૂંથાઈ ગયા હશો. તમને એમાંથી બહાર કાઢી આ ખેતરનાં ઢેફાં ખૂંદવા મેં બોલાવ્યા તે માટે માફ કરશો. પણ તમે આવ્યા એટલે મારી આશાનાં બીજ ઊગી નીકળશે એમ લાગે છે. &lt;br /&gt;
“કૃષ્ણના જેવી દિવ્ય શક્તિ મારામાં નથી કે ઋષિમુનિઓ જેવી આર્ષદૃષ્ટિ નથી. એક ખેડુને હોય એટલી આ ધરતી સાથે મારે જીવની સગાઈ છે, અને આ સગાઈમાંથી ઊભી થતી કોઠાસૂઝ છે. આ ધરતીને ખેડવાને બદલે એને ધમરોળવા આપણા જુવાનિયા હાલી નીકળ્યા છે. તેમને આ રવાડે ચડાવનારામાંથી કોઈ નહીં ખાટે. કૃષ્ણની નારાયણી સેનાનું પણ નિકંદન નીકળી જશે. આ ધંધો જ ખોટનો છે. પણ હવે કરવું શું? આ પલટનો નીકળી પડી છે તે પાછી નહીં વળે. તેનો ખુરદો બોલી જશે. આપણે તેમને નાથી નથી શક્યા. પણ બધુંય ખેદાનમેદાન થઈ જાય તે પહેલાં કાંઈ બચાવી શકીશું? મારો આ એક જ મુદ્દાનો સવાલ છે.&lt;br /&gt;
“મારી તો તમને સહુને એક જ વિનતિ છે કે આ દેશમાંથી માણસાઈ મરી પરવારે તે પહેલાં એને બચાવી લો! આપણા નવલોહિયા કંધોતર કપાઈ મરશે. ગામેગામ ધણી વિનાની સ્ત્રીઓ રખડી પડશે. નબાપાં બાળકો ચીસો નાખશે. ઘાયલ, અપંગ અને કાયરોનો સંસાર ઊભો થશે અને નરાધમોનું તેમના પર ચડી વાગશે. તમે જેને સંસ્કૃતિ કહો છો તેનું કેવું કારમું ધોવાણ થઈ જશે તે જરા કલ્પી તો જુઓ!&lt;br /&gt;
&amp;quot;એટલા માટે જ તમને, સહુ સંસ્કૃતિના રખેવાળોને પાણી પહેલાં પાળ બાંધવાનું કહું છું. મહેરબાની કરી ઝાઝું ડહોળશો મા ને ઝીણું કાંતશો મા. મારા જેવા જાડી બુદ્ધિનાને સમજાય એવો મારગ કાઢી આપો. મારા ભેળા આવશે એને લઈ હું એ મારગે પગલાં માંડીશ. યુદ્ધમાં ભાગ ન લેવાનો મેં નિર્ણય કર્યો છે. પણ તેથી હાથ જોડી બેસી રહેવા નથી માગતો. અહીંથી આપણે છૂટા પડીએ તે પહેલાં રસ્તો શોધી કાઢીએ. ને પછી બેધડક નીકળી પડીએ. રસ્તો બતાવો! અજવાળું પાથરો!”&lt;br /&gt;
બળરામના શબ્દોમાં ઊંડી વ્યથા હતી અને તેની સાથે ઉત્કટ અનુરોધ હતો. શ્રોતાઓને એ સ્પર્શી ગયો. મોતના બોગદામાંથી કેવી રીતે બહાર નીકળાય, ક્યારે બહાર નીકળાય તેની તાલાવેલી જાગી ઊઠી. કોઈ દૂરના કિરણની ઝાંખી કરવા મન તલસી ઊઠ્યું. પણ કૃષ્ણે જુદી જ વાત કરી. મહર્ષિ વેદવ્યાસ અને શ્રમણ નેમિનાથને ખાસ સંબોધી કહ્યું :&lt;br /&gt;
“મોટા ભાઈએ જે ભય બતાવ્યો તે સાચો છે. માનવજાત અંધારી ખીણને આરે આવી ઊભી છે. પણ આ ટાંકણે જ અહીં ભગવાન વેદવ્યાસ છે, તીર્થંકર નેમિનાથ છે, એ શું બતાવે છે? કુરુક્ષેત્રમાં ભારતનો પ્રાણ ભસ્મીભૂત થઈ જશે એમ મને નથી લાગતું. ઊલટાનું ભારત પર જામી ગયેલો કચરો સાફ થઈ જશે અને દેવહુમાની જેમ ભારતનો પ્રાણ ફરી ઊંચે ચડશે. તેને સંજીવની અંજલિ છાંટનારા પણ આઘા ક્યાં છે? કાળનું પક્ષી ઊડે છે ત્યારે વદ અને સુદની બંને પાંખો ફફડાવતું હોય છે. વદની પાંખ ઊંચે હોય તેથી સુદની પાંખ કપાઈ નથી જતી, એ ફરી ઊંચે આવતી જ હોય છે. હું જરા સુદ ભણી નજર ઠેરવવાનું કહું છું.&lt;br /&gt;
“આપણે માથે મહાયુદ્ધ તોળાઈ રહ્યું છે, તેનો મને ભય નથી. મને ભય છે કે જ્યાં સંઘર્ષ આપણો ધર્મ થઈ પડે છે ત્યાં આપણે પીછેહઠ કરીશું. આપણને મુખે પાણી રાખી મરતાં નહીં આવડે. ગમે તે ભોગે શાંતિને ચાહવા લાગીશું. યુદ્ધનો ભય ક્ષત્રિયોને હોય એથી વધુ શાંતિપ્રેમી, શીલવંત બ્રાહ્મણો અને શ્રમણોને ન હોવો ઘટે. મોટા ભાઈએ યુદ્ધમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે, પણ મારો રથ તો યુદ્ધના મેદાનને ચીરતો જશે. અને એનો મને શોચ નથી થતો. આપની પાસે એટલું માગું છું : મહાયુદ્ધથી નાસી જઈને નહીં, મહાયુદ્ધથી ત્રાસી જઈને નહીં પણ એના તુમુલ ઘોષની મધ્યમાંથી જ કોઈ અમૃતમંત્ર તારવી કાઢો!”&lt;br /&gt;
કૃષ્ણના કથનમાંથી શો સાર કાઢવો એ શ્રોતાઓને સમજાયું નહીં. બળરામ અને કૃષ્ણ બંને અહીંથી જ છૂટા પડતા નથી ને? તો પછી શાંતિજળ ક્યાંથી પામી શકાય? વેદવ્યાસ ઊભા થયા. તેમણે પહેલાં કૃષ્ણને સંબોધી કહ્યું :&lt;br /&gt;
“પુરુષોત્તમ, તમે કહ્યું તેમ જ્ઞાનીઓ અશોચ્યનો શોચ કરતા નથી. ધર્મયુદ્ધ આવી ચડે ત્યારે પાછી પાની કરવાનું તેઓ કહેતા નથી. પણ તેમનું પહેલું પગલું તો શાંતિ ને કરુણાની વાટે જ પડે છે. તમે પણ આ દારુણ યુદ્ધને અટકાવવા કેટલા પ્રયત્નો કર્યા છે તે કોણ નથી જાણતું? તમારાં વચનો સાંભળી તમને યુદ્ધખોર કહે એ તમને ઓળખી જ શકતો નથી, કેશવ! તમે અત્યંત સાચી દિશામાં પગલાં પાડ્યાં છે. પણ એ પગલાં ત્યાં જ અટકી પડતાં નથી.-”&lt;br /&gt;
પછી બળરામ ભણી જોઈ વેદવ્યાસે કહ્યું :&lt;br /&gt;
“તમારા કાર્યને આગળ વધારતાં પગલાં આ રહ્યાં, અહીં. મહાયુદ્ધના શંખનાદમાં એ પદધ્વનિને અમે ડૂબી જવા નહીં દઈએ. તમારા અભિન્ન હૃદયબંધુને પગલે એનો ડંકો વાગતો અમે સાંભળીશું. જ્યાં હળને ચલાવતો ખેડુ હશે, જ્યાં શાસ્ત્રને વાંચતો બ્રાહ્મણ હશે, જ્યાં ગાયો ચરાવતો ગોવાળ હશે ત્યાં તમારા વિષ્ટિકાર્યની અમે પૂર્ણાહુતિ જોઈશું.&lt;br /&gt;
“રામ, તમે તો ચોક્કસ કાર્યનો આંકડો માંડનારા. તમને ખબર છે કે નૈમિષારણ્યમાં એંશી હજાર બ્રાહ્મણો તપસ્યા કરે છે, શાસ્ત્રશ્રવણ કરે છે. કુરુક્ષેત્રમાં જ્યારે પાંડવકૌરવોનાં સૈન્યો ટકરાશે ત્યારે અમે અમારા આ સૈન્યને વિખેરી નાખીશું. એ ગામડે ગામડે વેદના મંત્રો અને પુરાણની કથા લઈ પહોંચી જશે. પ્રજાતંતુનો ઉચ્છેદ થવા નહીં દે. સમાજમાં મનુષ્યત્વનાં મૂળને પાછાં રોપશે. દ્રોણ અને કૃપાચાર્ય જેવા બ્રાહ્મણવર્યોએ ધર્મનો દ્રોહ કર્યો છે તેનું પ્રાયશ્ચિત્ત તો કરવું પડશે ને!”&lt;br /&gt;
વેદવ્યાસે અંતે સસ્મિત વદને કહ્યું :&lt;br /&gt;
“નિશ્ચિંત રહો રામ!” અને નેમિનાથ ભણી આંગળી ચીંધી ઉમેર્યું : “આવા નાથ બેઠા છે ત્યાં સુધી સમાજ અનાથ ક્યાંથી બનશે? મેં એક કાર્યરેખા દશાવી. પણ જીવનની રેખા તો ક્યાંયે પૂરી થતી નથી. વીતરાગની વાણી હવે એને ભલે આગળ દોરી જાય.”&lt;br /&gt;
સહુ નેમિનાથનાં વચનો સાંભળવા ઉત્સુક બની ગયા. તેમણે પ્રસન્ન ગંભીર વાણીમાં કહ્યું :&lt;br /&gt;
“મહર્ષિ, મારી પાસે મૌન સિવાય બીજી વાણી નથી. તમને શું કહું? બળભદ્ર, તમને શો રસ્તો બતાવું? અમારો સંદેશ તો છે સર્વ સંગને તજવાનો. સર્વત્યાગી, અયોગી, કેવલી એ અમારો આદર્શ. ક્ષમા કરશો. તમને કશી જ સહાય કરી શકું તેમ નથી, અને એવી ઇચ્છા પણ નથી. પણ એટલું ધ્યાનમાં રહે તો સારું કે કોઈ યુદ્ધમાં બંધાઈ રહે, કોઈ હળમાં બંધાઈ રહે, કોઈ શાસ્ત્રમાં પુરાઈ રહે, કોઈ આ સંસારને જ પોતાની સીમા બનાવી મૂકે ત્યારે અમારું સ્વૈર વિચરણ તેમને બહાર આવવાની પ્રેરણા આપતું રહેશે. મારે કશું જ કહેવાનું નથી. પણ તમારા સ્નેહને વશ થઈ આટલું કહ્યું. મારું મૌન તમને મદદ કરી શકે તો ભલે કરે.”&lt;br /&gt;
આ સંમેલનમાંથી કોઈ એક રસ્તો નીકળશે તેમ માનતા હતા તે લોકો નિરાશ થઈ ગયા. પણ બળરામના શ્રમિક મિત્રો, કૃષ્ણના રાજકીય સંગાથીઓ તેમ જ મેધાવી બ્રાહ્મણો અને શ્રમણો આનંદ પામ્યા. માનવજાતને આગળ લઈ જવા માટે કેટલા રસ્તાઓ ખુલ્લા હતા! અને એકમાંથી બીજો એમ કેટલા રસ્તાઓ ફૂટતા હતા! માનવની પ્રકૃતિ, રુચિ, શક્તિના વિવિધ સ્તરોનો પાર નહોતો, તો તેના વિકાસની શક્યતાને પણ સીમા નહોતી.&lt;br /&gt;
વિશ્રામ જેવા બળરામના ખેડૂત મિત્રોએ કહ્યું :&lt;br /&gt;
“દાદા, અમારા જુવાન દીકરા ખેડમાં તૈયાર થઈ ગયા છે. તમારે ઉજ્જડ ટીંબા વસાવવા હોય તો અમને કહેજો. અમે ઉચાળા ભરી આવી પહોંચીશું.”&lt;br /&gt;
આચાર્ય ભદ્રંકર બાજુમાં જ હતા. બોલ્યા :&lt;br /&gt;
“અને રામ, તમારે સ્વસ્તિવાચન માટે બ્રાહ્મણો જોઈશે ને! મારા શિષ્યો સાથે હું ગામનાં સર્વ માંગલિક કાર્યો માટે તૈયાર છું. મારા વતી આટલી ગાંઠ બાંધી રાખજો!”&lt;br /&gt;
એક મસ્તરામ અવધૂત નજીકમાંથી પસાર થઈ રહ્યા હતા. ઊભા રહી ગયા. બળરામનો વાંસો થાબડી બોલી ઊઠ્યા :&lt;br /&gt;
“ઓ હળધારી! એ ગાંઠ વધુ પડતી સખત બંધાઈ જાય તો મને કહેજે, હું એને આમ છેદી નાખીશ.”&lt;br /&gt;
અવધૂતે આંગળીઓથી છેદ ઉડાડવાનો ઈશારો કર્યો. હસાહસ મચી ગઈ.&lt;br /&gt;
ભગવતી ગૌતમીની આંખો બ્રહ્મતેજથી દીપતી હતી, શાંડિલીનાં નયનોમાં ભક્તિનો પારાવાર ઊછળતો હતો. બળરામને થયું : આવી માતાઓ છે ત્યાં માનવને કોણ ઓશિયાળો કરી શકશે? અને પરિવ્રાજિકાઓથી વીંટળાઈને રાજમતીએ વિદાય લીધી ત્યારે બળરામે એનાં ચરણોમાં વંદન કરી મનોમન કહ્યું : મુક્તિની વાટે આ ચાલી રહી છે નિર્ભય, શાંત ઉજ્જ્વળતા. માનવની વાસના-મલિન આંખો અંધ બનશે તો એ તેને અજવાળું આંજતી જશે.&lt;br /&gt;
સભાના વિસર્જન પછી વિદાય લેતાં પહેલાં વેદવ્યાસ બળરામ, કૃષ્ણ અને નેમિનાથને મળ્યા. મહર્ષિએ કૃષ્ણને કહ્યું :&lt;br /&gt;
“મધુસૂદન, મારા હૃદયમાંથી ગોપીકૃષ્ણનો આનંદરસ ઝર્યા જ કરે છે. એને શ્લોકના પાત્રમાં ઝીલી લઈશ. એને ઘેર ઘેર વહેંચનારા પણ તૈયાર કરીશ અને આ મરુભૂમિમાં રાસની ધૂમ મચી રહેશે પણ—”&lt;br /&gt;
નેમિનાથ સામે જોઈ વ્યાસદેવે વાક્ય પૂરું કરતાં કહ્યું :&lt;br /&gt;
“એમ થાય છે, નાથ, કે રાજ-નેમિની કથા પણ સાથે સાથે વહેતી થાય તો વીતરાગની રસમયતાથી આ ભૂમિ વધુ સોહી ઊઠે.”&lt;br /&gt;
નેમિનાથ વ્યાસને વાડીના ઝાંપા સુધી વળાવવા આવ્યા. બોલ્યા :&lt;br /&gt;
“વ્યાસદેવ, આપના પરાભક્તિથી દ્રવતા હૃદયમાં રાધિકાની કુંજ કે રાજુલની ગુફા વચ્ચે કશો ભેદ નથી. જ્યાં એક છે ત્યાં બીજી કથા આવી જ જાય છે.”&lt;br /&gt;
બળરામે પોતાના બંને બન્ધુઓ - કૃષ્ણ અને નેમિનાથ પર પ્રેમભીની નજર માંડી, સ્વભાવ-સહજ મજાક કરતાં કહ્યું :&lt;br /&gt;
“તમારી બેયની કથા ભલે ને એક રહી, પણ ગાળ તો તમે જુદી જુદી ખાવાના. એકને કોઈ કહેશે ‘છેલબટાઉ’ બીજાને કોઈ કહેશે ‘જડસો.’ &amp;quot;&lt;br /&gt;
ચારે મહાપુરુષો વચ્ચે એકસરખું મુક્ત હાસ્ય છવાઈ રહ્યું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રકરણ ૧૫&lt;br /&gt;
|next = પ્રકરણ ૧૭&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>