<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80_%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87_%E0%AA%B0%E0%AB%87%2F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE</id>
	<title>માડી મને સાંભરે રે/મારી મા - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80_%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87_%E0%AA%B0%E0%AB%87%2F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80_%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87_%E0%AA%B0%E0%AB%87/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE&amp;action=history"/>
	<updated>2026-05-23T01:47:41Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80_%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87_%E0%AA%B0%E0%AB%87/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE&amp;diff=111068&amp;oldid=prev</id>
		<title>Meghdhanu: +1</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80_%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87_%E0%AA%B0%E0%AB%87/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE&amp;diff=111068&amp;oldid=prev"/>
		<updated>2026-05-21T02:56:13Z</updated>

		<summary type="html">&lt;p&gt;+1&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૧૦.&amp;lt;br&amp;gt;મારી મા|મોહન પરમાર}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મંદ મંદ પવન વાતો હતો. ફાનસ ભફ ભફ થવા માંડેલું. મેં હળવેથી ફાનસ આડે કપડું મૂકીને વાંચવા માંડ્યું. વાસમાં સોપો પડી ગયેલો. મારી ઓસરીમાં બળતા ફાનસ સિવાય વાસમાં ઘોર અંધકાર પ્રસરી રહ્યો હતો.&lt;br /&gt;
‘બેટા, ઊંજી જા. હવાર્‌અ પાસું વે’લું ઊઠવાનું છ.’&lt;br /&gt;
‘હા.’ કહીને પાછો હું વાંચવા માંડેલો. અદ્‌ભુત નવલકથા હતી. વાંચવામાં રસ પડેલો. નવલકથા મૂકવાનું મન થતું નહોતું. રાત ગળતી જતી હતી. અડધી નવલકથા વાંચી, ને મારી આંખોએ દગો દીધો. એ તો મંડી મીંચાવા. પવન જ જોરદાર શરૂ થયો હતો ને ફાનસ એમનેમ મૂકીને હું ઊંઘી ગયેલો. ચારેક વાગ્યે મારા માથા પર હળવે હળવે કોઈનો હાથ ફરતો હતો. મારી આંખો ખૂલી ગઈ. હળવેથી છાતી પર પડેલી ચોપડી કોઈએ ઉઠાવી. મેં જોયું તો મારી મા હતી. ‘ઊઠ, નેહાળમાં નથી જવું ? બધાં છોકરાં તૈયાર થઈનઅ હેંડ્યા !’ ને હું ઝબકીને જાગી ગયો હતો. માએ મારા માથાના બળેલા વાળ દેખાડેલા.&lt;br /&gt;
‘ઉં જાગી જઈ નો હોત તો, જાંણઅ હું થાત ?’&lt;br /&gt;
‘હેં ! ! !’ પછી હું તૈયાર થઈને ચાલવા માંડેલો. હા, તે વખતે હું આઠમા ધોરણમાં લીંચ ગામે ભણવા જતો. રાત્રે અમારા વાસમાં બે વાગ્યા સુધી મારી ઓસરીમાં ફાનસ બળ્યા કરતું. હું નવલકથાઓ વાંચતો. મા ઊંઘમાંથી જાગીને મારી ફિકર કર્યા કરતી. ‘તારી આંશ્યો બગડી જવાની. અમથું આ હું વાંસ્યા કરઅ છ.’ પણ હું માનતો નહિ. સવારે વહેલો ન ઊઠી શકું તો મા મને કેટકેટલું સમજાવતી. મને ખાટલામાંથી બેઠો કરીને એ મારે માટે ચા મૂકતી. ચા પીને પછી ખભે દફતર ભરાવીને હું બીજા છોકરાઓ સાથે ચાલવા માંડતો.&lt;br /&gt;
આજે મને આ બધું રૂડી પેરે યાદ આવે છે. કેટલો સુખી હતો માના સાન્નિધ્યમાં ! કશી ફિકર નહોતી. ચિંતાનું નામનિશાન તો ક્યાંથી હોય ? ઘણી વાર માની સાથે રહેવાનું મન થાય છે, ત્યારે માને હું મારે ઘેર અચૂક તેડી લાવું છું. હમણાં એકાદ વર્ષ પહેલાં મા મારે ઘરે એક મહિનો રહેલી. સાંજે ઑફિસેથી કંટાળીને ઘેર આવું ત્યારે માને જોઈને કંટાળો ગાયબ થઈ જતો. જાણે હું પાછો ફરીથી બાળક બની ગયો હોઉં તેવું લાગતું હતું. નવરો પડું છું ને માની યાદમાં મન ગામડે ભમે છે. મનોમન માનો ખોળો ખૂંદીને આવ્યો હોઉં તેવો ભાવ જાગે છે.&lt;br /&gt;
થોડા દિવસ પહેલાં અમારા ગામમાં બ્રહ્માણી માતાની મૂર્તિનો સ્થાપનવિધિ હતો. હું મૂર્તિપૂજામાં માનતો હોઉં તેની સ્પષ્ટતા અહીં પ્રસ્તુત છે. પરંતુ તે વખતે દુષ્કાળ હતો. લોકો ખાવાપીવા માટે ટળવળતાં હતાં. તે વખતે લાખ–બે લાખ રૂપિયા માત્ર મૂર્તિઓની સ્થાપન–વિધીમાં જાય તેને બદલે દુકાળગ્રસ્ત લોકોના ઉપયોગમાં વપરાય તે મારે મન મહત્ત્વનું હતું. હું વિરોધ વ્યક્ત કરવાનો હતો. પરંતુ વડીલબંધુ ધનજીભાઈ તેના વહીવટમાં અગ્રેસર હતા. તેમની લાગણીને ઠેસ ન પહોંચે તે હેતુસર હું મૌન રહીને ઘેર ગયેલો નહિ. સગાંસંબંધીઓ ઘણાં આવેલાં, મોટો મેળાવડો જામેલો, મોટા વરઘોડા નીકળેલા, જોનારા તો કહે છે કે લાખો રૂપિયાનું પાણી થઈ ગયું. મારો કુટુંબકબીલો ભેગો થયેલો. માને મારી ગેરહાજરી સતત સાલેલી. આ પ્રસંગ પતી ગયા પછી મેં જાણેલું કે ‘તમારી રાહ જોઈ જોઈને મંછીમા અડધાં અડધાં થઈ ગયેલાં. મારો મોહનિયો હમણાં આવશે, હમણાં આવશે એમ કહેતાં રહેલાં ને પછી ચોધાર આંસુએ રડી પડેલાં.’&lt;br /&gt;
મેં એ વાત જાણી ત્યારે જો મને પાંખો હોત તો કદાચ ઊડીને હું મારા ગામ ભાસરિયા પહોંચી ગયો હોત. પછીથી હું ઘેર ગયેલો ત્યારે માએ કહેલું; ‘ભઈ તમે તો જબરા થઈ જ્યા સો, ગાંમમાં આવડો મોટો પરસંગ હોય તોય તમે નો આવો.’&lt;br /&gt;
‘મા મારે રજા...’&lt;br /&gt;
‘હું જાંણતી’તી કઅ તેમ ઈમ કે’વાના.’ મા ઓશિયાળી બની ગઈ હતી. બેત્રણ બૈરાં જોડે બેઠેલાં. તેમણે પણ ટેકો પૂરેલો : ‘તમે ન આવ્યા, તે દા’ડે તો મંછીમાએ ખાધેલું ય નહિ’&lt;br /&gt;
‘હેં !’ હું માના કરચલીવાળા મોં સામે જોઈને હસેલો. પછી ધીરે રહીને હેતથી માની બાજુમાં બેસી પડેલો. વાત બીજે વાળવા માને મેં કહેલું, ‘મા, આપણા કુટુંબની આ લીલી વાડી જોવા બાપુ જીવ્યા હોત તો...’ મા પછી ઓશિયાળી બની ગઈ હતી. ગળગળી બનીને ભૂતકાળમાં સરી પડી હતી. માની સ્થિતિ જોઈને આ વાત કાઢવા બદલ મને દુઃખ થયેલું. સ્નેહ નીતરતી આંખે મારી સામે જોઈને એ એટલું જ બોલી હતી, ‘જેવી પરભુની મરજી, પણ હું તો તારા છોકરાંનઅ પૈણાયા પછઅ જ મરીશ.’&lt;br /&gt;
મારી મા આજે ૮૦ વર્ષની થઈ છે. આ પ્રસંગોથી પરવારીને બેઠી છે. ચાર પુત્રો અને બે પુત્રીઓને પરણાવી ને હવે ઠંડે કલેજે કુટુંબનું વટવૃક્ષ જોઈને હરે છે, ફરે છે અને આનંદ કરે છે. કેટલા બધા તબક્કાઓમાંથી એ પસાર થઈ છે ? કેટલી બધી તડકીછાંયડી એણે દીઠી છે ? મારા બાળપણમાં મેં એને તનતોડ મહેનત કરતી જોઈ છે. વાંકી વળેલી એની દેહયષ્ટિ જોઈને મારું મન આજે દુભાય છે. તાણો ત્રણતી વખતે ફેરફૂદડી ફરતી મારી માનો તરવરાટ અત્યારે મારી આંખો સામે દૃષ્ટિગોચર થાય છે. અત્યારે કોઈક વાર નવરાશની પળોમાં બેઠા હોઈએ ત્યારે મા ઘણીવાર કહે છે, ‘જુવાનીમાં મીં તો જા તોડી છબ. ઊંઘવાનું ચેવું. એક બે વાજ્યા હુધી વણવાનું કામ કરીએ. નઅ હવારે ચાર વાજ્યે તો દળવા જાગી જઈએ. અત્યારનાં બૈરાંથી એવું કાંમ નો થાય. આઠ વાજ્યા હુધી ઘોર્ય કરઅ, પછઅ, કાંમમાં હું ભલીવાર આવઅ...’&lt;br /&gt;
માની વાત સાચી છે. ઘંટી પર દળતાં તો મેં પણ એને જોઈ છે. એક હાથે ઘંટીમાં દાણા ઓરતી જાય ને બીજા હાથે ઘંટીનો દાંડિયો પકડીને દાણા દળતી જાય. આ દૃશ્યનો તો હું મૂક સાક્ષી છું. એ વખતનું ગામડાનું સુમધુર વાતાવરણ આજે ય મને ત્રીસ વર્ષ પહેલાંના ભૂતકાળમાં ખેંચી જાય છે, તે આહ્‌લાદક દૃશ્યોને મારા સમય સાથે રાખીને હું જીવ્યો છું. અહાહા, થાય છે કે જિંદગીનું મહાસુખ તો તે વર્ષોમાં જ માણ્યું છે. આજે મા ગામડે નાનાભાઈની સાથે રહે છે. પણ મારું મન તો બસ માની આસપાસ ભમ્યા કરે છે.&lt;br /&gt;
મારી મા આશરે પાંચેક ફૂટ ઊચી, શરીરે ભીનો વાન, દેખાવડી કહી ન શકાય તેવી, મોં પરથી કડક લાગે પણ દિલની ભોળી અને કાઠું મજબૂત. મારા પિતાજી કાપડની ફેરીનો ધંધો કરતા. મારા મોટાબાપુ (શિવાબાપા) અને બીજા કાકાઓ સાથે તેઓ ફેરી કરવા જતા. પંદર પંદર દિવસ સુધી બહાર રોકાણ થતું. આમેય અમારું ગામ મહેસાણા જિલ્લામાં હાથવણાટના ધંધામાં પ્રખ્યાત. અહીં તો પુરુષો કરતાં વણાટકામમાં સ્રીઓ પાવરધી છે. મારી મા પણ હાથસાળ પર કાપડ વણતી. મા જે મગ્નતાથી કામ કરતી, તે આજે પણ મારા સ્મૃતિપટ પરથી ઓઝલ થતું નથી. મજબૂત કાઠાની મા સાળમાં કાપડ વણતી હોય કે તાણો કરતી હોય, સાંધણી સાંધતી હોય કે રેંટિયા પર બોબીન ભરતી હોય – તેના કામનો તરવરાટ જ કાંઈ જુદો હતો. માએ અમને ચારેય ભાઈઓને કામ કરતાં શીખવ્યું છે. ભણતાં ભણતાં પણ અમે વણાટકામ કર્યું છે. અમારી રગેરગમાં કામ. અમારો પરસેવો શરૂથી બળકટ—મારી માના મજબૂત કાઠાને અમે ધાવ્યા છીએ. સંજોગો પલટાય અને મજૂરી કરવાની વેળા આવે તોય અમે ડરીએ નહિ.&lt;br /&gt;
મા બે વડીલબંધુઓ – ધનજીભાઈ અને કેશવલાલ, બે મોટી બહેનો – પૂંજી અને મોતી. આ બધાં પરણ્યાં ત્યારે તો હું ઘણો નાનો હતો. પાણી પીવા માટે પાણિયારા સુધી પણ પહોંચી ન શકું તેટલો નાનો. આમેય તે વખતે કુટુંબમાં હું સૌથી નાનો હતો. નાનોભાઈ બળદેવ તો મારાથી સાતક વર્ષ નાનો. એના જન્મ પહેલાં મેં માના વાત્સલ્યનો મારો હિસ્સો પૂર્ણપણે ભોગવી લીધેલો. પિતાજી ભગત હતા. સારાં ભજનો ગાતા. રામાયણ–મહાભારત તો એમને જાણે કંઠસ્થ જેવાં હતાં. વાર્તાના સંસ્કાર તો મને ગળથૂથીમાંથી મળ્યા છે. પૂનમની અજવાળી રાત હોય ને ઘર આગળ લીમડા નીચે છાણથી લીંપેલી ઓટલી પર બેસી, પિતાજી હાથમાં તંબૂરો લે. પછી ભજનના સૂર છેડે ત્યારે વાત જ જુદી; મુગ્ધ થઈ જવાતું. શ્રોતાઓ મુગ્ધ થઈને ડોલતા, પણ સૌથી વધારે મુગ્ધ તો મારી મા થઈ જતી. ગૌરવભેર પિતાજીનાં ભજનો સાંભળે, પછી બધું પતી ગયા પછી પિતાજીના સન્માન બાબતે અમને શિખામણ આપે, સાચું કહું તો મારામાં સાહિત્યકાર ત્યારથી પાંગર્યો હતો. મારા સાહિત્યના સગડ મારા પિતાજીનાં ભજનોમાં મળે છે. પરંતુ મારી પ્રવૃત્તિનું પ્રેરકબળ તો મારી મા છે. એનું પ્રવૃત્તિમય જીવન મારો આદર્શ છે. સખત પરિશ્રમ કરવાનું મારી માએ મને શીખવ્યું છે.&lt;br /&gt;
શાળામાં દાખલ થયો ત્યારે ઘરમાં સૌથી વધારે આનંદ મારી માને થયો હતો. મારી મા પૂરેપૂરી આસ્તિક. પિતાજીની દરેક રીતરસમે અમારા ઘરમાં એક ભક્તિમય વાતાવરણ સજર્યુ હતું. ઘરમાં દીવાબત્તીનો રિવાજ. મા પણ સવારે ભગવાનનો દીવો અચૂક કરતી. નિશાળે દાખલ થયો, તે દિવસે મારા કપાળમાં કંકુનો ચાંલ્લો કરીને, મને આનંદ-ઉલ્લાસથી નિશાળે મૂકવા આવેલી. હું નિશાળમાં દાખલ થયો ત્યારે ભારે રમતિયાળ હતો, મને નિશાળમાં જવાનું ગમતું નહિ. નિશાળમાં બધાં છોકરાં તૈયાર થઈને જતાં ત્યારે હું ઘરના ખૂણામાં લપાઈ જતો. મા મને નિશાળે જવા માટે સમજાવતી. તોય હું માનતો નહિ, એટલે એ મને મોટાભાઈની બીક બતાવીને કહેતી, ‘નિશાળે જા, નકર ધનાને બોલાવું.’&lt;br /&gt;
મોટાભાઈનું નામ સાંભળતાં, હું નિશાળે જતો. સૌથી મોટાભાઈ ધનજીભાઈ મારા ભણતરમાં રસ લેતા. તે વખતે તેઓ પણ વણતા અને મારી માને મદદરૂપ થતા. પાછળથી તેઓ અમારી વણકર સહકારી મંડળીના મંત્રી બન્યા. (૧૯૬૧થી—આજે પણ ચાલુ છે) બીજા મોટાભાઈ કેશવલાલ હું પાંચમા ધોરણમાં આવ્યો ત્યારે માંકણજ ગામેથી બદલી થઈને અમારા ગામમાં શિક્ષક તરીકે આવ્યા. મારા માથે મારી માની બીક નહોતી, તેટલી આ બે ભાઈઓની હતી. હું ભણવામાં પાછો પડું તે તેમને બિલકુલ પસંદ નહોતું. આમેય હું શરમાળ પ્રકૃતિનો છોકરો. ધનજીભાઈ સાથે વાત કરતાં શરમાઉં ને કેશવલાલ તો અમારી શાળાના શિક્ષક એટલે અમારા સાહેબ, ભારે ધર્મસંકટ આવ્યું, નિશાળમાં કેશવલાલની ચાંપતી નજર. ઘેર ધનજીભાઈ મારી ઉલટતપાસ લે. હું ઘરના ખૂણે એકલો રડ્યા કરું. મા મારી મનઃસ્થિતિ પામવા કોશિશ કરે. પણ એને બિચારીને શું સમજણ પડે ? મોટાભાઈઓની મારા પરની જોહુકમી જોઈને એ તો માત્ર ઓશિયાળી થઈને જોયા કરે ! એક દિવસે તો બધું પડતું મૂકીને હું માના સાડલામાં સંતાઈ ગયેલો. મા મને ઘણી વાર સમજાવતી ને કહેતી, ‘ધનો અનઅ કેશો તો તારા ભલા માટેઅ કેય છ. તું તો ભણીગણીનઅ મોટા બાલેટન થવાનો હોં !’&lt;br /&gt;
મા મને ભણવા માટે પોરસ ચઢાવતી. માની ભવિષ્યવાણી સાચી ઠેરવવા કે પછી તો હું નિયમિતપણે નિશાળે જતો થયેલો.&lt;br /&gt;
પછી હું ભણ્યો. નોકરીએ ચઢ્યો. પહેલાં માણાવદર અને પછી વેરાવળ. તે વર્ષો મા વિના કાઢવાં વસમાં થઈ પડ્યાં હતાં. હરહંમેશ મને મા યાદ આવ્યા કરતી. સોમનાથના મંદિરે રજાના દિવસે અને પતિ-પત્ની ફરવા જતાં ત્યારે માને ખૂબ યાદ કરતાં. માને એકાદ વાર અહીં લાવવાની મારા મનમાં અંતેચ્છા જાગેલી. ને એક દિવસે મારા અંતરની વાત ઘેર બેઠાં એ પામી ગઈ હોય તેમ સવારના પહોરમાં તેનું આગમન થયું. હું માની જ ના શક્યો. અમારા ગામના કાપડના ફેરિયાઓ સાથે એ વેરાવળ આવી હતી. તે પળો મારી જિંદગીની અમૂલ્ય પળો હતી. પછી તો અમે માને સોમનાથ, દ્વારકા, પોરબંદર, બેટદ્વારકા વગેરે સ્થળોએ ફેરવી હતી. જાણે હું એક વાત્સલ્યભાવને સાથે લઈને ફરતો હોઉં, તેવો ભાવ જાગેલો.&lt;br /&gt;
એક દિવસે વાતમાંથી વાત નીકળી ત્યારે માએ હસતાં હસતાં કહેલું, ‘તું નાનો હતો ત્યારે મારો કેડો જ મૂકતો નહિ. જ્યાં જાઉં ત્યાં મારો હાડલો પકડીને ફર્યા કરતો. તેં તો મનઅ ખૂબવખા પાડ્યા છ. એક દા’ડો તો તું મરી જાય તેવો માંદો પડેલો. તારી પાછળ અમે રાત’દાડો એક કર્યાં’તાં. તનઅ લઈનઅ તો અમે ડોમ આલવા ગોરાદ જએલાં.’&lt;br /&gt;
આ વાત કહેતી વખતે માના મોં પર ઊઘડેલા વાત્સલ્યને જ હું જોઈ રહેલો. બાળકો માટે દરેક માની આ જ રીત હોઈ શકે નહિ ! માના મોં પર મમતાનો વિસ્તરી રહેલો પૂર્ણસંતોષ જોઈને હું હરખાયો હતો. તે દિવસે ખાસ્સો સમજણો અને મોટો હતો છતાં હું મારી માના ખોળામાં સૂઈ ગયેલો. આજેય કોઈક વાર ઘેર જવાનું થાય છે ત્યારે લાડપૂર્વક માના ખોળામાં માથું મૂકીને પડી રહું છું. માની હેતાળ આંગળીઓ હળવે હળવે મમતાપૂર્વક ફરતી રહે, ને હું આંખો બંધ કરીને બધું ભૂલી નિર્વિકલ્પ થઈ પડ્યો રહું.&lt;br /&gt;
સાચું કહું ? આજે પણ મને મારી માનો ખોળો ખૂંદવાના અભરખા જાગ્યા છે !&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૦}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કોઠાજુધમાં આટલી આપદા....&lt;br /&gt;
|next = મા : પ્રેમ અને કરુણાની ગંગોત્રી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>