The Complete Memoris

Revision as of 10:47, 18 May 2024 by Meghdhanu (talk | contribs)

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



Memoirs by Pablo Neruda-title.jpg


MEMOIRS

Pablo Neruda

જીવન સંસ્મરણો


પાબ્લો નેરુદા


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય:

પાબ્લો નેરુદા (૧૯૦૪-૧૯૭૩)એ ચીલીના કવિ, રાજદૂત અને રાજકારણી હતા. વીસમી સદીના એક સૌથી વધુ પ્રભાવી કવિ એમની આવેગશીલ અને લયાત્મક શૈલી માટે જાણીતા છે. ૧૯૭૧ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા પાબ્લો નેરુદાની કવિતામાં વ્યક્તિગત અને વૈશ્વિક વિષયવસ્તુનું સુંદર સંયોજન જોવા મળે છે. એમાં લાગણીનું ઊંડાણ અને સુરેખ કલ્પનયોજના ધ્યાનાર્હ છે. Memoirsમાં નેરુદાના વ્યક્તિત્વ અને કર્તુત્વને સમજવાની તક મળે છે. વધુમાં, સમકાલીન રાજકારણ અને એમની રાજકીય વિચારધારાનું પૃથક્કરણ પણ આ પુસ્તકમાં જોવા મળે છે. નેરુદાએ રાજદૂત તરીકે સ્પેન, મેક્ષિકો અને અન્ય દેશોમાં ચીલીના સેનેટમાં તેઓ સેનેટર તરીકે ચૂંટાયા હતા. સ્પેનિશસીવીલ વૉર દરમ્યાન એમણે રિપબ્લીકનને ટેકો આપ્યો હતો અને તેઓ ચીલી સામ્યવાદી પક્ષના સભ્ય પણ હતા. સાલ્વાડોર એલેન્ડીની સરકારના પતન પછી, ૧૯૭૩માં ચીલીના સેન્ટીઆગોમાં એમનું અવસાન થયેલું.

વિષય પ્રવેશ :

પાબ્લો નેરુદા કૃત જીવન સંસ્મરણો એમનું આત્મકથાત્મક પુસ્તક છે. તેઓ ચીલીના કવિ અને રાજદ્વારી નેતા હતા. ચીલી દેશમાં વીતેલા એમના બાળપણથી માંડી ફ્રાન્સના એમના દેશનિકાલ (૧૯૭૩માં સાલ્વાડોર એલન્ડીની સરકારના પતન સુધીનાં)નાં સંસ્મરણો અહીં સમાવાયાં છે. ૧૯૭૩માં એમના અવસાન થયાના બીજા વર્ષે ૧૯૭૪માં આ પુસ્તક પ્રગટ થયું હતું. ત્યારથી લેટિન અમેરિકન સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ તરીકે એની ખ્યાતિ પ્રસરતી રહી છે.

પ્રસ્તાવના :

૨૦મી સદીના એક ખૂબ જાણીતા કવિ પાબ્લો નેરુદાના જીવન-કવન-અનુભવોમાં અનોખું ડોકિયું કરાવતાં, કાવ્યાત્મક ગદ્યમાં લખાયેલાં આ સંસ્મરણો, કવિની પ્રારંભિક જીવનયાત્રા, રાજકીય સક્રિયતા અને પ્રાકૃતિકજગત સાથેના એમના ઊંડા અનુબંધને પ્રતિબિંબિત કરે છે. નેરુદાનો જન્મ લેટિન અમેરિકન દેશ ચીલીના Parralમાં ૧૯૦૪માં થયેલો. એમણે કાવ્ય લેખન બહુ નાની ઉંમરે શરૂ કરેલું. ૨૦ વર્ષની યુવાનવયે એમનો પ્રથમ પ્રણયકાવ્ય સંગ્રહ Twenty Love Poems and a Song Of Despair ૧૯૨૪માં પ્રગટ થયો. અને આ યુવાકવિ લેટિન અમેરિકન દેશોમાં ઝડપથી પ્રખ્યાત થઈ ગયો. તેની કવિતામાં લયાત્મક સૌંદર્ય, પ્રેમાવેગની અભિવ્યક્તિ તથા સામાજિક-રાજકીય સમીક્ષા જોવા મળે છે. ૧૯૩૪માં નેરુદાને સ્પેનમાં ચીલીના રાજદૂત નીમવામાં આવ્યા. ૧૯૩૬માં સ્પેનિશ સીવીલ વૉર થયું ત્યારે તેઓ ત્યાં મેડ્રિડમાં હતા, અને તેમણે એમાં રિપબ્લીકનને પોતાનો મૌખિક ટેકો આપ્યો હતો. આ સીવીલ વૉર પછી તેમને ચીલીના રાજદૂત તરીકે મેક્સિકોમાં કામ કરવાની તક મળી, ત્યાં તેઓ સમકાલીન લેખકો-કલાકારોના સંપર્કમાં આવીને તેમના મિત્ર બની ગયા. ૧૯૫૪માં નેરુદા ચીલી પાછા આવ્યા અને સક્રિય રાજકારણમાં જોડાયા. ૧૯૪૬માં સેનેટર તરીકે ચૂંટાયા, પરંતુ સ્ટાલિનની ટીકા કરવાથી એમને ૧૯૪૮માં સામ્યવાદી પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા, પછી તેઓ ગુપ્તવાસમાં ચાલી ગયા અને થોડાં વર્ષો દેશનિકાલ અવસ્થામાં પ્રવાસોમાં રહ્યા. ૧૯૫૨માં તેઓ ચીલીમાં પાછા આવી શક્યા અને પુનઃ કાવ્યલેખન અને રાજકારણમાં સક્રિય થયા. દુનિયાનું પ્રતિષ્ઠિત સાહિત્યનું નોબેલ પ્રાઈઝ એમને ૧૯૭૧માં એનાયત થયું. જેણે એમની કીર્તિ અને પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવ્યા.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. પ્રારંભિક જીવન અને પ્રભાવો :

૧૯૦૪માં Parral ચીલીમાં જન્મેલા ‘પાબ્લો નેરુદા’ તખલ્લુસધારી આ કવિનું મૂળ નામ આપણને વાંચતાં કે યાદ રાખતાં મુશ્કેલી પડે તેવું છે-જુઓ Neftali Ricardo Reyes Basoalto ! યાદ રહેશે? એમણે કિશોરાવસ્થામાં જ કવિતા લખવા માંડેલી ત્યારથી ‘પાબ્લો નેરુદા’એવું Pen name અપનાવેલું. એમનું બાળપણ નાના ટાઉન Parralમાં અને પછી Temucoમાં વીત્યું, જેની ઊંડી છાપ એમની કવિતાઓમાં જોવા મળે છે. એ સ્થળવિશેષનાં પ્રાકૃતિક સૌંદર્યે એમની કવિસંવેદનાને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

૨. કવિતા અને સાહિત્યિક લેખનની શરૂઆત :

આ કવિનાં જીવન સંસ્મરણો, એમણે લખવાની શરૂઆત ક્યારથી, કેવા ભાવજગતમાં કરી તેની રસપ્રદ વાતો પીરસે છે. વૉલ્ટ વ્હીટમેન જેવા ઉમદા કવિ અને આધુનિકતાવાદી ચળવળે, પાબ્લો નેરુદાની કાવ્ય-વાણીને વધુ નિખાર આપ્યો. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ Crepus culario(૧૯૨૩)માં પ્રગટ થયો અને એમની સાહિત્યિકયાત્રા શરૂ થઈ.

૩. પ્રેમ અને પ્રેમસંબંધો :

એમના પુસ્તકમાં અને જીવનમાં પ્રેમ-સંબંધ એ કેન્દ્રીય થીમ રહ્યું છે. તેઓ નિખાલસપણે એમના પ્રેમ અંકૂરો, અફેર્સ, લગ્ન, લગ્નજીવનની સંગિનીઓ–પ્રથમ પત્ની Maria Antoneita Hagenaar, દ્વિતીય પત્ની Delia del Carril-નું સુંદર સંવેદનામઢ્યું અને તીવ્ર આવેગમય ચિત્રણ Memoirsમાં ઝીલાયું છે.

૪. રાજકીય સક્રિયતા :

નેરુદા ડાબેરીવાદી રાજકારણ અને સામાજિક ન્યાયના પ્રખર સમર્થક રહ્યા છે. તેઓ ચીલીયન ક્મ્યૂનીસ્ટ પાર્ટીના સભ્ય બન્યા અને પછી સેનેટર તરીકે પણ ચૂંટાયા હતા. આ પુસ્તકમાં એમનાં રાજકીય અભિયાનો, વક્તવ્યો અને એમણે ઝીલેલા પડકારો, રાજકીય ક્ષેત્રની એમની પ્રવૃત્તિઓ વગેરેમાં આંતરદૃષ્ટિપૂર્ણ ડોકિયું કરવાની વાચકને તક મળે છે.

૫. રાજદ્વારી કારકિર્દી અને દેશ નિકાલ :

પોતાના દેશના રાજદ્વારી પ્રતિનિધિ તરીકે એમણે વિવિધ દેશોમાં સેવા આપી છે. સ્પેનિશ સીવીલ વૉર સમયે તેઓ સ્પેનમાં રાજદૂત હતા. આ બધા અનુભવોની એમના જીવન ઉપર ઊંડી છાપ પડી છે. જેનાથી એમનું આગળનું જીવન અને કાર્ય પણ પ્રભાવિત થયાં છે. ચીલીના રાજકીય અજંપા-અંધાધૂંધીમાં નેરુદા મેક્ષિકો, યુરોપ અને એશિયામાં ચાલી ગયા હતા, જેની ખાસ માહિતી આ Memoirsમાં એમણે વિગતે આપી છે.

૬. સાહિત્યિક સિદ્ધિઓ :

Memoirsમાં એમની કલમયાત્રા-સાહિત્ય સફર અને કાવ્યઘડતરની કથા વર્ણવાઈ છે. એમની બીજી કેટલીક યશદા કવિતાઓ- ‘Twenty Love Poems and a Song of Despair’, ‘Canto General,’ અને ‘Residence on Earth’ કેવી રીતે અવતરી તેની અદ્ભુત વાતો આમાં કરી છે. કાવ્યકળા પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા અને ભાષાની સતત પ્રયોગશીલતા આ પુસ્તકના પાને પાને પડઘાય છે.

૭. કુદરત અને કવિતા :

કુદરત સાથે અંતરનો ઊંડો અનુબંધ એ નેરુદાની કવિતાનું અને આ સંસ્મરણકથાનું હાર્દ છે. પ્રકૃતિના પ્રાણ તત્ત્વે પ્રેરણારૂપે, એમની કવિતામાં કેવા પ્રાણ પૂર્યા છે તેનું સુરેખ પ્રતિબિંબ એમાં જોવા મળે છે. નિત્ય જીવનની નૂતન પ્રકૃતિ અને પર્યાવરણનું દર્શન એમની કવિ સંવેદનાને ઘડનારું બન્યું છે. અને તેમની કવિતા એનો પુરાવો અને પરિણામ બંને છે.

૮. કલા અને સાંસ્કૃતિક વારસાનું ચિંતન :

આ સંસ્મરણોના અંત ભાગે, નેરુદા સમાજઘડતર અને સંસ્કૃતિ-ચણતરમાં કળાના ફાળા ઉપર પોતાના સ્વાનુભવ રજૂ કરે છે. તેઓ માને છે કે કલા માત્ર કળા ખાતર જ નહિ, જીવન ખાતર પણ હોવી જોઈએ. કવિએ વંચિતો અને વ્યથિતોને વાચા આપવી જોઈએ...તેઓ પોતાની પાછળ પ્રેમ, સામાજિક ન્યાય અને માનવતાને પ્રાધાન્ય આપતો કાવ્યવારસો છોડી જવા માગે છે જે માનવીય સંસ્કૃતિના ઘડતરમાં કિંચિત ઉપયોગી થઈ શકે.

૯. રાજકીય અને વ્યક્તિગત જીવનના પડકારો :

કવિ અને રાજદ્વારી નેતા તરીકે નેરુદાએ અનુભવેલા પડકારોનું પણ અહીં નિરુપણ થયું છે. એમની રાજકીય વિચારધારા અંગેની માન્યતાઓને લીધે એમને ઘણું સહન કરવું પડયું—ધમકીઓ, જીવનું જોખમ, દેશનિકાલ વગેરે-ની વાતો અહીં એમણે ખુલ્લા દિલે ખોલી છે. વધુમાં, આ બધાંને લીધે એમના સ્વાસ્થ્ય અને શારીરિક સંઘર્ષ પર પણ અસર થઈ, તેનીયે ચર્ચા એમણે કરી છે.

૧૦. લેખન શૈલી અને ભાષા :

સમગ્ર Memoirમાં એમની લેખનશૈલી પ્રવાહી અને પ્રાથનાત્મક ગદ્યની રહી છે. એમની કલ્પનશક્તિ અને પ્રતીકાત્મકતાના ઉપયોગમાં એમની કાવ્યશક્તિ ઝળહળે છે. ઉપમા અને રૂપકો દ્વારા તેમને લાગણી અને અનુભવો વ્યક્ત કરવાની સારી હથોટી છે. Memoirsમાં નેરુદાએ એમના જીવનની સંઘર્ષયાત્રાની ક્ષણો, કલા, પ્રેમ, અને સુંદર જીવનઝાંખી પ્રસ્તુત કરી છે. એમના વ્યક્તિગત અને જાહેરજીવનના તાણાવાણા ગૂંથતા આ પુસ્તકમાં, કવિ પોતાની યાત્રા અને ઈતિહાસનું સુંદર નિરુપણ કરે છે.

ચાલો, પુનઃઆ મુદ્દાઓને વાગોળી લઈએ :

૧. સ્મરણકથા એ પરંપરાગત આત્મકથા નથી : સામાન્યતઃ પરંપરાગત રીતે, આત્મકથામાં વ્યક્તિનો ક્રમિક જીવનવિકાસ આલેખાયેલો હોય છે.—લેખકના બાળપણ, યુવાની, અને વર્તમાન જીવન સુધીનું ઘટનાવર્ણન – સમયાનુક્રમે એમાં થયેલું હોય છે. જયારે જીવન સંસ્મરણો, એ લેખક પોતાની જીવનકથા કહેવા માગે છે તેના પ્રસંગો, ઘટનાઓ વર્ણવે તે છે. એમાં નિશ્ચિત સમયાનુક્રમ પાળવાનો હોતો નથી. સમયના પ્રવાહમાં આગળ-પાછળ થતા રહીને વર્ણન થાય. નેરુદાએ આ સંસ્મરણો લખવાનું વિચાર્યું એ બતાવે છે કે તેઓ ‘જીવન એટલે એકબીજા સાથે જોડાયેલી ક્ષણોનો સરવાળો’ એમ માને છે. જીવનની વાતોને એક પછી એક સમયાનુક્રમમાં વર્ણવવાની એમની ઈચ્છા નહોતી, તેને બદલે, તેમના જીવનને ઘડનારી જે ઘટનાઓ-અનુભવો છે તેના ઉપર ધ્યાન કેંદ્રિત કરવાનું તેમને વધુ યોગ્ય લાગે છે. તેઓ જે છે, બની શક્યા છે તેનો આધાર એ ઘટનાઓ ઉપર છે.

૨. આ પુસ્તકના ચાર વિભાગો છે : ૧. બાળપણ અને કિશોરાવસ્થા : ‘સંસ્મરણો’નો આ પહેલો વિભાગ નેરુદાના Parralમાં વીતેલા બાળપણને વર્ણવે છે એમની પ્રારંભિક પ્રેમ કવિતાઓ છે એમાં... નેરુદાએ પોતાની બે જ વર્ષની શિશુઅવસ્થામાં માતા ગુમાવી હતી, તેની પણ છાપ અહીં છે.

૨. મારો વૈશ્વિક વિસ્તાર : આ વિભાગમાં નેરુદાએ ચીલીના રાજદૂત તરીકે કરેલા વિશ્વ પ્રવાસોની નોંધપાત્ર વાતો છે. સ્પેન, મેક્ષિકો અને બીજા દેશોમાંના એમના અનુભવો અને બીજા અગ્રણી કલાકારો, લેખકો સાથેની એમની મૈત્રીનું વર્ણન અહીં થયું છે.

૩. દેશનિકાલના માર્ગે : ચીલીના સક્રિય રાજકારણમાં નેરુદાનો પ્રવેશ અને ક્મ્યૂનીસ્ટ પક્ષમાંથી એમની હકાલપટ્ટી, ગુપ્તવાસનાં એમનાં વર્ષો અને આખરે દેશનિકાલની દશાની અહીં વાત થઈ છે.

૪. બસ, કવિતાને ખોળે : નેરુદા દેશનિકાલ અવધિ પૂરી થયે પાછા સ્વદેશ ચીલી આવ્યા અને કલમ અને કવિતાને ખોળે માથું મૂક્યું. આ વિભાગમાં જીવન અને કળાવિષયક એમનું ચિંતન ધ્યાનાર્હ છે. આમ તો આ ચાર વિભાગો કરવા ખાતર કર્યા છે, બાકી નેરુદાનાં સંસ્મરણો આગળ-પાછળ થયા કરે છે. ઘણીવાર તો એકના એક પ્રસંગ કે ઘટનાને અલગ દૃષ્ટિકોણથી પણ જોવાનો પ્રયાસ થયો છે. તેમ છતાંએ, આ ચાર વિભાગો ઉપરથી વાચકને, નેરુદાના જીવન અને કવિ તરીકેના વિકાસનો સરસ ચિતાર તો મળે જ છે.

૩. નેરુદાનું લેખન પદ્યાત્મક અને પ્રાર્થનાત્મક છે : નેરુદા સરસ્વતીપુત્ર છે. ભાષા ઉપરની તેમની પકડ અને તજજ્ઞતા, પ્રયોજકક્ષમતા અદ્ભુત છે. ભાષાની પ્રવાહિતા, ધ્વન્યાત્મકતા અને પ્રાર્થનાનું તત્ત્વ વાચકને આકર્ષે છે. એમના જીવનને ઘડનારા લોકો અને સ્થાનોનાં વર્ણનમાં એમણે જાણે પ્રાણ પૂરી દીધો છે. બાળપણના એમના Parralના ઘરના વર્ણનમાં તેઓ લખે છે : “મારો જન્મ જે ઘરમાં થયેલો, તે એક મોટું, બે માળનું લાકડાનું મકાન હતું, એની બાલ્કનીમાંથી બાગનું સુંદર દૃશ્ય નજરે પડતું. એ સરસ મઝાનાં ફૂલો ને રળિયામણાં વૃક્ષો ! નજીકમાં એક નાનકડું તળાવ, જેમાં ઉનાળામાં હું તરવા પડતો.—અમારું ઘર તો જાણે સંયુકત પરિવારનો મેળો-હંમેશા ભર્યુંભાદર્યું-માતાપિતા, દાદા-દાદી, કાકા-કાકી, પિતરાઈ ભાઈ-બહેનોનું અમારું મોટું અને સુખી કુટુંબ હતું. જાણે વડલાની છાયા !” નેરુદાના લેખનમાં, કલ્પનાપ્રચૂરતા અને ઈંદ્રિયગમ્ય-સંવેદનાભરી વિગતોથી આસપાસના જગતને જોવાની રીતથી, જાણે વાચકને એમ જ લાગે કે આપણે પણ ત્યાં જ છીએ. ૪. પોતાની કાવ્યકલા અને રાજકીય માન્યતાઓ પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવતા કવિ અને માનવીનું એક સમૃદ્ધ અને સંકુલ ચિત્રણ એટલે આ સંસ્મરણો ! આ સંસ્મરણો એ માત્ર નેરુદાના જીવનની સ્થૂળ વાતો જ નથી, પરંતુ એક ઊર્મિશીલ કવિની વિકાસગાથા અને એક રાજકીય ચિંતકની વિચારયાત્રા પણ છે. તેઓ એક પ્રતિબદ્ધ કવિ તરીકે માને છે કે કવિતામાં વિશ્વને બદલવાની તાકાત છે. એક સમર્પિત સામ્યવાદી તરીકે એક ન્યાયપૂર્ણ અને સમરસ સમાજ સર્જવાની પ્રજાની શક્તિમાં અતૂટ શ્રદ્ધા છે. એમની રાજકીય વિચારધારા આ આખા પુસ્તકમાં વહેતી અનુભવાય છે. સ્પેનિશ વૉરમાં એમની સામેલગીરી, સામ્યવાદી પક્ષમાંથી એમની હકાલપટ્ટી, દેશનિકાલનાં એમનાં વર્ષો તથા એક સારું જગત રચવાની કવિતાની શક્તિની એમની ભક્તિ વગેરેથી વાચક ખરેખર પ્રસન્ન થાય છે, એને ‘સંસ્મરણો’ હાથમાં લીધા પછી પાછાં મૂકવાનું મન થતું નથી. પાબ્લો નેરુદા અને લેટિન અમેરિકાના ઇતિહાસમાં રસ ધરાવનારને માટે તો આ પુસ્તક મસ્ત અને Must Read Book છે.

ઉપસંહાર :

પાબ્લો નેરુદાનાં ‘જીવન સંસ્મરણો’ એમના બહુઆયામી વ્યક્તિત્વને પ્રકાશમાં લાવે છે. પ્રેમ, રાજકારણ અને પોતાની આસપાસના જગત જોડે એમના ઊંડા આંતરસંબંધો વિશે એમનું ચિંતન વાંચવાયોગ્ય છે. એ આપણને એમની કવિપ્રતિભા અને તેને ઘડનારાં પરિબળોને સમજવામાં ખૂબ સહાયક થાય છે. તો ચાલો, એમની કવિતા-પ્રતિબદ્ધતા અને રાજકીય વિચારણા-શ્રદ્ધાનાં કેટલાંક ખાસ ઉદાહરણો જોઈએ : કિશોરાવસ્થાથી નેરુદાને કાવ્યલેખન ખૂબ ગમતું અને એમને કવિ જ થવું હતું. એમની પ્રારંભિક કવિતાને તેઓ ‘કાચી-શિખાઉ અને અપૂર્ણ’ માને છે તોયે તેમણે કવિ બનવાનું સ્વપ્ન પડતું ન મૂક્યું, પ્રયત્ન ચાલુ જ રાખ્યા. સ્પેનિશ સીવીલ વૉરમાં એમણે રિપબ્લીકનને ટેકો આપ્યો, કારણ કે સ્પેનિશ લોકોની યાતના જોઈ એમનું દિલ દ્રવી ઊઠ્યું, એ ઊંડે સહાનુભૂતિ અને સંવેદનામાંથી પણ કવિતા જન્મી, જે એમની કેટલીક સશક્ત કવિતાઓમાં સ્થાન પામી છે. સ્ટાલિનની ટીકા કરવા બદલ એમને પક્ષદ્રોહી ગણીને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, તોપણ સમાજવાદી વિચારધારામાંથી પોતે ચલિત ન થયા, ચીલીમાં પાછા આવ્યા અને ફરીથી કાવ્યલેખનમાં પ્રવૃત્ત થયા, અને તેમાં વંચિતો-શોષિતો-પીડિતોનો અવાજ ઝીલ્યો. એમના જીવન અને કાર્ય માટે એમની તીવ્રતા પ્રતિબદ્ધતા દરેક પાને વંચાય છે. ખૂબ સરસ રીતે લખાયેલી માહિતીપૂર્ણ આ સંસ્મરણગાથા હૃદયસ્પર્શી છે. નેરુદા એક સારા વાર્તાકથક છે. અને પાછી આ તો એમની જીવનકથા છે, જે ખૂબ પ્રેરણાત્મક છે. એમાં એમણે પોતાના વિજયો-પરાજયો, સફળતા-નિષ્ફળતા, હર્ષ-શોકના અનુભવો, પ્રસંગો એમણે પ્રામાણિકતા અને નિખાલસતાથી રજૂ કર્યા છે. સંસ્મરણો એ એવું લેખન છે, જે વાંચ્યા પછી તમારી સ્મૃતિમાં તે ટકી રહે છે. કવિતાની શક્તિ વિશે, રાજકીય સમર્પિતતા વિશે, અને માનવજીવનના સૌંદર્ય અને ક્ષણભંગુરતા વિશે આપણને વિચારતા કરી દે તેવું આ પુસ્તક છે.

અવતરણો :

• “ મારી કવિતામાં, મારા દેશને કોઈ સીમા નથી...મારી કવિતા વૈશ્વિક છે. તે, દેશોની સરહદોને ઓળંગી જાય છે.”
• “ હું મારા હાથ વડે લખું છું, પણ એમાં મારું હૃદય રેડું છું. મારા લોકો, પ્રજાનો એમાં અવાજ છે.”
નેરુદાની રાજકીય વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધતા અને સાહિત્યની સમાજને બદલવાની તાકાતમાં એમની શ્રદ્ધા આ અવતરણમાં પડઘાય છે.
• “સ્નેહભાવ ઘણો સંક્ષિપ્ત છે અને કડવો-મીઠો છે, જયારે વિસ્મૃતિ ઘણી લાંબી છે.”
• “મેં હંમેશા માન્યું છે કે કવિતા એ લક્ઝરી(વૈભવ) નથી, એ તો માનવ તત્ત્વની મૂળભૂત જરૂરિયાત છે.”
• “કવિ તો ભાવિનાં દ્વાર ખોલનારો દ્વારપાળ છે.”
• “વંચિતો અને વાણીહીનોને વાચા આપે તે માટે હું કવિતા લખું છું.”
• “કવિતા એ આત્માનો અવાજ છે.”
• “પ્રેમ એક જ એવી વસ્તુ છે જે આપણને પૂર્ણ બનાવે છે.”