Thus Spoke Zarathustra

From Ekatra Wiki
Revision as of 01:04, 23 May 2024 by Meghdhanu (talk | contribs) ()
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



Thus Spoke Zarathustra cover.jpg


Thus Spoke Zarathustra

Friedrich Nietzsche
A Timeless Masterpiece that will Question Your Preconceptions
જરથુષ્ટ્રનાં બોધ વચન....
ફ્રેડરિક નિત્સે
તમારી પૂર્વધારણાઓને પડકારે તેવી કાલાતીત પ્રશિષ્ટ કૃતિ.

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય :

ફ્રેડરિક નિત્શે (૧૮૪૪-૧૯૦૦)

જર્મન ફિલોસોફર, સાંસ્કૃતિક વિવેચક અને ભાષાશાસ્ત્રી નિત્શે, ધર્મની આલોચના, નૈતિકતા અને પરંપરાગત શાણપણની ટીકા માટે પ્રખ્યાત છે. તેની કૃતિઓની અને વિચારોની પાશ્વાત્ય ફિલોસોફી ઉપર ઊંડી અસર પડી છે. એટલું જ નહિ, દર્શનશાસ્ત્રથી માંડીને સાહિત્ય અને મનોવિજ્ઞાન સુધીના વિવિધ શાસ્ત્રો, જ્ઞાનશાખાઓ ઉપર એમની વિચારધારાનો ખાસ્સો પ્રભાવ ચાલુ રહ્યો છે. આ નવલકથા, Thus Spoke Zarathustra અસ્તિત્વવાદી વિચારણાનો પણ એક સીમાસ્તંભ ગણાય છે. જીવનભર એમના શારીરિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સાથે સંઘર્ષરત રહેવા છતાં, નિત્શેનું વાચન, લેખન, મનન, પ્રકાશન સતત સક્રિય રહ્યું છે.

પ્રસ્તાવના :

૧૮૮૩માં લખાયેલી આ નવલકથા Thus Spoke Zarathustra ફ્રેડરિક નિત્સેની તત્ત્વજ્ઞાનીય નવલ છે. તેમાં ધર્મ, નૈતિકતા, સંસ્કૃતિ, સમાજ જેવાં વિષયવસ્તુઓની સાથોસાથ, ગુફામાંથી બહાર આવી માનવજાતના માર્ગદર્શન માટે મથનારા (પારસી) ધર્મગુરુ અષો જરથુષ્ટ્રની પરિવર્તનકારી જીવનયાત્રા પર પણ પ્રકાશ પાડે છે. જરથુષ્ટ્રની સમગ્ર જીવનયાત્રા દરમ્યાન, અસંખ્ય પાત્રોએ એમના વિઝન અને દર્શનને કસોટીએ ચઢાવ્યાં અને એમને પોતાની ક્ષતિ-ખામીઓ સાથે સંઘર્ષ કરવા, એનો ઉપાય શોધવા ફરજ પાડી. ૧૮૮૩થી ૧૮૮૫ વચ્ચે પ્રકાશિત થયેલી નિત્સેની આ કૃતિ, ફિલોસોફીના ક્ષેત્રે તેમનું મહત્ત્વપૂર્ણ પ્રદાન ગણાય છે. શાશ્વતીનું પુનરાવર્તન, સત્તા કે સામર્થ્યની ચાહના, અને Ubermenschની વિભાવના જેવા ઊંડાં વિચારબીજોને એમની નવલકથા તપાસે છે. નિત્સેની વર્ણનશૈલી વિશિષ્ટ પ્રકારની છે. માનવ અસ્તિત્વનાં વિવિધ પાસાંઓ ઉપર વિચારપ્રેરક વાર્તાલાપ કરનાર કાલ્પનિક પયગંબરી પાત્ર જરથુષ્ટ્રના દ્વારા લેખકે પોતાના તત્ત્વદર્શીય વિચારો અહીં વાચક સમક્ષ વહાવ્યા છે, જે વાચકને પોતાની રૂઢિગત માન્યતાઓ–મતોને પ્રશ્ન કરવા અને તેને અતિક્રમી જતા નવા વૈયક્તિક દૃષ્ટિકોણને અપનાવવા આમંત્રે છે. સાથોસાથ પરંપરાગત નૈતિકતા, ધર્મ અને સામાજિક ધારાધોરણને તેઓ હિંમતપૂર્વક પડકારે છે.

ચાવીરૂપ ખ્યાલો :

(૧) Ubermensch (સુપરમેન/ઓવરમેન)

આ પુસ્તકના પ્રારંભિક વિભાગમાં સુપરમેન-‘શક્તિમાન’ થવાની યાત્રા ઉદ્ઘાટિત થાય છે. અહીં પ્રસ્તાવનામાં, પર્વતની ગુફામાં એક દાયકો એકાંત સાધના કરીને, આંતરદૃષ્ટિ પામેલા સંત જરથુષ્ટ્ર માનવજાતને ઉપદેશ કરવા બહાર આવે છે. એમની આ ભૌતિક અને દાર્શનિક બંને પ્રકારની યાત્રા વર્ણવીને નિત્શે પોતાની જ તાત્ત્વિક વિચારણા પ્રસ્તુત કરે છે. જરથુષ્ટ્રની પહેલી મુલાકાત એક વૃદ્ધ વનનિવાસી સંત સાથે થઈ, જેમણે પ્રભુપ્રાપ્તિ ખાતર સંસાર અને માયાનો ત્યાગ કર્યો હતો. તેમની આગળ જરથુષ્ટ્ર હિંમતભરી જાહેરાત કરે છે કે ‘ભગવાન તો મરી ગયા છે’! અહીં નિત્શેની જ માન્યતાનો પડઘો પડ્યો છે કે ભગવાનમાંના સત્ય અને નૈતિકતાના પારંપરિક આધારો હવે ખખડી ગયા છે. એટલા આધારભૂત રહ્યા નથી. માટે ભગવાનની શોધમાં વીતાવેલું પેલા સંતનું સાધનામય જીવન કે પ્રભુની ખોજ એ બધું હવે આઉટડેટેડ–જૂનવાણી-થઈ ગયું છે. જરથુષ્ટ્ર Motley Cow આવીને પોતાના વિચારોનો પ્રસાર–ઉપદેશ કરવા લાગ્યા છે જેનો મુખ્ય કેન્દ્રવર્તી ખ્યાલ સુપરમેનનો છે, જે સત્યને પોતાનામાં જ શોધવા ઉપર ભાર મૂકે છે. બાકી ભગવાન કે સંપૂર્ણ–આખરી સત્ય જેવા કોઈ બાહ્ય પરિબળો કે સ્રોત એ જીવનનો અર્થ કે સત્યથી શોધ માટે ઉપયોગી નથી. માણસે જીવન અને જગતનો પૂર્ણ સ્વીકાર કરીને વ્યક્તિગત રીતે પોતે જ overman કે Superman બનવાનું છે એના ઉપર જરથુષ્ટ્ર ભાર મૂકે છે. એ તરફ ગતિ કરવાનાં તેઓ ત્રણ તબક્કા, રૂપક દ્વારા બતાવે છે : પહેલું પ્રતીક છે ઊંટ એટલે કે સ્વયં શિસ્ત, બીજું છે સિંહ - સ્વાતંત્ર્યનું પ્રતીક અને ત્રીજુ છે બાળક - સ્વ-સર્જનનું પ્રતીક... આ ત્રિસ્તરીય વિકાસમાં સંઘર્ષ, મથામણ, યાતના અને self-overcoming જાતને જીતવાની વાત છે. તેઓ કહે છે કે મોટી passion તમે સેવી હોય તો તેની સાથે મોટું suffering પણ સંકળાયેલું જ હોય છે. માટે પોતાના તીવ્ર અરમાન, જૂનુન પૂરાં કરવા પીડામાંથી પસાર થવાની તૈયારી રાખજો, હિંમત ના હારશો. ભૌતિક જગતનાં કે મનોજગતનાં તોફાનો-તકલીફો તમને ડરાવશે તો ખરાં જ, પણ તમે સ્વ-ખોજ યાત્રામાં અડગ રહેજો. જરથુષ્ટ્ર રાષ્ટ્રીયતા-રાષ્ટ્રવાદ, પરંપરાગત ધાર્મિક ખ્યાલોની ટીકા કરે છે. એ ખોટાં મૂલ્યો છે. સ્ત્રીઓને તેઓ secondary-પુરુષથી ઊતરતી કક્ષાની ગણતા નથી. ખ્રિસ્તી ઉપદેશ ‘Love thy neighbour-તારા પડોશીને તું ચાહજે’ અને ‘કોઈ એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરજે’— આની પણ તેઓ મજાક કરે છે, કે એ તો કાયરતાની નિશાની છે. તમારે તો હિંમતવાન થવાનું છે - કોઈ તમને મારી શું કામ જાય? એટલા ડરપોક, મધ્યમ કક્ષાના કે Last man બનવાનું નથી, નહિ તો તમે તમારું Potential આંતરિક સત્ત્વ-તત્ત્વ, ક્ષમતા નહિ જાણી કે ઓળખી શકો. પણ શહેરી લોકોને, રૂઢિવાદીઓને જરથુષ્ટ્રનો આવો ઉપદેશ પસંદ ન આવ્યો, એમને તો Last men જ બન્યા રહેવું પસંદ હતું. તેઓ જરથુષ્ટ્રની મજાક કરવા લાગ્યા. કોઈ નબળા મનનો ઉપદેશક આવા તિરસ્કાર કે અપમાનથી ડરીને પાછો હઠી જાય, પણ જરથુષ્ટ્રે જોયું કે આ લોકોને મારા ઉપદેશની જરૂર નથી, એના કરતાં જેઓ સામાજિક રુઢિભંજક બનવા માગતા હોય તેવા ક્રાંતિકારી વિચારવાળા, મારા જેવા મનવાળાની વચ્ચે જઈને ઉપદેશ કરીશ. જીવનમાં પડકારો તો રહેવાના જ. નિત્શેની અભિવ્યક્તિ શૈલી રૂપકો, પ્રતીકો, વિરોધાભાસી અલંકાર, વક્રોકિ્ત વગેરેથી સભર છે, પણ એક જ વાત તેઓ દાર્શનિકની જેમ વિવિધ રીતે સમજાવે છે. માનવ અસ્તિત્વ, જીવનનો મર્મ, સત્યની શોધ, સ્વ-ખોજ એ એમના મુખ્ય વિચાર બિંદુઓ છે.

(૨) સત્તા, શક્તિ-સામર્થ્યની ઈચ્છા :

Motley Cow ખાતે ઉપહાસ, ઉપેક્ષા અને અવગણનાનો અનુભવ લીધા પછી, જરથુષ્ટ્ર પાછા એમની પહાડી ગુફામાં આવી રહ્યા. જોડે એમની એકાંત-પાવન જગ્યામાં પાછાં ફરતાં એમને એક સ્વપ્ન આવ્યું-જેમાં એક બાળક અરીસામાં એનો આસુરી ચહેરો પ્રતિબિંબિત થતો જુએ છે, એટલે કે સંતના ઉપદેશ વચનોનો એના શત્રુઓ વિકૃત અર્થ કાઢે છે, તેઓ એને બરાબર સમજી શક્યા નથી. આથી જરથુષ્ટ્ર ફરીથી સમાજમાં જઈને પોતાનો સંદેશ સ્પષ્ટ કરવાનું નક્કી કરે છે. તેઓ સમાજની રૂઢિગત માન્યતાઓ, ખાસ કરીને નિયંત્રણો, બંધનોને પોતાનું ટાર્ગેટ બનાવે છે, કે ભાઈ, નિયંત્રણો પાળવામાં બહાદુરી કે મૂલ્યવર્ધન નથી. ખરું મૂલ્ય તો તમને આંતરિક શાંતિ આપે, ઈચ્છાપૂર્તિ કરે તેવાં પોતાનાં કાર્યને પૂરા દિલથી કરો એમાં ગણાવું જોઈએ. દયા-કરુણાની ખ્રિસ્તી ખ્યાલને પડકારતાં તેઓ તર્ક આપે છે કે કોઈ કમનસીબ પ્રત્યે તમે દયા બતાવો તો પેલાને તો ગુસ્સો કે પ્રતિકારનો ભાવ જાગશે. એના બદલે, દયા બતાવવા કરતાં પેલાને આનંદ કરાવો જેથી વધુ હકારાત્મક અને કાર્યક્ષમ દૃષ્ટિકોણ વિકસશે. જરથુષ્ટ્ર સમાનતાવાદી વિચારધારાના પણ આલોચક છે. એમના માટે લોકશાહી, ન્યાય, સમાનતા એ બધું તો ત્રાસદાયક છે. તેઓ કહે છે કે જીવન તો સંઘર્ષ ઉપર જ ટકેલું છે. એના ઉપર સમાનતા લાદો તો overman બનવાના માર્ગમાં અવરોધ ઊભો થશે. નિત્શેના Slave Morality-ગુલામની નૈતિકતા-ના ખ્યાલનો અહીં પડઘો પડે છે. ખ્રિસ્તીધર્મ અને લોકશાહી એ તો નબળા અને અશક્ત મનના ખ્યાલો છે. જરથુષ્ટ્ર તો Power-શક્તિ, સામર્થ્ય, સત્તાને અનુસરવામાં માને છે, જેની શરૂઆત સ્વ-શાસન સ્વને શક્તિમાન બનાવવાથી થાય છે. એ જ તો જીવનચાલક બળ છે. સત્તા, સામર્થ્ય ભેગું કરવાથી સ્વાતંત્ર્ય આવે છે, પણ પોતાની જાતને જીતવી એ અગત્યનું છે. નિષ્ક્રિય, નિર્વીર્ય, નબળા લોકોની ટીકા કરતાં જરથુષ્ટ્ર કહે છે કે જીવન તો અસ્થાયી, અસ્થિર અને સતત પરિવર્તનશીલ છે. તેઓ ‘inverse cripples’ (અવળા પાંગળા)નો ખ્યાલ રજૂ કરે છે, એટલે કે જે તે એકાદ ક્ષેત્રમાં ખૂબ સફળ થયેલા લોકો, બીજાં ક્ષેત્રોમાં નબળા હોય છે. એક ઉપદેશક અને ફિલોસોફરની ભૂમિકામાં જરથુષ્ટ્રને એકલતાનો અનુભવ થાય છે. એમને લાગે છે કે સત્ય બોલવા અને ખ્યાતિ મેળવવા વચ્ચે એક પ્રકારનો આંતરવિરોધ રહેલો છે. એક જ્યોતિષે એમનું ભવિષ્ય ભાખ્યું કે તમારામાં ભવિષ્યમાં સર્જનાત્મકતાનો શૂન્યાવકાશ સર્જાવાનાં એંધાણ છે. આથી તેઓ ડિપ્રેશનમાં સરી ગયા, જાણે એક અંધકારભર્યો વળાંક આવ્યો એમના જીવનમાં....એમને એક દિવસ સ્વપ્ન આવ્યું કે જાણે પોતે શબપેટીઓથી ભરેલા કિલ્લાના વૉચમેન બન્યા છે. આમ તો આ ડરામણી કામગીરી ગણાય, પરંતુ એક વખત એક શબપેટીમાંથી અટ્ટહાસ્યનો અવાજ આવ્યો જેથી જરથુષ્ટ્રના જીવનમાં વિધાયક વળાંક આવ્યો. જીવનના સંઘર્ષમાં હાસ્ય, સૌંદર્ય અને દયાના મહત્ત્વની એમને ખાત્રી થઈ. હવે જરથુષ્ટ્રે જીવનનો નિજાનંદી અભિગમ અપનાવ્યો, જેમાં નૃત્ય, સંગીત, ઉજવણી, આનંદ-પ્રમોદનું પણ સ્થાન હોય એમ તેમને સમજાયું. અગાઉની એમની પારંપરિક મૂલ્યોની ટીકાવૃતિ અને આત્મખોજ કે સ્વ-શોધની બાબત જરા મંદ પડી. પુસ્તકના આ વિભાગમાં નિત્શે will to power - સત્તા, શક્તિ-સામર્થ્યની ઈચ્છાના ખ્યાલને ઊંડાણથી તપાસે છે. અને જરીપુરાણી માન્યતાઓ તથા નૈતિકતાના ખ્યાલોનો ઊંડો પુનર્વિચાર કરે છે. નવાં અર્થપૂર્ણ મૂલ્યોના ગઠન અને સ્વ-ઉત્ક્રાંતિની આવશ્યકતા ઉપર ભાર મૂકનારા, જીવનને જીવંત આશ્લેષમાં લેનારા અભિગમ તરફ તેઓ હવે વળે છે. આવી જીવનયાત્રામાં પ્રકૃતિના પડકારો અને જય-પરાજયના નૃત્યનું પ્રતિબિંબ પડે છે, જે માનવીના વિકાસ અને પરિવર્તનની શક્યતાનું સૂચક છે.

(૩) શાશ્વતીનું પુનરાવર્તન :

નવલકથાના ત્રીજા વિભાગમાં, ખ્રિસ્તી ધર્મની નૈતિકતાએ જરથુષ્ટ્ર ઉપર લાદેલાં નિયંત્રણોની સાથોસાથ, તેમની સંકુચિતતાઓનો પણ તેઓ સામનો કરતા જાય છે. અન્ય એક તાત્ત્વિક ખ્યાલ - શાશ્વતીના પુનરાવર્તનનો પણ અહીં પ્રવેશ થાય છે. નિત્શેની આ એક સુખ્યાત વિભાવના છે, તે મુજબ, ‘જે કાંઈ બધું બની રહ્યું છે, તે બધું પહેલાં પણ બન્યું હતું અને ભવિષ્યમાં પણ બનશે; બનતું રહેશે; અનંતકાળ સુધી!’ તેમ છતાં, આને નિત્શે એને ‘ઘટનાની સ્થગિતતા’ તરીકે જોતા નથી, પણ એક સતત becomingની સ્થિતિ તરીકે લે છે, જ્યાં કશું જ અંતિમ, ફાઈનલ, ફીક્ષ્ડ લક્ષને પહોંચતું નથી.’ તોયે શાશ્વતીના પુનરાવર્તનનાં સૂચિતાર્થો જોડે જરથુષ્ટ્ર મથામણ કરતાં રહે છે અને જુએ છે કે mediocrity સાધારણતા, સરેરાશપણું જ અનંતકાળ સુધી પુનરાવર્તિત થતું રહે છે. ઉચ્ચતાને આંબવાની અપેક્ષા માનવજાત માટે એમને દેખાતી નથી, જે ચિંતાજનક બાબતનો બોજ એમને એક તબક્કે તો બેભાન કરી દેવા સુધી દોરી જાય છે. લોકો ધીમે ધીમે સત્ત્વ અને તત્ત્વમાં સંકોચાતા જાય છે. અને તેમાં પાછા સંતુષ્ટિ સેવે છે; તેથી જરથુષ્ટ્રને થાય છે કે આપણે પાછા સાચી સારી સંસ્કૃતિ તરફ ક્યારે વળીશું? લોકોનામાં, પ્રજામાં પોતાનો મત, તીવ્ર આકાંક્ષા-અભીપ્સાને વળગી રહેવાની ને વ્યક્ત કરવાની ક્ષમતા જ ક્ષીણ થતી જાય છે. બસ, જે છે, ‘જૈસે થે’ એમાં જ સંતોષ માની પડી રહેવાની નિષ્ક્રિયતા, અકર્મણ્યતા વધતી જણાય છે. એક વિશાળ શહેરની બહાર જરથુષ્ટ્રનો એક વાંદરા સાથે ભેટો થાય છે, (એ પણ એક નવું રૂપક). જે એમના કથાનકમાં એક બીજું સ્તર ઉમેરે છે. વાંદરું એટલે નકલખોર અને પાછું મૂર્ખ. એણે જરથુષ્ટ્રના ઉપદેશોની નકલ કરી અને એમને ચેતવ્યા કે આ શહેરમાં પ્રવેશતાં પહેલાં વિચારજો, અહીંના લોકો તો બહુ જ સંકુચિત માનસવાળા છે, તમારું અપમાન કરશે, તિરસ્કાર અને અવગણના કરશે. જરથુષ્ટ્રે વિચાર્યું કે ચાલો, જોઈએ તો ખરા. એમણે શહેરમાં જઈને જોયું કે કેટલાક શિષ્યો જાત ઉપર જીત મેળવવાને બદલે, સ્વ-ખોજને બદલે, ભૌતિક સુખ સગવડ માટે ભગવાનને ભજી રહ્યા હતા. ખ્રિસ્તી નૈતિકતાનાં ત્રણ મહા દૂષણો—જાતિયતા(sex), સત્તા-શક્તિની ઝંખના-વાસના અને સ્વાર્થીપણું - એના ઉપર વિચાર કરતાં જરથુષ્ટ્ર તારવે છે કે આ ત્રણેમાંનું એકેય આંતરિક રીતે તો ખરાબ નથી. જાતીય આવેગ એ જીવનના આનંદનો સ્વીકાર છે, સત્તા-શક્તિની ઝંખના એ તો જીવનનું ચાલક બળ છે અને સ્વાર્થીપણું એટલે પોતાની જાત માટે ગૌરવ લેવું તે છે. નવલકથાના આ વિભાગમાં, નિત્શે લોકોને, ખાસ કરીને ખ્રિસ્તી નૈતિકતાના ખોખલા, રૂઢિગત ખ્યાલોના બોજને ફગાવી દેવાનો બોધ કરે છે, કારણ કે એવા સામાજિક ધારાધોરણો વ્યક્તિના સાચા-આંતરિક સામર્થ્યને દબાવી દે છે. તેમને ગુરુત્વાકર્ષણના બળની જેમ ખેંચી રાખે છે અને જીંદગીને એક કપરી કસોટી બનાવી દે છે. એના કરતાં નિત્શે જીવનને એક કલાકૃતિ ગણવાનો બોધ કરતાં કહે છે કે ‘હે માનવીઓ, તમે સારા-નરસાની, ખરા-ખોટાની, પાપ-પુણ્યની તમારી પોતાની વ્યાખ્યા વિકસાવો, જીવન એ તો અસ્તિત્વનો ઉત્સવ છે, આવેગ-ઈચ્છા અને આનંદના માર્ગ ઘડતરનો અવસર છે, અનિશ્ચિતતાનું આલિંગન છે.’

(૪) અનંતતાને ઓવારે હાસ્યનું સ્થાન:

જરથુષ્ટ્ર આવો ઉપદેશ કરીને પોતાના પર્વતીય નિવાસસ્થાને પાછા ફર્યા. એમણે એવું નક્કી કર્યું કે પોતે લોકોની વચ્ચે જઈને ઉપદેશ કરે એના બદલે હવે જિજ્ઞાસુ અનુયાયીઓ એમની પાસે મળવા આવે એવું રાખવું. પેલો અગાઉ વાળો જ્યોતિષ એમને ફરીથી દર્શન દે છે અને સલાહ આપે છે કે- તમારે તમારું અંતિમ પાપ – ‘દયા’નું છે તેનો સામનો કરો. અને તરત જ, જરથુષ્ટ્ર દયાનું ઉત્પત્તિસ્થાન શોધવા નીકળી પડ્યા. તો એ શોધ દરમ્યાન રસ્તે એમને વિવિધ પાત્રો મળ્યાં. બે રાજાઓ એક ગધેડો લઈને જઈ રહ્યા હતા. તેમણે તેમનું સરેરાશપણાનું સામ્રાજ્ય ત્યાગી દીધું હતું. પછી એક માણસ કાદવમાં ખૂંપેલો જોયો, તે ઢગલાબંધ ઈયળોથી છૂટવા માટે હવાતિયાં મારતો હતો. આ ઈયળ એ નફરત અને અણગમાનું પ્રતીક છે. ત્યારબાદ આગળ જતાં જરથુષ્ટ્રને એક જાદુગરનો ભેટો થયો. જે પવિત્રતાનો, ભક્તિનો ડોળ કરતો હતો, પણ પછીથી તેણે એના ઢોંગ અને છેતરપીંડીનો સ્વીકાર કરેલો. જરથુષ્ટ્રે એને પોતાની ગુફા ઉપર બોલાવ્યો. એ પોતાને અંતિમ પોપ(ધર્મગુરુ) હોવાનું માનતો હતો, પણ એનામાં ઈશ્વરીય શ્રદ્ધા જેવી કોઈ ભાવના નહોતી. એ વાસ્તવમાં સૌથી કદરૂપો માણસ-સ્વૈચ્છિક ભિખારી હતો, ગરીબ-તવંગર સૌને ધિક્કારતો, પોતાના પડછાયાને પણ તિરસ્કારતો. એ ભગવાનને મારી નાખ્યાનો દાવો કરતો હતો, સત્યના અનુસરણમાં પોતે ખોવાઈ ગયો હતો. જરથુષ્ટ્રે જોયું કે આ જે બધાં પાત્રો એને મળ્યાં તે બધાં હતાશ-દુઃખી રુદન કરનારાં પાત્રો હતાં. એ એમની સામૂહિક અભિવ્યક્તિનાં જુદાં જુદાં સ્વરૂપો હતાં, પણ એમનામાં overmanના થોડા થોડા અંશો હતા. એ બધા પૂર્ણ શક્તિમાન કે સુપરમેન થયા નહોતા, પણ એ દિશાના યાત્રીઓ હતા. જરથુષ્ટ્રે તેમને એક ઉજાણીમાં ભેગા કર્યા અને સત્સંગ કર્યો : સ્વ ઉપરનો વિજય, સ્વ-પ્રેરણા, શાંતિ ને સ્થિરતા, દુષ્ટતા અને યાતના ઉપર નિયંત્રણ, આત્મબળ, હિંમત વગેરે મુદ્દાઓ ઉપર પ્રવચન કર્યું. આ ઉપરાંત જીવનમાં નૃત્ય અને સંગીત, નાચ-ગાનના મહત્ત્વને પણ સમજાવ્યું. ગીતો ગવાયાં, તેઓ મસ્તીમાં ઝૂમ્યા. થોડીવાર તેઓ બહાર ગયા અને પાછા આવ્યા, તો એમણે જોયું કે બધા ‘King’s Ass’ ગધેડાની પ્રાર્થના કરી રહ્યા હતા. તેમને ઠપકો આપવા છતાં, જરથુષ્ટ્રે તેમનામાં આવેલી એકતા જોઈ અને એને એક હકારાત્મક લક્ષણ મળ્યું. ત્યારપછી જરથુષ્ટ્રે પોતે The Drunken Song ગાયું. જેમાં ‘સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં’નો ભાવ હતો. તેમણે પછી સમજાવ્યું કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડરી ન જવું. એક પક્ષે આપણે સુખ–આનંદને આવકારીએ છીએ, તો બીજે બારણે દુઃખ-પીડા પણ આવે જ છે. બધી જ વસ્તુઓ એકબીજા સાથે આંતરસંબંધ ધરાવે જ છે. બીજા દિવસે સવારે જરથુષ્ટ્ર જાગ્યા તો એમણે ગુફાની બહાર એક સિંહ જોયો—એ overman બનવાના માર્ગનું બીજું ચરણ છે, શક્તિમાનના આગમનનાં એંધાણ છે. પોતાની ગુફા ફરી એકવાર છોડતાં પહેલાં, જરથુષ્ટ્ર આ નવલકથાનું સમાપન આ શબ્દોમાં કરે છે: ‘મારો દિવસ શરૂ થાય છે : જાગો, હવે તમે જાગો, મારો મહાન મધ્યાન્હ!’ જરથુષ્ટ્રની યાત્રા વર્ણવતાં નિત્શે વિવિધ માનવીય લાક્ષણિકતાઓ અને સામજિક ધારા-ધોરણોનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રો રજૂ કરે છે. રાજાઓ અને જરથુષ્ટ્રના પડછાયાં સહિતનાં દરેક પાત્ર ‘Overman’ના આદર્શનું આંશિક તત્ત્વ ધરાવે છે. The King’s Assની સાવધાનીરૂપ વાર્તા આપણને મન વિનાની ભક્તિની સામે ચેતવણી આપે છે અને સિંહનું પાત્ર overman થવા તરફની યાત્રાનું પ્રતીક છે. અંતે, જરથુષ્ટ્ર, આપણને જીવનનું પૂરા પરિપ્રેક્ષ્યમાં આલિંગન કરવાનો બોધ આપે છે. જીવનના ચઢાવ-ઉતાર, સુખ-દુઃખ, આનંદ-અવસાદ બધું સમતાપૂર્વક સ્વીકારો અને ભાવિ તરફ આશાભરી મીટ માંડો, તમારાં મૂલ્યોનું પુનર્મૂલ્યાંકન કરો, તમારી વ્યક્તિગત મહત્તા અને મહાનતાને ઓળખો અને અધિકૃતતાપૂર્વક જીવતા જાવ.

મુખ્ય બિંદુઓ :

૧ . સુપરમેન/ઓવરમેન : એવો માનવી, જે પરંપરાગત નૈતિકતા અને સામજિક ધારા-ધોરણોને અતિક્રમી જાય અને માનવજાતના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરે,-આત્મખોજ અને વ્યક્તિની આંતરિક મહાનતાને ઉજાગર કરે... નિત્શેનો આ Ubermenschનો ખ્યાલ છે.
૨ . શાશ્વતીનું પુનરાવર્તન : નવલકથાનું આ કેન્દ્રવર્તી થીમ છે. આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અનંતકાળ સુધી પુનરાવર્તિત થનારી હોય છે. તેથી નિત્શે વાચકોને પડકાર આપે છે કે તમે એવી રીતે જીવો કે જાણે તમે તે ક્ષણને re-Live કરતા હો, તમારા દરેક કાર્યના મૂલ્ય અને અર્થને પ્રશ્ન કરતા રહો.
૩. શક્તિ-સામર્થ્યની ઈચ્છા : એ માનવજીવનનું ચાલક બળ છે. દરેક વ્યક્તિને સ્વ-શક્તિમાન થવાની અને બીજા ઉપર પ્રભાવક બનવાની ઈચ્છા હોય છે, અન્યનાં કાર્યો અને નિર્ણયો પોતાની ઈચ્છા મુજબનાં હોય એવી ઝંખના રહે છે.
૪. ધર્મની આલોચના : આ નવલકથા સુગ્રથિત ધર્મનાં માળખા-માન્યતા અને પરંપરાગત નૈતિકતાની આલોચનાત્મક તપાસ કરે છે. જરથુષ્ટ્ર પૂર્વસ્થાપિત ધાર્મિક માન્યતાઓને પડકારે છે અને તેને બદલે આધ્યાત્મિકતાના જીવન સંવર્ધક અને વધુ વૈયક્તિક પાસાંનું અનુસરણ કરવાનું પ્રબોધે છે.
૫. The Last Man : ‘છેવાડાનો માનવી.’ : સાધારણતા-સરેરાશપણાને શરણે જતો અને સુસંગતતા કે સંવાદિતાભર્યા સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોય એવી વિભાવના નિત્શેએ વિકસાવી છે. સ્વ-સંતોષ અને વૈયક્તિકતાના વ્યયના ભયસ્થાનો સામે ચેતવણીરૂપ આ ખ્યાલ છે.

નોંધનીય અવતરણો :

૧. ‘ભગવાન મરી ગયો છે. ભગવાન મરેલો રહે છે અને આપણે જ એને મારી નાખ્યો છે. આપણે બધા ખૂનીઓના ખૂની છીએ. આપણે આપણી જાતનો સામનો કેવી રીતે કરીશું? બોલો?’
૨. ‘મનુષ્ય એક દોરડું છે, જે પશુ અને સુપરમેનને બાંધેલું છે, અને નીચે ઊંડી ખીણ છે.’
૩. ‘જે સૌથી ઊંચા પર્વત પર ચઢીને હસે છે, તે સાચા કે કાલ્પનિક કોઈપણ ભયને, કરુણાંતિકાને હસી કાઢે છે.’
૪. ‘હું તમને overman થવાનું શીખવું છું. Man એટલે એવું કંઈક જે જીતાવું જોઈએ. તેને જીતવા માટે તમે શું પ્રયાસ કર્યા છે, મિત્રો?’
૫. ‘જીવવું એટલે જ (દુઃખ-પીડા) સહન કરવું. અને ટકી રહેવું એટલે એ દુઃખમાં પણ કંઈક અર્થ શોધવો.’
૬. ‘પ્રત્યેક ખરેખરા માણસમાં એક બાળક છૂપાયેલું છે અને તેને રમવાનું મન થાય છે.’
૭. ‘હજી પણ દરેકનામાં એક પ્રકારની અતંત્રતા, અવ્યવસ્થા રહેલી છે, જે ડાન્સીંગ સ્ટારને જન્મ આપવા સક્ષમ હોય છે.’
૮. ‘તમે તમારા સ્વને, તમારી જ આગમાં સળગાવવા માટે તૈયાર હોવા જોઈએ: જો, ‘તમે’ એકવાર રાખ નહિ બનશો, તો ‘નવા’ કેવી રીતે ઉદિત થશો?’
૯. ‘આપણે જેટલા ઊંચા જઈશું, તેટલા, જેઓ ઊડી શકતા નથી તેમની નજરોમાં નાના દેખઈશું’
૧૦. ‘આત્મહત્યાનો વિચાર મોટો સમાધાનકારી છે, જેના દ્વારા વ્યક્તિ ઘણી કાલરાત્રિઓને વિટંબણાઓને વળોટી જાય છે.’
૧૧. ‘એકવાર તમે જાગૃતિમાં, સભાનતામાં આવી ગયા ને, પછી તમે સદાકાળ જાગૃતિમાં જ રહેવાના છો, એ નક્કી!’
૧૨. ‘જે આપણને હણી શકતું નથી, તે આપણને વધુ સામર્થ્યવાન, બળવાન બનાવે છે.’
૧૩. ‘જે કોઈ રાક્ષસ(દુષ્ટતા)ની સામે લડવા મેદાને પડે છે, તેણે એ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાંક પોતે પણ રાક્ષસ(દુષ્ટ)ન બની જાય. અને જો તમે ઊંડી ખીણ તરફ લાંબો વખત જોયા કરશો, તો ખીણ પણ તમારા તરફ પરત જોતી દેખાશે.’
૧૪. ‘હું એક જંગલ છું અને ગાઢ વૃક્ષોની રાત્રિ છું, પણ જે મારી અંધિયારી પ્રગાઢતાથી ડરતો નથી, તેને મારી પ્રગાઢતામાં ફૂલો ભરેલી ડાળીઓ નજરમાં આવશે.’
૧૫. ‘પ્રત્યેક સુંદર અને મહાન કળાનું સારતત્ત્વ છે: આભારવશતા !’
૧૬. ‘સંગીત ને સૂર વિનાની જિંદગી એ ભૂલભરેલી જિંદગી છે.’
૧૭. ‘પ્રેમની કમી નહિ, પણ મૈત્રીની કમી લગ્નજીવનને દુઃખી બનાવી દે છે.’
૧૮. ‘જે દિવસે તમે એકપણ વાર નાચ્યા નથી, નાચી ઊઠ્યા નથી, નૃત્ય નથી કર્યું. તે દિવસે નકામો ગયેલો ગણજો.’
૧૯. ‘જે માણસ ‘જીવવું શા માટે’ એમ પૂછી શકે છે, તેની પાસે ‘જીવવું કેવી રીતે’ના રસ્તાઓ પણ હોય છે.’
૨૦. ‘પોતાની જાતિ કે સમાજથી અંજાયા વિના પ્રભાવમુક્ત રહેવાને માટે વ્યક્તિએ હંમેશા મથવું પડે છે. જો તમે એવો પ્રયાસ કરો છો, તો તમારે ઘણીવાર એકલા પડી ગયાનો અનુભવ પણ કરવો પડે; ક્યારેક ભય પણ લાગે, પરંતુ તમને તમારા સ્વ-ના, તમારી જાતના માલિક બનવામાં એટલી કિંમત ચૂકવવી પડે તો તે કાંઈ વધુ નથી.’