નવલરામ પંડ્યા/હાસ્ય રસ વિશે

From Ekatra Wiki
Revision as of 05:41, 25 May 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩. હાસ્ય રસ વિશે

(મારા ભટનું ભોપાળુંમાં અસંભવિતપણાનો દોષ મૂકી એમાં હાસ્યરસ છે જ નહિ એમ નર્મદાશંકરે અભિપ્રાય આપ્યો હતો તે વેળા મેં પૂર્વ પક્ષ કીધો હતો તેનો સાર.) (Don Quixote) - બધી વાર્તા જ અસંભવિત-લશ્કર જાણીને ઘેટાંના ટોળાને મારવા જાય અને માર્યા કરે એવો આંધળો? એના ચાકરની ચાલ કેવી? Swift’s Travels of Gulliver બને એવી ખરી? She stoops to conquer : જે સ્ત્રીને કુરૂપ ગણે તે સ્ત્રી એને દાસીને વેશે મોહ પમાડી સ્વાધીન કરી લે છે. એમ બને કે તે સ્ત્રી આટલી ખટપટ કરતાં છતાં ઓળખાઈ નહિ આવે? એ વાત ઉપર તો એ નાટકનું મુખ્ય બંધારણ છે. The good natured man : પ્રીતિના દુઃખનું કેટલુંક તેને અગ્નિ કલ્પીને કીધું હોય (છેક allegorical એમ પણ નહિ. સાધારણ માણસ પણ કહી શકે એ પ્રેમ-પત્રિકા છે) તો શું એવો કોઈ વાંચનાર નીકળે કે તેને એમ લાગે કે એમાં તો મારું ઘર બાળી મૂકવાની ધમકી છે, અને તેમ ધારી પોલીસને બોલાવી ગડબડ કરી મૂકે ત્યાં લગી કોઈ એનો સંદેહ નિવારણ કરનાર મળી જ નહિ આવે? તોપણ ગોલ્ડસ્મિથે એવું જ બંધારણ રાખ્યું છે. Shakespeare : શું જોડિયા ભાઈ એવા જ સરખા રૂપના નીકળે કે તેની પરણી બાયડી ન ઓળખી બીજા સાથે ઘણા વખત સુધી ઘરબાર માંડે? ઓળખાઈ આવે એટલો ભેદ રાખવો એ તો કુદરતનો નિયમ જ જણાય છે. ઘણા ફિલસૂફોએ એ નિયમ કબૂલ રાખી એને ‘Design’ની સાબિતીમાં દાખલ કીધો છે. કરજદારનું શેર માંસ લેવાની શરત કરનાર, અને કદાપિ કીધી તોપણ શું તે અમલમાં આણવાઈ છે, અને તે પણ કાયદાની મદદથી, એવો નિર્દય મૂર્ખ કોઈ હોય? તોપણ એ અસંભવિત વર્ણન વડે યહૂદીની લોભી નિર્દયતાની છબી મન ઉપર બરાબર પડે છે. Merry wives of Windsor : Shakespeare અને બીજા ઘણા શેક્સપિયરના હાસ્યરસ નાટકનું બંધારણ એવું જ જણાય છે. Dickensનું સઘળું લખાણ અતિશયોક્તિ ભરેલું છે. Pickwicksમાં જે વેદિયા ઢોરનું વર્ણન કીધું છે તેવા જગતમાં હોય પણ ખરા કે? આપણામાં પણ જે વેદિયા ઢોરની વાત ચાલે છે તે ખરી છે? શું વૈદકશાસ્ત્રી લીમડાનું શાક ખાય છે, અને ‘ધૃતને આધારે પાત્ર કે પાત્રને આધારે ધૃત’ એ શંકા ટાળવાને ઘી ઢોળી નાંખે એવો મૂર્ખ શાસ્ત્રી હોય કે? તોપણ એ અતિશયોક્તિમાં જ હાસ્યરસ રહ્યો છે. Jest-book-રોમ શહેરના બાદશાહે એક ગામડિયાનું મોં પોતાના જેવું જોઈને પૂછ્યું કે ‘અલ્યા તારી મા કોઈ વખત શહેરમાં આવી’તી?’ પેલો ગામડિયો આ મર્મ વાક્ય સમજી જઈને મર્મમાં જ બોલ્યો કે ના, મહારાજ, પણ મ્હારો બાપ આવ્યો તો ખરો. રૂમી બાદશાહના સ્વચ્છંદી જુલમના વખતમાં કોઈ આટલું અમર્યાદાનું – અરે પગથી તે માથા લગી ઝાળ ચડે એવું – વચન બોલવાની કોઈ ગામડિયાની તાકાત પણ ખરી કે? અને બાદશાહ પણ નીચ સાથે એવું ભાષણ કરે? “એક મસીદમાં નમાજને વખતે એક ઘરડા દાઢીવાળા મુસલમાનને ઝોકું આવ્યું તે જોઈને સામો એક બકરો બેઠો હતો. તેણે જાણ્યું કે મને ટક્કર મારવા આવે છે તેથી તે બકરાએ તે બિચારા મુસલમાનના માથા સામી ખૂબ જોરથી ટક્કર લગાવી.’ ‘એક પાદરીએ કોઈ ઘરડા માણસને ઠપકો દઈને કહ્યું કે આ છોકરો પણ તેના પેદા કરનારને જાણે છે. પણ તું જાણતો નથી. ત્યારે તે ડોસો બોલ્યો કે, મહારાજ, એને આવ્યાને પાંચ સાત વરસ થયાં છે તેથી તેના પેદા કરનારને ઓળખે તો, પણ હું સસરો અહીંયાં સાઠ વરસનો આવેલો તેને સાળી અસલની વાત કેમ યાદ રહે.’ આમ પાદરીની સામા અને પોતાના છોકરાની સમક્ષ કોઈ બોલે? એક પુરાણી કથા વાંચતો હતો તે સાંભળતાં કોઈ ડોસીની આંખમાં પાણી ભરાઈ આવ્યાં. તે જોઈને ભટજી ફુલાયો કે મારી વાણીમાં રસ તો ખરો કે શ્રોતાનાં હૃદય પીગળીને આંસુધારા વહે છે. કથા પૂરી થઈ રહ્યા પછી તે ડોસીને સાતમે આકાશે પહોંચેલા ભટજીએ પાસે બોલાવીને કહ્યું કે ‘માજી તમે કથામાં બહુ સમજો છો, અને ભાવિક પણ બહુ છો, તમારું મન કેટલું કોમળ કે આંસુ ભરાઈ આવ્યાં?’ ત્યારે માજી બોલ્યાં કે ના ભાઈ, મેં કથા તો આજે પૂરી સાંભળી જ નથી. મને રડવું આવ્યું તેનું કારણ તો એ કે તું અસ્લોકના રાગડા કહાડતો હતો તે સાંભળીને મારી બા૫ડી પાડીનું બરાડવું સાંભરી આવ્યું, અને મને એવી ફિકર લાગી કે તને પણ તેની પઠમ (માફક) મરવાની તો આકરણ નહિ થતી હોય? આમ કોઈ પણ ભાવિક ડોસી ભૂદેવનું અપમાન કરે? અને તે પણ ક્યારે? જ્યારે પોતાની ભક્તિનાં વખાણ થાય છે ત્યારે જ? આ વાત પતરાજી અને કવિઓ પોતાની વાણીનું મિથ્યા અભિમાન રાખે છે તેમની હાંસી કરવાને કાઢેલી જણાય છે; અને ખરેખર એવા મૂર્ખોનું એમાં યોગ્ય જ ઉપહાસ્ય કીધું છે. તોપણ એમ બને તો કદી નહિ. ‘એક દેસાઈને કોઈ બાદશાહે કહ્યું કે તમે તમારા હકના દસ્તાવેજ કાઢો, નહિ તો તમારી જાગીર જપ્ત કરવામાં આવશે, ત્યારે તે બહાદુર ભાટેલો બોલ્યો, ‘બંદેનવાજ, દિલ્હીની ગાદી તમને જે તાંબા પત્ર ઉપર હિંદુરાજાઓએ આપી છે તે મંગાવશો તો તેની બીજી બાજુ ઉપર મારા દસ્તાવેજ માલમ પડશે.’ એમ કોઈ બોલે કે? અંગ્રેજીમાંથી એવા અનેક દાખલા મળી આવશે. ગુજરાતી ગ્રંથોમાંથી દાખલા. રમૂજે દિલ પસંદની સઘળી વાતો અસંભવિત જ છે. વાંચતા નહિ આવડતું હોય તેથી કદાપિ રડવું આવે, પણ સાંભળનાર સ્ત્રી સમજે કે મારો ધણી મરી ગયો, તે ભૂલથી તેને ઘેર હાય પીટ થઈ રહે, અને છેક ગામની બહાર નહાવા જાય ત્યાં જ કાગળ વાંચતી વખતે એ બધી ભૂલ જણાઈ જાય – એ તે બને? તે અભણ તો હશે, પણ પોતાની ફજેતીનો આટલો ચંદરવો બાંધવાનો વખત આવે ત્યાં લગી બોલે જ નહિ, એવો મૂર્ખ કોઈ હોય નહિ – કદાપિ એમ ધારો કે અજાણ્યો રસ્તે જનાર તે હોશે, અને તે એવું ધારીને ચાલ્યો ગયો હશે કે એનું લાગ્યું એ ભોગવે, હું તો મારો ભરમ રાખું. પણ તે સ્ત્રી અજાણ્યા ઉપર આટલો ભરોસો રાખે, અને પોતાનો ધણી કેમ અને ક્યારે મૂવો એ વાતનો ખુલાસો કોઈની પાસે પણ કરી લીધા વગર તે મૂવો એમ જ નિશ્ચય કરી લૌકિક કામનો આરંભ કરે. એ (human nature)થી જ ઊલટું જ. અસંભવિત એટલું નહિ, પણ અશક્ય. લાલ બુજરંગ સંબંધી વાતો નહિ બને એવી જ છે. ઊંટ સાથે ઘરમાં પેસવાને માટે છાપરું તોડી પડાવે, અને લોકો પાડવા દે એવું મૂર્ખ ગામ કયા દેશમાં હશે તે કદાપિ આપ કવિરાજને માલમ હશે? માટલામાંથી ભેંસનું મોં કહાડવાને માટે પહેલું ડોકું કપાવે, અને પછી માટલાને ભાંગવાને હુકમ આપે એવી મૂર્ખાઈ તે કોણ કરે? એમાં રસ નથી એમ તમે સમજો છો તે તો ખોટું. એ વાતોમાં મૂર્ખ સત્તાધારીના છહર અને વહેમી પરાધીન થઈ પડેલા મૂર્ખોની મૂર્ખાઈનું ચિત્ર ખૂબ છટાથી પાડ્યું છે. એમ થતું નથી. પણ એ ગુણ મનમાં જે શક્તિથી રહ્યો છે તે શક્તિને પૂરેપૂરી ખીલવા દીધી હોય તો એવાં રાક્ષસી રૂપ જ પ્રગટ થાય. ઊંચા રસનું પણ એમ જ છે. ગમે તે મનોવિકારના પૂર્ણ બળનું પ્રગટ થવું તે રસ સંસારમાં તેમના વિકાર વિવેકથી, રીતભાતથી, પ્રસંગની ખામીથી, અથવા બીજા મનોવિકારથી બરાબર પુષ્ટિ પામતો નથી, Poetic world તે એ જ. દરેક મનોવિકારનું ખરેખરું કેટલું જોર છે. તે માણસ પોતાના મનમાં જ જાણે છે – બારણે પ્રગટ કરવાને ચાહતો નથી. અને તેથી તે સંસારમાં જોવામાં આવતું નથી, પણ પ્રકૃતિમાં છે તેથી જ્યારે કોઈ માણસ તેના પરાક્રમ કવિકલ્પિત વર્ણનોમાં વાંચે છે ત્યારે તેનું અંતઃકરણ અંદરથી સાક્ષી આપે છે અને એ વર્ણન જ ખરું છે તથા સંસાર જૂઠો છે એવો ભાસ થાય છે. બીરબલ વિશે ચાલતી વાતો પણ એવી જ છે, ‘સેવ, તો કે તાજખાને કાદવ’ એવું મહેણું મારવાનો પ્રસંગ કોઈ પણ રાજા આગળ આવે ખરો? બીરબલે જે જે તોછડાં વચન બાદશાહને કહ્યાં છે, તેનો સોમો હિસ્સો પણ કોઈ બાદશાહ સાંખી રહે? અમદાવાદના લૌવાની મજાકો પણ એવી જ અસંભવિત અને હુુજત ભરેલી છે. જો બાદશાહ એવી મજાકો સાંખી રહેતા એમ માનીએ તો એક ભાજીખાઉ બકાલ કેમ નહિ સાંખી રહે? મશ્કરાને મોટા લોકો પોતાના વિનોદને માટે મ્હોડે ચડાવી મૂકે છે એ વાત ખરી, પણ તેમ હજામની અટકચાળી જાત ખુશમિજાસી સાંખી રહેતા શેઠની સાથે ઘણા અભ્યાસથી એવી છૂટ લે એમાં શી નવાઈ? તેમાં વળી જ્યારે તે જરા એવા ઓલિયા હોય કે મજાક થાય છે કે નહિ એ પણ પૂરું હમેશાં સમજતા નહિ હોય, ત્યારે તેની ઘણી મજાક મોઢે ચઢાવેલું માણસ કરે એમાં શી નવાઈ? દમયંતીને વરવાને માટે કોડીલા રાજાઓ કેવી ઘેલાઈ ભરેલી સામગ્રી કરતા હતા તેનું વર્ણન પ્રેમાનંદ કવિએ હાસ્યરસમાં ઠીક કીધું છે. તેમાં અતિશયોક્તિ નથી? અને એ અતિશયોક્તિ ન હોત, તો હાસ્યરસ આવત પણ ખરો? સુદામાચરિત્રમાં પણ ઘણી અતિશયોક્તિ છે. શણગાર સજીને મોટા મહેલમાંથી નીકળી માટે શું પોતાની સ્ત્રી ઓળખાય જ નહિ? અને તે બોલાવે કે, ‘હે સ્વામી, હું તમારી સ્ત્રી છું’ તોપણ તે ઓળખે જ નહિ, અને ઘણી ચિડાઈ જઈને કહે, કે હે પાપણિયો, સાધુને શીદ દમવા આવિયો છો? એ સંભવિત છે કે? એ બને એવું છે કે? રિતુપાણની જોડે નળે બાહુક રૂપે જેટલું ભાષણ કીધું છે, અને જે રીતે વર્ત્યો છે તેમ કદી દાસત્વમાં બને જ નહિ. હૂંડીમાં અને મામેરામાં પણ ઘણોખરો હાસ્યરસ એ જ પ્રકારનો છે. દલપતરામનો હાસ્યરસ શુદ્ધ જાતિનો છે. પણ તે out of Character થવાથી જ ઉત્પન્ન થાય છે. કોઈ ગરીબને શ્રીમંત કહે કે ‘ગધેડાના, પેલા કૂતરાને વાડીમાંથી હાંક તો” તો તે હરખાતો હરખાતો માને કહેવા જાય નહિ, અથવા ફુલાશથી કદી તે જ શબ્દ પાછા કોઈની આગળ વાપરે નહિ, તોપણ ખુશામતીયાની મજાક કીધી છે તે ખરી છે, અને પ્રાસાદિક શક્તિ બતાવે છે. કેફીની બૈરીના મ્હોમાં જે શબ્દો એણે મૂક્યા છે તે પ્રમાણે કોઈ સ્ત્રી મજાક કરતી નથી. તેને તો કૂખને લીધે મજાક કરવાનું નહિ પણ કરુણા અથવા તિરસ્કાર યુક્ત બોલવાનું સૂઝે. ક્યું સાહેબ અચ્છે હો, તો કે સાલા તેરા ચલે તો માર ડાલીયો. ઇત્યાદિ જે મુસલમાનનું બોલવું છે તે કેવળ અતિશયોક્તિ જ છે. એવો કોઈ savage હોય જ નહિ, તોપણ એ અવિવેકી સ્વભાવનું આબેહૂબ ચિત્ર છે એમ એના દુશ્મનને પણ કહેવું પડશે. ભવાઈમાં હાસ્યરસ હોય છે. અડવાનો અને કજોડાનો વેશ Improbabilitiesથી ભરેલો છે. એ તારી અસ્ત્રી, તો કે, ‘હું એનો અસ્ત્રો’ ‘એ પાણી ભરવા જશે,’ તો ‘હું દોરડું લઈને જઈશ.’ ‘એ દળશે’ તો, ‘હું ઓરણા નાંખવા લાગીશ’ ઇત્યાદિ વાક્યો વ્યાપારમાં કુશળ, અને સંસાર વ્યવહારમાં ખબરદાર એવા અડવાના મ્હોમાંથી નીકળે જ નહિ. કજોડો સ્ત્રીને ચુંબન કરવાને માટે નિસરણી માગે એથી તે બીજું શું અસંભવિત? પણ એ અસંભવના પ્રમાણમાં જ હાસ્યરસની ખૂબી છે ‘ફેજબે, ફેજ’ એમ કહીને કેટલાક વિષયની વસ્તુઓ ફકીર ઈશ્વરની પાસે માગે? અને તે પણ બજારમાં જ? એ વાત કેવળ અસંભવિત છે, તોપણ એમાં દંભી ધર્માધિકારીઓેની સજ્જડ મજાક નથી કીધી એમ કોણ કહી શકશે. ઇત્યાદિ-ઇત્યાદિ-ઇત્યાદિ. કવિ, તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી. હું તો એમ કહું છું કે કુદરતના ચિત્રથી હાસ્યરસ ઉત્પન્ન થતો જ નથી. એ જ કારણને લીધે સૃષ્ટિ-સૌંદર્ય જોવાથી અથવા તેનું ખરું વર્ણન વાંચવાથી હસવું આવતું નથી. બીજા સઘળા રસમાં કુદરતની નકલ હોય છે, અને હાસ્યરસમાં કુદરતની distrorted નકલ અથવા સાધારણ ભાષામાં જે જે નકલ કહે છે તે જ હોય છે. (તે વખતે આવીને કાગળ પર લખી લીધું હતું તે પ્રમાણે જ આ લખ્યું છે. તે વખતે કવિનો વિચાર તો એ પ્રગટ પણ ન કરવું એવો હતો. મને એ વિચાર કેવળ ભૂલ ભરેલો અને કાંઈ દગા ફટકાનો લાગ્યો તેથી ઉપલો વાદ ઉઠાવી એને બંધ કરવાની જરૂર પડી હતી. છેલ્લા વાક્યમાં વિચાર હું હાલ બરાબર પસંદ કરતો નથી.) બાળકના મ્હોડા આગળ પુરુષ બેચાર ટોપી પહેરીને અથવા સ્ત્રી પાઘડી પહેરીને આવે તો તે હસી પડે છે. પોપચાં ચઢાવી ચોટલીના લાંબા વાળ મોં ઉપર લટકતા રાખે ત્યારે સમજણું છોકરું હસે છે અને અજ્ઞાન ચીસ પાડી ઊઠે છે. ત્યારે અનુપદ્રવ કર્તા અદ્‌ભુત બનાવથી હાસ્ય ઉત્પન્ન થાય છે. તે જ ઉપદ્રવ કર્તા થાય ત્યારે ભયાનક રસ. ત્યારે અદ્‌ભુત રસનો સ્થાયી ભાવ શો? – તેના અદ્‌ભુતપણામાં પણ નિરુપદ્રવતા હોવી જ જોઈએ – નહિ તો તે ભયાનક થઈ જાય. જ્યારે કર્મનો ઉદ્દેશ નહિ, અથવા એવો હલકો હોય કે જોનારની નજરમાં નહિ જેવો લાગે તે અદ્‌ભુત કર્મથી હાસ્ય થાય છે. અદ્‌ભુત રસનો ઉદ્દેશ ભારે. કબીરવડ જોઈને કયો રસ લાગે? લાગે તો અદ્‌ભુત જ. કોઈ પણ પશુ-પક્ષી અથવા વનસ્પતિ જોઈને હાસ્ય ઉત્પન્ન થતું નથી. એ શા માટે? એ પ્રાકૃતિક વસ્તુઓના વ્યવહારમાં ઉદ્દેશ હોઈ શકે જ નહિ, તેથી ઉદ્દેશ છે કે નહિ એ કહી શકાતું નથી. તે કારણને લીધે હશે? ત્યારે સૃષ્ટિ-સૌંદર્યમાં હાસ્યરસ હોય જ નહિ એવો એક નિયમ જ રસશાસ્ત્રમાં બાંધવો જોઈએે. ઈશ્વરની અપાર શક્તિનો ઉદ્દેશ જ્ઞાનીઓના દીઠામાં કંઈ આવતો નથી, પણ અદ્‌ભુત રસ જ પેદા થાય છે. હાસ્યરસ ઉત્પન્ન થવાને ઉદ્દેશ unintelligible જોઈએ એમ નથી, પણ ઉદ્દેશ છે જ નહિ એવો નિશ્ચય થવો જોઈએ. Unintelligible હોવાથી ઊલટો અદ્‌ભુત રસ ઘણો ગાઢો જામે છે. (એ વિષય ઉપર ઘણા સવાલ ઊઠે છે તે સ્થિર વિચાર કરવા લાયક છે) આ જાતનો હાસ્યરસ છેક નિર્મળ નથી લાગતો. આનંદમાં કંઈ પણ તિરસ્કારનો ભેળ જણાય છે. ઉદ્દેશ રહિત કર્મ એટલે મૂર્ખાઈથી તિરસ્કાર તો થવો જ જોઈએે તો. ત્યારે બીજાની નિરુપદ્રવ મૂર્ખાઈમાંથી આ હાસ્યરસ નીકળે છે એમાં આનંદનો અંશ શા માટે હોય છે? એથી જોનારને નહિ પણ તે કરનારને, અથવા તેના કોઈ સંબંધીને પણ ભારે ઉપદ્રવ પરિણામે થવો જોઈએ નહિ. હાસ્યજનક ક્રિયાનો ઉદ્દેશ નહિ તેથી કુદરતના નિયમે તેનું કંઈ પરિણામ જ થાય નહિ, એમ તો હોય જ નહિ. ત્યારે તે પ્રસંગે ભારે પણ થાય. હલકો હોય તો હાસ્યરસ ઊપજે. પરિણામ ભારે કે હલકું થશે એ વિચારવાનું કામ વિવેકબુદ્ધિનું છે. તેથી અજ્ઞાનને અથવા નિર્દયને જેમાં હાસ્યરસ લાગે તે કોમળ અથવા ઊંડી લાગણીવાળાને ભયરૂપ દેખાય. આ ભેદ ઉપરથી હાસ્યરસ વત્તી ઓછી (Delicacy) ગણાય. આ રીતે જોતાં ક્રિયાના કારણ અને પરિણામ એ બંને ઉપર હાસ્યરસ આધાર રાખે છે. એ બંનેનું પ્રમાણ કેટલું જોઈએ એ વિચાર કરવાલાયક વાત છે. ગાંડાઈથી ક્યારે અને કેટલું હાસ્ય ઊપજે છે? કૂકડાની પેઠે અથવા બલાડાની પેઠે કોઈને બોલતો જોઈને માણસ હસે છે. સમજણા બાળકના હાસ્યમાં કંઈ તિરસ્કાર જોવામાં આવે છે, અને નાનો નાનો રસ કેવળ નિર્મળ જ હોય છે. એ નિર્મળતાનું અને તિરસ્કારનું કારણ શું? એ હાસ્ય કયા ભાવથી ઉત્પન્ન થાય છે? એકમાં કુદરતની સચ્ચાઈ અસાધારણ જગાએ જોવામાં આવે છે, અને બીજામાં ઉદ્દેશની નાસ્તી છે. કુદરતની ખરી નકલથી હાસ્યરસ થાય કે શૃંગાર? અરે કુદરતની નકલ તો (અદ્‌ભુત સિવાય) સઘળા રસનું મૂળ છે. અદ્‌ભુતને માટે પણ મને તો શક છે કે એ નકલ શા માટે નહિ કહેવી જોઈએ? નકલના કામમાં (કાવ્ય એ પેટામાં આવી રહ્યાં) બે વાતથી રસ પેદા થાય છે. કર્તાની કુશળતાનું પ્રબળ આપણા મનમાં વધારે હોય ત્યારે હલકો શૃંગાર અથવા હાસ્ય જ ઉત્પન્ન થાય. એ ખરી વાત? કેટલાક ગ્રંથમાં તેના કર્તાની મૂર્ખાઈથી જ હાસ્યરસ જામે. બીભત્સ લાગવા જેવાં પરિણામ નઠારાં નહિ થતાં હોય તો ગ્રંથકર્તાની કુશળતાના વિચારથી બીજા રસ નહિ જામે? ફક્ત કંઈક આનંદ જ થાય, કે સાનંદાશ્ચર્યની વૃત્તિ પણ ખરી? રસિક પુસ્તકમાંથી અસલ અને નકલની ખૂબી તો વિચાર કયા પ્રમાણમાં ઉત્પન્ન થવો જોઈએ. કુશળતાના વિચારથી કોઈ કાવ્ય ઘણું સરસ ન લાગે? અને તે ઉત્તમ પ્રતિનું ન ગણાય? શત્રુનાં છિદ્ર ઉઘાડાં કરી અન્યોક્તિથી વખાણ કરતાં પણ હાસ્યરસ થાય છે. એમાં દ્વેષનો ભાવ ઘણો રહેલો હોય છે. હલકા ઉદ્દેશને માટે મોટી મોટી સામગ્રી થતી જોઈને હસવું આવે છે. Mock epics સઘળાં એ જાતનાં, એ રસનું મૂળ મૂર્ખાઈ. શક્તિ વગરનો શત્રુ પોતાનો દ્વેષ ભાવ મિથ્યા પ્રગટ કરે તે જોઈને સામા ધણીને અભિમાન તિરસ્કારયુક્ત હસવું આવે છે-(contemptuous smile). એ સમયે માણસ ફૂલેલાં નસકોરાં અને વાંકી આંખ રાખીને હસે છે. શક્તિ વગરનો રૌદ્ર ભાવ હસવા જોગ જ છે, કેમ કે તે મૂર્ખાઈ છે. પણ એ નિયમમાં એક બાધ નડે છે. શક્તિ રહિત સૂળી દેવા કહાડેલો દેશાભિમાની અથવા ધર્માભિમાની પોતાની સાચાઈના આવેશમાં શિક્ષાને ન ગણકારી ધિઃકારનાં વચન બોલે છે તે સાંભળીને સાનંદાશ્ચર્ય પેદા થાય છે. શું રૌદ્ર રસનું કારણ નિંદિત હોય ત્યારે હાસ્ય ઉત્પન્ન થાય? મોટા ખૂનીઓના બહાદુર બોલથી પણ વીરરસ જ લાગે છે? ત્યારે કારણના નિંદિતપણા ઉપર કઈ આધાર નથી. આ વાતનો ખુલાસો મારી નજરમાં આ પ્રમાણે આવે છે – જ્યારે સામર્થ્ય રહિત દ્વેષ ભાવ પોતાની તૃપ્તિની અર્થે નકામાં તરફડિયાં મારે છે ત્યારે શક્તિ ન હોવાના સબબથી સાધન હલકાં જ થવાનાં અને ત્યારે બીજા હસે એમાં પણ શી નવાઈ? હારેલો દેશાભિમાની મરતી વખતે પોતાનો રૌદ્ર અથવા બિભત્સ ભાવ બહાર પાડે છે. ત્યારે એ ખરેખરું જોતાં પોતાની દ્વેષની તૃપ્તિને અર્થે કંઈ શ્રમ કરતો નથી, પણ પોતાનું અજિતપણું જ માત્ર પ્રગટ કરે છે, કેમ કે જ્યાં લગી દૈવ્યના અથવા શત્રુના પ્રાબલ્યથી માણસ દુઃખ પામતો નથી અથવા દુઃખથી પોતાનો મૂળ ઉદ્દેશ (આગ્રહ) શત્રુને સ્વાધીન કરતો નથી ત્યાં લગી તે અજિતપણું જ છે. અને અજિતપણાથી વીરરસ જ ઉત્પન્ન થાય? માણસને પોતાના નિષ્ફળ શ્રમોનો વિચાર કરતાં હસવું આવે છે, અને કોઈ વખત ફળીભૂત થયેલા શ્રમોના સ્મરણથી હસવું આવે છે. બાળકનો ઉદ્યોગ જુવાનને, અને જુવાનનો ઉદ્યોગ વૃદ્ધને હમેશાં હસવા જેવો લાગે છે. દેશ કાલના સંબંધે જુદા જુદા કામનું માણસોને જુદું જુદું લાગેછે. જે ક્રિયાથી હિંદુ ભક્તિમાં લીન થઈ જાય છે તે જોઈને મુસલમાન હસે છે. અને તેથી ઊલટું પણ તેમજ સમજવું (આ વિચાર આ પેટાને લગતો નથી પણ હાસ્ય રસના સામાન્ય વિવેચનમાં લખવો જોઈતો હતો). નહિ આરંભેલા તરંગોના સ્મરણથી પણ હસવું આવે છે, અને વખતે દિલગીરી થાય છે. માણસ નિરાશ થયાથી એટલે પોતાની કેવળ અશક્તિ જોઈને હસે છે. એ ગાંડાના હાસ્ય જેવો ભયંકર રસ છે. એ જગો ઉપર માણસ પોતાની મૂર્ખાઈ જોઈને હસે છે. મનમાં છૂપા ભાવ રૂપે રહેલા ઉદ્દેશ ઘણા મોટા, અને સાધન ઘણાં હલકાં અથવા નહિ જ, – એથી બીજી મૂર્ખાઈ કેવી? એ હાસ્ય ઘણું (Sympathetic) નથી, કેમ કે ભાવ રૂપે રહેલા ઉદ્દેશનું સ્વરૂપ બીજાથી પૂરેપૂરું ઓળખાતું નથી (જોનાર તો કાર્ય રૂપે તે પ્રગટ થાય ત્યારે જ તેનું બળ માપી શકે છે) અને તેથી તે ઉદ્દેશ અને સાધન વચ્ચેનું અસાધારણ પ્રમાણ લક્ષમાં આવતું નથી, અને તેથી તે પુરુષ પોતાની મૂર્ખાઈ પોતે જુએ છે તથાપિ બીજા બરાબર જોઈ શકતા પણ નથી, અને તે કારણને લીધે હસતા પણ નથી.

(એવે જ પ્રસંગે લખાયેલા કાગળનો ઉતારો.)
૧૮૭૦