નવલરામ પંડ્યા/ઓથારિયો હડકવા – એક ચર્ચાપત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 01:54, 27 May 2024


૨૬. ઓથારિયો હડકવા – એક ચર્ચાપત્ર

શ્રી ગુજરાત શાળાપત્રના અધિપતિ સાહેબ, આપણામાં હાલ જે નવો ભયંકર રોગ ચોતરફ ફાટી નીકળ્યો છે તે જોઈ સઘળે ત્રાહે ત્રાહે થઈ રહ્યો છે. એથી તે બાપડાં પોર્યાઓની, તેનાં સગાંવહાલાંની, અને છેવટે બધા દેશની એવી ખરાબી થાય છે કે આ રોગનો ઇલાજ કોઈએ શોધી કાઢવો જોઈએ. એ કામ મહા વિકટ છે, અને તે વેળાએ દેશનું સમસ્ત વૈદ્યમંડળ ભેળું થઈ વિચાર કરે તોપણ તેનો પત્તો ન લાગે. પરંતુ પ્રયત્ન એ જ પુરુષનું કર્તવ્ય છે, તેથી મેં મારી અલ્પ જોગવાઈઓ પ્રમાણે એ રોગ સંબંધી જે કંઈ જૂજ તપાસો કરી છે તે નમ્રતાથી સર્વેની હજૂરમાં રજૂ કરું છું, કે વખતે કોઈ અપૂર્વ બુદ્ધિશાળીને આ મહાવ્યાધિના નિદાનાદિકનો ખરો માર્ગ સૂઝી આવે. ચિકિત્સા. જેમ શીળીનો ઉપદ્રવ બહુધા બાળકોને જ થાય છે તેમ આ રોગમાં કિશોરાવસ્થાવાળા જ સપડાઈ પડે છે. મૂછનો દોરો ફૂટવા માંડ્યો કે આ દુષ્ટ મરજની પૂરેપૂરી વકી રાખવી, અને જ્યાં સુધી તે બરોબર ભરચક ઊગી નથી, ત્યાં સુધી તે ચેપ લાગવાની દહેશત એક ક્ષણ પણ દૂર થતી નથી. એટલે, આ રોગથી સંભાળ રાખવાનો ખરેખરો વખત ૧૫થી ૨૫ની ઉમ્મર સુધીનો છે. વખતે એથી મોટાને અને એકાદ બે ડોસાને પણ આ રોગ ભયંકર રૂપમાં થયેલો સાંભળ્યો છે, તથાપિ તે માત્ર અપવાદ જ કહેવાય. કિશોરાવસ્થામાં તો શીળીની પેઠે એ રોગ હાલ સર્વને જ થતો માલૂમ પડે છે. અને તેથી જ લોકમાં આટલો બધો ગભરાટ ઊઠ્યો છે. આ રોગનું પૂર્વ રૂપ બહુ જ ભૂલથાપ ખવડાવનારું છે. પ્રથમ તો બુદ્ધિને શરીરમાં ઘણી જ ચંચળતા દેખાય છે. કિંચિત્‌ જ્વર નાડીમાં તથા માથા પર રહે છે. તે કોઈના લહ્યામાં આવતો નથી. અંતઃકરણમાં કોહાણમાં શરૂ થાય છે. તે તો કોઈના દીઠામાં શી રીતે આવે? તેથી તેનાં માબાપ તથા મહેતાજી તો છોકરો ખૂબ ખીલવા લાગ્યો છે એમ સમજી રાજીરાજી થતા હોય છે. તે વેળા જ આ ભૂંડો રોગ તેના શરીરમાં ઘર ઘાલે છે. થોડા વખતમાં તે બાળકનો સ્વભાવ ખાટો ને તીખો થવા લાગે છે, બોલવું બહુ કમ થઈ જાય છે, અથવા બોલે છે તો તે મહા ધૂંધવાતું ને તિરસ્કારભર્યું. હજી પણ એના વાલીઓ ચેતી ઠાવકા ઉપાયો કામે લગાડતા નથી તો પછી આ રોગ પોતાનું ભયંકર રૂપ એકાએક પ્રકટ કરે છે. એકાએક દર્દીની આંખો જતી રહે છે, અથવા યથાર્થતાથી બોલીએ તો એને એક એવો વિલક્ષણ નેત્રવિકાર થાય છે કે સૂક્ષ્મદર્શક ને દૂરબીનના વિરુદ્ધ ગુણો જ એની આંખમાં આવીને વસે છે, હવે એ પોતાનાં માબાપ, ગુરુ, વિગેરે પ્રાણીમાત્રને માખી જેવડાં જ, અને પોતાને હાથી કરતાં પણ મોટો દેખે છે. હવેથી એ મદોન્મત્ત હાથીના જેવો જ જગતમાં નિરંકુશ ફરે છે, અને પ્રાચીન કાળના સર્વમાન્ય અદ્‌ભુત પ્રચંડાંગી પુરુષોનું નામ સાંભળી ચીડવાઈ ઊઠે છે કે ‘છિટ! એ અલ્પ જંતુઓની મારી આગળ વાત ન કરો!’ કેટલાક ધારે છે કે આ નેત્રવિકાર નથી, પણ ભેજાનો વરમ છે. એમ પણ હોય. એના આ સમેના બખાળા બેશક ગાંડા કરતાં પણ વધારે છે. પણ આ તો હજી એ રોગની પાશેરામાં પહેલી પૂણી છે. હજી તો આ રોગને બહુ તો સનેપાત જ કહી શકાય, પણ થોડા વખતમાં તે હડખવાનું ત્રાસદાયક રૂપ ધારણ કરે છે. હવે એ દર્દીનું ડાચું ફાટેલું જ રહે છે, અને તેમાંથી ઝેરી મહા ગંધાતી લાળ નિરંતર વહ્યા કરે છે. એની વાણી એવી બદલાઈ જાય છે કે તેનું બોલ્યું માણસમાં તો કોઈપણ સમજતું જ નથી. પણ હડખવા સાથે ઘણામાં ઘણું મળતાપણું તો આ વાતમાં છે, જે કૂતરાને હડખવા હાલ્યો હોય છે તે જેમ પાણીનું પ્યાલું જોતાં મહા આક્રંદે ચઢે છે, તેમ આ અભાગ્યાની નજરે શાહીનો ખડિયો પડતાં જ એનો જીવ ભેઉથલ થઇ જાય છે. જેમ હડખાયેલું કૂતરું પાણીના શોષથી વ્યાકુળ અંગે ચોતરફ દોડ્યા જ કરે છે, પણ તેને ગળે એક પણ ટીપું ઊતરી શકતું નથી અને તેથી તે છેક બાવરું, ગાભરું, ને ગાંડું બની જાય છે, તેમજ આ બાપડા દરદીની અવસ્થા છે. આઠે પહોર જાગતાં ને ઊંઘતાં એના મનમાં નિરંતર એમ જ થયા કરે છે કે હું કંઈ લખું, હું કંઈ લખું, અને લખવા જાય છે ત્યારે એક પણ અક્ષર લખી શકાતો નથી. આ સમે એનો જે પરિતાપ, એના જે પછાડા, ને એની જે વેદના તે તમે જોઈ હોય તો નિશ્ચય એમ જ કહો કે એ કરતાં હડખાયેલા કૂતરાની અવસ્થા સો દરજ્જે સારી છે. ખડિયો દીઠો કે તેને એ ધાઈને બાઝે છે. અને પાસે કલમ તો મળે નહિ એટલે તેમાં દશે આંગળાં બોળી લખવાનું કરે છે. પણ જેના જીવનું જ ઠેકાણું નથી, તેના હાથપગ તે ધાર્યું શી રીતે કરી શકે? કાગળ ક્યાંના ક્યાં રહી જાય છે, અને એ પોતાના શરીર ઉપર જ લીટા પાડવા મંડે છે. કંઈક ભાન આવે ત્યારે ચીડવાઈને શાહીનો સીસો જ કાગળ ઉપર છૂટો ફેંકે છે, અને પછી પાછો પરવશપણે શાહીનાં ખાબડાં ભરાય છે તેમાં હાથ બોળી આડાઅવળા જેમ આવે તેમ મોં ઉપર જ ફેરવવા મંડી જાય છે. આ સમે એ ભાઈનું સ્વરૂપ આફ્રિકાના ઉરાંગઉટાંગથી પણ વધારે વિચિત્ર દેખાય છે, પરંતુ એને મન તો કોટિ કંદર્પતુલ્ય છે. સારું છે કે હજી લોકોના જોવામાં એની ચેષ્ટાઓ નથી; નહિ તો એને બેશક ગાંડાની ઇસ્પિતાલમાં તેઓ પુરાવ્યા વિના રહે નહિ. હજી તો ફક્ત બિચારાં ઘરનાં કોઈક દેખે છે ને દાઝે છે. તે બાપડાં તો જ્યારથી એણે અધવચ નિશાળ છોડી દીધી, કોઈનું કહ્યું માન્યું નહિ, અને ધંધારોજગારની વાત એ કાને ધરતો નથી એવું જાણ્યું ત્યારથી જ ગંભીર હૈયાશોકમાં પડ્યાં છે. એની તરફના લાભની આશા તો તેમણે સઘળી જ છોડી દીધી છે, પણ એનું આગળ શું થશે એ ચિંતામાં ને ચિંતામાં તેઓ રાત દહાડો બળીને ખાખ થઈ જાય છે. પણ તેમની ક્યાં જરાયે દાઝ છે આ મદે ચઢેલા હૃદયમૃત મૂર્ખાને? એનો આત્મા તો અહંપદમાં તલ્લીન થઈ ગયો છે. માબાપ કરોડોબંધ નિસાસા મૂકે છે, અને બાઈડી પાછલી રાતનો દરરોજ એના નામનો છેડો વાળે છે, તે વેળા એ ભાઈ પોતાની લહેરમાં કેવો આનંદે છે તે હવે આપણે જોઈએ. પણ અધિપતિ સાહેબ, આપ એક ચર્ચાપત્રને આપો તે કરતાં તો વધારે જગા રોકાઈ ગઈ, અને કહેવાનું તો હજી પાર વિનાનું છે, કરવું શું? એ જ કે મારે મારી કલમ અટકાવવી; નહિ તો રખેને તમે એમ ધારો કે મને પણ આ ઓથારીઓ રોગ જ થયો હશે. મને એ રોગ થયો તો નથી, પણ દહાડાની ચાલે કદાપિ થયો જ હોય એમ સાબિત થાય તોપણ તેમાં કંઈ અજબ થવા જેવું નથી. કેમ કે હાલ આસપાસની તમામ હવામાં અણુએ અણુમાં એ ચેપ પ્રસરી રહ્યો છે એની અસર આટલી તો મને પણ જણાય છે. કેમ કરી આ કલમ મારા આંગળામાંથી હાલ છૂટતી જ નથી, માટે મને બેચાર તો વધુ લખવા દો. આ રોગનું નામ ઓથારીઓ હડખવા કેમ પડ્યું તે તો તમારે આ અંકમાં જાણવું જ જોઈએ. ઠીક ત્યારે સાંભળો. આ રોગની આખર અવસ્થામાં દર્દી ‘હું ઓથાર’ ‘હું ઓથાર’ એમ બરાડતો ગામમાં ફરે છે તે ઉપરથી જ આ નામ નીકળ્યું છે એમાં જરાયે સંદેહ નથી. એમ બોલે છે તેનો અર્થ શો એ તકરારની વાત છે. અમારા ગામમાં એકસો ને એક વરસની ડોસી છે, તે તો કહે છે કે એને જે ઓથારે ચાંપ્યો છે તે જ આમ બોલે છે. આ વાત અંગ્રેજી ભણેલા હસી કાઢે છે. તેઓનું કહેવું એમ છે કે ઇંગ્રેજીમાં ‘ઓથાર’ શબ્દનો અર્થ ગ્રંથકર્તા થાય છે. અને ‘હું ઓથાર’, ‘હું ઓથાર’ એમ જે બરાડા પાડે છે તેની મતલબ તો એમ છે કે હું મોટો ગ્રંથકાર થઈ ગયો. ઇંગ્રેજીમાં એમ અર્થ થતો હશે તેની હું ના કહી શકતો નથી, પણ આ છોકરા તેમ સમજીને બોલતા હોય એ તો મને જરાપણ સંભવિત લાગતું નથી, કારણ એમાંના ઘણા તો બાપજનમમાં અંગ્રેજીનો એક અક્ષર ભણ્યા નથી એ હું ખાતરીથી જાણું છું. સાધારણ લોકો તો ‘હું ઓથાર’ ‘હું ઓથાર’ એવા તેમના બોલ સાંભળી એટલું જ કહે છે કે ‘હા બાપુ ખરું કહો છો, તમારા જેવા બીજા ‘ઓથાર’ જગતમાં શોધ્યા ક્યાં જવાના હતા? આ જવાબ બેશક મશ્કરી છે, પણ પંચ ત્યાં પરમેશ્વર એ ન્યાયે મને તો એ જ કારણ ખરું ભાસે છે. ગાંડાઈની પરિસીમા એ જ કે ગાંડાઈનું અભિમાન કરી ફુલાવું. એ વાત ખરી છે કે ગાંડાને પણ ગાંડો કહેતા દુઃખ લાગે છે, પણ આ રોગનું એ જ વિશેષ છે, અને તે માટે જ આ ઓથારીઓ હડખવા સઘળી ગાંડાઈમાં પરમ ગાંડાઈ ગણાય છે. બસ! લ્યો, આ કલમ ફેંકી દીધી! મરજી હશે તો બાકીનું હવે પછી, ને નહિ તો રામ રામ. લિ. વૈદ્ય નિર્દંભશંકર આનંદધર*ના જથાજોગ વાંચવા

(૧૮૮૩)

  • નવલરામે પત્રચર્ચા આ ઉપનામથી કરેલી!