ગ્રંથ અને ગ્રંથકાર/જિતુભાઈ પ્રભાશંકર મહેતા

From Ekatra Wiki
Revision as of 05:55, 9 June 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

શ્રી જિતુભાઈ પ્રભાશંકર મહેતા

[૧૯-૯-૧૯૦૪]

શ્રી જિતુભાઈનો જન્મ સંવત ૧૯૬૦ના ભાદરવા સુદ દશમે એટલે કે ઈ.સ. ૧૯૦૪ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે વતન ભાવનગરમાં થયો હતો. એમના માતાનું નામ તારાબેન અને પિતાનું નામ પ્રભાશંકર, જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર છે. આજથી ચૌદ વર્ષ પહેલાં જિતુભાઈની પત્નીનું અવસાન થયું છે. જિતુભાઈ મેટ્રિક સુધી અભ્યાસ કરી સત્તરમે વરસે નિરાવેલી સુગર ફેક્ટરીમાં નોકરીએ જોડાયા. વરસો સુધી ખાંડનાં જુદાં જુદાં કારખાનાંમાં કામ કર્યું અને અંતે મુંબઈમાં સ્થાયી થયા. શરૂમાં તેમણે Moving Picture નામના માસિકમાં કામ લીધું અને થોડા જ વખતમાં શ્રી રણછોડભાઈ લોટવાળાના 'પ્રજામિત્ર કેસરી’માં જોડાયા. પત્રકારત્વના ક્ષેત્રમાં અને ચલચિત્રોના કથાલેખક તરીકે જિતુભાઈ વરસોથી જાણીતા છે. 'સાગર મુવિટોન' નામની ફિલ્મસંસ્થાને એમણે એક મૂકચિત્રની કથા લખી આપી, તેનું નામ 'મીઠી છૂરી.' ત્યાર પછી 'રણજિત મુવિટોન' માટે 'ચાર ચક્રમ' નામની પહેલી કોમેડી શ્રી જયંત દેસાઈ સાથે લખી. ‘ભૂતિયો મહેલ' અને 'પરદેશી પ્રીતમ' એ પટકથાઓ પણ જિતુભાઈએ લખી. આ અરસામાં 'જન્મભૂમિ' દૈનિકમાં તેમણે ‘ફિલ્મ પેજ' લખવા માંડ્યું. પૂનાની પ્રસિદ્ધ ફિલ્મ સંસ્થા 'પ્રભાત'માં વિજ્ઞાપનખાતામાં થોડોક સમય રહ્યા. સાથે સાથે સ્વ. શામળદાસ ગાંધીના પ્રસિદ્ધ દૈનિક 'વંદે માતરમ્'માં પણ જોડાયા. આમ ફિલ્મ-વ્યવસાય અને પત્રકારત્વ સાથેનો એમનો સંબંધ ગાઢ અને જૂનો કહી શકાય. આજે ચલચિત્રનાં સામયિકો 'ચિત્રલેખા' અને 'જી'માં તેઓ નિયમિત લખે છે. અત્યારે મુંબઈ સમાચાર'માં કલાવિવેચનો પણ કરે છે. અમદાવાદના 'સંદેશ'માં પણ દર અઠવાડિયે તેઓ સંગીત-કલા-વિવેચનના સુંદર લેખો લખે છે. શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત વિષેની તેમની જાણકારી ઊંડી છે. એ વિશે એમણે અનેક લેખો લખ્યા છે. સંગીત એમની પ્રિયતમ 'ચીજ' છે. જિતુભાઈએ સંગીતનું શિક્ષણ લીધું છે, રેડિયો પર ગાયું છે અને પચાસ ગીત રચીને એની બંદિશ પણ રચી છે. રેડિયો માટે એમણે બહુસંખ્ય નાટકો અને રૂપકો લખ્યાં છે. ‘જેસલ-તોરલ' નાટક અને ‘સત્યવાન-સાવિત્રી' એ ગુજરાતી બોલપટની કથા એમણે લખેલ છે. જિતુભાઈએ રખડવાનો આનંદ ભરપટે માણ્યો છે. પ્રસિદ્ધ પક્ષીવિદો, પિતા-પુત્રની બેલડી, શ્રી કંચનરાય દેસાઈ અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ સાથે એમણે ખૂબ ખૂબ પરિભ્રમણ કર્યું છે અને જાત અનુભવદ્વારા પંખીવિજ્ઞાન શીખ્યા છે. ગિર અને ગિરનાં જંગલોમાં પગપાળા ફર્યા છે. નેપાળની સરહદ પર પણ જઈ આવ્યા છે. જિતુભાઈ રંગીન શૈલીના સર્જક છે, શબ્દોના શિલ્પી છે. એમની હળવી માર્મિક નિબંધિકાઓનું પુસ્તક 'આપની સેવામાં' સાચે જ મનહર કૃતિ છે. ટૂંકી વાર્તાઓ એમનો પ્રિય સાહિત્યપ્રકાર કહી શકાય. ‘ખરતા તારા' અને 'સનકારો' એ બે એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. જિતુભાઈનું ગુલાબી વ્યક્તિત્વ એમની કૃતિઓમાં પ્રગટ થયા વિના રહેતું નથી. એમની વાર્તાઓમાં શૈલી, વસ્તુ અને રજૂઆતનું વૈવિધ્ય ધ્યાન ખેંચી રહે છે.

કૃતિઓ
૧. અજવાળી કેડી : સામાજિક નવલકથા.
પ્રકાશક : વૉરા એન્ડ કંપની, મુંબઈ.
२. વીજળીનાં અંધારાં : રહસ્યકથા.
પ્રકાશક : વૉરા એન્ડ કંપની, મુંબઈ.
3. સાપના લિસોટા : રહસ્યકથા.
પ્રકાશક : વૉરા એન્ડ કંપની, મુંબઈ.
૪. ગુલાબી ડંખ : રહસ્યકથા.
પ્રકાશક : વૉરા એન્ડ કંપની, મુંબઈ.
૫. જોયું તખત પર જાગી : સામાજિક નવલકથા.
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ.
૬. જીવનની સરગમ [ ૧, ૨ ] : મૌલિક, નવલકથા, ૧૯૬૪.
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ.
૭. ખરતા તારા : વાર્તાઓ.
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૮. સનકારો : વાર્તાઓ.
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ.
૯. આપની સેવામાં : નર્મ-મર્મ નિબંધો
પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ, અમદાવાદ.
૧૦. જિતુભાઈની વાર્તાઓ : નવભારત પ્રકાશન
૧૧. પ્રીત કરી તેં કેવી : (નવલકથા)
પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ.
૧૨. સેતાનનો સંતાપ : (અનુવાદ)
પ્રકાશક : વૉરા એન્ડ કંપની, મુંબઈ.
અભ્યાસ-સામગ્રી:
‘ગ્રંથ' અંક ૨૫.
'સંદેશ', 'જન્મભૂમિ', 'ભારતજ્યોતિ', 'મુંબઈ સમાચાર'માં આવેલાં અવલોકનો,

સરનામું : કિરીટ કુંજ, સરોજિની રોડ, વિલે પારલે (પશ્ચિમ), મુંબઈ-૫૬.