ગ્રંથ અને ગ્રંથકાર/દામુભાઈ માવજીભાઈ સાંગાણી

From Ekatra Wiki
Revision as of 06:04, 9 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

દામુભાઈ માવજીભાઈ સાંગાણી

[૨૦-૧૧-૧૯૧૨]

શ્રી દામોદર સાંગાણીનો જન્મ ઈ.સ. ૧૯૧૨ના નવેંબરની વીસમીએ, જામનગર પાસે આવેલ, સરોવડ ગામે થયેલ. એમની માતાનું નામ હેમકુંવર અને પિતાનું નામ માવજીભાઈ સવજીભાઈ એમનું લગ્ન ઈ.સ. ૧૯૪૨માં શ્રી કંચનગૌરી સાથે થયું હતું. જ્ઞાતિએ તેઓ વાણિયા છે. શ્રી દામુભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. વ્યવસાયે તેઓ ધંધાદારી રંગભૂમિ માટે નાટકો લખે છે. નાટકો ઉપરાંત હાસ્યરસની નવલિકાઓ અને નવલકથાઓ પણ તેમણે લખેલ છે. એમના જીવન ઉપર ગુરુદેવ ટાગોર અને કનૈયાલાલ મુનશીનાં પુસ્તકોએ ઘેરી અસર કરી છે. તેઓ ટાગોરનાં પુસ્તકો વારંવાર વાંચે છે. એમણે લેખન પ્રવૃત્તિનો આરંભ ૧૯૩૪-૩૫થી કર્યો. ધંધાદારી રંગભૂમિ માટે ઘણાં નાટકો લખ્યાં. મોટાભાગનાં નાટકો પ્રેક્ષકોને ખૂબ ગમ્યાં છે. કાળબળે ધંધાદારી રંગભૂમિમાં ઓટ આવતાં વેતન-અવેતન રંગભૂમિનો વિકાસ કરવાના પ્રયોગો આરંભાયા તેમાં શ્રી દામુભાઈએ 'ઈશ્વરે ઘર બદલ્યું' નામનું દ્વિ-અંકી નાટક લખ્યું અને તે ખૂબ સફળ થયું. પ્રેક્ષકોને અને વાચકોને હાસ્યરસની કૃતિઓ પીરસવી તેમને ગમે છે. એમની રચનાઓમાં મુખ્યત્વે સ્થૂલ પ્રસંગે કે ઘટનાઓમાંથી હાસ્યરસની નિષ્પત્તિ થાય છે. એટલું ચોક્કસ કે એમણે એમનાં નાટકોનો એક વિશિષ્ટ વર્ગ ઊભો કર્યો છે. પોતાની કૃતિઓમાં તેઓ લગ્નજીવનની આસપાસની પરિસ્થિતિઓ લે છે. નાટક, નવલકથા અને નવલિકા –એ ત્રણ એમનાં વાહનો રહ્યાં છે. ‘મારે નથી પરણવું' એ એમની હાસ્યપ્રધાન નવલકથા છે. મુખ્યત્વે હાસ્યલેખક તરીકે તેઓ પ્રગટ થાય છે. અલબત્ત, સાહિત્યિક ગુણો એમની કૃતિઓમાં ઓછા જોવા મળે છે. તેમ છતાં એમના વ્યંગ ધારદાર હોય છે.

કૃતિઓ
૧. મારે નથી પરણવું : મૌલિક, નાટક; પ્ર. સાલ ૧૯૫૫.
૨. મોટા ઘરનો જમાઈ : મૌલિક, નાટક; પ્ર. સાલ ૧૯૫૭.
૩. પસંદગીના પતિ : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૮.
૪. જગુભગુની જોડી : મૌલિક, બાળકો માટે; પ્ર. સાલ ૧૯૫૯.
૫. હું એક મુરતિયો : મૌલિક, હાસ્યકથા; પ્ર. સાલ ૧૯૬૦.
૬. પરણ્યા છતાં કુંવારા : મૌલિક, હાસ્યકથા; પ્ર. સાલ ૧૯૬૦.
૭. શું હતા શું થઈ ગયા? : મૌલિક, નાટકો; પ્ર. સાલ ૧૯૬૦.
૮. રેતીમાં વહાણ : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૬૧.
૯. હું અને મારી શ્રીમતી : મૌલિક, નવલિકાઓ; પ્ર. સાલ ૧૯૬૧.
૧૦. આવ્યા એવા ગયા : મૌલિક, નાટક; પ્ર. સાલ ૧૯૬૨.
૧૧. બારમો ચંદ્રમા : મૌલિક, નવલિકાઓ: પ્ર. સાલ ૧૯૬૨.
૧૨. લાગી મને લગની : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૬૨.
દરેકના પ્રકાશક : નવયુગ પ્રકાશન, રાજકોટ.
અભ્યાસ-સામગ્રી :
ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૫૬ ‘મારે નથી પરણવું' માટે. કાર્યવહી ૧૯૬૧ ‘હું ને મારી શ્રીમતી' તેમ જ ' રેતીમાં વહાણ' માટે.
સરનામું: દીવાનપરા પૉસ્ટ ઓફિસ પાસે, ધોળકિયા ભવન, રાજકોટ.

સરનામું : ૪૩, જરીવાલા બિલ્ડિંગ, ચોપાટી, મુંબઈ-૭.