હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/અમે તો બોલીએ આછું ને પાતળું કહીએ

From Ekatra Wiki
Revision as of 15:55, 24 June 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


અમે તો બોલીએ આછું ને પાતળું કહીએ


હેમંત ધોરડા અન્ય ગઝલકારોથી સાવ જુદા તરી આવે છે.

તેમના ત્રણ ગઝલસંગ્રહો ‘અણસાર’, ‘અણસાર કેવળ’ અને ‘માત્ર ઝાંખી’માં અનુક્રમે ૪૦, ૬૦ અને ૭૪ ગઝલો સમાવિષ્ટ છે. વધુ એક સંગ્રહ થઈ શકે તેટલી ગઝલો અગ્રંથસ્થ છે. તેમની પ્રત્યેક ગઝલમાં પાંચ શેર હોય છે, ન વધુ, ન ઓછો. ગઝલ સ્વરૂપ માટે લઘુતમ પાંચ શેર જોઈએ એમ સ્વીકારાયું છે, આ કવિને તે સંખ્યા અતિક્રમવાની આવશ્યકતા જણાઈ નથી. તેમણે એકેય ગઝલને શીર્ષક આપ્યું નથી.

આજની અધિકાંશ, કદાચ નેવુ ટકા ગઝલો, ‘વિશ્રુંખલ’હોય છે. આવી ગઝલના શેરોમાં એકમેકથી અલગ ભાવ સંભવી શકે, જેને વિવેચકોએ ગઝલસ્વરૂપની મર્યાદા ગણી છે. એક આત્યંતિક ઉદાહરણ લઈએ. જો ગઝલમાં પાંચ શેર હોય, પહેલામાં શૃંગાર, બીજામાં ભયાનક, ત્રીજામાં બિભત્સ, ચોથામાં હાસ્ય અને પાંચમામાં કરુણ રસ નિષ્પન્ન થતો હોય, તો કાવ્યનો પિંડ કેમ બંધાય? હેમંત ધોરડાએ ('કવિએ') આવી વિશૃંખલ ગઝલો નથી રચી; એક ભાવની,એકાકાર (મુસલસલ) ગઝલો જ રચી છે, જેમાં પાંચેય શેરના ભાવ- વિભાવ એકમેકની પુષ્ટિ કરતા હોય. આ કવિ શક્ય તેટલી નાની રદીફ સાથે ગઝલ કહેવી પસંદ કરે છે, અવનવી રદીફનો કે ચિત્રવિચિત્ર કાફિયાનો મોહ રાખતા નથી. તેઓ નથી ઇચ્છતા કે શેર કાફિયાનુસારી થઈ જાય કે રદીફ નિભાવવા ભળતી જ દિશામાં ફંટાઈ જાય. સમાન અંત્ય સ્વર ધરાવતા કાફિયા ‘સ્વરાંત કાફિયા’ કહેવાય છે. જેમ કે ‘દિશા, ખુદા, દશા,જગા’ આકારાંત કાફિયા છે અને ‘લખી, સુધી, જઈ, કહી’ ઈકારાંત કાફિયા છે. સ્વરાંત કાફિયા સ્વીકારનાર શાયરને મોકળું મેદાન મળી જાય; અનેકાનેક કાફિયા ઉપલબ્ધ હોવાથી કૃત્રિમ કહેણી નિવારી શકાય. આ કવિએ સ્વરાંત કાફિયા સાથે ઘણી ગઝલો કહી છે. ઉદાહરણઃ

ઊઘડતા હોઠનાં સ્પંદનમાં વિસ્તરી જાઉં
તને ચૂમું તો હું વાતાવરણ બની જાઉં

જે ગઝલમાં ભિન્ન રદીફ ન હોય, એક જ શબ્દ કાફિયાની તેમ જ રદીફની ભૂમિકા નિભાવતો હોય, તેવી ગઝલને હમકાફિયા-હમરદીફ (અથવા ગૈરમુરદ્દફ) કહે છે. આવી ઘણી ગઝલો આ કવિએ રચી છે, પરિણામે તેઓ રદીફને સાર્થક કરવાના શબ્દવ્યાયામથી બચી શક્યા છે. ઉદાહરણઃ

ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ તણખલાંઓ ચાવીએ

એ સ્વીકારવું રહ્યું કે લાંબી રદીફ (જેમ કે 'વરસોનાં વરસ લાગે' કે 'ઘણી તકલીફ પહોંચી છે') જ્યારે સફળતાપૂર્વક નિભાવવામાં આવે ત્યારે ભાવકને સાનંદાશ્ચર્યનો અનુભવ થતો હોય છે. શાસ્ત્રીય સંગીતમાં ગવૈયો તાનપલટા-મુરકી પછી સર્વ વાજિંત્રોની સાથોસાથ 'સમ પર આવતાં’ શ્રોતાજનોની અપેક્ષા સંતોષાય, તેની સાથે ‘લાંબી રદીફ નિભાવ્યાના’ અનુભવને સરખાવી શકાય. આ કવિ લાંબી રદીફના અઘરા આનંદથી સ્વેચ્છાએ અળગા રહ્યા છે.

હેમંત ધોરડા કવિતા માટે સર્વમાન્ય ગણાયેલાં પરિચિત કલ્પનોથી ગઝલો રચે છેઃ તડકો, ધુમ્મસ,મૃગજળ, પડઘો, આકાશ,ફૂલ, મેઘધનુ, પતંગિયું, ટેરવું, રણ, નજર, પાંપણ, સ્વપ્ન, ચાંદની... એમાંય અમુક તેમને વિશેષ પ્રિય છેઃ આ પુસ્તકમાં સમાવિષ્ટ ગઝલોમાં 'સ્પર્શ' પાંચેક વાર, 'તિમિર' (અંધકાર) સાતેક વાર તો 'ઓસ' (ઝાકળ) આઠેક વાર દેખા દે છે. 'ગરગડી,' 'પોસ્ટર,' 'ફેરિયો' જેવાં નવતર કલ્પનો અપવાદરૂપે મળી આવે ત્યારે ઠંડો કળશિયો આંખે અડક્યાનું સુખ મળે છે.

એની ગલીમાં એ ન હો ત્યારે તો જોઈ લે
મેલી થયેલી ભીંત ને ફાટેલાં પોસ્ટરો

એની ગલીમાં કોને મળ્યું શું કે કંઈ મળે
બોણી કર્યા વિના જ ગયો પાછો ફેરિયો

અમે જાતના ગરગડી તમે હાથ આજનમ છો
બહુ પાસ પાસ આવી તમે પાછું પાછા વળતા

આપણો ભાવક સોનેટમાં કે વૃત્તકાવ્યોમાં વિશદ ભાષા વાંચવાને ટેવાયેલો છે, પણ ગઝલમાં બોલચાલની ભાષાની અપેક્ષા રાખે છે. આ કવિની ગઝલોમાં બોલચાલની ભાષા મળતી નથી. તેમણે પોતાની કેફિયતમાં જ લખ્યું છે કે તેમને બોલચાલના શબ્દોનો નહિ, પણ બોલચાલની લઢણનો વિનિયોગ ઇષ્ટ લાગે છે. ('તાણાવાણા-૨'). અટપટી કે કૃતક શૈલીથી ક્યારેક ભાવક ગઝલથી મુખોમુખ થતાં રહી જાય, એવું પણ બને. ગઝલની મુખ્ય ધારામાં પ્રાયઃ જોવા મળતા સહજોદ્ ગાર આ કવિની ગઝલોમાં અપવાદરૂપે જ દેખા દે છે, જેમ કે અહીં:

મારી દુનિયામાં એ જ હોય નહીં
મારી આંખોમાં જે નિવાસ કરે

એની સાથે નાચી ઊઠવું આમે પણ બહુ ભાવે
એ પણ જ્યારે આવે ત્યારે ઠુમ્મક ઠુમ્મક આવે

શ્વાસમાં શ્વાસ વણી જીવવા જેવી ઘડી છે
મરવા માટે તો પછી જિંદગી આખ્ખી પડી છે

ગઝલ એટલે પ્રિયા સાથેની વાતચીત, એવી પરંપરાગત વ્યાખ્યા છે. આ કવિની લગભગ બધી ગઝલો પ્રણયરંગી છે. તગઝ્ઝુલ (પ્રણય) અને તસવ્વુફ (અધ્યાત્મ) ની સંજ્ઞામાં વાત કરીએ તો અહીં લગભગ બધે તગઝ્ઝુલ જોવા મળે છે. ઉર્દૂ ગઝલના આધુનિક કાળમાં ‘જદીદ’ ગઝલ રચાવા માંડી, પ્રણયની નહિ પણ સામાજિક-રાજકીય પ્રશ્નોની વાતો થવા માંડી; તેવું અહીં અપવાદરૂપે જ જોવા મળે છે. આ કવિએ પ્રણયગોષ્ઠીના ભિન્ન ભિન્ન અનુભાવ ઝીલતી ગઝલો રચી છે. જેમ કે ‘માત્ર ઝાંખી’ (મા.ઝાં.)ની એક ગઝલમાં ગઝલપ્રિયાને ઠપકો અપાય છે: (આ ગઝલ ઘણા ગઝલકારોને માટે કષ્ટસાધ્ય ‘કામિલ’ છંદમાં રચાઈ છે.)

ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો
એ ઊંચા ભવાંથી ઊંચા રહ્યાં મને એક બાજુએ નાખિયો

એ ફગાવતે તો ફૂટી શકત હું તિરાડથી તો છૂટી શકત
ન તો ના કહી ન તો હા કહી ન જવા દીધો ન મનાવિયો

ગઝલપુરુષના જીવનમાં અભાવ, વિરહને વ્યક્ત કરતી 'અણસાર કેવળ' (અ.કે.)ની આ ગઝલઃ

કેટલું ખૂટે કેવું ખૂટે કોને શું સમજાવું
મારા આખા પુસ્તકમાંથી એક ફાટેલું પાનું

બાકી સઘળા સોનલવરણા દિવસો જેવી રંગત
કાલે આછું એક ધાબું ત્યાં આજે પણ એક ધાબું

ગઝલપ્રિયાનો ઉલ્લેખ માત્ર સર્વનામ વડે કરવાનો રિવાજ નિભાવતા આ કવિ અ.કે.ની અન્ય ગઝલમાં પોતાના સંતાપ માટે જવાબદાર કોણ, એમ પૂછે, ત્યારે ઉત્તર તો પ્રશ્નમાં જ સમાયેલો છેઃ

ક્યારી કાળી માટીની ક્યાં આઘે હતી
કોણે અહીંયાં ખારપાટે વાવ્યો મને

બસ સુગંધી શ્વાસ થોડા લેવા હતા
આમ કોણે દૂર થઈ ગુંગળાવ્યો મને

અ.કે.ની અન્ય એક ગઝલમાં ગઝલપ્રિયા તરફ આંગળી ચીંધ્યા વિના કવિ પ્રતિભાવ ન મળ્યાની, વૈફલ્ય અનુભવ્યાની વાત કરે છેઃ

બિમ્બ પણ મારું ન ઝિલાયું કોઈની આંખમાં
ચાંદ પણ મારો ઊગ્યો સુકાયલા કૂવા વિષે

હું નહીં તો અંધકારે આરસીનું મૌન છું
મારી ગઝલો કોઈની આંખોમાં ઝિલાવા વિષે

આ સંચયમાં સમાવિષ્ટ ગઝલોમાંથી બારેક, ગઝલપ્રિયાને સંબોધીને લખાઈ છે. ઉદાહરણ તરીકેઃ

નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને ('અણસાર')

ન ઝુકાવી નજર તો ઉઠાવી નયન
ન લિયો મને આમ તો આમ લિયો (અ.કે.)

કદી હોઠ પર રમાડજો કદી આંખમાં ય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો (મા.ઝાં.)

આ સંચયની પાંચ ગઝલોનું વિષયવસ્તુ ગઝલપ્રિયા સ્વયમ્ છે. ઉદાહરણ રૂપેઃ

મારી આંખોમાં ઉદાસી બધી એણે આંજી
મારા સપનામાં મને જે સદા હસતો રાખે (અ.કે.)

જોકે એની ભાષા ફોરમ એની બોલી રંગો
મારી સાથે બોલે ત્યારે એ ગુજરાતી બોલે (મા.ઝાં.)

આ સંચયમાંની આઠ ગઝલો (અ.કે.ની ત્રણ અને મા.ઝાં.ની પાંચ)માં ગઝલપુરુષ અને ગઝલપ્રિયાને પરસ્પર વિરોધાવાયાં છે. આને કવિની લઢણ કહી શકાય. આ કવિ બહુધા ગઝલપ્રિયાને પ્રણયપ્રસ્તાવ ન સ્વીકારનાર સ્વામિની તરીકે અને ગઝલપુરુષને પરાવલંબી (પ્રિયા-અવલંબી) તરીકે દર્શાવે છે, જેમ કે

મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે
એ જો ચાહે તો એ જળ વચ્ચેથી પણ રસ્તો કરે (મા.ઝાં.)

કદીક અવગણે ક્યારેક બહુ વહાલ કરે
એ જેમ ચાહે મને એમ માલામાલ કરે (મા.ઝાં.)

એની મરજી હો તો સરીએ પાન પરથી ઓસ જેમ
સરતાં સરતાં એને જોવા પળ બે પળ રોકાઈએ (અ.કે.)

મૃત્યુના સંકેત સાથેની ચારેક ઉત્કૃષ્ટ ગઝલો અહીં મળે છે. એક ગઝલમાં મૃત્યુ પછી મિલનની આશા વ્યક્ત કરાઈ છે.

આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો
ન મળ્યા ઉઘાડી આંખે હવે બંધ આંખે મળજો (અ.કે.)

અન્ય ગઝલમાં મૃત્યુને જ પ્રેયસી કલ્પી છેઃ

મારી ભીનપ એના કિરણોથી વધાવી લઈ જશે
ભરબપોરે સાત રંગોમાં સજાવી લઈ જશે. (અ.કે.)

રતિ આ કવિનો સ્થાયી ભાવ છે. સંભોગ શૃંગારનું નહિ પરંતુ વિપ્રલંભ (વિયોગ) શૃંગારનું આલેખન તેમણે સવિશેષ કર્યું છે.

આ કવિની અગ્રંથસ્થ ગઝલોમાં પડકારનો ભાવ ધરાવતી ગઝલો યે મળે છે, જે આ ભાવને અનુરૂપ લાંબી બહેરમાં રચાઈ છે. ગઝલપુરુષ-ગઝલપ્રિયાના 'હું-તું'ને સ્થાને અહીં શોષક-શોષિતનાં 'તમે-અમે' સર્વનામ પ્રયોજાયાં છેઃ

અમે શું રેતનો ઢગલો છીએ કે લાત મારો તો તરત વિખરાઈ જાશું
અમે પાણો છીએ એક લાત મારી તો જુઓ તમને અમે સમજાઈ જાશું

સર્વ ગઝલોનું પોત કોમળ વર્ણો, પ્રણાલિગત કાવ્યોચિત કલ્પનો અને સૂક્ષ્મ સંકેતોથી બંધાયું છે. શેરમાં ‘ચોટ’ તો હોવી જ જોઈએ એવી સામાન્ય ભાવકની માન્યતા આ કવિ સ્વીકારતા નથી. ઢોલ-મૃદંગ-સારંગી-શરણાઈનાં વાદ્યવૃંદોની વચ્ચે આ કવિ સતત જળતરંગનું વાદન કર્યે જાય છે. જળતરંગનું મૃદુ, મીઠું વાદન સૌને ગમે; પરંતુ અમુક જ માત્રામાં. અ.કે.ની એક ગઝલ જાણે કવિની કેફિયત છે:

અમે અમારી હવાની જ બોલીએ ભાષા
અમારા શ્વાસ ભરો તો ઘણું ઘણું કહીએ

અમે તમારા શબદલોકમાં રહ્યા ન રહ્યા
અમે તો બોલીએ આછું ને પાતળું કહીએ

ગુજરાતી ગઝલકારોમાં સૌથી વધારે છંદોનો વિનિયોગ હેમંત ધોરડાએ કર્યો છે. આથી એમની ગઝલોને બાહ્યાકારનું નાવીન્ય પ્રાપ્ત થાય છે. ‘તાણાવાણા-૨’ પુસ્તકમાં તેઓ લખે છે, ‘… વિધવિધ ગણોની ઉપસ્થિતિ દ્વારા ગઝલના અસંખ્ય, વિચિત્ર કહેવાય તેવા, છંદ નિપજાવી શકાય… આવા છંદ ગેય તો નથી જ, પઠનક્ષમ પણ નથી.’ આ કવિએ નિપજાવેલા છંદોનાં કેટલાંક ઉદાહરણ જોઈએ:

છંદવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગા ગાલગા લગાલગા
હો હવા પર જાણે એનો કાબૂ નાખે એ એમ છાવણી (મા.ઝાં.)

છંદવિધાન: લગાગાગા લગાગા લગાલગા ગાગાલગા
કદી તારા તટે કંઈ મને સૂઝે ના સાંભરે (મા.ઝાં.)

છંદવિધાનઃ લગાગાગા ગાલગા લગાગાગા ગાલગા
હવા ચુપ ગુપચુપ પરણ નીરવ ઝાડીઝાંખરી (મા.ઝાં.)

આવા છંદો વાંચીને ભાવકને કદાચ પ્રશ્ન થાય કે પઠનક્ષમ પણ ન હોય તેવું પદ્ય રચવાનું પ્રયોજન શું?

આ કવિ આત્મમંડનથી દૂર રહ્યા છે. આવા શાયરને ઉર્દૂમાં ગોશાનશીન કહે છે. આ કવિની અમુક ગઝલો તો ગુજરાતીની સર્વકાલીન ઉત્તમ ગઝલોમાં સ્થાન પામે તેવી છે.

‘પુરવીદાણા’ (શબ્દાર્થ: મોટી એલચી) આ કવિનો રુબાઈસંગ્રહ છે. રુબાઈ અને મુક્તક વચ્ચે છંદનો તફાવત છે. રુબાઈના ચોવીસ છંદ નિશ્ચિત થયેલા છે, જ્યારે મુક્તક તો ગઝલ માટે પ્રયોજાતા કોઈ પણ છંદમાં લખી શકાય. રુબાઈની ચાર પંક્તિમાં ચાર અલગ અલગ છંદ હોઈ શકે. મુક્તકમાં આવું ન થાય. પરંપરાનુસાર રુબાઈની પહેલી, બીજી અને ચોથી પંક્તિમાં કાફિયા-રદીફ હોવા જોઈએ, જ્યારે મુક્તકની બીજી અને ચોથી પંક્તિમાં. (આ કવિએ ‘તાણાવાણા-૨’ પુસ્તકમાં રુબાઈનું રસપ્રદ વિશ્લેષણ કર્યું છે.) મરીઝ, આદિલ મન્સૂરી, જવાહર બક્ષી જેવા ગણ્યાગાંઠ્યા શાયરોએ જ રુબાઈ લખી છે. શૂન્ય પાલનપુરીએ ઉમર ખય્યામની રુબાઈઓનો અનુવાદ તો કર્યો છે, પણ રુબાઈના છંદોમાં નહિ. ચિનુ મોદીના રુબાઈ-મુક્તક સંગ્રહમાં એક પણ રુબાઈ નથી! રતિલાલ અનિલ લખે છે કે તેમણે રુબાઈના છંદો સમજવા ઘણી ગડમથલ કરી પણ તે અભેદ્ય લાગ્યા. રુબાઈના અધિકાંશ છંદો ક્લિષ્ટ હોવાથી તેમાં ઝાઝું

સર્જન ન થાય તે સ્વાભાવિક છે. ‘પુરવીદાણા’માં મુખ્યત્વે પ્રણયરંગી રચનાઓ છે, જે કાવ્યસાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરે છે એવું નહિ કહી શકાય.

આ કવિની મુખ્ય ઓળખ ગઝલકાર તરીકેની છે. પરંતુ તેમનાં ગઝલેતર કાવ્યો પણ ધ્યાનાર્હ છે. તેમણે અછાંદસ કાવ્યો રચ્યાં છે, ક્યાંક વળી વનવેલી અને કટાવ જેવા લવચીક છંદ સ્વીકાર્યા છે. ‘મોરાની’ ચંપુકાવ્ય છે, જેના અમુક ખંડ ગદ્યમાં ને અમુક પદ્યમાં રચાયા છે. મસાઈ જાતિનો કિશોર, સિંહનો શિકાર કરે પછી જ યોધ્ધા તરીકે સ્વીકારાય એવા અસામાન્ય વિષયને લઈને કવિએ કાવ્ય સરજ્યું છે. મસાઈ કિશોર તર્કનો આશરો લઈને મા-બાપ સામે દલીલ કરે તે ખંડ ગદ્યમાં અને સિંહબાળ સાથેની ધિંગામસ્તી ભાવુક થઈને સંભારે તે ખંડ વનવેલી છંદમાં તેમણે રચ્યા છે. ‘સ્મરણાં’ કાવ્યમાં કવિ ખિસકોલીનું નામ લીધા વગર તેને દ્રષ્ટિગોચર કરી બતાડે છે: ‘દોડેદોડી અટકેઅટકી/ દોડી દોડી આવે/આવે ચટાપટાળાં સ્મરણાં/હમણાં/ થડ પર થડથી ડાળે/ ડાળી પરથી પાછી પુષ્ટ સુંવાળી પુચ્છ ઉઠાવી/… બોર ધરીને બે પગ વચ્ચે/ટોચે/ ચાવે પાન પડેલાં…’

આ કવિ અભિધામાં વાત ન કરતાં, અરૂઢ અને અવનવાં પ્રતીકોથી કાવ્ય રચે છે. ‘રફૂકાર’ એક સમર્પિત કલાકારનું (કદાચ આ કવિનું પોતાનું) પ્રતીક છે. તે કાવ્યની અમુક પંક્તિઓ તારવીને મૂકું છું:

એની કળા, દેખાય નહીં, એટલી શોભે
…જાણે વિધિવત્ વણાટ હોય એમ
…એવી એવી એની મથામણી એવી એવી એની ગૂંથામણી
…લોક તો સીવે,સીવી લે, સિવડાવી લે
થીંગડાં મારે,થીંગડથાગડ કરી મૂકે
લોક તો… જાણતાંય ન હોય
… રફૂકારી જેવું પણ કશું હોય, હોય છે, છે
લોક તો સીવણકાર, સીવે, સીવી લે, સિવડાવી લે

પ્રકૃતિતત્ત્વોને પંચેન્દ્રિયથી પારખતા અને માણતા માણસનું પ્રતીક છે ‘પગી.’ તે પગેરું ચાંપતો નીકળ્યો છે, પીળી પડેલી ચાંદનીને ઊંચી કરે છે, ઝીણી આંખે દાબી જુએ છે, રૂંવે રૂંવે ઠંડી હવાને તાવે છે, ઉઝરડા ક્યાં પડ્યા છે, તડકાને ટચલી આંગળીના ટેરવે હળવે હલાવે છે, જાય છે આગળ ને આગળ. ‘ધરમા ભોપાલી’ ‘કોમન મેન’નું તો ‘જીદ’ કાવ્યમાં ‘ચાંદ’ પૂર્ણતાનું પ્રતીક છે. ‘લીટી’ જીવનકાર્યનું કે કવિકર્મનું પ્રતીક હોઈ શકે. ‘એને તો બસ સરખી એક લીટી દોરવી હતી.’ કાવ્યનાયકને કેવી લીટી દોરવી હતી? તેણે નહોતાં દોરવાં વિષુવવૃત્ત-અક્ષાંશ-રેખાંશ (ભૂગોળના વ્યવહારજ્ઞાનનો નકાર), નહોતી દોરવી લક્ષ્મણરેખા, સુ કે કુ દર્શન કરાવતાં ચક્રની ધાર (પુરાકથાનો નકાર), નહોતું દોરવું મોનાનું લીસ્સું સ્મિત (સ્થાપિત કલામૂલ્યોનો નકાર),કે નહોતી દોરવી કરિયાણાવાળાની વહીમાં આણપાણ (વેપારનો નકાર). કાવ્યનાયકે સુષ્ટુ સુષ્ટુ પ્રકૃતિચિત્રોને પણ નકાર્યાંઃ ન દોરી તે ન જ દોરી, ઝરણની વહન-લીટી, સુમનની સુગંધ-લીટી, ડાળથી ડાળની લીટી કલશોરભરી, વાદળો વચ્ચે ઝબૂકતી લીટી. અંતિમ પંક્તિ છે, ‘એને તો બસ સરખી એક લીટી દોરવી છે.’ પ્રથમ પંક્તિમાંનો એક જ શબ્દ બદલીને, ‘હતી’ને સ્થાને ‘છે’ મૂકીને, કવિ સૂચવે છે કે તેમની ‘સરખી લીટી’ દોરવાની મીઠી મથામણ હજી ચાલુ જ છે. ‘પ્રજ્ઞા નવનવોન્મેષશાલિની’ આને જ કહેતાં હશે.

-ઉદયન ઠક્કર