સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસરૂપની અનંતતા અને વિશિષ્ટતા

From Ekatra Wiki
Revision as of 13:22, 5 July 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

રસરૂપની અનંતતા અને વિશિષ્ટતા

આપણું રસવિવેચન ઘણી વાર કૃતિના રસને ઓળખાવી આપવામાં, એનું નામ પાડી આપવામાં સમાઈ જાય છે. પણ કાવ્યશાસ્ત્રે આપણા હાથમાં પકડાવેલાં આઠ કે નવ રસનાં નામો એ તો રસની જાડી-મોટી ઓળખ છે. એ રસોના પણ ભેદો વર્ણવાયા છે (જુઓ ભરત, નાટ્યશાસ્ત્ર, ૬.૫૨થી ૫૭) એટલું જ નહીં કોઈ પણ રસ અનંત રૂપે પ્રગટી શકે છે એમ કહેવાયું છે. મમ્મટનો મત આપણે આગળ નોંધ્યો છે કે એક શૃંગાર રસ પણ એના વિભાવાદિ, દેશકાળ વગેરેની વિશિષ્ટતાને કારણે અનંત પ્રકારનો સંભવી શકે છે, તેવું જ અન્ય રસોનું પણ છે. (૪-૪૨-૫૭) દરેક કાવ્યકૃતિ એક આગવી રસછટા લઈને આવે છે – બે શૃંગાર રસની કૃતિઓનો આપણો અનુભવ પણ એકસમાન નથી હોતો. કાવ્યકૃતિની વિશિષ્ટતા એના રસરૂપની વિશિષ્ટતામાં છે અને વિશિષ્ટતા તો કાવ્યનો પ્રાણ છે. આ રસવૈશિષ્ટ્યને ઓળખાવી આપવામાં ખરું રસવિવેચન રહેલું છે, કવિકર્મનો ખરો પ્રકાશ પણ એથી જ થાય છે. કાન્તનાં ખંડકાવ્યોનો વિચાર કરો. એને આપણે કરુણરસનાં કાવ્યો તરીકે ઓળખાવીએ છીએ પણ એનો કરુણ રસ અન્ય ઘણાંબધાં કાવ્યોના કરુણ રસ જેવો છે ખરો? કાન્તનાં ખંડકાવ્યોમાં દામ્પત્યના અનુભવમાં વિઘ્ન ઊભું થાય છે એથી કરુણ જન્મે છે. એ વિઘ્ન નિવારી શકાય એવું નથી કેમ કે એ નિયતિનું અફર નિર્માણ છે. માટે તો કરુણ છે, વિપ્રલંભશૃંગાર નથી. માટે તો આ કરુણ રસ કોઈ સામાન્ય કરુણ રસ રહેતો નથી, પાશ્ચાત્ય ટ્રેજેડીમાં જોવા મળે છે તેવો અપરિહાર્ય કરુણ રસ પ્રતીત થાય છે. પણ શું કાન્તનાં બધાં ખંડકાવ્યોનો કરુણરસ એકસરખો છે? ‘વસંતવિજય’ અને ‘ચક્રવાકમિથુન’નો જ વિચાર કરો. એકમાં માનવયુગલ છે, બીજામાં પંખીયુગલ છે તેથી આપણા રસાનુભવમાં કશો ફરક પડતો નથી શું? ‘વસંતવિજય’નો પાંડુ એક ધીટ પ્રાજ્ઞ પ્રૌઢ પુરુષ છે ત્યારે ચક્રવાકયુગલ એક કિશોર, રસજ્ઞ, અબુધ પંખીયુગલ છે. પાંડુને પોતાના જ દુષ્કર્મના કારણે આવી પડેલા ઋષિના શાપનું પરિણામ ભોગવવાનું આવ્યું છે ત્યારે ચક્રવાકયુગલને એમના કોઈ દોષ વિના કેવળ વિધિનિર્માણને કારણે વિયોગ સહન કરવાનો છે. [1]પાંડુના ચિત્તમાં વાનપ્રસ્થધર્મ અને પ્રણયના આવેગ વચ્ચેનો સંઘર્ષ વ્યાપેલો રહે છે ત્યારે પંખીયુગલ સ્નેહના સાગરમાં જાણે તરતું હોય છે. ‘વસંતવિજય’ પાંડુની મનઃસ્થિતિને સૂચવતી વ્યવહાર – વર્તનની બારીક વિગતોની સીધી રજૂઆત કરે છે, ‘ચક્રવાકમિથુન’માં કાવ્યમય વર્ણનોનો આશ્રય લેવાયેલો છે. આ બધાંના કારણે ‘વસંતવિજય’ના કરુણને બુદ્ધિનિષ્ઠતા અને કઠોરતાનો પાસ લાગેલો છે, જ્યારે ‘ચક્રવાકમિથુન’ના કરુણમાં નિર્દોષતા, માર્દવ ને મધુરતાની છાયા ભળેલી છે. “વસંતવિજય’માં જાણે કોઈ તોતિંગ વૃક્ષ પવનના ઝપાટા સામે તૂટી પડતું હોય એવો ભાવ આપણે અનુભવીએ છીએ, જ્યારે ‘ચક્રવાકમિથુન’માં મઘમઘતી કોઈ પુષ્પકળીને છૂંદી નાખવામાં આવતી હોય એવો ભાવ આપણે અનુભવીએ છીએ. નાયકનો પ્રકૃતિભેદ, કરુણનિષ્પાદક પરિસ્થિતિનો ભેદ, આનુષંગિક મનોભાવનો ભેદ, નિરૂપણરીતિનો ભેદ વગેરે સઘળું રસને આમ વિશિષ્ટતા અર્પે છે. અતુલચન્દ્ર ગુપ્તે આપેલું મહાભારતના સભાપર્વમાં દ્રૌપદીના વર્ણનનું દૃષ્ટાંત યાદ કરીએ. ત્યાં મુખ્ય રસ રૌદ્ર છે, પણ અતુલચન્દ્ર ગુપ્ત કહે છે કે “રૌદ્ર રસ જ આ કાવ્યનો એક માત્ર રસ હોત તો એના કાવ્યનો શતાંશ પણ રહેત નહીં. કેટલાક સંચારીએ એના રૌદ્ર રસને અદ્ભુત સરસતા અને ઉત્કર્ષ અર્પ્યા છે. નવ રસમાંના બે પ્રધાન રસ વીર અને કરુણે અને કેટલાક વ્યભિચારી – વિષાદ, ગર્વ, દૈન્યે એ રૌદ્રના રક્તરાગને અપૂર્વ વર્ણચ્છટાથી પ્રકાશિત કર્યો છે. તેજસ્વિની દ્રૌપદીની શોકમય, આંખમાં આંસુભરી, વિષાદમય મૂર્તિથી કાવ્યનો આરંભ થાય છે. ત્યાર પછી દ્રૌપદીનો પિતૃકુલ, પતિકુલ અને મિત્ર – સૌભાગ્યનો જે ગર્વ તેણે શોકના કરુણ રસને જ ગંભીર બનાવ્યો છે. અને શોકના અંતરમાં રહેલા ક્રોધે તેના રૌદ્રની રક્તિમ દ્યુતિ વડે કરુણ રસના અશ્રુજળમાં રક્તનું ઇન્દ્રધનુ રચ્યું છે. પરંતુ ફરી ક્ષણમાં રૌદ્રનો ઉદ્ધત રાગ દીનતાની પાંડુ છાયામાં લય પામે છે.” (કાવ્યજિજ્ઞાસા, પૃ.૪૬) આ પછી અતુલચન્દ્ર ગુપ્ત જે ઉમેરે છે એ ખાસ નોંધપાત્ર છે : “આ કાવ્યના રસનું વિવરણ હજી પૂરું થયું નથી, કારણ એના વીર, રૌદ્ર, કરુણ બધા જ રસની પાછળ એક રસની મૂર્તિ ડોકિયાં કરે છે. આ કાવ્યનો ક્રોધ, વીરત્વ, શોક એ બધાં તેજસ્વિની સુંદર સ્ત્રીનાં ક્રોધ, વીર્ય અને શોક છે. મધુર અથવા શૃંગાર રસના વિભાવ સુંદર સ્ત્રીના સંસ્પર્શે એના રૌદ્ર, વીર અને કરુણ બધા જ રસોની ઉપર એક પ્રકારના માધુર્યનો પ્રકાશ ફેલાવ્યો છે.” (કાવ્યજિજ્ઞાસા, પૃ.૪૭-૪૮)


  1. ૨૨. એક મિત્ર ધ્યાન દોરે છે કે રામાયણ મુજબ વિરહવ્યથિત રામની મશ્કરી કરવા બદલ ચક્રવાકને રામનો શાપ લાગેલો. પણ કાન્તના કાવ્યમાં આ હકીકતનું સૂચન સરખુંયે નથી એ સ્પષ્ટ છે.