અર્વાચીન કવિતા/ખંડક ૨: અન્ય કવિઓ

From Ekatra Wiki
Revision as of 16:48, 9 July 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
ખંડક ૨ : અન્ય કવિઓ


૧. દલપતરીતિના કવિતાલેખકો
૨. નર્મદરીતિના કવિતાલેખકો
૩. પ્રાસંગિક કૃતિઓ
૪. પારસી બોલીના કવિઓ

આ સ્તબકમાં કવિ તરીકેનું સૌથી વિશેષ પ્રભાવક વ્યક્તિત્વ દલપતરામનું છે. અને આ સ્તબકની પ્રધાન શૈલી એ પણ દલપતશૈલી જ છે. કળાદૃષ્ટિમાં દલપતરામને ચડી જાય તથા અમુક અંશોમાં દલપતરામને પણ ટપી જાય તેવી કલાકૃતિઓ લખનાર કવિઓ આ સ્તબકમાં છે, તેમજ દલપતશૈલીથી તદ્દન ઊલટાં લક્ષણોવાળી પ્રૌઢ, ગાઢ, ઊંચી સાહિત્યિક શૈલીઓ પણ આ સ્તબકમાં છે, તથાપિ એ બધાના પાયામાં દલપતની શૈલી જ રહેલી છે. દલપતશૈલીથી ભિન્ન શૈલીનાં જે લક્ષણો છે તે દલપતશૈલીના વિશાળ પ્રસ્તાર ઉપર જ ફૂટેલાં નવાંનવાં શિખરો જેવાં છે. નર્મદ, શિવલાલ, નવલરામ, ગણપતરામ, વલ્લભદાસ વગેરેની શૈલીઓ પોતપોતાના લાક્ષણિક અંશો છતાં પોતાનાં આગળ ઉદાહાર્ય રૂપે તો દલપતશૈલીને જ રાખે છે. એ શૈલીમાં મૌલિક સર્જનબળવાળાઓએ નવાં ઓજસ પ્રગટાવ્યાં અને કવિતાને વિકસાવી. પરંતુ જેમનામાં એવી કશી અસાધારણ શક્તિ ન હતી તેવા લેખકો એ જ પ્રાકૃત પદાવલિમાં, એ જ સરળ, ફિસ્સી, બોધાત્મક લઢણોમાં થોકબંધ લખ્યે ગયા છે, એટલું જ નહિ, જ્યારે કવિતામાં નવી શૈલીઓ નવી વિચારદૃષ્ટિઓ પ્રગટવા લાગી ત્યારે પણ દલપતશૈલીની પ્રાકૃતતામાં પડી રહેનાર લેખકો ઠેઠ ૧૯૩૫ લગી જોવા મળે છે. આ અનુગતિકોની બૃહત્સંખ્યામાં દલપતશૈલીનો વિજય કે તેની નિરવધિ ગુણાતિશયતા કરતાં એની પ્રાકૃતતા અને પ્રાકૃતગમ્યતા વિશેષ કારણરૂપ છે. કોઈ પણ એક શૈલીનું જડ અનુસરણ દીર્ઘ કાળ લગી અનેકને હાથે થતું રહે એમાં કળાનો વિજય નથી, નવનવોન્મેષશાલિની પ્રતિભાનો વિજય નથી, પણ અમૌલિક દીનદરિદ્ર કાવ્યલેખનની વૃત્તિનું, જથ્થામાં તે ભલે ઘણું હોય છતાં, નિઃસત્ત્વ એવું વંધ્ય સ્ફુરણ માત્ર છે. તેમ છતાં દલપતરામની કે નર્મદના જેટલી પણ ગુણસંપત્તિ તેમના જે જે અનુગતિકોની જે જે અનુકૃતિઓમાં જોવા મળે તેની નોંધ ઇતિહાસે કરવી જોઈએ. એ દૃષ્ટિએ હવે આપણે અનુગતિક લેખકોનું કાર્ય જોઈએ.