અર્વાચીન કવિતા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી

From Ekatra Wiki
Revision as of 02:09, 11 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘ક્લાન્ત કવિ’ – બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા [૧૮૫૮ – ૧૮૯૮]

ક્લાન્ત કવિ (૧૮૮૫), સૌંદર્યલહરી (૧૮૮૬), હરિપ્રેમપંચદશી (૧૯૦૭), આ ત્રણે તથા બીજી કૃતિઓનું ઉમાશંકર જોશી દ્વારા એકત્ર સંપાદન ‘ક્લાન્ત કવિ’ નામે (૧૯૪૨).

બાલાશંકરનો પચરંગી કાવ્યકલાપ

પ્રાચીનો અને અર્વાચીનોની વચ્ચે સેતુ તરીકેનું જે સ્થાન દલપતરામનું છે તેવું જ સ્થાન અર્વાચીન કવિતાના પહેલા અને બીજા સ્તબકની વચ્ચે બાલાશંકરનું છે. ‘ગુરુદેવ “દલપતરામ”નો પદરજસેવક “બાલ” ’ દલપતરામ પાસેથી દલપતશૈલીની સંપૂર્ણ દીક્ષા મેળવે છે, દલપતરામથી પ્રચલિત બનેલી દલપતશૈલી અને તે વખતના આંતરપ્રાંતીય સાહિત્યની વ્રજભાષાની શૈલી બંનેમાં સિદ્ધહસ્ત બને છે, અને સાથેસાથે સંસ્કૃત, ફારસી અને અંગ્રેજી સાહિત્યના, તે કાળમાં પ્રશસ્ય કહેવાય તેવા અભ્યાસને લીધે, અને ખાસ તો પોતાની નૈસર્ગિક સર્જનશક્તિને બળે આ ત્રણે ભાષાની કવિતાની નવીન અને રંગીન, મોહક અને માતબર છટાઓ ગુજરાતી કવિતામાં સફળતાથી પ્રગટાવે છે. બાલાશંકરનું કાવ્યસર્જન પ્રમાણમાં બહુ વિપુલ નથી, પરંતુ તેમની કવિતાએ ધારણ કરેલો આવો પચરંગી કલાપ બીજા કોઈ કવિએ પ્રગટાવ્યો નથી. એ પાંચ રંગોમાંથી પ્રથમના બે રંગોની કૃતિઓ ઉપર એમના કવિયશનો મદાર નથી, છતાંય એ બંનેમાં, તેમાં યે વ્રજભાષાની રચનામાં વિશેષે કરીને, તેમની સર્જક-શક્તિની પ્રતીતિ તો અચૂક થાય છે જ. બાલાશંકરની પ્રતિભા ઉત્તમ રૂપે તેમનાં સંસ્કૃત અને ફારસી શૈલીનાં કાવ્યોમાં પ્રકટ થયેલી છે. અને એમની બધી કૃતિઓ ૧૯૪૨માં સંપાદિત થયા પછી એ પણ જોઈ શકાય છે કે નરસિંહરાવથી અંગ્રેજી ઊર્મિકાવ્યની ઢબે જે રચનાઓ થવા માંડી તેવી સુરેખ અને સ્વચ્છ રચનાઓ, બાલાશંકરને હાથે પણ થયેલી છે. આ રીતે આ કવિની પ્રતિભાએ ભૂત અને વર્તમાન બંને પ્રકારની કાવ્યશૈલીઓમાં પ્રગટીને ગુજરાતી કવિતાને દલપતશૈલીમાંથી નવી શૈલીમાં લઈ જવાનું સુભગ સંક્રાંતિકાર્ય કર્યું છે.

દલપતરીતિની રચનાઓ

બાલાશંકરની દલપતરીતિની રચનાઓ બહુ ઓછી છે. એ રીતિમાં જે છીછરાપણું છે તથા ઊર્મિની જે ઔપચારિકતા છે તે બાલાશંકરની ‘પ્રોષિતાપચીસી’, ‘શ્રી રિપનપંચદશી’ તથા ‘વિજયાપ્રશસ્તિ’માં પણ જોવા મળે છે. તોપણ આ કવિનું ‘મસ્તાન’ મગજ અહીં પણ સાવ ઝબક્યા વગર રહ્યું નથી. રિપનને તે ‘આશીષ અપાર’ આપે છે, પણ કઈ રીતે?

માગતો નથી હું માન મહીમંડલમાં ફરી,
જાચતો નથી હું કાંઈ કવિતા બનાવીને-
રાખતો નથી હું કાંઈ કવિતાનો ક્રય કરી,
ભાખતો નથી હું કીર્તિ કાવ્ય ઉર લાવીને;
લાખ કે કરોડ મળે આશીશ ન આપું ‘બાલ,’
નાગરનો ગરવ હું મનમાંહી લાવીને;
‘છત્રપતિ! તુજ છત્રછાય રહો છાઈ નિત.’
ભારતનો થયો કૃતારથ દરસાવીને.

દલપત ગુરુનો આ નાગર શિષ્ય જાણે ગુરુની ક્ષતિઓ યા કહો કે મર્યાદાઓનું અહીં પ્રાયશ્ચિત્ત કરી લે છે અને કવિતાને તેની સ્વતંત્ર પ્રતિષ્ઠા અપાવે છે.

વ્રજભાષાની રચનાઓ

ગુજરાતમાં વ્રજભાષામાં લખાયેલી ‘પ્રવીણસાગર’ જેવી એક મોટી કૃતિ ‘સાહિત્યસિંધુ’ નામે કાવ્યશાસ્ત્રનો ગ્રંથ સંપાદન કરવાનું કામ બાલાશંકરે ઉપાડેલું, અને તેમાં રસ તથા અલંકારોનાં દૃષ્ટાંત રૂપે તેમણે પોતે પણ સંખ્યામાં ઠીકઠીક કહેવાય તેટલાં કવિત વગેરે રચીને મૂકેલાં, તથા બીજા હિંદી કવિઓમાંથી પણ ઘણી વાનીઓ પસંદ કરીને મૂકેલી. એ રીતનું ગ્રંથસંપાદન કરવામાં તેમણે કેટલી શક્તિ ખર્ચી હતી તથા વ્રજભાષા પરત્વે તે વખતના જમાનામાં કેવી વૃત્તિ હતી તેના દૃષ્ટાંત રૂપે આ પુસ્તક અંગે તેમની જે નોંધ છે તે ખાસ વાંચવા જેવી છે. બાલાશંકરે આમાં પોતાની જે રચનાઓ દાખલ કરી છે તે જોતાં તેમણે પોતે જ સૂચવ્યા પ્રમાણે ‘મારી શૈલી અને શક્તિનો અનુભવ’ આપણને તેમાંથી થાય છે. દલપતરામની અને બાલાશંકરની આ ભાષાકવિતાને સરખાવતાં બંનેની સર્જકશક્તિ વચ્ચેનો ફેર પણ જણાઈ આવે છે. ગુજરાતી કરતાં વ્રજભાષામાં દલપતરામની સર્જકશક્તિ શુદ્ધ કાવ્ય રૂપે વિશેષ પ્રકટ થઈ છે; છતાં તેમનું કાવ્ય તે કાળની ભાષાકવિતામાં પ્રચલિત શબ્દાર્થચમત્કૃતિવાળા બાહ્ય કૌશલથી એકંદરે ઊંડું જતું નથી, પરંતુ બાલાશંકરની રચનાઓ કેશવ અને રસખાનના જેવી ઘેરી રસગર્ભતા, ઊર્મિની ઊંડાઈ તથા કલ્પનાની સર્જકતા ધરાવે છે. જેમકે,

આંખિ નહીં બરખા બદરા યહ આંસુ નહીં જગજીવનધારા,
ધાર ચલી યહ નાહીં કપોલ યહી વ્રજધારસોં ભીંજી સુધારા,
આંખોકિ મેખોનમેખ નહીં પેચહુ ચપલા ચહુકી હૈ અપારા,
આંસુસે ભીંજ ગયે પિય આખર નાથ હી મત્ત મયૂરન હારા.

સંસ્કૃત રંગની રચનાઓ

આ પછી બાલાશંકરની સર્જકશક્તિ જે ત્રણ નવીન રંગોમાં પ્રકટ થઈ તે ત્રણેમાં તેમણે સુરેખ અને સંપૂર્ણ કહેવાય તેવી વધુઓછી રચનાઓ આપી છે. એમની ફારસી રંગની ગઝલો અને બીજાં ગીતો ગુજરાતી ભાષામાં પ્રથમ વાર જ કેટલાક બેનમૂન રંગો લઈ આવે છે. છતાં તેમની સર્જકશક્તિની ઉત્તમ અને સભર અભિવ્યક્તિ તેમની નવીન પ્રસ્થાનવાળી કવિતાના આરંભકાળમાં સંસ્કૃત રંગમાં જ થયેલી છે. ૧૮૮૫માં લખાયેલું સો શિખરિણી શ્લોકનું કાવ્ય ‘ક્લાન્ત કવિ’ કવિની પોતાની કવિતાના તથા ગુજરાતી કવિતાના ઇતિહાસમાં એક કરતાં વધારે રીતે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બાલાશંકરની કાવ્યપ્રતિભા આટલા અવિચ્છિન્ન અને વિસ્તીર્ણ પટમાં આટલા ગલિત મનડે છતાં સ્વસ્થ રૂપે આ કૃતિમાં કવિની ખીલતી યુવાનીમાં જ જેટલી પ્રકટ થઈ ગઈ તેટલી પછીથી નથી થઈ. અર્વાચીન કવિતાની દૃષ્ટિએ જોતાં આ કૃતિ ગુજરાતી ભાષાના છંદઃસામર્થ્યમાં અને શબ્દશક્તિમાં તેમજ ઊર્મિકાવ્યના પ્રદેશમાં એકાએક મહત્ત્વનો આવિર્ભાવ બની રહે છે. જે સંસ્કૃત છંદો થોડાક વખત ઉપર જ નવલરામને ગુજરાતી કવિતાના સ્વભાવની વિરુદ્ધ લાગેલા, જે ગુજરાતી ભાષા કવિતાને માટે નર્મદને અણખેડાયેલી લાગતી, અને ગુજરાતી ભાષાની જે ઊર્મિકવિતા દલપત, નર્મદ કે નવલરામ આદિમાં અતિ અલ્પબલ રહેલી તે બધી દુર્ઘટ લાગતી ઘટનાઓ બાલાશંકર સહજમાં અહીં કરી બતાવે છે.

ક્લાન્ત કવિ

‘ક્લાન્ત કવિ’ સ્વતંત્ર કૃતિ તરીકે અવલોકતાં તેમાં કવિના સંસ્કૃત કાવ્યસાહિત્યના ગંભીર અધ્યયનનું મનોહર પ્રતિબિંબ જોવા મળે છે. સંસ્કૃત કવિતાનાં ઋતુવર્ણનો, શૃંગારની ક્રીડાઓ, તેના પ્રબળ અને આકર્ષક વ્યક્તિરેકાલંકારો તથા ભવભૂતિ કાલિદાસ આદિની કેટલીક સુપ્રસિદ્ધ વાણીભંગીઓનું કવિએ પોતાની મૌલિક રીતે અહીં નવસર્જન કર્યું છે. પરંતુ આ કેવળ શૃંગારકાવ્ય નથી, તેમાં માનુષી પ્રિયા, કવિતા અને જગદંબા ત્રણે તરફની પ્રીતિનું નિરૂપણ કરવાની કવિએ નેમ રાખી છે. આમાંનાં છેલ્લાં બે તત્ત્વો આ પ્રકારની કવિતામાં કવિનો પોતાનો ઉમેરો છે. કવિતાનો આવો વિરહ અનુભવવાને બાલાશંકરનું મસ્તાન મગજ જ સમર્થ થાય. અને જગદંબા પ્રત્યે આવી આતુરતા સેવવી એ કવિની જીવનસાધનાના, શાક્ત રીતિની ઈશ્વરભક્તિના પ્રબળ અંશનું કાવ્યમાં થયેલું સંસ્ફુરણ છે; જોકે વસ્તુતઃ આ કૃતિ શક્તિસંપ્રદાયના મુદ્રામંત્ર જેવી કૃતિ ‘સૌંદર્યલહરી’નું પ્રધાન અંશોમાં અનુસર્જન જ છે. ‘સૌંદર્યલહરી’માં જે વાણીસામર્થ્ય છે, અલંકારોનું સૌંદર્ય છે, ભક્તિની ગહનતા છે, અને સાધનાની એક સમર્થ પ્રણાલિ છે, એ બધું એ જગદંબાના ભક્ત બાલાશંકરના માનસ ઉપર સાધનાના વિષયમાં તેમજ તેમની કાવ્યકળાના ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવી જાય એ સ્વાભાવિક છે. એ બંને કૃતિઓને સરખાવી જોતાં જણાય છે કે બાલાશંકરને ‘ક્લાન્ત કવિ’ના વિષયથી માંડી અલંકારો અને છંદ સુધ્ધાંની પ્રેરણા ‘સૌંદર્યલહરી’માંથી મળેલી છે. બાલાશંકરની બીજી કૃતિઓમાં પણ ‘શિખરિણી’ છંદ જે સવિશેષ સામર્થ્યવાળો જોવા મળે છે તેનું કારણ ‘સૌંદર્યલહરી’ના શિખરિણીનું તેમને થયેલું અનેકશઃ રટણ છે. ‘ક્લાન્ત કવિ’માં આવતી મદીલી છટામાં સૂફીવાદની પ્રેરણા પણ હોવાનો સંભવ છે. તથાપિ આમાંના અલંકારો, ખાસ કરીને અનેક વાર વપરાયેલા વ્યતિરેકો ‘સૌંદર્યલહરી’ના જ છે, અને જ્યારે કાવ્યના અંતભાગમાં કવિ નાયિકાને મહાદેવી રૂપે સ્તવવા માંડે છે ત્યારે તો તે જાણે ‘સૌંદર્યલહરી’ની ભાવનાનો જ તંતુ લંબાવે છે. એટલું જ નહિ, એ ભાગમાં આવતી બાનીની છટા, તેનાં કલ્પના, વાણી તથા નિરૂપણમાં ‘સૌંદર્યલહરી’ની એ પ્રકારની છટાઓની હરોળમાં બેસે તેવી સમર્થ બનેલી છે. બાલાશંકરની શક્તિની આ ઓછી સિદ્ધિ ન કહેવાય.

– તેમાંની ક્ષતિઓ

આમ છતાં ‘ક્લાન્ત કવિ’ એક સંપૂર્ણ સુરેખ કલાકૃતિ નથી. ભવિષ્યમાં કાન્ત જે અણીશુદ્ધ સુરેખતાથી સંસ્કૃત શબ્દો કાવ્યોમાં પ્રયોજે છે તે કૌશલ બાલાશંકરમાં નથી. સંસ્કૃત શબ્દોનો તથા તળપદી બાનીનો આમાં આકર્ષક ઘટાઘેર છે, પણ હજી ઘડવૈયો જાણે ઉતાવળમાં હોય, યા તો તેના હાથમાં હજી અણઘડતા હોય તેવું જણાયા વગર રહેતું નથી. જોકે ઉત્તરોત્તર આ ક્ષતિ ઓછી થતી જાય છે, તથાપિ બાલાશંકરની આખી કાવ્યપ્રવૃત્તિમાં કાવ્યના સુરેખ આકારની દૃષ્ટિ બહુ સ્પષ્ટ રૂપે વિકસેલી દેખાતી નથી. વળી કવિ આ કૃતિમાં પ્રિયા, કવિતા અને જગદંબાને અનુલક્ષતી જે ‘ત્રિપટ પ્રેમાળ’ વાણી શમાવ્યાનો ઉલ્લેખ કરે છે તે પણ સર્વત્ર સિદ્ધ થયેલું નથી. કાવ્યમાં નિરૂપાયેલી વિરહાવસ્થા કવિતાને સળંગ રીતે ભાગ્યે જ લાગુ પાડી શકાય તેમ છે. તેમજ આ વિરહાવસ્થા જે રીતે કાવ્યના મોટા ભાગમાં નિરૂપાઈ છે તે રીતે તે ઈશ્વર યા જગદંબાને પણ તત્ત્વના સત્યપૂર્વક વા રસના ઔચિત્યપૂર્વક લાગુ પાડી શકાતી નથી. બેશક, કાવ્યના છેલ્લા વીસ શ્લોકો તે શુદ્ધ ઈશ્વરી સ્તવનના છે. પણ તેટલા પૂરતા, કવિએ જે પ્રિયા સાથે ‘સુરતની ઝકઝોળો’ રમી છે તેની સાથે તે મેળ ખાઈ શકતા નથી. શાક્ત સંપ્રદાય પ્રમાણે સહધર્મચારિણીમાં ભગવતી શક્તિને જોવાનો આદેશ હોવા છતાં સ્વપ્રિયા સાથેના આ સ્થૂલ મસ્ત ઉપભોગમાંથી આવા પરમ તત્ત્વ પ્રત્યેની સંક્રાન્તિ અહીં કાવ્યમાં બતાવાઈ નથી. અને તેથી આખી કૃતિના, પ્રથમના ૮૦ શ્લોકોમાં પ્રિયાવિષયક વિરહ, અને પછીના ૨૦ શ્લોકોમાં દેવીવિષયક ભક્તિભાવ એમ બે ચોખ્ખા અસંબદ્ધ ભાગ પડી જાય છે. આ રીતે આખી કૃતિનું ઊર્મિતત્ત્વ એકાગ્ર નથી બનતું. આ બાબતમાં કવિનો જમાનો, તે વખતે કવિતાના સ્વરૂપની અવિકસિત સમજ, તેમજ સંસ્કૃત કવિતા પોતે પણ જવાબદાર છે. ‘ક્લાન્ત કવિ’માં જે ઉઘાડો શૃંગાર કેટલાકને તે વખતે દેખાયો તે સંસ્કૃત કવિતાના શૃંગારની સરખામણીમાં તો ઘણો જ હળવો શૃંગાર છે. ‘સૌંદર્યલહરી’ જેવામાં પણ દેવીનાં અંગઉપાંગોનું જે વર્ણન છે તે પણ ઘણું શૃંગારપ્રચુર છે. કવિએ સ્તનોને રવિશશીની જે ઉપમા આપી છે તે મૂળ ‘સૌંદર્યલહરી’ની જ છે. જોકે અહીં એ કહેવું જોઈશે કે કામવૃત્તિને વિવશ થવાની અમુક અવસ્થા વટાવી ગયેલો વાચક ‘સૌંદર્યલહરી’નાં આ વર્ણનોમાં પણ એક રીતની શામક પ્રશાન્ત ઊર્મિ અનુભવી શકશે. વળી એ પણ યાદ રાખવા જેવું છે કે સંસ્કૃત કવિતામાં શૃંગારના આલંબનમાં સ્થૂલ શરીરને પણ મહત્ત્વનું સ્થાન છે. અને આજની કવિતા એમ નથી કરતી, એમાં તેને સ્થૂલતા કે ગ્રામ્યતા લાગે છે તેમાં રસવૃત્તિનો વિકાસ છે કે જીવનના ઉપભોગમાં સામર્થ્યની કોઈ ન્યૂનતા છે તે પણ વિચારવા જેવી વસ્તુ છે. પ્રાચીન જમાનામાં શરીર હૃદયના નિગૂઢ રસની અભિવ્યક્તિનું જે મૂર્ત આલંબન ગણાતું હતું તે દૃષ્ટિ પાછળનું સત્ય પણ સમજવાની જરૂર રહે છે, અને સંસ્કૃત કવિતા ઘણી સ્થૂલ ઔપચારિક વિગતોમાં અમુક કાળે સરી ગયેલી છે છતાં એમાં માનવશરીરનું જે અપ્રતિમ કાવ્ય જોવા મળે છે તેવું ભાગ્યે જ જગતની બીજી કોઈ કવિતામાં મળે છે. અને તેના એક ઉત્તમ ઉદાહરણ રૂપે ‘સૌંદર્યલહરી’ને પણ રજૂ કરી શકાય.

– તેમાંનો ઉત્તમ શૃંગાર

બાલાશંકર ‘ક્લાન્ત કવિ’માં આ ઉત્તમ શૃંગારને અનુસરવા પ્રયત્ન કરે છે અને આપણે કહેવું જોઈશે કે તેના નગ્નતમ નિરૂપણમાં પણ તે ઉદ્વેગકર થતો નથી. ‘ક્લાન્ત કવિ’માં જે પ્રધાન રસ છે તે આ મસ્તવિરહશૃંગારનો છે. વળી એ પણ સ્મરણમાં રાખવાનું છે કે આ કૃતિ કવિની આત્મગત અંગત ઊર્મિનું કાવ્ય નથી. આમાં જે નાયક-નાયિકા છે તે કાવ્યનાં સ્વતંત્ર નાયક-નાયિકા છે. એટલે એક કલ્યનાપ્રણીત ઊર્મિકાવ્ય તરીકે જોતાં એનો રસ ઘણી મૌલિક છટાઓ ધરાવે છે. ભાષાની કેટલીક બરછટતા તથા કચાશને બાજુએ મૂકતાં આમાં વપરાયેલી ભાષામાં ઊર્મિને નિરૂપવાની, ચિત્રોને ઊભાં કરવાની અને પ્રસંગોને આલેખવાની ઘણી પ્રશસ્ય શક્તિ બાલાશંકરમાં દેખાય છે. એમાં સંસ્કૃતનો ઘેરો પટ તો છે જ, પણ તેમાં આવતી તળપદી બાની, વ્રજ ભાષા તથા થોડીક ફારસીની છાંટ પણ કાવ્યની બાનીની એકવિધતા તોડી નવીનવી ચમક આપે છે. આ કાવ્યના ચિરંજીવ સૌંદર્યની ઘટનામાં આ બધાં તત્ત્વોનો ફાળો છે, તથાપિ કાવ્યની ઉત્તમ અભિવ્યક્તિ સંસ્કૃત રંગમાં વિશેષ થયેલી છે. તેમાં આવેલી શબ્દ અને અર્થની અલંકારછટાઓ, એની ‘શબ્દસંદર્ભમાધુરી’, કોમલ અને બલિષ્ઠ નાદમસ્તી, એની વાણીનો ભાનપૂર્વક સધાયેલો ગુંજારવ, એ બધું કવિએ વારસામાં મેળવેલી સંસ્કૃતથી માંડીને દલપત સુધીની બધી કાવ્યશૈલીઓનું સ્વસ્થ રીતે થયેલું કલાત્મક આયોજન છે. આખું કાવ્ય શ્લોકબદ્ધ રચના હોઈ દરેક શ્લોક મુક્તકરીતિનું સૌંદર્ય પણ ધરાવે છે. કાવ્યની રસનિષ્પત્તિમાં કવિ કુદરત અને માનવઊર્મિ બંનેનું આલંબન લે છે અને તેમાં કવિની સૌંદર્યવિષયક સંવેદનશીલતાનો પરિચય પણ આપણને થાય છે. ઘણાખરા શ્લોકો તો મુક્તકનું અણીશુદ્ધ સૌંદર્ય પણ ધારી શક્યા છે અને બાલાશંકરની નબળાઈઓ તેમાં ક્યાંય દેખાતી નથી. જેમકે,

ક્વચિદ્‌ રંગે ઘેરે સરવર લહેરે ઠમકતી;
ક્વચિત્‌ જ્યોત્સ્નામાંહી સ્વરણમયિ કાન્તી ઝમકતી,
ક્વચિત્‌ પ્રાચીમાંહી શિરમણિ ધરીને રિઝવતી;
ક્વચિદ્‌ અંધારામાં પ્રણતલય ખેલે ખિજવતી

.

કેટલાક શ્લોકોમાં શબ્દ, અર્થ અને ઊર્મિની સર્વાંગ સરસતા સાથે વિષયની નવી જ તાજગી, ગુજરાતી કવિતામાં અનવદ્ય રહે તેવી રીતે, કવિએ સાધી છે. જેમકે,

ક્વચિત્‌ કેસૂડાંની નવ કલિ કુસૂમાંજલિભરી,
ગુલાલે હે બાલે! અમલ અલકે રંગનિ ભરી;
વસંતે એકાંતે રમણિય વનાંતે નિરજને,
રમ્યો’તો હે કાંતે! સરસ નવ ફાગે તુજ કને.

અને જે શૃંગાર કેટલાક કવિતાપ્રિયોને અળખામણો લાગ્યો હતો તે પણ ઊર્મિનું કેવું વિશદ અને ભવ્ય ચિત્રણ કરે છે તે નીચેના શ્લોકમાં જણાશે :

મને પૂરૂં તારાં શશિરવિસ્તનોનું સ્મરણ છે,
અહા! પૂર્ણીમાએ રમણિય પ્રદોષે વન વિષે,
ઉઘાડાં મૂક્યાં’તાં મદથિ છકિ નીરંચલ કરી,
હરી’તી તેં મારી હૃદયમતિને મોહિત કરી.

આવી રીતની ઊર્મિની ઝકઝોળો બાલાશંકર પછીથી ગુજરાતી કવિતામાં લગભગ અદૃશ્ય થઈ છે. આમાં કવિએ ‘કવીરાજા’ તરીકે સેવેલી જીવનની કલ્પના એ પણ એક રમણીય વિષય છે. કવિએ ઊભું કરેલું, રાજ્ય તેમના પછી કલાપીએ કંઈક ટકાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બાબતમાં કવિએ અંગ્રેજી કવિતામાંથી પણ પ્રેરણા મેળવી હોય તો તે અશક્ય નથી. કાવ્યના છેવટના ભાગમાં આવતા સ્તવનના શ્લોકો ઉદાત્ત કલ્પનાનો વ્યાપાર બનેલા છે, અને આપણા સાહિત્યની ગાઢ ભક્તિની રચનાઓમાં સ્થાન લે તેવા છે. તે ઉપરાંત પેલા માદક શૃંગારનો શામક ભાવ પણ તેઓ પૂરો પાડે છે :

રહ્યા બાંધ્યા તારી અલકલટની સાંકળ વડે,
કદી તેને કાંઈ નહિ જગતમાં બંધન નડે.
...કૃપાશીલા તારા ચરણ સુરભી કામ સમ છે,
કહે તેને શાની લગિર પણ રિદ્ધિનિ ન્યુન છે.
...મહાત્મા આંજે છે પદરજ તણો તારિ સુરમો,
વિકારી દૃષ્ટિને શિતળ કરવા આંખમહિં તો.

આમ એક વિસ્તીર્ણ પટમાં પથરાયેલું આ કાવ્ય, સમગ્રતાએ ખંડિત છતાં, અને વિષયતત્ત્વમાં અલ્પસંવાદવાળું હોવા છતાં અનેક રમણીય મુક્તકોથી મઢેલી એક ઘેરી ઊર્મિનું ગાન બની રહે છે. ‘ક્લાન્ત કવિ’ બાલાશંકરની બધી કૃતિઓમાં શિખર રૂપે વિરાજે છે, એટલું નહિ, પણ અર્વાચીન ગુજરાતી કવિતાના વિશુદ્ધ રસસર્જનના પ્રદેશમાં એ પહેલું ઉન્નત શિખર બનીને ગુજરાતી કવિતાના સમસ્ત પટમાં તેના પછીની અને પૂર્વની ઉત્તમ રચનાઓની શિખરમાળામાં પણ પોતાનું વિશિષ્ટ સ્થાન મેળવે છે.

ફારસી રંગની રચનાઓ

‘હરિપ્રેમપંચદશી’ની ૨૧ પૂરી કૃતિઓ અને ૧૮ અપૂર્ણ કૃતિઓમાં કવિની ફારસી રંગની રચનાઓ જોવા મળે છે. આમાંથી મોટા ભાગની કૃતિઓની રચના કવિએ સ્પષ્ટ રીતે ગઝલ નામથી કરી છે, તથાપિ ગઝલના મૂળ અર્થને અનુસરીએ તો આ બધી રચનાઓને જ ગઝલ કહેવાય, કેમકે એમાં પ્રણયનું ગાન છે. અને કવિએ આ કૃતિસમુચ્ચયને ‘હરિપ્રેમપંચદશી’ નામ આપ્યું છે તે પણ આ રીતે સાર્થ ઠરે છે. ગઝલની વિશેષતા તેની બાહ્ય રચના પરત્વે તેની કડીઓના સ્વયંપૂર્ણ મુક્તકરૂપની છે. એ રીતે આમાં ‘અપૂર્ણ’ તરીકે જણાવેલી રચનાઓ પણ મુક્તકનું મનોહર સૌંદર્ય ધરાવે છે, અને કેટલીક તો ઉમર ખય્યામની છટા પણ લઈ આવે છે. આ બધી રચનાઓ કવિએ યોજનાપૂર્વક કરેલી છે. પૂરી લખાયેલી કૃતિઓમાં દરેકની કવિએ ૧૫ કડી કરી છે. પરંતુ આવી ગાણિતિક બુદ્ધિએ કૃતિઓના કાવ્યત્વને હાનિ પણ પહોંચાડી છે. ૧૫ કડી પૂરી કરવા જતાં કાવ્ય બિનજરૂરી રીતે લંબાયે જાય છે, તેમાંની ઊર્મિઓ પણ પછી કેવળ ઔપચારિક ઢબની બને છે, અને કૃતિ ઊર્મિકાવ્ય તરીકેની સુરેખતા, એકાગ્રતા અને રસવત્તા ગુમાવી બેસે છે. વળી ગઝલનું ફારસીમાં જે રીતનું કાફિયા ઇત્યાદિનું નિબન્ધન છે તે પણ સર્વત્ર પૂરેપૂરું જળવાયેલું નથી; જોકે કેટલીક ગઝલોમાં કવિ કાફિયાની મઝેદાર ચોટ સાધે છે. આ રચનાઓના છંદો પણ ક્યાંક તો ઉદ્વેગ કરે તેવા શિથિલ છે. આમ કૃતિઓનું કળારૂપ ખંડિત હોય છતાં ગુજરાતી કવિતામાં ગઝલના વિકાસની દૃષ્ટિએ તથા સ્વતંત્ર નવીન ઢબનાં ઊર્મિકાવ્યો તરીકે આ કૃતિઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમાંની કેટલીક કૃતિઓ ‘બોધ’, ‘જિગરનો યાર’, ‘નાદાન બુલબુલ’, ‘સૌંદર્ય’, ‘દર્શનેચ્છા’, ‘દીઠી નહીં’ વિશેષ જાણીતી છે. પરંતુ તે સિવાયની ‘ભણકારા’, ‘આશા’, ‘પ્રિયદર્શન’ જેવી બીજી પણ લાક્ષણિક સુંદરતાવાળી રચનાઓ છે. ઉપર કહ્યું તેમ આ રચનાઓમાં ઊર્મિઓ ક્યાંક ક્યાંક ઔપચારિક અને કૃત્રિમ થયેલી છે, તથાપિ આ આખા કૃતિસમુદાયમાં એક ઊંડું દર્દ અને ઝંખના ધબકે છે. એક રીતે તો એમ પણ કહેવાય કે ‘ક્લાન્ત કવિમાં’ વહેલું દર્દ અહીં નવા ઢાળમાં, નવી પદાવલિમાં વહે છે, અને ‘સૌંદર્ય’ જેવી કૃતિ તો સીધી ‘ક્લાન્ત કવિ’ના અનુસંધાન જેવી બની રહી છે. આ કૃતિ તેના પ્રબળ શબ્દસંદર્ભમાં અને ભાવનાની ઉત્કટતામાં ગુજરાતી કવિતામાં કેટલી ચિરંજીવ પંક્તિઓ આપે છે. એ સિવાયની બીજી ઉત્તમ રચનાઓ પણ ઊર્મિના ઘેરા વળાંકો, શબ્દની નાજુકતા અને તાજગી તથા ઊર્મિને મૂર્ત કરતાં અનેક મનોરમ ચિત્રો આપે છે. વર્ણનની ઇન્દ્રિયક્ષમતા એ સૌમાં બાલાશંકરની સૌથી વિશેષ લાક્ષણિકતા તે વર્ણનની ઇન્દ્રિયક્ષમતા – Sensuousness છે. આ તત્ત્વ ગુજરાતી કવિતામાં હવે પછી કલાપી અને કાન્તમાં વિશેષ વિકસે છે. કાન્તમાં જેવી રીતે સ્પર્શનાં તાદૃશ વર્ણનો આવે છે, કલાપીમાં ચિત્રાત્મકતા આવે છે, તેવી રીતે બાલાશંકરમાં સુગંધનાં મીઠાં આલેખનો ઘણી વાર આવે છે, અને આ સુગંધ તે ઘણી વાર અલકની સાથે સંકળાયેલી હોય છે; જોકે બાલાશંકર બધી જ ઇન્દ્રિયોની સંવેદનશીલતા અસાધારણ રીતે બતાવે છે. જેમકે,

ઘડી ઘડી ભણકાર ભામિનિ ઉડિ આકાશે આવે છે,
અલક અતર ભભકાર સુગંધી લહરિ લહકતી લાવે છે.
...પરમ પ્યારિને અંગ સ્પર્શ કરિ આવિ ભલી તું ભાવે છે,
...અજબ સુગંધી મ્હેંદીની તુજમાં મજબુત મ્હેંકાવે છે.

‘ભણકારા’

આ સૌ કાવ્યોમાં ‘આશા’માં હૃદયની આરજૂ કોઈ સવિશેષ આર્દ્રતાથી અને ઝંખનાની અલૌકિક મધુરતાથી વ્યક્ત થઈ છે :

ભમ્યો ભમ્યો હું અખિલ સંસાર, મન ધરિ પ્યાર,
પ્રીતમ હજુ ના મળ્યો રે.
...પ્રીતમ પદ નીરજની રજનો પુણ્યશ્લોક પરાગ,
અંજન આંખે સુરમો કરવા મેં ચાહ્યો બડભાગ;
રહ્યો રહ્યો અભિલાષ અપાર, આ મન મોઝાર. પ્રી
...અરે હમારો કોણ સનેહી મળે ખરોખરિ પળમાં,
પ્રીતમ અધરામૃતનો કણ મૂકે મુજ મુખ નિર્બળમાં;
મળ્યો મળ્યો એવો નહીં કોઈ યાર, ખબર લેનાર. પ્રી
...બિરદ કદાપિ ભૂલ્યો છે તો છો ભૂલ્યો એ પ્રીતમઃ
ચિંતા ચિત કશિ મારે તેમાં હું નહિ ભૂલ્યો વચન;
ભુલ્યો ભુલ્યો કંઈ નારીના પ્યાર, ન ધરી દરકાર. પ્રી

છેલ્લી કડી કવિના જીવનની સમસ્ત ઝંખનાનો સાર, તેની અભીપ્સાઓનું ઊર્ધ્વીકરણ બતાવે છે, અને ‘ક્લાન્ત કવિ’નો નાયક અહીં નવી જ વફાદારી ધારણ કરી લે છે. કવિની પ્રકીર્ણ કૃતિઓમાં સૌથી વિશેષ ધ્યાન ખેંચનારું તત્ત્વ અંગ્રેજી અસર હેઠળનાં, ‘કુસુમમાળા’ પછી લખાવા માંડેલી શૈલીનાં કાવ્યો છે, અને તેમાં નરસિંહરાવનાં કાવ્યોની અસર પણ થયેલી હોવાનો સંભવ છે. કેટલાંક તો કલાપીના જેવાં પણ લાગે છે. કવિએ અંગ્રેજીમાંથી જે ઘણાએક અનુવાદો કર્યા છે તે જોતાં તેમણે આપમેળે જ બીજા કવિઓ પેઠે અંગ્રેજી કવિતાનું પાન કરી તેની અસર હેઠળ આ કાવ્યો લખ્યાં હોય એ પણ સંભવે છે. આ કાવ્યોમાં બાલાશંકરની શૈલી વધારે સફાઈવાળી બને છે અને ઊર્મિકાવ્યોનો શુદ્ધ આકાર પણ તે નિપજાવી શકે છે. આ રચનાઓમાં ‘સ્તુતિ’, ‘દંપતી ભાગ્યશાળી’, ‘મિષ્ટ ગાન’, ‘ના ભુલાતો પ્રેમ’, ‘પ્રણયાર્પણ’, ‘કર્પૂરમંજરીનું અર્પણ’ (જેને ગુજરાતીમાંનાં સારાં અર્પણકાવ્યોમાંનું એક ગણી શકાય તેમ છે.) ‘વિધિને’, ‘શીલરક્ષા’, ‘શુષ્કવૃક્ષ અન્યોક્તિ’, ‘સ્વર્ગસ્થ મિત્રને પ્રાર્થના’ ખાસ નોંધપાત્ર છે.

બાલાશંકરની અનુવાદપ્રવૃત્તિ,

બાલાશંકરની કાવ્યપ્રવૃત્તિનો શેષ ભાગ તે તેમના અનુવાદો છે. એમની આ અનુવાદપ્રવૃત્તિ કવિનો કવિતાના તથા સાહિત્યસમગ્રના વિષયમાં કેવો ગંભીર અને વ્યાપક પુરુષાર્થ હતો તે બહુ સ્પષ્ટ રીતે જણાવે છે. સંસ્કૃતના અનુવાદોની એમની પ્રવૃત્તિ છૂટક મુક્તકોથી માંડી ‘સૌંદર્યલહરી’ જેવી લાંબી રચનાઓ, તથા ‘કર્પૂરમંજરી’, ‘મૃચ્છકટિક’ જેવાં નાટકો, તથા ‘સાહિત્યદર્પણ’ અને ‘નારદભક્તિસૂત્ર’ જેવા ગદ્યગ્રંથો સુધી વ્યાપેલી છે. ફારસીમાંથી તેમણે હાફિઝની ગઝલો તે કાળે શક્ય હતા તેટલા અભ્યાસવાળી ભૂમિકા સાથે ઉતારી છે એ ઉપરાંત તેમણે અંગ્રેજીમાંથી પણ પ્રમાણમાં ઘણા કહેવાય તેવા અનુવાદો કર્યા છે, અને આ બધા અનુવાદોમાં તેમનું કામ પ્રારંભક તરીકેનું મહત્ત્વ ધરાવે છે. ગુજરાતી ભાષાનો સંસ્કૃત સાથે આટલો લાંબો સંપર્ક હોવાં છતાં પહેલી જ વાર સંસ્કૃતમાંથી સીધો મૂલાનુસારી અનુવાદ કરવાનો પ્રારંભ ‘સૌંદર્યલહરી’ના અનુવાદથી થાય છે. ફારસીના અનુવાદની પણ એવી જ સ્થિતિ છે. આ ત્રણે પ્રકારના અનુવાદોમાં બાલાશંકરને પૂરેપૂરી સફળતા નથી મળી, છતાં તે દરેકમાં બાલાશંકરને નામે કીમતી સામગ્રી જમા થાય છે એમાં શંકા નથી. તેમના અંગ્રેજી અનુવાદો મૂળને પૂરા વફાદાર નથી, છતાં એમાંની પ્રાસાદિકતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ‘દેજો દોષ ન કવિવરને’ તો કવિની મૌલિક શક્તિને ખરેખર જેબ આપે તેવી રચના બની છે. હાફિઝના અનુવાદોમાં કવિએ બધે મૂળનો છંદ કેમ રાખ્યો નહિ તે સમજાય તેવું નથી. વળી આ અનુવાદો મૂળના અર્થને કેટલા વફાદાર છે તે પણ વિચારવા જેવું છે. છતાં એ દસ કૃતિઓ સુવાચ્ય બની છે, અને કેટલીક તો ખરેખર રસવાળી બની છે. ‘સૌંદર્યલહરી’નો અનુવાદ એ બાલાશંકરના અનુવાદોમાં સૌથી ગંભીર અને મહત્ત્વનો પ્રયત્ન છે, આવી અર્થજટિલ અને સૌંદર્યઘન કૃતિના સમશ્લોકી અનુવાદની દુષ્કરતા જોતાં બાલાશંકરને હાથે, ક્ષતિઓ છતાં જેટલું સધાયું છે તેટલું આવકારદાયક છે. હજી પણ આ કૃતિનો શુદ્ધ સુરેખ અનુવાદ ગુજરાતીમાં થવો બાકી છે. અનુવાદ કરતાં યે એ અનુવાદને અંગે કવિએ જે મહેચ્છા સેવી હતી, અને તે માટે જે મોટી તૈયારીઓ કરી હતી તે ખાસ મહત્ત્વની બીના છે. કવિએ પોતાના મનોભાવો તથા હૃદયની અભીપ્સાઓ વધારે સ્ફુટ રીતે કાવ્ય કરતાં પણ વિશેષ તે કાવ્યોની પ્રસ્તાવનાઓમાં વ્યક્ત કરી છે. કવિનું અકાળે અવસાન થયું અને તેમની ઘણી ઇચ્છાઓ અધૂરી રહી ગઈ. પરંતુ એમની કલમમાંથી જે કાંઈ સર્જાયું છે તે તેમને અર્વાચીન ગુજરાતી કવિતાના પ્રદેશમાં સર્જકપ્રતિભાના પ્રથમ આવિષ્કાર તરીકે સ્થાપિત કરવાને પૂરતું છે. બાલાશંકરનો આ ઊર્મિસભર અને સમર્થ શબ્દશક્તિવાળો કાવ્યપ્રવાહ, તેમના અંગત સંપર્કથી તથા તેમની કવિતાના આંતરિક ગુણોની અસરથી મણિલાલ, કાન્ત અને કલાપી આદિમાં તેમની લાક્ષણિક રીતે ભવિષ્યમાં વિકસે છે.