આંગણે ટહુકે કોયલ/તમે આવજો મારા

From Ekatra Wiki
Revision as of 03:06, 20 July 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૦. તમે આવજો મારા

તમે આવોને મારા સમ, આવજો રસિયાજી;
તમને તમને મારા સમ, આવજો રસિયાજી.
તનમનિયાં મારાં ત્રોડી લીધાં
ઝરમર લીધી ઝૂંટી, મારા સમ
આવજો રસિયાજી...
આ છોતા જેવડી છોકરડી,
મને ‘ભાભી’ કહી બોલાવે, મારા સમ
આવજો રસિયાજી...
આ ડેડક જેવડો દેરીડો,
મને ‘એલી’ કહી બોલાવે, મારા સમ
આવજો રસિયાજી...
આ મરચા જેવડી નણંદડી,
મને નત નત મેણાં મારે, મારા સમ
આવજો રસિયાજી...

જ્યારે શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ ન્હોતી, અક્ષરજ્ઞાન ન્હોતું, ખતખબર લખવાનો રિવાજ કે પોસ્ટ જેવો કોઈ વિભાગ ન હતો, રેડિયો, ટેલીવિઝન, ફોન જેવાં કોઈ ઉપકરણો ન્હોતાં કે કોઈ ટેકનોલોજી પણ ન્હોતી ત્યારે સંદેશાવહનનું મુખ્ય સાધન લોકગીત હતું. સ્વજનને કે અન્યને મુખોમુખ કે વાયા-વાયા કશુંક કહેવું હોય, કોઈ વાત પહોંચાડવી હોય ત્યારે બળુકું માધ્યમ લોકગાણું જ હતું. આવાં ગીતોનાં માધ્યમથી લોકજીવનનું કોમ્યુનિકેશન ચાલતું રહેતું. લોકગીતો હતાં ‘ફોક મીડિયા’નું મહત્વનું અંગ, જેના દ્વારા ‘માસ કોમ્યુનિકેશન’ સરળતા અને સહજતાથી અસરકારકરીતે થતું રહેતું. ‘તમે આવો મારા સમ...’ લોકગીતમાં એક નવવધૂ પોતાના પરદેશી પિયૂને સમ દઈને કહે છે કે હવે તમે ઘેર આવી જાવ. પતિ તો દેશાવરમાં કમાવા માટે ગયો છે એ વરસેદહાડે એકવાર આવે ને પંદર દિવસ, મહિનો રોકીને પાછો જતો રહે પણ અચાનક નાયિકાએ કેમ તેડાવ્યો? એવું તે શું કારણ બન્યું કે પતિને છેક પરદેશથી પાછા આવવાનું કહ્યું? એને તેડાવવાનાં કારણો બહુ જ રસપ્રદ છે. નાયિકા કહે છે કે પરિવારના ટબૂક્ડાં અને બહુ લાડકવાયાં સભ્યોએ તનમનિયાં અને ઝરમર જેવાં એનાં આભૂષણો ઝૂંટવી લીધાં છે. નાની નાની છોકરીઓ એને ‘ભાભી’ કહીને બોલાવે છે, દિયર તો દેડકા જેવડો છે છતાં ‘એલી’ કહે છે ને તીખી તીખી બોલીવાળી નણંદ રોજેરોજ મેણાં મારે છે! આમાં કયું કારણ એવું છે જેને લીધે પતિએ પરદેશથી દોડી આવવું પડે? એકપણ નહીં...! નણંદીઓ અને દીયરિયા મજાક-મસ્તી કરે કે ઘરેણાં માગે એ બહુ મોટી સમસ્યા નથી જ પણ મૂળ તો પતિ પોતાનાથી દૂર છે એ સૌથી મોટું દર્દ છે! આ લોકગીત એ યુગનું છે જ્યાં નાયિકા પ્રાણપ્યારાને એવો સંદેશો ન મોકલી શકતી કે તમે ઘણા દિવસોથી દૂર વસો છો, છેક ક્યારે પાછા આવશો? તમારી બહુ યાદ સતાવે છે, તમે ઝટ આવી જાવ, હું તમારો વિરહ નથી સહન કરી શકતી, એટલે આવાં નણંદ-દિયર સતાવે છે એવાં ક્ષુલ્લક બહાનાં બતાવીને પતિને ઘેર આવી જવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પરદેશી પતિ બધું જ સમજે છે કે આ તો નગણ્ય કારણો છે પણ એનેય ઘેર આવવાની ધૂન સવાર થઇ હોયને...! ગુજરાતી લોકગીતોનો ‘કન્ટેન્ટ’ એવો હોય કે એ ‘ટારગેટ’ની આ આરપાર નીકળી જાય. અન્યોને ભલેને એવું લાગે કે આ ગીતોમાં કાંઈ નક્કર ‘થીમ’ નથી પણ પરદેશી પતિ અને વિરહિણી પત્નીના હૈયામાં જે તરંગો ઉઠતાં હોય એ સમદુઃખિયાંને સમજાય, અવરને નહીં.