આમંત્રિત/અણધારી ભેટ

From Ekatra Wiki
Revision as of 14:30, 27 July 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

અણધારી ભેટ

૨૦૨૦નું વર્ષ કોઈ ભૂલી નહીં શકે. મારાથી પણ એ ક્યારેય નહીં ભુલાય. મારું કારણ તો છે મને મળેલી એક અણધારી, અને અમૂલ્ય ભેટ. એ ભેટ એટલે દૈવી કૃપા, તથા સર્વ કળાની દેવી સરસ્વતીએ મને - જાણે હાથોહાથ - આપેલું આ સાહિત્યિક ફળ, જેનું નામ છે “આમંત્રિત”. પહેલી નવલકથા “બે કાંઠાની અધવચ” જન્મભૂમિ-પ્રવાસીમાં વાંચ્યા પછી કેટલાક વાચકોએ મને ટોકેલી કે “કેમ અહીં વાર્તા પૂરી કરી નાખી?” બાપ-દીકરો ભેગા થાય છે કે નહીં, તે છેક અંતે, મેં એમાં અનુમાન તરીકે રાખ્યું હતું. એકાદ વાર જવાબમાં મેં હસતાં હસતાં કહેલું, કે “બીજો ભાગ લખીશ ત્યારે નક્કી કરીશ કે ભેગા થાય છે કે નહીં.” બીજો ભાગ લખવાનો કોઈ ઈરાદો હતો નહીં, પણ ક્યારેક અછડતો વિચાર આવતો કે એમાંનાં અમુક પાત્રોને લઈને કશુંક કરી શકાય. એ વિચાર પર ક્યારેય કશો ભાર મૂક્યો નહતો, પણ કદાચ એની મેળે મેળે એ મનમાં ઘુમતો રહ્યો હશે. અચાનક એક સવારે ઊઠી, ને લાગ્યું કે નવી નવલકથા અવતરવા ઈચ્છે છે. ને તે પણ એક તદ્દન નવા પાત્ર સાથે. પછીના ત્રણેક મહિના ખૂબ અનંદમાં ગયા. નવાં સર્જાયેલાં પાત્રોની સાથે કેટલાંક પાત્રો આગલી નવલકથામાંથી પણ લીધાં, છતાં આ નવી નવલકથા બીજો ભાગ તો નથી જ. એવો મારો ઇરાદો ક્યારેય હતો પણ નહીં. ઈન્ડિયન પાત્રો, તેમજ અમેરિકામાં જન્મેલાં ઈન્ડિયન-અમેરિકન પાત્રોની સાથે સાથે કેટલાંક પાત્રો પૂરાં અમેરિકન છે, તો જૅકિ, રૉલ્ફ, કૅમિલ, અને કઝીન પૉલ ફ્રેન્ચ છે. એ દરેકને માટે રસપ્રદ ભૂમિકા રચાઈ. મને પોતાને હજી પણ આશ્ચર્ય થતું જ રહે છે કે આમ સાવ આપોઆપ બધાં પાત્રો આકાર પામતાં ગયાં. ખરેખર, એ બધાં પોતપોતાની ઈચ્છાથી જ પોતાનાં વ્યક્તિત્વની પસંદગી કરતાં રહ્યાં હતાં. બધાં સરસ સ્વભાવનાં અને ઉદાર-દિલ બન્યાં છે. સચિન, જૅકિ અને ખલિલ સારા હોદ્દા પર છે, અને સર્વને સ્નેહ આપવામાં અને અભાવગ્રસ્તોને દાન કરવામાં માને છે. એ ત્રણ તેમજ બીજાં પાત્રો પણ લાગણીશીલ છે, અને જુદી જુદી બાબતોમાં રસ અને જાણકારી ધરાવે છે. યુવાન ઈન્ડિયન-અમેરિકન પાત્રો સ્વાભાવિક અને સહજ રીતે વૅસ્ટર્ન અભિગમ ધરાવે છે. છતાં, બધાં શાકાહારી હોય એવું ગર્ભિત સૂચન રહેલું છે. આ બધાં પાત્રો મને વહાલાં બની ગયાં છે. એમને યાદ કરતાં મનમાં શાતા અને સુખ મળે છે. પશ્ચિમમાં રહ્યે રહ્યે અમેરિકન સાહિત્ય સતત વાંચ્યા કર્યું છે. એ પરથી મારી લેખન-શૈલી વધારે પક્વ થતી ગઈ છે. જેમકે, પાત્રોની વસ્ત્ર-પરિધાનની સ્ટાઇલ, કે ઋતુને અનુરૂપ ફૂલોની ભેટ જેવી, નાની લાગતી બાબતોની વિગતો પણ અર્થપૂર્ણ હોવી જોઈએ તેવી સભાનતા. ઉપરાંત, “આમંત્રિત”ના દરેક પ્રકરણની શરૂઆતે એક એક મુખ્ય પાત્રનું નામ મૂક્યું છે. એ રીતે, તે તે પાત્ર ફોકસમાં આવે છે. એ પાંચમાંથી ચાર પાત્રો ત્રીજા પુરુષમાં છે, ને એક પાત્ર - સુજીતનું - સભાન રીતે પ્રથમ પુરુષમાં મૂક્યું છે. આ બંને બાબતોનો ઉદ્દેશ પણ કથાનકને મૌલિકતા તથા કળાત્મકતા બક્ષવાનો છે. જે એક ઉપસ્થિતિ આ નવલમાં દરેકે દરેક પ્રકરણમાં દેખાશે તે છે ન્યૂયોર્ક શહેર સ્વયં. અને એવી જ બીજી ઉપસ્થિતિ છે શહેરના મુખ્ય ભાગ ગણાતા મૅનહૅતન ટાપુની એક તરફ વહેતી, ને પછી ઍટલાન્ટીક મહાસાગરમાં ભળી જતી, મહાનદ હડસનની. કેટકેટલાં વર્ષોથી મારી કર્મભૂમિ, મારી મર્મભૂમિ આ મહાનગર ન્યૂયોર્ક રહ્યું છે. મારું પ્રિય-પાત્ર; અરે, મારું પ્રેમ-પાત્ર. ને આ “આમંત્રિત” નવલકથા ન્યૂયૉર્ક શહેરને અર્પણ થયેલું મારું પ્રેમ-ગીત છે. આ રીતે, ને આ કારણોથી આ “આમંત્રિત” નવલ સર્વાંગે ‘દરિયા-પાર’ની સાહિત્ય-કૃતિ છે. આગલી નવલમાં બંને મુખ્ય પાત્રોને ઘણો સંઘર્ષ કરવાનો આવ્યો. પણ એ નવલ ખરેખરી વ્યક્તિઓ અને એમના જીવનમાંના સાચા બનાવો પર આધારિત હતી. આ નવી નવલ “આમંત્રિત” તો બીલકુલ કલ્પના પર જ નિર્ભર છે. સાહિત્યિક કલ્પના, તેમજ મારા ન્યૂયોર્ક શહેરનાં પ્રેમભાવ, અનુભવો અને વાસ્તવિક જાણકારી દ્વારા એમાં ગુંથણી થયેલી છે. આમાં બધાં પાત્રોને કૈંક ને કૈંક તકલીફો પડે જ છે, પણ એ બધું પછીથી, સમજણ અને સુખદ સંજોગોને લીધે, સર્વને માટે સાચા માનસિક આનંદમાં પરિણમે છે. ૨૦૨૦ના વિયુક્તિ અને અનિશ્ચિતતાના કારમા અને કઠિન રોગગ્રસ્ત કાળ દરમ્યાન આ અત્યંત સકારાત્મક કથાનક સર્જાયું. મન અને હૃદયમાં ચિંતાનો ભાર હતો, ત્યારે મારું મગજ આનંદસભર બન્યું હતું. આવું દૈવી કૃપા વગર શક્ય જ નથી. સર્વ દૈવી તત્ત્વોને મારા પ્રણામ છે.

– પ્રીતિ સેનગુપ્તા