ગુજરાતી બાળવાર્તા સંપદા/આનંદી કાગડો

From Ekatra Wiki
Revision as of 13:24, 11 August 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <big>'''આનંદી કાગડો'''</big><br> {{Poem2Open}} એક કાગડો હતો. તે એક વાર રાજાના વાંકમાં આવ્યો, એટલે રાજાએ તેના માણસોને કહ્યું - જાઓ; આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આનંદી કાગડો

એક કાગડો હતો. તે એક વાર રાજાના વાંકમાં આવ્યો, એટલે રાજાએ તેના માણસોને કહ્યું - જાઓ; આ કાગડાને ગામના કૂવાના કાંઠે ગારો છે તેમાં નાખી ખૂંતાડીને મારી નાખો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં ખૂંત્યા ખૂંત્યા આનંદથી બોલવા લાગ્યા - ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ, ભાઈ ! ગારામાં લપસણું કરતાં શીખીએ છીએ. રાજા અને તેના માણસો તો નવાઈ પામ્યા કે આ કાગડો ખૂંતવાથી દુઃખી થવાને બદલે આનંદથી કેમ બોલે છે ? રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો - નાખો એને કૂવામાં, એટલે ડૂબીને મરી જાય. કાગડાને કૂવામાં નાખ્યો. કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા બોલ્યા - કૂવામાં તરતાં શીખીએ છીએ, ભાઈ ! કૂવામાં તરતાં શીખીએ છીએ. રાજા કહે - હવે તો આ કાગડાને આથી વધારે સખત શિક્ષા કરવી જોઈએ. પછી તો કાગડાને કાંટાના એક મોટા એવા જાળામાં નખાવ્યો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી પાછા આનંદી સૂરે ગાતાં ગાતાં બોલ્યા - કૂણા કાન વીંધાવીએ છીએ, ભાઈ ! કૂણા કાન વીંધાવીએ છીએ. રાજા કહે - કાગડો તો ભારે જબરો ! ગમે તે દુઃખમાં એને દુઃખ તો થતું જ નથી. ચાલો જોઈએ, હવે સુખ થાય એવે ઠેકાણે નાખવાથી એને દુઃખ થાય છે ? પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખ્યા. કાગડાભાઈને તો એ પણ સવળું જ પડ્યું. ખુશ થઈ એ બોલ્યા - તેલ કાને મૂકીએ છીએ, ભાઈ ! તેલ કાને મૂકીએ છીએ. પછી તો રાજાએ કાગડાને ઘીના કુડલામાં નાખ્યો. એમાં પડ્યો પડ્યો પણ કાગડો તો બોલ્યો - ઘીના લબકા ભરીએ છીએ, ભાઈ ! ઘીના લબકા ભરીએ છીએ. રાજા તો ખૂબ ખિજાયો ને કાગડાને ગોળની કોઠીમાં નખાવ્યો, કાગડાભાઈ તો પાછા મજાથી બોલ્યા - ગોળનાં દડબાં ખાઈએ છીએ, ભાઈ ! ગોળનાં દડબાં ખાઈએ છીએ. પછી રાજાએ કાગડાને ખોરડાની ઉપર ફેંક્યો, પણ ત્યાં બેઠાં બેઠાં કાગડો કહે - નળિયાં ચાળતાં શીખીએ છીએ, ભાઈ ! નળિયાં ચાળતાં શીખીએ છીએ. છેવટે થાકીને રાજા કહે - આ કાગડાને આપણે શિક્ષા કરી શકશું નહિ. એને મનથી કોઈ દુઃખ લાગતું નથી. માટે એને હવે ઉડાડી મૂકો અને પછી કાગડાને ઉડાડી મૂક્યો.