સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/આ સંપાદન વિશે–

From Ekatra Wiki
Revision as of 02:37, 16 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આ સંપાદન વિશે-

સર્જકપ્રતિભા હોવા છતાં સાહિત્યના હિતમાં એક આપદધર્મ તરીકે વિવેચનને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર વિવેચક, સંશોધક સંપાદક લાભશંકર પુરોહિતના વિવેચનકાર્યની લેવી જોઈએ તેટલી નોંધ ગુજરાતી સાહિત્યજગતે લીધી નથી. સાઠ વર્ષની સુદીર્ઘ, અભ્યાસરત કારકિર્દીમાં એમણે માત્ર ચાર વિવેચનસંગ્રહ આપ્યા છે. અહીં પસંદ કરેલા એમનાં મોટાં ભાગનાં લખાણો કોઈને કોઈ નિમિત્તે લખાયેલાં હોઈ, એમાં એક પ્રકારની અભ્યાસલક્ષી શિસ્તનાં દર્શન થવાનાં. એ જે વિષયને અનુલક્ષીને લખે છે તેને ઊંડાણથી સ્પર્શે છે. પૂરતાં પ્રમાણો આપી અભ્યાસ-વિષયને પૂરેપૂરી નિષ્ઠાથી આવરે એ પહેલાં પોતાને જે વાત કરવી છે એની આછી રૂપરેખા અભ્યાસી સામે મૂકી આપવાની રીતિ આકર્ષક છે. એમને આપણું પ્રાચીન સાહિત્ય, મધ્યકાળનું સાહિત્ય એની સમાંતરે ચાલતું શ્રવણધર્મી લોકસાહિત્ય વધારે આકર્ષે છે. મુદ્રણયંત્રોની શોધ અને અંગ્રેજી કેળવણીના પ્રભાવે આ સાહિત્યોમાં રહેલાં વિત્તની આપણે લેવી જોઈએ તેવી નોંધ લીધી નથી એવો વસવસો એમના લેખોમાં મળશે. એમનાં લખાણો અમુક વણખેડાયેલા અને વિદ્વાનો દ્વારા ઉપેક્ષા પામેલા વિષયોને પોતાના વિષયવર્તુળમાં લે છે. અહીં પાડેલા પાંચેય વિભાગોમાંથી આપને આવા વિષયો પર લખાણો મળી રહેશે. ‘ચર્ચા- વિચારણા’ વિભાગતળે મૂકેલા ત્રણ લેખો નવવિવેચકો અને સંશોધકોને સંશોધનના નવીન રસ્તાઓ બતાવે તેવા છે. આ સંપાદનમાં સમાવાયેલો યયાતિ વિશેનો લેખ એમની આવી શોધ-ખાંખતનાં દર્શન કરાવે એવો છે.

-- પ્રવીણ કુકડિયા