સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/લાભશંકર પુરોહિતની વિવેચના

From Ekatra Wiki
Revision as of 02:49, 16 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
લાભશંકર પુરોહિતની વિવેચના

આપણું મોટા ભાગનું વિવેચન વાગ્મિતામાં સરી પડતું અને શાસ્ત્રીયતાના અભાવવાળું હોય છે. આ ઉપરાંત અહેવાલીય આલેખ દોરી આપનારું અથવા એનાથી સાવ વિરુદ્ધ પાંડિત્યના પ્રદર્શનને અનુલક્ષતું અને સંદિગ્ધતાથી ભરેલું- મગનું નામ મારી ન પાડનારું, ગોળમટોળ હોય છે ત્યારે આ બધામાં સાવ જુદી રીતિ અખત્યાર કરતું લાભશંકર પુરોહિતનું વિવેચનકાર્ય અભ્યાસી પાસે વિશેષ સજ્જતાની અપેક્ષા રાખે છે. ‘અંત:શ્રુતિ’ વિવેચનગ્રંથના ‘ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ!’ શીર્ષકથી પુરોવચનમાં લખે છે : ‘...ચર્ચાવિષયની ઝીણવટભરી ને ઊંડી તપાસ અને તારણમાં લઈ જતાં લેખો, સાચી વિદ્યાપ્રીતિ ને અનલસ કાવ્યજિજ્ઞાસા ધરાવતા સજ્જ, શિષ્ટ શ્રોતાવર્ગની જ સાપેક્ષ વાગ્ઘટના હોવાની.’૧[1]લાભશંકર પુરોહિતની વિવેચક સજ્જતાનો પરિચય એમના કોઈપણ લખાણમાં થઈ શકશે. એમની વિવેચના ગદ્ય કરતા પદ્યને વધારે તાકે છે. એમાંય એમની નજર આધુનિક અર્વાચીનકાળ કરતાં ગાંધીયુગ સાક્ષરયુગ, સુધારકયુગ મધ્યકાળ અને પ્રાચીનયુગ પર વધારે ઠરે છે. આનાં કારણોમાં જઈએ તો પહેલું કારણ આ સાહિત્યની સાહિત્યજગતે કરેલી ઉપેક્ષા છે. બીજું આ લોકોપભોગી સાહિત્ય મોટે ભાગે લોકોના કંઠમાં જીવતું રહ્યું હોવાથી વિદ્વતજનોથી દૂર રહ્યું. ત્રીજું આ જનસર્જિત સાહિત્ય હોવાથી ઉન્નતભૂ વિદ્વાનોએ જોયાં જાણ્યાં વિના એમાંના કલાપક્ષને જોવાનું જ માંડી વાળ્યું. લાભશંકર પુરોહિતનો આ ઉપેક્ષિત સાહિત્ય પ્રત્યેનો રસ અને એમની પુનિત પ્રજ્ઞા આ વિષયમાં બરાબરના પ્રગટ્યાં. એમનો અભિગમ આ સાહિત્યમાં રહેલા સાચા ભાવને અને પરિણામે એમાંની કલાત્મકતાને સાહિત્યજગત સામે મૂકી આપવાનો રહ્યો છે. મધ્યકાળમાં જેણે પ્રજાનું સંસ્કારઘડતર અને ભક્તિપોષણ કર્યું હતું એવી કંઠ્યપરંપરાની ધારામાં જેની મહત્વની ભૂમિકા રહી છે એવી ધોળરચનાઓની મૂલ્યવત્તા લાભશંકર પુરોહિતે બતાવી છે. ‘મધ્યકાળની ધોળરચનાઓ : ઉપેક્ષિત પદ્યપરંપરા’ નામના વીસ પાનમાં વિસ્તરતા અને દસ વિભાગમાં વહેંચેલા આ લેખમાં તેઓ લખે છે. : ‘કાવ્યગુણે પાંખાપણું હોવા છતાં આ ધોળરચનાઓની ઊંડી અપીલનું મહત્વનું પરિબળ તો છે લયતરેહોની વિધવિધ સંસૃષ્ટિથી, એની ગાનસપાટીએ રચાઈ રહેલી શ્રુતિમધુરતાથી.’ ૨[2] આ રચનાઓ લોકમુખે સચવાઈ શકી એમાં જ એની લયતરેહોની કરામત રહેલી છે. અને આ કરામત કાવ્યગુણ ભલે પાંખો રહ્યો તો પણ તેને મર્યાદારૂપ બનવા દેતી નથી. વિવેચન/સંશોધન એ અપાર ધીરજ, ખંત ખાંખત અને ગંભીરતાથી કરવાનું કામ છે- એવી સ્વેચ્છાથી સ્વીકારેલી સમજણે એમને બહોળું વંચાવ્યું અને એના અર્કરૂપે ઓછું લખાવ્યું અને પ્રસિદ્ધ તો એનાથી પણ ઓછું કરાવ્યું. જે કંઈ પ્રસિદ્ધિ -યોગ્ય લાગ્યું એનું પણ છેક સુધી શોધન-વર્ધન કરાવ્યું. ‘વિવેચન’ : સંજ્ઞા, સંકેતો અને સીમાઓ’ નામના લેખમાં એમણે આપેલું શીર્ષક જ લક્ષ્ય વિષયને કેટલો ઉઘાડી આપે છે. આ લેખનો આરંભ આ રીતે થાય છે : ‘ગુજરાતી કાવ્યવિવેચનના પ્રેરણા અને પોષણના મૂળ સ્રોત તરીકે અંગ્રેજી – સંસ્કૃત સાહિત્ય વિવેચનના પરિચય અને પરિશીલન રહ્યાં છે એ કારણે ગુજરાતી કાવ્યવિચાર, પરિભાષાની બાબતમાં મહ્દઅંશે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પર નિર્ભર અને સાહિત્યિક વિભાવનાની બાબતમાં અંગ્રેજી કાવ્યવિચારણા પર આધારિત રહ્યા કર્યો છે. એટલે ‘વિવેચન’ સંજ્ઞા અને એના વિવિધ સંકેતો- સીમાઓનો થતો રહેલો સમાદર, ઉક્ત બંને વિચારણાઓના સંદર્ભમાં તપાસવાનું આવશ્યક જ નહીં, અનિવાર્ય બની રહે છે.’૩[3] એમને વિવેચક તરીકે ઉચ્ચ સ્થાને સ્થાપનાર એમના દીર્ઘ લેખો છે. વિષયની તાસીર અને તપાસ વિષયની વિશેષતાને અનુરૂપ વિભાગો અને પેટા વિભાગોમાં વહેંચીને પોતાની તપાસને નિયંત્રિત, સીમિત અને વિભાજિત કરે છે. એમના ‘ફલશ્રુતિ’ વિવેચન સંગ્રહમાં ‘ગીત : રસકીય કોટિ’ નામનો લેખ પચ્ચીસ પાનાંમાં અને છ વિભાગો અને પેટાવિભાગોમાં વહેંચાયેલો મહત્વકાંક્ષી લેખ છે. આમાં ગીતના સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતાઓ વિશે નવા નવા કોણે તપાસ કરી આ સ્વરૂપનાં ખેડાણ કરતાં એના સ્વરૂપ વિશે ગુજરાતી સાહિત્યજગતે ઓછો વિચાર કર્યો છે એમ કહી એની પાછળનાં કારણોની તપાસ કરી ગુજરાતી સાહિત્યમાં ગીતના ઉદગમથી લઈ આજ સુધી કરેલી વૈવિધ્યસભર સફરની ટૂંકી રૂપરેખા આપી, ગીતની જુદા પ્રકારની – તેના શ્રુતિગમ્ય પાસાને ધ્યાને રાખીને વ્યાખ્યા કરી છે. ‘ગવાય તે ગીત’ એવી સાદી વ્યાખ્યા કરીને આ પ્રકાર કેવી રીતે કાવ્યમયતા અને સંગીતમયતા આ બે વાનાંને પોતાનામાં સમાવી કલાત્મકતા સાધે છે એની વિવરણાત્મક તપાસ અભ્યાસલેખનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. એમના આ દીર્ઘ લેખોનો વિસ્તાર કોઈને પ્રસ્તારક લાગે પણ વિષયને ઉપરતળે નિરખવામાં એમણે પૂરેપૂરો સ્વાધ્યાય કર્યો હોય છે. આવા લેખોમાં પોતાનાં આગવાં અને નવીન અર્થઘટનોમાં રહેલાં ઊંડાણ અને એમની ઝીણું જોતી નજરના કારણે લંબાણ અપ્રસ્તુત બનતું નથી. આપણું પ્રાચીન સાહિત્ય, મધ્યકાળનું સાહિત્ય હોય એની સમાંતરે ચાલતું શ્રવણધર્મી લોકસાહિત્ય હોય મુદ્રણયંત્રોની શોધ અને અંગ્રેજી કેળવણીના પ્રભાવે આ સાહિત્યોમાં રહેલાં વિત્તની આપણે લેવી જોઈએ તેવી નોંધ લીધી નથી. ક્યારેક તો તેની ધર્મપરાયણતાને કારણે આપણે એના સમયકાળના સંદર્ભને વછોડીને એને અવગણ્યું છે. લાભશંકર પુરોહિતે આ સાહિત્યને તેના સમયના સંદર્ભે એ સમયના દેશ-કાળને સામે રાખીને જોવાનો પ્રયત્ન કર્યો. આવું કામ એમની પૂર્વે મેઘાણીએ કરેલું પણ એમના વ્યસ્ત અને અનેક મોરચે વહેંચાયેલા જીવનકાળમાં એમનાથી આ વિધાને સંપાદિત કરવાનું અને તેનું ઉપર ઉપરથી મૂલ્ય આંકી બતાવવાનું જ બનેલું. મેઘાણીએ કરેલા કાર્યને ઝીણવટથી આગળ વધારવાનું કામ લાભશંકર પુરોહિતે કર્યું. એમણે પોતાના વિવેચનમાં બધા જ પ્રકારનું કામ અલબત્ કરેલ છે તેમ છતાં જેને સૌથી વધારે મહત્વનું ગણ્યું છે તે લોકસાહિત્ય. આમાં મોટાભાગના લેખોને લેખરૂપ આપવા સંશોધકે પુનઃલેખન કરવાની જહેમત ઉઠાવી છે. વિવેચકે ‘થોડુંક અંગત, થોડુંક સંગત’ નામે નિવેદનમાં જયદેવ શુક્લ અને મનોજ રાવળને પોતાની કલમને વારંવાર અટકી જતી અને આળસી જતી અટકાવવા બદલ યાદ કર્યા છે.૪[4] કલમને વારંવાર આળસી ને અટકી જવામાં વિવેચકની આળસ નહીં પણ પોતાની વિદ્યા પ્રત્યેની પ્રતિબદ્ધતાના નક્કર પરિણામમાં ક્યાંય ખૂણો-ખાંચો ન રહેવા પામે તેવી ‘સ્વ’ સાથેની આકરી ચોકસાઈ કામ કરતી હોય તેમ લાગે છે. સંશોધકે વિષયને નક્કર ભૂમિકાએ પકડી, એને અનુરૂપ પોતાની શોધવૃત્તિને સતેજ રાખીને લોક અને સમાજની તાસીરને ઓળખી, સંશોધ્યને બને એટલા વધુ પરિપેક્ષ્યથી તપાસીને આપણી સામે પ્રસ્તુત કરવાનો યત્ન કર્યો છે. પરંપરિત જ્ઞાનસંપદાથી અનભિજ્ઞ આવનારી પેઢીઓને અજાણપણે શું શું ગુમાવવાનું આવશે તેનાં ગર્ભિત ઈંગિતો પુસ્તકના પ્રથમ લેખ ‘વાક્પરંપરા : લિખિત અને મૌખિક’ના સમાપનમાં મળે છે- ‘મુદ્રણ અને હવે સમૂહ-માધ્યમોના, વેગીલા આક્રમણના આ જમાનામાં, મૌખિક પ્રસ્તુતિની વિધવિધ શક્યતાઓથી રળિયાત એવી કંઠ્યપરંપરા ભૂંસાતી જાય છે. મુદ્રિત શબ્દની મૂંગી ચક્ષુગમ્યતા, આપણી શ્રુતપરંપરાને તો લગભગ ગળી ગઈ છે. વળી ટી.વી. સુવિધાના સતત સાક્ષાત્કારે, વ્યાપક જનસમુદાયને ઘેર બેઠાં, દર્શન/ શ્રવણનાં સહિયારાં સુખ- અને સંપર્કશૂન્ય આસનકેદનાં દુઃખ-નાં જે સફળ વરદાન આપ્યાં એ પરિણામે સરેરાશ ‘નાગરિક’ પણ સાવ ‘અનિવર્ચનીય’ બની ગયો! બોલાતી ભાષાનું જોમ, એની રોનક રોળાવા લાગી. જીભને ટેરવે રમતી સરસ્વતી જ જાણે ‘અત્ર લુપ્તા’ થઈ ગઈ!’ ૫[5] ‘ઉદ્દેશ’ સામયિકના ઈ. સ. ૧૯૯૯ના વર્ષભરના શ્રેષ્ઠ અભ્યાસલેખ તરીકે આ લેખને સ્થાન અપાયું છે. લોકવાર્તાના ગદ્યને પરિભાષિત કરવા માટે આપણે આનો ખંડિત અર્થ આપનારી સંજ્ઞાઓ જેવી કે ‘રાગયુક્ત ગદ્ય’, ગદ્યગાન’, અપદ્યાગદ્ય’, કે લહેકાવાળું ગદ્ય’ જેવી સંજ્ઞાઓ પ્રયોજીએ તો આ સંજ્ઞાની ઓળખ અધૂરી રહી જાય છે તેવું બયાન વિવેચકની લોકવાર્તાની સૂક્ષ્મ સમજનું દ્યોતક છે. વિવેચકને નાનપણથી જ કંઠ્યસંપદાનો પ્રત્યક્ષ પરિચય હોવાથી અને આ સંપદાનો અધઝાઝેરો ભાગ તીવ્ર સ્મરણશક્તિ અને નિત્ય અનુશીલનના પ્રતાપે કંઠવગો હોવાથી આ પ્રકારનું નક્કર નિરીક્ષણ આપી શક્યા છે. ‘લોકગીતની આસ્વાદ્યતા’ અને ‘આપણા લોકઢાળો’ આ બે વિવેચનલેખો પુસ્તકમાં ભલે છેટા-છેટા મૂકેલા હોય પણ લખેલા એક જ સાલમાં (ઈ. સ. ૧૯૯૯) છે. ઉપરાંત તેના બાહ્ય સ્વરૂપવિધાનમાં પણ સામ્ય છે. પહેલા લેખમાં એમણે લોકવિદ્યા નામે વિશાળ પટ-પ્રસ્તારમાં લોકગીતનાં સગડ છેક મધ્યકાળમાં શોધીને લોકગીતની આસ્વાદ્યતામાં શબ્દ, અર્થ અને અભિધાવ્યાપારનો સંપુટ કેવો નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેનું બયાન કરી એની આસ્વાદ્યતામાં વૃદ્ધિ કરનારાં દ્રવ્યો ક્યાક્યા છે, લોકગીતને લોકહૃદયમાં ઉચ્ચસ્થાને સ્થાપવામાં એનું ગાનબંધારણ કેવું ઉપકારક બને છે તે લોકગીતની કડીઓને સામે રાખીને બતાવી આપ્યું છે. આના આધારે લોકગીતનું સમગ્ર પ્રવર્તન કેવું છે એ સિદ્ધ કરતાં લખે છે : ‘લોકગીત ગ્રંથમાં નહિ, કંઠમાં જીવતું હોય છે, કર્ણમાં ગૂંજતું રહે છે અને લોકસમાજમાં ફૂલતું રહે છે.’ ૬[6] ‘આપણા લોકઢાળો’ વિષયની દૃષ્ટિએ નવીન લેખ છે. લોકઢાળના અભ્યાસને સંગીતવિદ્યાએ લોક અને સાહિત્યનો વિષય માની અને સાહિત્યે સંગીત અને ગાન પરંપરાનો વિષય માની ઉપેક્ષા કરી છે. આ બાબતને સામે રાખી થોડા પ્રશ્નો આપણી સામે મૂકી આ વિષયનો યોગ્ય પરામર્શ કર્યો છે. ઢાળની તાલ અને સ્વર પરની નિર્ભરતા, એનો રાગપરંપરા સાથેનો સંબંધ અને લોકઢાળની ગાનપ્રસ્તુતિમાં વ્યક્તિની શારીરિક, માનસિક અને ભાવાત્મક સામેલગીરી કેવી ઉપકારક બને છે તે પર્યાપ્ત ઉદાહરણો સાથે વિશદ કરી આપ્યું છે. વિવેચન-સંશોધનની ભાષાનું શાસ્ત્રીય બંધારણ આપણા સાહિત્યમાં સ્થિર થયું છે છતાં આપણાં વિવેચનો બહુધા શાસ્ત્ર આધારો કરતાં નરી આંતરપ્રતીતિને વધારે મહત્વની ગણીને લખાતાં હોય તેમ લાગે છે-તો ક્યારેક પરિભાષાનો અતિરેક કરીને સરળ વાતને દુર્બોધ બનાવી દેવામાં આવે છે. વિવેચન એક શાસ્ત્ર છે; એને શોભે તેવી વસ્તુલક્ષી સુગમ ભાષા હોવી ઘટે. વિવેચકના પહેલા પુસ્તક ‘ફલશ્રુતિ’નું અર્પણ બા બાપુ અને વિદ્યાગુરુને કરતાં ત્રણેયને અનુક્રમે સોરઠી બોલી, સંસ્કૃત અને સાહિત્યપદાર્થનો પરિચય આપનાર ગણાવ્યાં છે. આ અનુસંધાને વિચારીએ તો વિવેચકની લોકબોલી સંસ્કૃત અને અંગ્રેજી પરની પોતાની હથોટીને પરિણામે વિષય કે વસ્તુને ખોલવા ક્યાંય ભાષાગત-પરિભાષાગત મર્યાદા નડી નથી. આ લેખોમાં વિવેચનમાં પહેલીવાર પ્રયોજાયા હોય એવા ઘણા શિષ્ટ-તળ-પદ શબ્દો યોજીને એનું મૂલ્ય-અંકન કર્યું છે. પરિણામ સ્વરૂપે અહીં વિવેચકે વિવેચનની પોતાની આગવી પરિભાષા ઘડી લીધી છે. આવું ક્યારે બની શકે? વિવેચક વિષયને એટલી ઝીણવટથી આત્મસાત કરે કે પછી જે લખાય તે આગવું રૂપ ધરીને જ આવે, એમાં વિવેચકને કોઈ અલગથી પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી. વિવેચન માટે ઉમાશંકર જોશીએ ‘આસ્વાદમૂલક અવબોધકથા’ અને વિશ્વનાથ મ. ભટ્ટે યોજેલા ‘પૂજા અને પરીક્ષા’ -આ બન્ને બાબતોનો સમન્વય આ લખાણોમાંથી થાય. આ લખાણોમાંથી પસાર થનારને એમની અસ્ખલિત આગવી ભાષાકીય ચાલનો અનુભવ અવશ્ય થશે. આવા પ્રકારના પોતાના વલણનો ખ્યાલ એમના આ પુસ્તકના નિવેદનમાંથી મળે છે. સંશોધનલેખોની ભાષાકીય રીતિ વિશે લખે છે. ‘....કશીક તાત્વિક ચર્ચા વા સંદિગ્ધ મુદ્દાના અર્થસંકટ પ્રત્યેના ઉહાપોહને લગતા લેખો તો લખાવટની અળગી સપાટી પર ચાલવાના...ચર્ચા વિષયના વૈચારિક તંતુઓને, પૂર્વાપર ક્રમિકતાની અદબમાં જાળવીને, તર્કપુષ્ટ પ્રમાણોનાં બળથી, બૌદ્ધિક વિમર્શ દ્વારા પ્રતિપાદિત કરવાની ચાલ અહીં વરતાશે.’ ૭[7] ક્યારેક તો ભાષા પરની એમની હથોટી આપણને સર્જનાત્મક લખાણમાંથી પસાર થતાં હોઈએ એવો તોષ આપે છે. ‘કાવ્યશાસ્ત્રીય પરંપરાઓ : અન્યત્ર અને પાશ્ચાત્ય’ માં આપણી સભ્યતાના મૂલાધાર તરીકે પૂર્વ અને પશ્વિમનું કેવું સમન્વિત રૂપ દેખાઈ આવે છે. તેનું પ્રથમ આરંભે ચાર ભૂમિકામાં પૂર્વની કાવ્યવિચારણાનો સમયદર્શી વિકાસ આલેખ અને બીજું પશ્વિમની સમયરેખા લગભગ પૂર્વની સમયરેખાની સમરેખ ચાલે છે. તેવું પ્રતિપાદન મૂલ્યવાન છે. કારણ ગ્રીકની કવિતા વિચારણા આ સમયમાં જ પાંગરેલી દેખાય છે, એનો ખ્યાલ આપી બંનેનાં સમાન વલણોને મૂલવતા લખે છે. ‘સમયના ઘણા લાંબા પટ પર વિસ્તરતી આ બંને શાસ્ત્રપરંપરાઓ વચ્ચે, કેટલાંક વિચારવલણો ને પ્રતિપાદનોની સમાનતા ધ્યાનાર્હ લાગશે.’ ૮[8] આ બન્ને પરંપરા-ધારાઓ કાવ્યના પ્રયોજન, સર્જન પ્રક્રિયા, કાવ્યના હેતુઓ વગેરે બાબતોમાં કેવી નવાઈકારક સમરૂપતા દેખાઈ આવે છે તેનો ખ્યાલ આપે છે. સંશોધન- સાહિત્યિક સંશોધન ગુજરાતી સાહિત્યમાં એક નબળું રહી ગયેલું અંગ છે ત્યારે લાભશંકર પુરોહિતના થોડા સંશોધનલેખો એક સંશોધક સંશોધ્ય-વસ્તુને કેવી રીતે ભાતે મૂલવે છે તેનો ખ્યાલ નવ-વિવેચકો માટે આદર્શ બની રહે તેમ છે. ‘ફલશ્રુતિ’માં આ સંદર્ભે બે અગત્યના લેખો છે. એક, ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?’ માન્ય પાઠ અંગે થોડોક પુનર્વિચાર’ અને બે, ‘ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે’ વેદાન્તપરક અર્થવાચનની દિશામાં’. નરસિંહનાં કાવ્યોની આ પંક્તિઓના પાઠ વિશે લાભશંકર પુરોહિત બુનિયાદી અને બહુઆયામી ચર્ચા આદરે છે. ‘નિરખને ગગનમાં’ કાવ્યની બીજી પંક્તિ ‘શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે’ પંક્તિ માં ‘મરણ’ ની જગ્યાએ ‘શરણ’ પાઠનું પૂરા આધારો સાથે પ્રતિપાદન કરીને ભાવિ સંશોધકો માટે પુનર્વિચારનું દ્વાર ખુલ્લું રાખીને સંતર્પક ચર્ચા કરે છે. આ પંક્તિના અર્થઘટન સંદર્ભે અગાઉના સંશોધકોએ આપેલા અર્થોમાં રહેલી અપર્યાપ્તતા અને અર્થગૂંચો અંગે એમણે સેવેલું મૌન, નરસિંહનાં અન્ય કાવ્યોમાં રજૂ થયેલ નરસિંહનું દર્શનપાસું વગેરેના દાખલા સામે રાખીને ‘મરણ’ ને બદલે ‘શરણ’ વધારે ઉપયુક્ત લાગે છે. એવું સાબિત કરવામાં અને ચર્ચાને ઉચ્ચ કક્ષાએ મૂકી આપવામાં એમની સંશોધકપ્રતિભાનાં દર્શન થાય છે. બીજા લેખમાં નરસિંહ મહેતાના જ બીજા કાવ્યની ‘ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે’ પંક્તિનું વેદાન્તપરક અર્થવાચન કરવામાં જુદાં જુદાં સંપાદનોમાં રહેલા પાઠફેરના કારણે કેવા અર્થાંતરો થયા છે તેનો ખ્યાલ આપે છે. મધ્યકાળની કૃતિઓના પાઠ સંપાદનમાં રહેતી અતંત્રતાનો ખ્યાલ આપી આ પંક્તિનું અર્થઘટન અને વિવરણ રસપ્રદ બની રહે છે. કાવ્યનાં પ્રથમ ચાર ચરણોની લયભાતને સામે રાખીને કરેલું વિવરણ જુઓ. ‘ આ ચારેય અર્ધચરણો, વાક્યઘટન અને વિચારઘટન બંને દૃષ્ટિએ સ્વયંપર્યાપ્ત રહીને પણ એક તરફ પદસંકલનાની સરળતાને સીધાપણું ઉપસાવે છે તો બીજી તરફ અદ્વેતવિચારની પરિભાષાથી પાબંધ રહીનેય અર્થલાઘવની ઊંચી સપાટી પણ આંકી આપે છે’.૯[9] લાભશંકર પુરોહિતનું મોટાભાગનું વિવેચનકાર્ય પોતાના અભ્યાસના ભાગરૂપે અને અંગત વિદ્યાપ્રીતિને કારણે થયેલું હોઈ, એમના સર્જક વિષયક લેખો સર્જકના કોઈ એક પાસા-વિશેષને પોતાના લેખનો વિષય બનાવી બેથી પાંચ-સાત પાનાંમાં નિયત કરેલ શીર્ષકને પૂરેપૂરા વફાદાર રહીને વાત મૂકવાનો પ્રયત્ન કરે છે. આવા લેખોમા ‘નવલરામની રસવિચારણા’,‘દયારામની ઊર્મિકવિતા’,‘નર્મદની સ્વરૂપવિચારણા’ વગેરે લેખોને જોઈ શકાય. લાભશંકર પુરોહિતની એક વિવેચક તરીકે મૂલવણી કરવી પણ રસપ્રદ બની રહે છે. ગુજરાતી વિવેચનમાં આ વિવેચકનું સ્થાન એમની અમુક વિશેષતાઓને કારણે નોંધપાત્ર બની રહ્યું છે. એમની વિવેચના પરંપરા અને પ્રયોગશીલતા બંનેને પોતાનામાં સમાવીને ચાલે છે. એમનું વિવેચન આરંભથી લઈ અંતપર્યંત એક પ્રકારની અભ્યાસનિષ્ઠા અને વૈચારિક પ્રૌઢીનાં દર્શન કરાવે છે. એ જે વિષયને હાથ પર લે છે એને તલસ્પર્શી રીતે તપાસવાનો ઉદ્યમ કરે છે. એમની વિવેચના એકાંગી બનવાને બદલે સર્વગ્રાહી બની રહે છે. એમણે વિવેચન સંદર્ભે ચીલાચાલુ કાર્યો કરવાને બદલે પોતાના સ્વાધ્યાયકર્મને મહત્વ આપી એક આપદધર્મ સ્વરૂપે વિવેચનનું કાર્ય સ્વીકારેલ હોઈ, એમનાં લખાણોમાં તપાસ-વિષય પ્રત્યેની એકાગ્ર નિષ્ઠા જોઈ શકાય છે. એમની વિવેચનાને લાંબા પટ પરથી નિરખવામાં આવે તો એમની શબ્દને જુદી રીતે યોજવાની મથામણ જોઈ શકાય છે. આવું શા માટે એ કરે છે તો જવાબ છે ‘એમને જે વાત મૂકવી છે એની અભિવ્યક્તિ સર્વગ્રાહી બનવી જોઈએ એવી એમણે પોતાની જાત સાથે કરેલી સમજણને કારણે. વિવેચન કોઈ અંગત પ્રવૃત્તિ નથી. વિવેચન એક શાસ્ત્ર છે તો એને અભિવ્યક્ત કરનારી શાસ્ત્રીય ભાષા પણ હોવી જોઈએ એવો એમનો મનસૂબો છે એનો ખ્યાલ આવશે. એમની વિવેચનામાંથી પસાર થનાર અને એના વિવેચનની ભાષાનો વિચાર કરનારને તરત ખ્યાલ આવશે કે એમના વિવેચનની ભાષામાં એમની તપાસ-વિષયને ઝીણવટથી જોવાની અને પછી એને આબાદ અભિવ્યક્ત કરવાની મથામણ જોઈ શકાય. પ્રથમ નજરે એમના વિવેચનની ભાષા પાંડિત્યના પ્રદર્શનવાળી લાગે પણ એને જે દૃષ્ટિકોણ અને નિસબતથી એમણે યોજી છે એવા જ પ્રયોજનથી અભ્યાસી જુએ તો એમની પરિભાષાનું કવચ ધીરે -ધીરે ઓગળતું જણાશે. એમને મન વિવેચન એ સ્વૈરવિહાર બિલકુલ નથી. એમને મન વિવેચન વિજ્ઞાન છે. અને વિજ્ઞાનને એની અભિવ્યક્તિ માટે ભાષા પણ શાસ્ત્રીય હોવી ઘટે. વિવેચનમાં અંગતતા ન આવવી જોઈએ. ‘વિવેચન : સંજ્ઞા, સંકેતો અને સીમાઓ’ નામનાં લેખમાં લાભશંકર પુરોહિત કૃતિઓના તાત્કાલિક પ્રતિભાવ આપતી સમીક્ષાઓ વિશે કહે છે : ‘કૃતિ પ્રત્યે સદ્ય પ્રતિભાવ વ્યક્ત કરતી પ્રભાવવાદી વિવેચના કૃતિપરીક્ષાની શાસ્ત્રીય કક્ષામાં ન આવે... એ જ કારણે પ્રભાવવાદી વિવેચન ક્યારેક તો કૃતિની પ્રતિ-કૃતિ બની રહેતું પણ લાગે. કૃતિની નિરપેક્ષ મૂલ્યવતા નક્કી કરવામાં આ વિવેચન ભાગ્યે જ કામયાબ નીવડે.૧૦[10] તો વિવેચનની જરૂરિયાતને અનિવાર્ય ગણાવતા નોર્થોપ ફ્રેનો હવાલો આપતા લખે છે. ‘વિવેચન વગર ચલાવી લેવાની શેખી મારનારી પ્રજા આખરે તો કળાને જડ અને જંગલી બનાવી મૂકે; એટલું જ નહીં ખુદ પોતાની સંસ્કારવિરાસતને પણ વિસરી જાય.’ ૧૧ ‘હુંમર’/ઉમર’ એટલે’, ‘...ચાંદલિયો ઊગ્યો ને અઈણ્યો આથમી’ અર્થ વાચનમાં અંતરાયની બાબત’ અને ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ? માન્ય પાઠ અંગે...’આ ત્રણ લેખ જુદા પ્રકારના અને લાક્ષણિક છે. આ ત્રણે લેખોમાં પંક્તિની પરંપરિત અર્થછાયાને જુદાં - જુદાં અનુમાનો દ્વારા ક્રમશઃ તથ્યોની ટેકણલાકડીના સહારે ઉકેલવાનો ક્ષેત્રકાર્યલક્ષી પ્રયાસ છે. સૌથી રસપ્રદ બાબત તો સંશોધકની પોતાના વિવરણ-પટને પહોળા પનાવાળો રાખી ધીરે ધરે પનો ટૂંકો અને સાંકડો કરતાં જઈને લક્ષ્યને, અનુમાનની નજીક જવાની રીતિ આકર્ષક છે. સંશોધક પોતાની શોધવૃત્તિને પ્રબળ બનાવે તો કેવા કેવા બહુઆયામી દૃષ્ટિકોણથી વિમર્શ થઈ શકે અને આવી શોધયાત્રા કેવી આનંદદાયી બની શકે તેના ઉત્તમ નમૂના આ બે લેખો છે. લાભશંકર પુરોહિતનું વિવેચનકાર્ય એકવીસમી સદીના પહેલા બે દસકાની ગુજરાતી વિવેચન પ્રવૃત્તિમાં નોંધપાત્ર ગણાય તેમ છે. વિષયની દૃષ્ટિએ તો અમુક એવા વિષયોને એમણે તપાસવિષય બનાવ્યા છે, જેને આ પૂર્વે ગુજરાતી સાહિત્યના વિવેચનજગતે હાથ પર જ ઓછા લીધા હોય. આજના વિવેચનના સંદર્ભે તો લાભશંકર પુરોહિતનું વિવેચન આવતીકાલના વિવેચન માટે અમુક બાબતમાં આદર્શરૂપ બની રહે તેમ છે.

--પ્રવીણ કુકડિયા
પાદટીપ

  1. ૧. અંતશ્રુતિ પૃ. v
  2. ૨. એજન પૃ. ૬૫
  3. ૩. ફલશ્રુતિ પૃ. ૧૨૦
  4. ૪. લોકાનુસંધાન પૃ. 6
  5. ૫. એજન પૃ. ૬
  6. ૬. એજન પૃ. ૬૨
  7. ૭. એજન પૃ. 4
  8. ૮. શબ્દપ્રત્યય પૃ. ૧૩-૧૪
  9. ૯. એજન પૃ. ૧૪૧
  10. ૧૦. ફલશ્રુતિ પૃ. ૨૯૫ અને ૧૧. એજન પૃ. ૧૩૮