ભારતીય કાવ્યસિદ્ધાંત/રસનિષ્પત્તિની પ્રક્રિયા

From Ekatra Wiki
Revision as of 03:04, 27 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રસનિષ્પત્તિની પ્રક્રિયા

સ્થાયી ભાવ, વિભાવ, અનુભવ, વ્યભિચારી ભાવ આદિને રસની કાચી સામગ્રી કહી શકાય. એમના કોઈક પ્રકારના સંયોજનથી રસાનુભવ થાય છે. પણ આ સંયોજન કેવા પ્રકારનું હોય છે, રસનિષ્પતિમાં કારણભૂત આ ભિન્નભિન્ન તત્ત્વોનો પરસ્પર કઈ જાતનો સંબંધ હોય છે. રસાસ્વાદ એટલે ખરેખર શું – એ બધા પ્રશ્નો વિચારવાના રહે છે. રસનિષ્પત્તિની સમગ્ર પ્રક્રિયા – એટલે કે કાવ્યસામગ્રી ભાવકના ચિત્ત પર કઈ રીતે અસર કરે છે તેનો વિચાર કાવ્યશાસ્ત્રીઓએ કર્યો છે; પણ એ બાબત તેઓમાં થોડો મતભેદ છે. રસનિષ્પત્તિની પ્રક્રિયાની આ ચર્ચા કાવ્યશાસ્ત્રીઓએ ભરત મુનિના ‘विभावानुभावव्यभिचारिसंयोगात् रसनिष्पत्तिः ।’ એ સૂત્રના વિવરણરૂપે કરેલી છે. આ સૂત્રમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ નથી. પણ ભરત મુનિને વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ સાથે સ્થાયી ભાવનો જ સંયોગ ઉદ્દિષ્ટ હશે એમાં શંકા નથી. સ્થાયી ભાવ અને વિભાવાદિનો સંયોગ થવાથી રસનિષ્પત્તિ થાય એ ખરું. પણ એ સંયોગ કેવા પ્રકારનો હોય અને એમાંથી રસ કેવી રીતે નિષ્પન્ન થાય એ મતભેદનો વિષય છે. વળી રસનિષ્પત્તિની આ ચર્ચા નાટકને અનુલક્ષીને થયેલી છે અને એમાં એક છેડે કવિ અને બીજે છેડે ભાવક એ બે વ્યક્તિઓ ઉપરાંત મૂળ પાત્ર અને નટ એમ બીજી બે વ્યક્તિઓ પણ સંકળાયેલી છે. એટલે આમાંથી કોને સ્થાયી ભાવ – મૂળ પાત્રનો, નટનો કે ભાવકનો રસરૂપે પરિણમે છે એ પણ ચર્ચાનો મુદ્દો છે. આમાંથી જ રસનિષ્પત્તિ અંગેના ચાર વાદ જન્મ્યા છે.