ભારતીય કાવ્યસિદ્ધાંત/સાધારણીકરણવ્યાપાર

From Ekatra Wiki
Revision as of 03:43, 27 August 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સાધારણીકરણવ્યાપાર

ભટ્ટ નાયકના રસનિષ્પતિ અંગેના મનમાં વિભાવાદિના સાધારણીકરણની વાત આવે છે. ભટ્ટ નાયકનો પોતાનો ગ્રન્થ તો મળતો નથી, એટલે એમના મતને બીજાઓએ જે રીતે રજૂ કર્યો હોય કે ઘટાવ્યો હોય તે પરથી જ એમના મતને આપણે સમજવાનો રહે. ભટ્ટ નાયકે રસનિષ્પત્તિમાં ત્રણ વ્યાપારો કલ્પ્યા છે : અભિધા, ભાવકત્વ અને ભોજકત્વ ભાવકત્વવ્યાપારથી વિભાવાદિનું સાધારણીકરણ થાયછે અને એ પ્રમાણે સાધારણીકૃત વિભાવાદિની ચર્વણા ભોજકત્વ વ્યાપારને કારણે થાય છે, એમ એ કહે છે. કાવ્યમાં દોષનો અભાવ અને ગુણાલંકાર હોય અને નાટ્યમાં ચતુર્વિંધ અભિનય હોય, તેથી ભાવકત્વવ્યાપાર પ્રવર્તે છે એમ એ સ્પષ્ટ રીતે કહે છે.૧[1] પણ આ સાધારણીકરણ એટલે શું? સામાન્ય પરંપરાએ સાધારણીકરણનો એવો અર્થ કરવામાં આવે છે કે એમાં વિભાવાદિ અને સ્થાયીનો વ્યક્તિ સાથેનો સંબંધ છૂટી જાય છે. એટલે કે શકુન્તલા દુષ્યન્તની પ્રેયસીરૂપે નહિ, કેવળ કામિનીરૂપે આપણા ચિત્ત સમક્ષ ઉપસ્થિત થાય છે. રામાદિગત સ્થાયી પણ રામાદિનિષ્ઠ રતિ તરીકે નહિ, કેવળ રતિ તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. પણ સાધારણીકરણનો આવો અર્થ સ્વીકારતાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય એવું લાગે છે. કાવ્ય કે નાટ્યની નાયિકા માત્ર કામિનીરૂપે જ આપણા ચિત્ત સમક્ષ ઉપસ્થિત થતી હોય, તો એ નાયિકા સીતા હોય કે શકુન્તલા હોય કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય તેથી કાવ્યાનુભવમાં કશો ફેર ન પડવો જોઈએ. પણ વસ્તુતઃ દરેક કાવ્યનો આપણો અનુભવ વિશિષ્ટ પ્રકારનો જ હોય છે. એટલે વિભાવાદિનું આ જાતનું સાધારણીકરણ કાવ્યમાં થતું હોય એમ માની શકાય એમ નથી. આથી જ શ્રી. રામનારાયણ પાઠક પણ સાધારણીકરણના આ પરંપરાગત અર્થનો ઉલ્લેખ કરી કહે છે કે ‘આ અર્થ મને ઈષ્ટ નથી. વસ્તુનું જે કાંઈ આસ્વાદ્ય સ્વરૂપ છે તે વિશેષો સાથેનું જ છે, રામસીતાના વિભાવોમાંથી રામસીતાપણું ગાળી કાઢીએ તો પછી તેનું અવશેષ રહેલું સામાન્ય સ્વરૂપ, હરકોઈ સ્ત્રીપુરુષના સંબંધો, રસહીન થઈ જાય છે... જે કાંઈ જરૂરનું છે તે એટલું જ કે રામાદિના વિભાવો વગેરે, રામાદિના રહેવા છતાં, તે સર્વ સામાજિકોના સાક્ષાત્કારયોગ્ય બને છે અને સાધારણીકરણનો આટલો અર્થ કરીએ તો બસ છે.’૧[2] શ્રી રામનાયારણ પાઠકે ઉપર દર્શાવેલી પ્રક્રિયા સાચી છે, પણ સાધારણીકરણ એટલે સર્વ સામાજિકોના સાક્ષાત્કારયોગ્ય થવું એવો જે અર્થ એમાંથી સૂચવાય છે તે બરોબર નથી; કારણ કે કાવ્યસામગ્રી સર્વ સામાજિકોને સાક્ષાત્કારયોગ્ય – આસ્વાદ્ય હોય છે એના કારણરૂપે જ સાધારણીકરણવ્યાપારની કલ્પના કરવામાં આવી છે. ભટ્ટ નાયક વાચ્યાર્થબોધ અને રસચર્વણા વચ્ચેના કમ લેખે વિભાવાદિના સાધારણીકરણને મૂકે છે, એટલે કે કાવ્યમાં આપણે – સર્વ સામાજિકો – સહૃદયો વિભાવાદિ અને સ્થાયીનો ભોગ કરી શકીએ છીએ, આસ્વાદ લઈ શકીએ છીએ તેનું કારણ એ છે કે તે સાધારણીકૃત હોય છે. લૌકિક કે વ્યાવહારિક જીવનની સામગ્રીનો આપણે આ રીતે આસ્વાદ નથી લઈ શકતા, કાવ્ય સામગ્રીનો આસ્વાદ લઈ શકીએ છીએ, એનું કારણ શું? – એવા પ્રશ્નના જવાબ લેખે કાવ્યશાસ્ત્રીઓ વિભાવાદિ અને સ્થાયીનું સાધારણીકરણ સૂચવતો હોય એવું જણાય છે. લૌકિક જીવનમાં રસાસ્વાદની આડે ઘણાં વિઘ્નો છે. લૌકિક જીવનમાં આપણે જે ભાવો અનુભવીએ છીએ તે કેવળ આત્મગત જ હોય છે. જીવનના સુખદુઃખના અનુભવોને આપણે નિર્વિઘ્ને આસ્વાદી શકતા નથી, કેમ કે એ અનુભવોની સાથે બીજા અનેક ભાવો જોડાયેલા હોય છે. સુખ ચાલ્યુ જાય એવી ભીતિ, એનું રક્ષણ કરવાની ચિંતા, દુઃખ દુર થાય એવી ઈચ્છા, પોતાનાં સુખસમૃદ્ધિ જાહેર થાય એવી આકાંક્ષા, દુઃખદીનતા છુપાવવાની ભાવના – આમ બીજાં અનેક સંવેદનો ઉદ્ભૂત થઈ આસ્વાદમાં વિઘ્ન લાવે છે.૧[3] આપણા નિજમોહ – અહંબુદ્ધિ-માંથી આ બધાં વિઘ્નો જન્મે છે. કાવ્યમાં આ આપણો નિજમોહ દૂર થાય છે.૨[4] અને કાવ્યસામગ્રી આપણે માટે અલૌકિક સ્વરૂપ ધારણ કરી લે છે.


આ અહંબુદ્ધિને કારણે વ્યવહારજીવનની સામગ્રી સાથેનો આપણો સંબંધ કોઈ ને કોઈ પ્રકારના નિશ્ચિત રૂપનો હોય છે. કાવ્યની વિભાવાદિ સામગ્રી સાથે આપણો જે સંબંધ હોય છે તેને મમ્મટ, અભિનવગુપ્તનો મત રજૂ કરતાં, આ મારા જ છે, આ શત્રુના જ છે કે આ તટસ્થના જ છે’ એવા સંબંધવિશેષના સ્વીકાર અને ‘આ મારા નથી. આ શત્રુના નથી કે આ તટસ્થના નથી’ એવા સંબંધવિશેષના પરિહારના નિશ્ચયના અભાવરૂપે વર્ણવે છે. એટલે કાવ્યસામગ્રી સાથેનો આપણો સંબંધ અલૌકિક, વિલક્ષણ, કેવળ અનધ્યવસાયના રૂપનો છે. લૌકિક જીવનના પદાર્થો આપણને આસ્વાદ્ય નથી બનતા, કારણ કે એની સાથે આપણો મમત્વ, પરકીયત્વ-શત્રુત્વ અથવા તો તાટસ્થ્ય-ઉપેક્ષણીયત્વનો સંબંધ હોય છે; મમત્વને લીધે આપણા કુટુંબીજનનું મરણ, શત્રુત્વને લીધે પડોશીની સમૃદ્ધિ અને ઉપેક્ષણીયત્વને લીધે કુદરતનું સૌન્દર્ય આપણને રસપ્રદ નીવડતાં નથી. કાવ્યસામગ્રી સાથે આમાંથી એકે પ્રકારનો સંબંધ આપણને હોતો નથી, ઈષ્ટ પણ નથી, કેમ કે જ્યાં જ્યાં એ સંબંધ આવે છે ત્યાં ત્યાં કાવ્યસામગ્રી રસપ્રદ નીવડતી નથી. શ્રી. સુરેન્દ્રનાથ દાસગુપ્ત એક પ્રસંગ ટાંકી લખે છે : ‘એવું કહેવાય છે કે બંગાળની કોઈ એક પ્રસિદ્ધ અને પ્રાતઃ સ્મરણીય વ્યક્તિ એક વખતે ‘નીલદર્પણ’નો અભિનય જોતાં સાહેબોના અત્યાચારનો અભિનવ જોઈને એવી તો ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે દર્શકને સ્થાનેથી ઊઠીને સપાટ કાઢીને સ્ટેજ ઉપર નીલકર સાહેબની ભૂમિકામાં જે વ્યક્તિ અભિનય કરતી હતી તેને છૂટી મારી હતી, અહીં એ દર્શકના ચિત્તમાં જે ભાવ થતો તે નાટ્યરસ નથી. લૌકિક ભાવની રેલ છે.’૧[5] (૧૫) સાધારણીકરણમાં દેશકાળની વિશિષ્ટતા ગળાઈ જાય છે એમ પણ કહેવામાં આવે છે.૨[6].આનો અર્થ ઘણી વાર એમ કરવામાં આવે છે કે શકુન્તલા એની સમસ્ત ઐતિહાસિકતાનું વિસર્જન કરીને માત્ર કાન્તારૂપે સહૃદયના ચિત્ત સમક્ષ આવિર્ભૂત થાય છે. પણ પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આ વાતનો યોગ્ય રીતે વિરોધ કરે છે.૩[7] કારણ કે દેશકાળની વિશિષ્ટતાને લીધે તો કાવ્યમાં કેટલુંક વિશિષ્ટ સૌન્દર્ય આવે છે. હાર્ડી કે ડિકન્સ જેવાની નવલકથામાં અને એનું શ્રી. મેઘાણી જેવા રૂપાંતર કરે તો એમાં રસ જુદો જ હોવાનો૪[8], એટલે કે કાવ્યની ભાવસૃષ્ટિની વિશેષતા એમાંની દેશકાળવ્યક્તિની વિશેષતામાંથી આવે છે. એમ લાગે છે કે દેશકાળવ્યક્તિની વિશેષતાઓ ખરી પડવાની વાત આ અર્થમાં અભિનવગુપ્ત જેવાને અભિપ્રેત ન પણ હોય, એમની સમક્ષ જે પ્રશ્ન હતો તે આ હતો – આપણું સામાન્ય વ્યાવહારિક જીવન દેશ, કાળ, વ્યક્તિના ભાનથી આપણે જીવતા હોઈએ છીએ અને તેથી જ એ રાગદ્વેષમય બને છે; હવે જો કાવ્યનાટકમાં વર્ણવાયેલી સૃષ્ટિને આપણે આવી એક પારમાર્થિક વ્યાવહારિક સૃષ્ટિ તરીકે લેખીએ – આપણે એ સૃષ્ટિના ભાગરૂપ બની જઈએ કે એને આપણા વ્યાવહારિક જીવનના ભાગરૂપે બનાવી બેસીએ – તો એના પ્રત્યે આપણને રાગ દ્વેષ કે ઉદાસીનતાના ભાવો થાય, આપણને એમાંથી અલૌકિક રસાનંદ કેમ મળી શકે? એટલે અભિનવગુપ્ત કહે છે કે આપણા દેશકાલાદિ અને કાવ્યનાટકમાં વર્ણવાયેલા દેશકાલાદિ એકબીજાનો છેદ ઉડાવી દે છે અને કાવ્ય-નાટકની સૃષ્ટિ કેવળ આપણા રસાસ્વાદનો વિષય બનીને રહે છે. ટૂંકમાં, કાવ્ય-નાટકના દેશકાલાદિ વાસ્તવિક-પારમાર્થિક રહેતા નથી, એ કલ્પનાગમ્ય વસ્તુ (FICTIONAL ENTITY) બની રહે છે. તેથી જ એની સાથે આપણો રાગ, દ્વેષ કે ઉદાસીનતાનો સંબંધ બંધાતો નથી અને એનો આપણે નિર્વિઘ્ને આસ્વાદ લઈ શકીએ છીએ. આ રીતે, કાવ્યવર્ણિત સામગ્રી સાથે આપણો લૌકિક જીવનથી ભિન્ન એવો કોઈ વિલક્ષણ સંબંધ હોય છે. એને આપણે કલ્પનાગત કે ભાવનાગત બનાવીએ છીએ એ અર્થમાં એની સાથે આપણઉં તાદાત્મ્ય છે, પણ એને આપણા વ્યાવહારિક જીવનના ભાગરૂપ ગણતા નથી એ અર્થમાં આપણે એનાથી તટસ્થ છીએ. લૌકિક જીવનના નિશ્ચિત પ્રકારના સંબંધો એની સાથે આપણને નથી હોતા, તેથી જ એને ‘અનધ્યવસાય’ રૂપે વર્ણવામાં આવેલ છે. આ જ કાવ્યસૃષ્ટિની – વિભાવાદિની સાધારણતા. સાધારણીકરણનો જો આ અર્થ સાચો હોય તો એ સહેજે સ્વીકાર્ય બને એવો છે એટલું જ નહિ પણ રસવૃત્તિમાં(aesthetic attitude)ની સૂક્ષ્મ સમજ એમાં પ્રગટ થાય છે એમ પણ કહી શકાય. (૧૬) છતાં, સાધારણીકરણ કોઈ સંપ્રજ્ઞાત વ્યાપાર છે એમ ભાગ્યે જ કહી શકાય. કાવ્યમાં વર્ણવાતા વિભાવાદિનો એ ધર્મ છે. આથી અભિનવગુપ્ત साधारणीभाव, साधारणीभूत એવા શબ્દો જ પ્રયોજે છે. (૧૭)


  1. 1. ‘....काव्ये दोषाभावगुणालङ्कारमयत्वलक्षणेन, नाट्ये चतुर्विधाभिनयरूपेण... भावकत्वव्यापारेण...’ (अभिनवभारती)
  2. ૧. ‘આકલન’ : ‘મમ્મટની રસમીમાંસા’ પૃ.૧૧ પરની પાદટીપ
  3. 1. स्वैकगतानां च सुखदुःखसंविदाम् आस्वादे यथासंभव तदपगमभीरुतया वा तत्परिरक्षाव्यग्रतया वा तत्सदशार्जिजीषया वा तज्जिहासया वा तत्प्रचिख्यापयिषया वा तद्गोपनेच्छाया वा प्रकारान्तरेण वा संवेदनान्तरसमुद्गम एव परमो विघ्नः । (अभिनवभारती)
  4. 2. निविडनिजमोहसंकटतानिवारणकारिणा विभावादि साधारणीकरणात्मना.. भावकत्वव्यापारेण... (अभिनयभारती)
  5. ૧. ‘કાવ્યવિચાર’ : પૃ.૧૨૮
  6. ૨. ‘અભિનવગુપ્ત देशकालाघनालिङि्गत’ ભાવનો અનુભવ આપણને કાવ્યમાં થાય છે એમ કહે છે
  7. ૩. જુઓ ‘પરિશીલન’માં ‘સાધારણીકરણવ્યાપાર’ એ લેખ
  8. ૪. ઐતિહાસિક કાવ્યો પરત્વે કવિવર ટાગોરે ‘ઐતિહાસિક રસ’ કલ્પ્યો છે તે આ સંદર્ભમાં વિચારવા જેવું છે.