ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/સાકરલાલ અમૃતલાલ દવે

From Ekatra Wiki
Revision as of 02:27, 11 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
Jump to navigation Jump to search


સીતારામ જેસીંગભાઈ શર્મા

જાતે બ્રહ્મભટ્ટ; મૂળ વતન કડી. એમનો જન્મ પોતાના મોસાળ પ્રાંતિજમાં તા. ૧૬મી ઑગસ્ટ સન ૧૮૯૧ના રોજ થશે હતો. પિતા તેમને પાંચ વર્ષના મૂકીને મૃત્યુ પામેલા; એટલે તેઓ મોસાળમાંજ ઉછરી મોટા થયલા. સ્થિતિ ગરીબ તેથી અભ્યાસના સાધન પણ સંકુચિત. અમદાવાદમાંથી સ્વર્ગસ્થ સર ચીનુભાઈ માધવલાલ, પહેલા બેરોનેટની મદદ મેળવવાને તજવીજ કરેલી; તેમજ પ્રાંતિજમાં એ સમયે મિશનરી સ્ટીવન્સન રહેતા હતા, તેમની સાથે મૈત્રી થયલી; પણ એ બધાનું ઇચ્છેલું પરિણામ નહિ આવેલું. માત્ર સાત ધોરણ પૂરાં કરી, વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા પાસ કરી. અંગ્રેજી પાંચ ધોરણ સુધી અભ્યાસ કરી સંતોષ માનેલો. સંજોગવશાત્ લોકલ બોર્ડની શાળામાં છએક માસ શિક્ષક તરીકે રહેલા અને પછી મુંબાઇ નસીબ અજમાવવા ગયલા, જ્યાં શરૂઆતમાં એક વેપારીની પેઢીમાં નામુ લખવાને રહ્યા. એવામાં મુંબાઇ ગુજરાતી નાટક કંપનીમાં ટીકીટ આપવાની નોકરી મળી. અહિં એમના લેખન વાચનના શોખને ઉત્તેજન મળ્યું.

લેખનવાચનનો શોખ શાળામાંથી શરૂ થયલો. કોઇક વખત કવિતા લખવાને ઉર્મિ થઈ આવતી; એક બે વાર્ત્તાઓ પણ લખેલી; તેમજ કોમી “બ્રહ્મભટ્ટ શુભેચ્છક” પત્રમાં સન ૧૯૦૯માં મરણ પછીની તેરમાની નાતોનો વિરોધ કરતી ટુંકી વાર્તા અને બેએક નિબંધો લખી મોકલેલા. પણ હજુ ધંધામાં ઠરેઠામ થયા નહોતા. એ અરસામાં ‘વડોદરા વર્તમાન’માં ચાલુ લાંબી વાર્ત્તા લખવાનું કાર્ય આરંભેલું; મહિકાંઠા એજન્સીમાં સરકારી નોકરી લીધેલી પણ મનને નિરાંત થતી નહિ. વર્ત્તમાનપત્ર માટે વિશેષ આકર્ષણ તેથી તે પ્રતિ ખેંચાતા, વડોદરા વર્તમાનના તંત્રી મંડળમાં થોડાક દિવસ કામ કર્યું; અને સન ૧૯૧૪માં “ગુજરાતી પંચ”માં જોડાયા; તે પછી બધું જીવન એ ધંધામાં વ્યતીત થતું આવ્યું છે. સન ૧૯૧૭માં ‘હિન્દુસ્તાન’ સાપ્તાહિકમાં સહતંત્રી તરીકે રહ્યા; તે સાથે ‘વાર્ત્તા મંદિર’ નામનું એક ટુંકી વાર્ત્તાઓનું માસિક કાઢ્યું; પણ છ માસમાં તેનો વહિવટ અન્યને સોંપી દીધો. સન ૧૯૨૦થી ૧૯૨૨ સુધીમાં કોમી પત્ર ‘બ્રહ્મભટ્ટ’ પોતા હસ્તક લીધું. પહેલે વર્ષે તે ત્રિમાસિક રહ્યું; બીજે વર્ષે દ્વૈમાસિક કર્યું અને ત્રીજે વર્ષે તે માસિક થયું, એમ ઉત્તરોત્તર એની પ્રગતિ થતી ચાલી હતી.

દરમિયાન દૈનિક અને સાપ્તાહિક પત્રોમાં લાંબી વાર્ત્તાઓ લખવાનું કામ ચાલતું હતું. એ વાર્ત્તાઓનાં નામ નીચે મુજબ છે:–

નિરંજન, સત્તરમી સદીનું બંગાળા, ગુર્જરવીર અણહીલ, ભારતનું ભવિષ્ય, ઝાંઝવાનું જળ, ભવસાગર, સંસારયજ્ઞ, જીવતાં મૂડદાં, મરમના ઘા અને જયસ્વદેશ.

પત્રકારિત્વનો એમનો અનુભવ અને સહવાસ લાંબો તેમજ વિધવિધ છે. મુંબઈના ઘણાખરા છાપાઓમાં તેમણે કામ કરેલું છે.

ગયા વર્ષથી તેઓ ‘નવયુગ’ના તંત્રી નિમાયા છે. નવભારતને સાહસિક અને નિર્ભય, સ્વતંત્ર અને સ્વાશ્રયી કરવાના તેઓ ભારે કોડ ધરાવે છે; અને તે દિશામાં એમનું નાવ હંકારી રહ્યા છે. પ્રભુ એમના મનોરથો પાર પાડે.

એમના ગ્રંથોની યાદી:

૧ આપણો સંસાર સુખી કેમ થાય? [નિબંધ] ૧૯૧૦
૨ પ્રસૂનાંજલિ [કાવ્યસંગ્રહ] ૧૯૧૫
૩ અમેરિકાના ગરીબ વિદ્યાર્થીઓ [નિબંધ–હિંદી ઉપરથી] ૧૯૧૬
૪ સ્વદેશ ગીતો ૧૯૨૦
૫–૬ વીણાવિહારી ભાગ-૧-૨ [નવલકથા–મરાઠી ઉપરથી] ૧૯૨૩–૨૪
૭ જુવાનીમાંની વાતો [ટૂંકી વાર્ત્તાઓનો સંગ્રહ] ૧૯૨૮