રણ તો રેશમ રેશમ/નૂર-એ-પરવરદિગાર : ઉઝબેકિસ્તાન

From Ekatra Wiki
Revision as of 00:46, 26 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


(૧) નૂર-એ-પરવરદિગાર : ઉઝબેકિસ્તાન

એક દિવસ ઈશ્વર પૃથ્વીની જમીનની વહેંચણી કરવા બેઠા. દરેક દેશના લોકો પોતપોતાનો ભાગ લેવા ઉત્સુક હતા. એક ઉઝબેક પણ એ લોકો સાથે ઊભો હતો. એ માણસ ખૂબ વિનમ્ર હતો. જ્યારે જ્યારે એનો વારો આવે, ત્યારે એ આગળ જવા માગતા બીજા કોઈ માટે રસ્તો મોકળો કરી દે. કહે : ‘મહાશય, જાઓ, તમે પહેલાં જઈ શકો છો.’ છેલ્લે જ્યારે એનો વારો આવ્યો ત્યારે ઈશ્વર એને કહેવા લાગ્યા : ‘વત્સ, તું કેમ આટલો મોડો આવ્યો? મારી તો બધી જ જમીન વહેંચાઈ ગઈ!’ પરમપિતા સમક્ષ શીશ નમાવીને અદબપૂર્વક ઉઝબેકે કહ્યું : ‘હે મારા સર્જનહાર, તમે જ તો મને પડોશીઓ પ્રત્યે દયાભાવ અને સ્નેહભાવ રાખવા શીખવ્યું છે, તે અનુસાર મેં જે કોઈ મારી આગળ જવા માગતા હતા, તેમને માટે રસ્તો કરી આપ્યો. આમ તમારી સમક્ષ હું છેલ્લો પહોંચ્યો છું.’ ઈશ્વરના મુખ પર પ્રસન્ન સ્મિતનું તેજ ફરી વળ્યું. તેઓ કહેવા લાગ્યા : ‘હે પુત્ર! તું ખરેખરો ઉદાર નીકળ્યો. તારો આત્મા નિર્મળ છે. તારી આ ઉદારતાના બદલામાં હું તને એ જમીન આપીશ જે મેં મારા પોતાના માટે રાખેલી. એ જગ્યા સ્વર્ગ સમાન છે.’ આમ વિશ્વકર્મા ઈશ્વરે ઉઝબેકને પર્વતોમાંથી વહી આવતી બે મહાન નદીઓની વચ્ચે વસેલો સ્વર્ગ જેવો સુરમ્ય દેશ આપ્યો, જે ઉઝબેકિસ્તાન તરીકે ઓળખાયો! એક દિવસ એ સ્વર્ગ સમોવડી ધરાએ સાદ દીધો. નિર્મળ હૃદયના ઉદાર લોકોના એ દેશ તરફ પ્રયાણ કર્યું ત્યારે મનમાં એક આછું ચિત્ર તો હતું જ. વીસમી સદીના અંતિમ દશકમાં સામ્યવાદનાં વળતાં પાણી વિશ્વે જોયાં. એક સમયનું અત્યંત શક્તિશાળી અખંડ રશિયા અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયું. જુઓને, એના એકલા દક્ષિણ ભાગમાંથી જ કેટકેટલાં ટચૂકડાં રાષ્ટ્રો સર્જાયાં : ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન વગેરે! તેમાંથી સૌથી વધારે વિકસિત મનાતા અને મહત્તમ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ઉઝબેકિસ્તાને અમને આકર્ષ્યાં હતાં. એક તરફ સદીઓ સુધી લોખંડી પડદા પાછળ ગુપ્ત રહેલ રશિયા માટેનું વિસ્મય હતું, ચલચિત્રો તથા પુસ્તકોમાંથી મેળવેલી રશિયન સ્થાપત્યો અને લશ્કરી કવાયતોની ભવ્યતાની કલ્પના મનમાં હતી, તો બીજી તરફ છૂટા પડ્યા પછી આ નાના નાના અંશોમાં કેટલુંક સચવાયું હશે, તેની અનિશ્ચિતતા અવગણી શકાતી નહોતી. ખરું પૂછો તો, આ વખતે શું જોવા મળશે, એ વિશેનું માનસચિત્ર સાવ ધૂંધળું અને અસ્પષ્ટ હતું, અને કદાચ એટલે જ વધુ ઉત્સુકતા અનુભવાતી હતી. એક જુદા જ પ્રકારના અનુભવ માટે અમે સજ્જ હતાં. ઉઝબેકિસ્તાન ૧૯મી સદીમાં રશિયન રજવાડાંના અમલ નીચે રહ્યું ને પછી ૧૯૨૪થી સોવિયત યુનિયન(યુ.એસ.એસ.આર)નો એક ભાગ બન્યું. સામ્યવાદનો લાલ તારો તૂટ્યો ને સન ૧૯૯૧માં એ આઝાદ થયું, એ તો જાણે હજી હમણાંની વાત લાગે, પણ અમે મિડલ સ્કૂલમાં ભણતાં ત્યારે તો આખું રશિયા સોવિયત યુનિયન તરીકે એકજૂથ હતું, અને તેનો વિશ્વ પર જબરો પ્રભાવ હતો. ત્યારે ઇન્ડો-સોવિયત મૈત્રી એની ચરમસીમા પર હતી. અમેરિકા અને રશિયા વચ્ચેનું શીતયુદ્ધ પણ ત્યારે ચરમસીમા પર હતું. અમેરિકાનાં એપોલો યાન ચંદ્રને તાકતાં તો રશિયા પોતાનાં સ્પૂટનિક યાનોની સિદ્ધિઓથી વિશ્વને આંજવાની કોશિશ કરતું. ભારતનો રશિયા તરફનો ઝોક ત્યારે જગજાહેર હતો. દિલ્હી સ્થિત સોવિયત યુનિયનની એલચી કચેરી સાંસ્કૃતિક વિનિમય માટે સતત ઉત્સુક રહેતી. આ કોન્સ્યુલેટ રશિયન બાળસાહિત્યનું ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરાવતી, અને એ સાહિત્ય એકદમ સસ્તા ભાવે આખાય ભારતનાં બાળકોને ઉપલબ્ધ કરાવાતું. રશિયન સાહિત્યકારોને પણ પોતાના માનીને ભારતે આવકાર્યા. ભારતીય ભાષાઓમાં અનૂદિત વિશ્વસાહિત્યમાં રશિયન સર્જકોની કૃતિઓનો હિસ્સો ત્યારે મહત્તમ હતો. ટૉલ્સટૉય તો જાણે આપણા પોતાના હતા! ત્યારે આપણી સરહદો જાણે સતત સળગતી રહેતી. ૧૯૬૨ના ભારત અને ચીન વચ્ચેના યુદ્ધની કળ વળે એ પહેલાં ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. તત્કાલીન વડાપ્રધાન શાસ્ત્રીજીએ આપેલ ‘જય જવાન જય કિસાન’નો નારો સતત અમારા કાનમાં ગુંજતો રહેતો. શાસ્ત્રીજીની એક હાકલ પર અમે સૌએ ભાત ખાવાનું ત્યજી દીધેલું. ભારતભરના લોકોએ સ્વેચ્છાએ જ લગ્નસમારંભોમાં જમણવાર બંધ કરેલા. શાસ્ત્રીજીને જ પ્રતાપે અમે સૌ હૃદયપૂર્વક માનતાં થયેલાં કે, એક પણ દાણાનો વ્યય એ પાપ છે. અમારા સૌ માટે તેઓ દેશદાઝ અને પ્રામાણિકતાની એક મિસાલ હતા. એવામાં એક અતિશય દુઃખદ ઘટના બનેલી. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીજી ભારત-પાકિસ્તાન વચ્ચેના કાયમી સંઘર્ષનો અંત લાવવાના શુભ આશયથી તત્કાલીન પાકિસ્તાની પ્રમુખ ઐયુબખાન સાથે ઐતિહાસિક શાંતિ કરાર કરવા માટે તાશ્કંદ ગયા. આખી દુનિયાની નજર એ શાંતિ કરાર પર હતી; કારણ કે, આખાય એશિયાખંડની શાંતિ એ ઘટના પર નિર્ભર હતી. કરાર તો થયો, કાળક્રમે શાંતિ પણ સ્થપાતી ગઈ, પરંતુ શાસ્ત્રીજી તાશ્કંદથી પાછા ન ફર્યા. કરાર પર સહી કર્યાની મોડી રાતે જ એમને હૃદયરોગનો હુમલો આવ્યો, અને ખાસ કોઈ સારવાર આપી શકાય, તે પહેલાં પરોઢિયે તો એમનું પ્રાણપંખેરું ઊડીય ગયું. એમના આવા આકસ્મિક અવસાન અંગે અનેક શંકા-કુશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી, પરંતુ અંતે એ એક રહસ્ય જ બની રહ્યું. વારંવાર એ પ્રશ્ન ઊઠતો રહ્યો કે, કેમ તાશ્કંદમાં કે મૃતદેહને ભારત લાવ્યા પછી પણ એમનું પોસ્ટમૉર્ટમ કરવામાં નહોતું આવ્યું? એમના શરીર પર અમુક શંકાસ્પદ નિશાન શેનાં હતાં? એક મત એવો પણ હતો કે, શાસ્ત્રીજી કરારમાં એક એવી શરત મૂકવાના આગ્રહી હતા કે, આજથી ભારત-પાકિસ્તાન વચ્ચેની સશસ્ત્ર અથડામણો કાયમ માટે બંધ કરવામાં આવે. કહેવાય છે કે, જનરલ ઐયુબખાનને એ વાત માન્ય નહોતી. કોઈ કહે, આવો આગ્રહ રાખવા બદલ એમને ઝેર અપાયું; તો કોઈ કહે, એ કુદરતી મોત હતું. કારણ જે હોય તે – પણ તે વખતે એમના મૃત્યુના સમાચાર સાંભળી આખો દેશ ધ્રુસકે ધ્રુસકે રડેલો તે તો આજેય બરાબર યાદ છે. તાશ્કંદના નામ સાથે એ બધી સ્મૃતિઓ તાજી થઈ આવી હતી, અને આજે એ જ તાશ્કંદ તરફ અમારું વિમાન વાયુવેગે ઊડી રહ્યું હતું.. ફ્લાઇટ આમ તો માત્ર સવા બે કલાકની હતી, પરંતુ અમારી આ પૂર્વેની બધી જ હવાઈ મુસાફરીઓથી આ સફર જુદી હતી. આજ સુધી લગભગ દરેક વખતે વિદેશ જવાનું હોય, ત્યારે મુંબઈથી ટેઇકઑફ થતાં જ પ્લેઇન ચકરાવો મારતું દરિયાને શોધે ને પછી દરિયા ઉપર કે પછી કિનારાનો પાલવ પકડીને પ્રવાસ કરવાનો હોય; જ્યારે આ વખતે સફર દિલ્હીથી શરૂ થતી હતી, અને રસ્તામાં દરિયો તો બિલકુલ આવવાનો જ નહોતો. અમારે જમીન પરથી ઊડતાં, જમીન પર જ ઊતરવાનું હતું. તેમાંય દિવસનો સમય હતો, એટલે ફરી એક વાર પૃથ્વી પોતાનું એક અનેરું રૂપ દેખાડવાની હતી, એ વાત નિશ્ચિત હતી. દિલ્હી છોડતાં જ ક્ષિતિજ ઉપર રૂપેરી કોર દેખાવા લાગી. પહેલાં તો થયું, પર્વતો આટલા વહેલા ક્યાંથી દેખાવા લાગ્યા? પણ પછી ખ્યાલ આવ્યો કે, આ તો નટખટ વાદળાં હતાં, જે હિમાલયનો વેશ સજીને ભરમાવી રહ્યાં હતાં! થોડી જ વાર પછી એક પૂંછડિયા તારા જેવા આકારની કે પછી લંબાવીને સૂતેલી માછલીના આકારમાં ઊપસેલી પર્વતમાળા દેખાવા લાગી. જરાક ઊંચા-નીચા તળ પર કેટલીક એકદમ ઊંચી ઊપસી આવેલી પડઘીઓ જેવી એ પર્વતમાળા. એનાં કેટલાંક શિખરો પર બરફ ઝળકી રહ્યો હતો. થોડુંક વધારે આગળ જતાં બરફ અદૃશ્ય થઈ ગયો, પરંતુ એકદમ નજીક નજીક ખીચોખીચ ગોઠવેલા હોય, તેવા કથ્થાઈ પર્વતો નજર સામે છવાઈ ગયા. સાવ હાથવગા હોય તેવું લાગતા એ પર્વતો સવારના સ્વર્ણિમ આલોકમાં અવર્ણનીય લાગી રહ્યા હતા. દિવસ એકદમ સાફ હતો. ન વાદળ, ન ધુમ્મસ; બધું જ સ્વચ્છ અને રૂપાળું. હિન્દુકુશ પર્વત હશે એ? ફ્લાઇટનો રૂટ કહી રહ્યો હતો કે, વાયવ્ય તરફ સતત ઊડતાં અમારે પહેલાં પાકિસ્તાન પરથી અને એ પછી અફઘાનિસ્તાન ઉપરથી ઊડવાનું હતું, એટલે એ નિઃશંક હિન્દુકુશ જ હતો. નૅશનલ જિયોગ્રાફિકની ડૉક્યુમેન્ટરીમાં વિસ્મયસ્તબ્ધ થઈને જોયેલી તે – ઓસામા બિન લાદેન જ્યાં લાંબો સમય ઉંદરની જેમ છુપાઈ રહ્યો તે – તાલિબાનોએ સર્જેલી ભુલભુલામણી જેવી માઈલો લાંબી અભેદ્ય ગુફાઓની માયાજાળ છુપાવીને બેઠેલી એ પર્વતમાળાને હું સાદ્યંત રોમાંચિતભાવે સાક્ષાત નિહાળતી રહી! રૂક્ષ માટીથી રજોટાયેલા એ પર્વતોમાં વિસ્તરેલી બરછટ રહસ્યમયતાની સામે એના મુલાયમ સૌંદર્યની જીત થઈ રહી હતી. થોડી વારમાં તો લાદેન પણ ભુલાઈ ગયો, ને તાલિબાનો પણ વિસરાઈ ગયા. રહી ગઈ માત્ર ગરિમાપૂર્ણ પ્રકૃતિની સહજ સન્નિધિ. પ્રકૃતિ અહીં કોઈ વૈરાગણ જેવી નિર્લેપ અને ઉદાત્ત લાગી રહી હતી. જેના તરફ શીશ આપોઆપ નમી જાય, તેવું ઉપાસ્ય હતું એનું આ રૂપ! થોડી વારમાં પર્વતો થોડા નીચા થતા ગયા, ને એની વચ્ચે વચ્ચે સમતળ પટ પર રૂપેરી ઝાંય ઝળકતી દેખાઈ. પળભર તો થયું, આ વળી ક્યા રૂપેરી સરોવરો? પણ ના, એ પાણી નહોતું, ને નહોતું એ મૃગજળ; એ તો હતું પર્વતોના પગમાં પથરાયેલું રૂપેરી રેતીનું રણ. ઉત્તરોત્તર નીચા થતા જતા પર્વતોની ધીરે ધીરે એકબીજામાં સેળભેળ થઈ ગઈ જાણે! નજર પહોંચે ત્યાં સુધી જાણે કોઈએ ચીમળાયેલો કાગળ બિછાવ્યો હોય તેવું લાગ્યું. હજી બધું કથ્થાઈ, વેરાન અને નિર્જન હતું. પછી હળવે હળવે કથ્થાઈ રંગે રંગાયેલા કૅન્વાસ પર લીલા લીલા ઝામા ઊપસવા લાગ્યા. રણદ્વીપમાં સ્થિત ગામડાં હશે કદાચ. પછી કેડીઓ દેખાઈ, માનવ-વસાહતો દેખાઈ, ને છેલ્લે એક નદી જોવા મળી. ઈશ્વરે પોતાના માટે રાખેલ સ્વર્ગ સમાન ધરા, જે એણે પેલા વિનમ્ર ઉઝબેકને વરદાનમાં આપી હતી, તે ધરાની નજાકત સોળે કલાએ ખીલેલી નીચે દેખાઈ રહી હતી. નદીકિનારે વસેલું એક મોટું રૂપાળું શહેર દેખાવા લાગ્યું. જરાક વારમાં તો તાશ્કંદમાં ઉતરાણની જાહેરાત થવા લાગી. જોરથી ધડકી રહેલા મારા હૃદયને મેં કહ્યું : ‘બા અદબ, બા મુલાયઝા હોશિયાર; નૂર એ પરવરદિગાર, આઈના એ જન્નત, ઉઝબેકિસ્તાન કરીબ આ રહા હૈ!’