ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(કાજી) અનવરમિયાં

From Ekatra Wiki
Revision as of 02:23, 17 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાજી અનવરમીયાં

કાજી અનવરમીયાંનો જન્મ વિસનગરમાં સવંત ૧૮૯૯ના વૈશાખ વદ ૭ ને શુક્રવારને રોજ થયો હતો. તેમના પિતાનું નામ આજામીયાં અનુમીયાં હતું. તેમના વડીલો મૂળ અરબસ્તાનના વતની હતા અને અરબોમાં કુરેશી વંશના ખાનદાન પૈકીના હતા. હિંદમાં જ્યારે મુસ્લીમ રાજ્ય થયું ત્યારે તેમના વડીલો પહેલાં દિલ્હીમાં આવીને વસેલા અને પછી લશ્કરની સાથે ગુજરાતમાં પાટણ ખાતે આવી વસેલા. તેઓ કાજીનું-ન્યાયાધીશનું કામ કરતા હતા અને તે કામગીરી માટે તેમને વિસનગર કસ્બામાં જમીન-જાગીર બક્ષવામાં આવતાં તેઓ વિસનગરમાં આવી રહેલા. બાલ્યાવસ્થાનો થોડો સમય ગયા પછી અનવરમીયાંનું ધ્યાન વિદ્યાભ્યાસ તરફ અને પછી ધર્મ તરફ વિશેષ આકર્ષાયું હતું. જેમ જેમ ઈશ્વર પ્રત્યે પ્રેમ વધવા લાગ્યો તેમ તેમ સંત, સાધુ, સંન્યાસી, યતિ, પીર, ફકીર વગેરે વૈરાગ્યવાન પુરુષોનો સમાગમ તેમને વધુ આકર્ષવા લાગ્યો. પરિણામે ઈશ્વરપ્રેમના આવેશમાં તે વધુ એકાંતવાસ સેવતા થયા. જ્યારે તેમની બાર વર્ષની વય હતી ત્યારે સિંધ તરફથી એક પ્રેમમસ્ત સૈયદ સાહેબ વિસનગરમાં આવેલા, તેમની સેવામાં અનવરમીયાં ખૂબ રચ્યાપચ્યા રહેવા લાગ્યા. તે સૈયદે અનવરમીયાંને પ્રભુપ્રેમનો રંગ ખૂબ ચડાવ્યો. ત્યારપછીથી અનવરમીયાં જંગલમાં કે કબરસ્તાનમાં રહી એકાંતવાસ સેવતા, પ્રભુધ્યાનમાં મગ્ન રહેતા અને કઠિન તપશ્ચર્યા કરતા. બે ત્રણ દિવસે એક વાર ખાતા. પાછળથી તેમને સ્નેહી સંબંધીઓ તથા ભક્તો ગામમાં લઈ આવ્યા અને તેમને આગ્રહં કરીને કાજીવાડાની એક જૂની મસ્જીદમાં રાખ્યા. સંસાર વ્યવહારનાં બધાં કામોનો ત્યાગ કરીને તે ત્યાં રહીને પ્રભુભજન કરતા. સંવત ૧૯૩૭માં તે મક્કા અને મદીના જઈને હજ કરી આવ્યા. તેમના પોતાના મકાન પાસે એક જૂની મસ્જીદ હતી તે તેમણે નવી બનાવી અને ત્યાં રહી તે આત્મકલ્યાણનાં અને પરોપકારી કાર્યો કરવા લાગ્યા. ત્યાં શિષ્યો અને બીજાઓ પોતાના સ્વાર્થી અભિલાષો તૃપ્ત કરવાને તેમને કંટાળો આપવા લાગ્યા એટલે તેમણે ઢેડવાડાની પાસે એક મકાન રાખ્યું અને ત્યાં રહેવા જવાને વિચાર કર્યો પણ શિષ્યોના આગ્રહથી એ વિચાર તેમણે પાછળથી બંધ રાખ્યો. અનવરમીયાં ષડ્દર્શનના જાણકાર તથા યોગવિદ્યામાં પારંગત હતા અને પ્રેમભક્તિનાં કાવ્યો તથા ભજનો સરસ લખતા તે તેમના એકના એક પુસ્તક “અનવરકાવ્ય” પરથી જાણી શકાય છે. તેમને કીર્તિ પ્રિય નહોતી. તેમની કવિતાઓ શેઠ મહાસુખભાઈ ચુનીલાલે સંપાદિત કરીને તેનું પુસ્તક પડતર ભાવે વેચવા બહાર પાડેલું જેની સંખ્યાબંધ આવૃત્તિઓ થઈ છે. તે સર્વ ધર્મો પ્રત્યે સમભાવ રાખતા. રામ-કૃષ્ણની સ્તુતિઓ પણ તેમણે રચી છે. તેમને ગુર્દાનું દર્દ હતું. વિસનગરમાં તેમની બિમારી વધી એટલે શરીરત્યાગ કરવાને તે થોડાં કપડાં સાથે પાલણપુર ગયા. ત્યાં નવાબ સાહેબે તેમને પોતા પાસે રાખીને અનેક ઉપચાર કરાવ્યા પણ બિમારી મટી નહિ. સં.૧૯૭૨ના પોષ વદ ૨, તા. ૨૨-૧૦-૧૯૧૬ના દિવસે તેમણે પાલણપુરમાં જ દેહત્યાગ કર્યો. પાલણપુરમાં તેમની દરગાહ ઉપર સુંદર રોજો બનાવેલો છે અને ત્યાં દર વર્ષે ઉરસ ભરાય છે.

***