રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/‘શેષ’નું કવિતાસર્જન

From Ekatra Wiki
Revision as of 03:53, 28 October 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪<br>સાહિત્યસર્જક રામનારાયણ}} {{Heading|૧.<br>‘શેષ’નું કવિતાસર્જન}} {{Poem2Open}} રામનારાયણનું વિવેચન જે ગુણવત્તા ને વિપુલતાયે પ્રભાવક છે તો એમનું સર્જનકર્મ પણ ઓછું પ્રભાવક નથી. સાહિત્યસર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સાહિત્યસર્જક રામનારાયણ
૧.
‘શેષ’નું કવિતાસર્જન

રામનારાયણનું વિવેચન જે ગુણવત્તા ને વિપુલતાયે પ્રભાવક છે તો એમનું સર્જનકર્મ પણ ઓછું પ્રભાવક નથી. સાહિત્યસર્જક તરીકે રામનારાયણ તરફથી કવિતાના બે, ટૂંકી વાર્તાઓના ત્રણ, હળવા નિબંધોના બે, ગંભીર નિબંધોનો એક અને નાટ્યનો એક — આમ નવ ગ્રંથો મળવા પામે છે. આમ સર્જનકાર્ય વિપુલતામાંયે વિવેચનકાર્યથી ખાસ ઓછું ન ગણાય. વળી રામનારાયણનું વિવેચનકાર્ય સર્જનકાર્યની જોડાજોડ જ શરૂ થયું ને ચાલ્યું. એમનો પહેલો વિવેચન-લેખ ‘કવિ બાલાશંકર કંથારિયાનાં કાવ્યો’ ૧૯૨૧-૨૨ દરમ્યાન પ્રગટ થયો, તો એમનું પહેલું કાવ્ય ‘રાણકદેવી’ ૧૯૨૧માં વઢવાણની યાત્રા દરમ્યાન સ્ફૂર્યું અને તે ‘જાત્રાળુ’ ઉપનામથી ‘ગુજરાત’ માસિકમાં પ્રગટ થયું. આ પછી ચાર વર્ષે ૧૯૨૫ના અરસામાં ‘નર્મદાને આરે’ કાવ્ય ‘શેષ’ ઉપનામથી પ્રગટ થયું. વચમાં એક કાવ્ય ‘ભૂલારામ’ ઉપનામથી પણ પ્રગટ થયેલું! ‘શેષ’નું ગ્રંથસ્થ છેલ્લું કાવ્ય છે ‘સાલમુબારક’ તા. ૧૮-૪-૧૯૫૫ના રોજ લખાયેલું; જે બરોબર સૂચવે છે કે એમની કવિતાપ્રવૃત્તિ વિવેચન આદિ અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓની સાથે જ એમના જીવનની સમાપ્તિ પર્યંત ચાલી છે. એ રીતે જોતાં, એમની શાસ્ત્રીય ગ્રંથો, અનુવાદો, વાર્તાઓ, વિવેચનો, નિબંધો, સ્વૈરવિહારો એ બધું લખ્યા કેડેની પ્રવૃત્તિ તરીકે – ‘શેષ’ પ્રવૃત્તિ તરીકે એમની કવનપ્રવૃત્તિને સ્વીકારી શકાય નહિ અને એમનું ‘શેષ’ ઉપનામ આ સંદર્ભમાં સાર્થક હોવાનું સુંદરમ્‌ની જેમ[1] ઘટાવી શકાય પણ નહિ. વળી ‘શેષ’ ઉપનામ તેમના ‘અહિચ્છત્ર’, કુળનો સંકેત કરનારું જણાયું હોય તો તે તો આકસ્મિક જ ઘટના છે. વસ્તુતઃ તો પત્નીમૃત્યુના કરુણ વિયોગનું આરંભિક કાવ્ય ‘નર્મદાને આરે’ છપાવતાં, દંપતીરૂપ જે પૂર્ણઘટક, તેમાં પત્ની જતાં પોતે ‘શેષ’ રહ્યા – એ ભાવનો સંકેત કરવાને આ ઉપનામ રખાયું હોય. હીરાબહેન યોગ્ય રીત જ ‘શેષ’ ઉપનામને આ સંદર્ભમાં ઘટાવે છે.[2] રામનારાયણે ‘શેષનાં કાવ્યો’ ૧૯૩૮માં પ્રસિદ્ધ કર્યાં ત્યારે પોતાની પ્રિય પત્નીની — સખીની હયાતી નહોતી અને તેથી જ ‘વેણીમાં ગૂથવાં’તાં — | કુસુમ તહીં રહ્યાં | અર્પવાં અંજલિથી’ એવા ભાવસઘન કાવ્યથી એ કાવ્યોનો સંગ્રહ વિગત-પત્નીને અર્પણ કર્યો; તો ‘વિશેષ કાવ્યો’નો સંગ્રહ ‘શેષ’ વિગત થયા — ‘વિ-શેષ’ થયા ત્યારે એમના જ અર્ધાંગ (ને સુંદરમ્‌ કહે છે તેમ ‘સર્વાંગ’[3] પણ!) હીરાબહેને ૧૯૫૯માં પ્રસિદ્ધ કર્યો. ‘શેષનાં કાવ્યો’ની ૧૯૭૧ની પાંચમી આવૃત્તિમાં પ્રકીર્ણ સાથે ૭૩ રચનાઓની યાદી મળે છે, તો ‘વિશેષ કાવ્યો’(૧૯૫૯)માં આમ પૂરી-અધૂરી રચનાઓ મળીને ૫૭ રચનાઓ થાય છે; જેમાં ‘શેષનાં કાવ્યો’ની બીજી આવૃત્તિમાંની સત્તર રચનાઓ ઉપરાંત સંસ્કૃતમાંથી અનુવાદનો તેમ અર્પણોનો કેટલોક અંશ પુનરાવર્તન પામેલો જોઈ શકાય છે. આ પરિસ્થિતિ જોતાં, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સૂચવે છે તેમ, ‘શેષનાં કાવ્યો’ની જ સંવર્ધિત આવૃત્તિની યોજના જરૂર થઈ શકી હોત.[4] આ ‘શેષનાં કાવ્યો’ – ‘વિશેષ કાવ્યો’નું પ્રકાશન ગુજરાતી કવિતાના વિકાસના સંદર્ભમાં તો ઐતિહાસિક દૃષ્ટિએ પણ આવકાર્ય બની રહે છે.[5] સુંદરમે તો ‘શેષનાં કાવ્યો’નું ‘બુદ્ધિપ્રકાશ’માં, ૧૯૩૮માં અવલોકન કરતાં લખેલું :

“ ‘કાન્ત’ના ‘પૂર્વાલાપ’ પછી ‘શેષનાં કાવ્યો’ જ એેવો કાવ્યગ્રંથ છે જે પોતાની સંયમભરી પ્રૌઢિથી અને ‘કાન્ત’ પછી ગુજરાતી કવિતાએ પોતાના પ્રવાસમાં મેળવેલાં નવાં તત્ત્વોને પોતાનામાં સમાવીને, તેમ જ પોતાનાં નવાં ઉમેરીને પોતાની અલ્પ સંખ્યા છતાં બહુગુણતાથી એક સીમાચિહ્ન જેવો ગ્રંથ બની રહેશે.” (અવલોકના, પૃ. ૧૫૭)
મનસુખલાલ ઝવેરીએ પણ ‘શેષ’ની કવિતાની સમીક્ષા કરતાં તેમનો સંસ્કૃત કવિઓ અને કાવ્યશાસ્ત્રીઓ સાથેનો, ‘કાન્ત’ અને બ. ક. ઠાકોરની કાવ્યપરંપરા સાથેનો સંબંધ યોગ્ય રીતે જ નિર્દેશ્યો હતો.[6] રામનારાયણ ખબરદાર જે રીતે ‘સાહિત્યપ્રેરિત’ કવિ હતા તેથી વિલક્ષણ રીતે, ગહન અર્થમાં ‘સાહિત્યપ્રેરિત’ કવિ છે. તેમની કવિતા, વિષ્ણુપ્રસાદ કહે છે તેમ ‘કાવ્યજ્ઞની કવિતા’ [7] ખરી જ; પણ ‘કાવ્યજ્ઞ’ એટલે કાવ્યના જાણનાર માત્ર નહિ, અનુભવનાર પણ—એવો અર્થ કરવો જોઈએ. કાવ્યભાવન અને કાવ્યસર્જનના વ્યાપારો વચ્ચેનો સંકુલ સંબંધ — એ વિશે હજુ ઊંડાં ચિંતન-તપાસને અવકાશ છે. સર્જનકર્મના અમુક અંદાજ વિના સમુચિત ભાવનકર્મ થઈ શકે કે કેમ એય પ્રશ્ન છે. રામનારાયણનો ઉત્કટ ભાવનયોગ એમના સર્જનયોગમાં અનેક રીતે પ્રેરક-પ્રેત્સાહક-માર્ગદર્શક નીવડ્યો જણાય છે. એ રીતે સર્જક રામનારાયણ – ‘શેષ’ ભાવક રામનારાયણના ઉત્કટ સાહિત્યિક વ્યાસંગનું – પ્રગાઢ સાહિત્યિક સત્સંગનું જ એક ચમત્કારપૂર્ણ પરિણામ લેખી શકાય. રામનારાયણ બહુમુખી પ્રતિભા ધરાવનારા રસિક પંડિત હતા. એમનું કાવ્ય, સુંદરમ્‌ કહે છે તેમ, ‘એમની અનેક શક્તિઓના થરોમાંથી નીગળતું આવે છે. અને એટલે એ બહુ જ નિર્મળ અને આરોગ્યપ્રદ તત્ત્વોવાળું બને છે.’[8] લાગણીની તીવ્રતા અને બૌદ્ધિક તીક્ષ્ણતા બંનેયનો એકીસાથે લાભ એમની કવિતાને મળ્યો છે. હીરાબહેન તેમના કવિ–વ્યક્તિત્વને પરિચય આપતાં લખે છે : “પ્રચંડ અને કુશાગ્ર બુદ્ધિસંપત્તિ અને મૃદુ ભાવની કવિત્વશક્તિ ધરાવનાર વાઙ્‌મય-પુરુષ તે ‘શેષ’.”[9] આ ‘શેષ’નું ‘માતબર’ વ્યક્તિત્વ વર્ણવતાં તેઓ લખે છે :

“તત્ત્વચિંતન અને સંવેદનપટુ કવિ, વાસ્તવદર્શી અને ભાવનાવિહારી જીવ, પ્રાજ્ઞ અને પ્રેમી, પરંપરાને અનુસરનાર તેમ જ પ્રયોગશોખીન કાવ્યજ્ઞ અને અનુવાદક, સંસ્કૃતજ્ઞ અને તળપદી વાણીની સૂઝ ધરાવનાર કુશળ કસળી, ઘેરો કરુણ ઘૂંટનાર અને હાસ્યની હળવાશ છંટકોરનાર, ટીખળીખોર, આત્મલક્ષી અને પરલક્ષી કૃતિના સર્જક, ભવ્ય અને લલિત ભાવોના ગાયક — એવી એવી કવિ શેષના વ્યક્તિત્વની વિરોધી શક્તિઓ સંવાદપૂર્વક ગોઠવાઈ જઈને તેમની કવિતાને એક આગવી જ રોનક અર્પે છે.” (વિદ્રુતિ, પૃ. ૨૦૪)

રામનારાયણની કાવ્યરુચિમાં સ્વસ્થતા ને સમુદારતા છે. વૈદિક કાવ્યથી માંડીને મધ્યકાલીન-અર્વાચીન કાવ્ય સુધીની વિવિધ સર્જનાત્મક તરેહો સાથે એમના ચિત્તનું સમ્યગ રીતનું અનુસંધાન પણ છે.[10] એમની કવિતામાં એમની નૈસર્ગિક કવિપ્રતિભાનો તો ચમત્કાર છે જ, પણ એ સાથે એમની કવિ તરીકેની જ સુસજ્જતાનો ચમત્કાર ઓછો નથી; કેટલીક વાર તો એ વિશેષ ભાવે પણ અનુભવાય છે. રામનારાયણને કવિતાના આ કે તે વાદ કે ફિરકા પ્રત્યે આગ્રહ કે પૂર્વગ્રહ નથી. જ્યાંથી જે કંઈ સુંદર મળે તેની સાથે સદ્ય માનસિક અનુસંધાન કરી લેવામાં તેમનું ચિત્ત અત્યંત ચપળ છે; અને વળી સદ્‌ભાગ્યે એટલેથી જ નહિ વિરમતાં રામનારાયણ એવી સુંદરતાને સ્વકીય વાણીમાં સિદ્ધ કરવાના સ્વતંત્રપણે પ્રયત્નો-સાહસોયે આદરે છે અને તેને કારણે જ એમની કવિતામાં, અનંતરાય રાવળને ‘શેષનાં કાવ્યો’ને ‘પ્રયોગમાલા’[11] કહેવાનું મન થાય એટલી પ્રયોગશીલતા જણાય છે; અને ઉત્કટ પ્રયોગશીલતા સાથે પણ તેઓ શિષ્ટમાન્ય (ક્લાસિકલ) કવિ તરીકે પ્રતિષ્ઠિત થઈ શક્યા છે. કવિ રામનારાયણ, હીરાબહેન કહે છે તેમ, ‘સાક્ષરયુગ-ગાંધીયુગની વચ્ચેના ઉંબર ઉપર ઊભેલા છે.’[12] એમની કવિ તરીકેની સજ્જતામાં સાક્ષરયુગીન સંસ્કારો તો એમના જીવન પ્રત્યેના દર્શન-અભિગમમાં ગાંધીયુગીન સંસ્કારોનું અનુસંધાન-સાતત્ય જોઈ શકાય. રામનારાયણ ગાંધીયુગના એક સંમાન્ય કવિ છે, પણ તે ગાંધીસૂત્રોનું કવિતામાં શુકપઠન કરનાર તરીકે નહિ, પરંતુ જે મૂલ્યો માટે ગાંધીજીની હસ્તી હતી એ મૂલ્યો પ્રત્યેની પોતાની અંતરતમ નિષ્ઠાનું કવિતામાં સંવર્ધન-નિરૂપણ કરનાર તરીકે. તેમણે ‘ગાંધીયુગ’ જેવું કાવ્ય જરૂર આપ્યું; પોતાના ‘છઠ્ઠા પરણામ’ પણ ‘મહાત્મા’ ગાંધીજીને જ એમણે આપ્યા; આમ છતાં ગાંધીજીનું નામરટણ કે એમની અંધપૂજાથી તો તેઓ વેગળા જ રહ્યા. તત્ત્વાભિનિવેશી રામનારાયણનું ભાવાનુસંધાન તો હતું ગાંધીજીના કર્મજીવન સાથે, એમના ભાવનાતપ સાથે; અને આ વસ્તુનો સુંદર પ્રતિધ્વનિ એમનાં પ્રાર્થના-કાવ્યોમાં સાંભળી શકાય એમ છે. ‘શેષ’નાં પ્રાર્થના-કાવ્યો એ પ્રકારનાં ગુજરાતી કાવ્યોમાં એમના એક ઉલ્લેખનીય આગવા પ્રદાનરૂપ જ છે.

રામનારાયણને શબ્દના નાદના બ્રાહ્મી સ્વરૂપમાં શ્રદ્ધા છે. નાદબ્રહ્મની સ્તુતિ કરતાં ‘આદિનાદ’ શબ્દ તેઓ યોજે છે. તેઓ ‘કલા-કર’ નયનના ‘અમૃત કિરણની શક્તિ બરોબર પિછાણે છે. (શે. ૬.) તેઓ પ્રભુ પાસે કંઈક માગે છે ખરા, પરંતુ એ માગણીમાં જીવનને અવમાન્ય કે અમાન્ય હોય એવું કશું જ સ્થાન પામતું નથી, તેમની પ્રાર્થનામાં જિંદાદિલી છે. તેઓ માગે છેઃ

હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,
ધસી મૃત્યુમુખે હસવાનું જ દે.

મૃત્યુ સામે હસી શકનારનું બળ – ખરી નિર્ભયતાનું બળ – તે જ સત્ત્વ-સંશુદ્ધિમાં ઉપકારક થઈ શકે. વળી રામનારાયણ સત્ત્વસંશુદ્ધિથી સત્ત્વસમૃદ્ધિ સધાય છે એમ પણ માનનારા જણાય છે. રામનારાયણ સત્ત્વગુણી, રજોગુણી તેમ જ તમોગુણી – આ ત્રણેય સ્તરના મનુષ્યો માટે થઈને પ્રાર્થક થાય (‘પ્રાર્થના’) એ ઘટના જ એમના માનવતાપ્રેમી કવિમાનસની દ્યોતક છે. જીવનમાં વેરીડા મળે તો તેય પણ તેમને તિરસ્કરણીય લાગતા નથી; તેઓ તેમનેય પોતાના પાંચમા પરણામ પાઠવવાની કાળજી લે છે! પોતાનો જીવનવિલય અન્યને માટે સંજીવનીરૂપ થાય, નવજીવનમાં ઉપકારક થાય એવીયે ખેવના તેમને રહે છે. (‘જ્યારે આ આયખું ખૂટે’.) રામનારાયણ જીવનના સાતત્યમાં-આનંત્યમાં અવિચલ શ્રદ્ધા ધરાવનારા છે અને તેથી જ એમના જીવનદર્શનમાં છેવટે તો ચૈતન્યધર્મની અજેયતાને પ્રસન્નકર ભાવ જ કેન્દ્રસ્થાને પ્રતિષ્ઠિત થતો – થયેલો લહાય છે. ઈશ્વર પણ એમને મન તો જીવનસંગીત દ્વારા સંસારનું માધુર્ય ચખાડનાર કોઈ બીન-ઉસ્તાદ-શો મહાન કલાકાર જ જણાય છે. રામનારાયણની તત્ત્વદૃષ્ટિ જીવનનાં ઉત્કર્ષ સાધક પરિબળોને સ્વાભાવિકતયા જ પ્રમુખત્વ અર્પે છે. ‘હજીયે ન જાગે મારો આતમરામ’ જેવી ભાવપ્રતીતિમાંથી તેમનું પિતાને અનાસક્તભાવે જોવાનું અંતર્મુખ વલણ, પોતાને ટકોરવાની તેમની તટસ્થતા તથા પ્રબળ આત્મવિકાસોન્મુખ વૃત્તિ — ત્રણેય પામી શકાય. તેઓ પાપવૃત્તિને પરદેશી પાંદડાની જેમ ઉડાડી મેલવાની વાત કરે છે. ‘માર્ગ કાજ સંગત’ એમ જણાવી મનને નિર્ભય મસ્તાન રહીને અવિચલ ધ્યેયનિષ્ઠાએ આગળ ધપવાનો સંકેત ‘મનવા’માં તેઓ કરે છે. રામનારાયણ આત્મવિકાસની સાધનામાં શિવસંકલ્પવૃત્તિનો તથા દૃષ્ટિપૂત સમાચરણનો સવિશેષ મહિમા કરતા જણાય છે. જીવનનું ધ્યેય જ ખૂંચવાઈ જાય એવી પરિસ્થિતિને તેઓ અસહ્ય જ લેખે છે. આ સંદર્ભમાં તેઓ નિયતિને મનુષ્ય પ્રત્યે વધુ સહૃદય, વધુ કોમળ થવાનુંયે સૂચવે છે. (‘લલાટ લખ્યું તે–’.) રામનારાયણ આ વિશ્વની તંત્રીમાં પોતાનેય એક તારરૂપે પ્રતીત કરી શક્ય તેટલો મધુર રણકાર કરી જવાનો સંવાદધર્મ વાંછે છે. તેઓ કહે છે : ‘ના તંત્રીમાં નિષ્કંપ રહેવું, ના શિથિલ થાવું ગમે.’ (‘ના ગમે’.) રામનારાયણ જીવનની રહસ્યગંભીરતા સ્વીકારે છે જ અને તદ્‌નુવર્તી એમનો જીવન પ્રત્યેનો અભિગમ સમજપૂર્વકની વિનીતતાનો છે. રામનારાયણની જીવનશ્રદ્ધા-કવિત્વશ્રદ્ધાનાં મૂળ ભારતીય સંસ્કારધારા-સંસ્કૃતિધારાનાં જે સારભૂત મૂલ્યો — એમાંથી સત્ત્વપોષણ પામેલાં જણાય છે. એમનાં ભક્તિ, ચિંતન, પ્રણયાદિ સૌ પ્રકારનાં કાવ્યોમાંથી આના અનેક રીતે સંકેત મળશે. ‘ગાંધીયુગ’, ‘આજ ત્રણ વર્ષ પર’, ‘મંગલાષ્ટક’ જેવાં કાવ્યોમાં તો તેની મુખરતાયે ધ્યાન ખેંચે એવી છે. રામનારાયણને કવિધર્મ — એમનો વ્યષ્ટિધર્મ ને સમષ્ટિધર્મ, એમના દાંપત્યધર્મ ને રાષ્ટ્રધર્મ – સૌમાં સત્ય ને સ્નેહ-અહિંસાથી પ્રેરિત શ્રેયોદૃષ્ટિની જ સત્તા સર્વોપરી જણાશે; એ સત્તા વિચારની ભૂમિકાએ રહે છે, પ્રચારની ભૂમિકાએ ઊતરી કાવ્યતત્ત્વને બાધારૂપ થાય એવા ભદ્દાપણાથી દૂર રહેવામાં તે મહદંશે સફળ જણાય છે. રામનારાયણની માનવપ્રીતિ અનેક રીતે, અનેક રૂપે કાવ્યમાં રમણીય ભાવસંદર્ભો દ્વારા અભિવ્યક્ત થાય છે. ‘અમારું એ દંતવિહોણું હાસ્ય’ જેવી સુંદર-હળવી પંક્તિને અવકાશ આપતું, ઉદાત્ત સમભાવની-તદાત્મભાવની ભૂમિકાવાળું ‘સેન્ટ્રલ સ્ટેશને’ જેવું કાવ્ય હોય કે ‘વૈશાખનો બપોર’ જેવું મજૂર-મંડળીનું સહાનુભૂતિપૂર્વકનું સ્વાગત પામતી સરાણિયા જોડી વિશેનું કાવ્ય હોય, કવિનું સ્નેહ-કરુણાનું અમૃત સ્વાભાવિક રીતે જ – કહો કે અકારણ જ — પ્રસ્રવતું જોવા મળે છે. રામનારાયણે જીવનમાં સ્નેહ-સૌહાર્દ-સખ્યનો વધુ મહિમા કર્યો છે. જીવનનું બધું દૈવત-સંસારનું સમસ્ત સાર-સૌન્દર્ય આ સ્નેહના નિર્બાધ-નિર્બાધ અનુભવમાં જ તેઓ પ્રમાણે છે. સ્નેહ-પ્રેમ માટેનું અતિ સાદું છતાં અતિસમૃદ્ધ એવું ઉપમાન થઈ શકે તો તે છે પાણી!

‘ન પાણી ને પ્રેમ સમું બીજું જગે!
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને!
રમાય, પિવાય, નવાય, જેમાં
બાહ્યાંતર ઉભયની શુદ્ધિ તાજગી!
(‘એક સન્ધ્યા’)

આ પ્રેમમાં જ જીવનનો ઉલાસ, જીવનનું માધુર્ય, જીવનની સાર્થકતાનો મનભર ને મનોહર અનુભવ થાય છે. કવિએ એનાં સુંદર કાવ્યો, ‘નવ-વરવધૂ’, ‘બીજરેખા’, ‘એક સન્ધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘અભેદ’, ‘ઉમા-મહેશ્વર’, ‘જતો’તો સૂવા ત્યાં–’ જેવાં, કર્યાં છે. એ કાવ્યોમાં ભાવચાતુર્યયુક્ત સંવાદ કળા, ભાવાર્થચમત્કૃતિ સર્જતાં સુંદર ઉપમાનો-ઉપમાચિત્રો, ભાવક્ષણ પ્રત્યક્ષ કરતી નાટ્યાત્મકતા તથા પ્રસન્નતાને વધુ મર્મસ્પર્શી કરતી સંયમનિષ્ઠા – વ્યંજનામાધુરી—આ સર્વથી ઊંચી પ્રતિનું કલાસૌન્દર્ય સિદ્ધ થઈ શક્યું છે. ગુજરાતી પ્રણયકવિતામાં રામનારાયણનાં આ તેમ જ ‘સખી જો-’, ‘છેલ્લુ દર્શન’, ‘નર્મદાને આરે’ જેવાં અન્તર્ગૂઢધનવ્યથાવાળા પુટપાક સમાં વિરહજનિત કરુણ રસનાં કાવ્યો એક મહત્ત્વનું અર્પણ બની રહે છે. એમનાં સખીકાવ્યો-સજનીકાવ્યો ગુજરાતી પ્રણયકવિતાનો એક ધ્યાનાર્હ અંશ જ લેખાય. એમનું ‘છેલ્લું દર્શન’ તો ગુજરાતીનાં ઉત્તમ સૉનેટોમાંનુંયે એક છે. રામનારાયણે દાંપત્યસ્નેહની પરિણતિમાં સંતાનને પણ મહત્ત્વનું બિંદુ માન્યું છે અને એ રીતે એમની ‘મંગલ ત્રિકોણ’ની કલ્પના એ ગુજરાતને એમનું મહત્ત્વનું અર્પણ જ છે :

ઉન્નત ને ભરેલા
મેઘો ચડે સામસામી દિશાથી,
ચડી, મળી મધ્યનભે, લળાને,
પૃથ્વી પરે અનરાધાર વર્ષે,
તેવાં અમે સામસામેથી ઝૂક્યાં
શિશુ પરે, ને વરસ્યાં સહસ્ત્ર
ધારો થકી અંતર કેરું હેજ.
જેવા ધરાથી થઈ પુષ્ટ મેઘ
વર્ષે ધરા ઉપર મેઘ પાછા,
તેવાં અમે તૃપ્ત થતાં જ વર્ષ્યાં
ને વર્ષીને તૃપ્ત થયાં ફરીથી!
ને ત્યાં અમો બેઉ અને શિશુનો
બની રહ્યો મંગલ એ ત્રિકોણ.
(‘મંગલ ત્રિકોણ’)

અહીં કવિએ કેવું ભાવપોષક ઉપમાચિત્ર યોજીને પોતાના વક્તવ્યને ચારુતાથી સ્ફુટ કર્યું છે તે જોઈ શકાશે. કવિની સૌન્દર્યરસિકતા, એમની રસજ્ઞતા પ્રણયનાં ચારુ ચિત્રો ઉઠાવવામાં વિવિધ રીતે કામ આવી હોવાનું જોઈ શકાશે. રામનારાયણે ‘મન્મથનો જવાબ’માં મન્મથની ઇષ્ટતા કલાત્મક રીતે સૂચિત કરી છે. તેઓ દાંપત્યસંબંધમાંયે કામતત્ત્વની ઉપકારકતા — અનિવાર્યતા પ્રતીત કરે જ છે; પરંતુ કામતત્ત્વ આગળ વિરમતા નથી. છેવટે તો અર્ધનારીશ્વરની ભૂમિકાએ સ્ત્રી અને પુરુષ બંનેએ પહોંચવાનું છે. રામનારાયણ જેમ એકલતાની વેદના જાણે છે તેમ લગ્નજીવનનાં વૈષમ્યો પણ જાણે છે. તેનું નિરૂપણ ‘લગ્ન’, ‘એક કારમી કહાણી’ જેવાં કાવ્યોમાં અને અન્યત્ર કેટલીક વાર્તાઓમાં પણ જોવા મળે છે. રામનારાયણ વ્યક્તિજીવન તેમ જ સમાજજીવનનાં વૈષમ્યોથી વ્યથિત થાય છે પણ તેથી તેમની સમતા ગુમાવતા નથી. આ ગુણ તેમના કાવ્યગત જીવનદર્શનનું એક આકર્ષણ બની રહે છે. રામનારાયણ ભાવનાપ્રેમી છે, પરંતુ વાસ્તવની ભૂમિકા તેઓ હંમેશાં ખ્યાલમાં રાખે છે. તેથી તેઓ વૈષમ્ય-સર્જક નિર્બળતાઓથી વ્યથિત છતાં સ્વસ્થતાની ભૂમિકા સાચવી શકે છે અને અંતિમવાદી વિચારોમાં કે ઊર્મિલતામાં સરી પડતા નથી. રામનારાયણમાં જેવું છે તેવું આ જગત – તેને સ્વીકારી લેવાની કલાકારની સમુદારતા ને ખેલદિલી છે. તેથી જ આ જગતમાં ‘અજવાળું પીધેલ ભાજને અંધારું ભરી પીવાનું છે જ’ (‘સખી જો–’) – એ જાણ્યા છતાં તેઓ જગત પ્રત્યે તો ઋણભાવ જ અનુભવે છે અને એને ‘છેલ્લા પરણામ’ પાઠવતાં લખે છે :

છેલ્લા પરિણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલિયું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે; જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.
(‘પરથમ પરણામ મારા’)

રામનારાયણ, સુંદરમ્‌ સૂચવે છે તેમ[13], છેવટે તો જીવનના મંગલદર્શનનો જ પયગામ પાઠવનારા છે. તેમની કરુણ અને હાસ્ય રસની સિદ્ધિ જોઈને ઝવેરચંદ મેઘાણીએ જે કહ્યું તે જો સાચું છે કે “કરુણ અને હાસ્ય જગજ્‌-જનનીનાં એ બે સ્તનોનું પયપાન કરીને ‘શેષ’ માનવપ્રેમી કવિ બન્યા છે.”[14] તો એય સાચું છે કે એ માનવપ્રેમી હતા માટે જ જેમ માનવજીવનના હાસ્ય-પાસા તરફ તેમ તેના કરુણ-પાસા તરફ પણ રસપૂર્વક અભિમુખ થયા, જીવનના અખિલાઈભર્યા સમ્યક્‌-સ્વસ્થ દર્શનની એમની અભીપ્સા એમને એવું કરાવીને જ રહી.

રામનારાયણમાં ઊંચા પ્રકારની વિનોદવૃત્તિ હતી, એ નિબંધ, વાર્તા વગેરેમાં, વાતચીતમાં તેમાં કવિતામાંયે પ્રસંગોપાત્ત પ્રકટતી રહી છે. એ વિનોદવૃત્તિ એમના નરવા જીવનરસની દ્યોતક જણાય છે. રામનારાયણની મનુષ્યસ્વભાવની સૂક્ષ્મ પરખ, ઊંડી મનુષ્યપ્રીતિ, સમુદાર અને મોકળી-મુક્ત એવી મનોભૂમિકા, લીલાપરાયણતા – આ બધાંને લઈને એમનું હાસ્ય, એમનો વિનેાદ ઉકૃષ્ટ ભૂમિકાનો બન્યો છે. હાસ્યની લપસણી ભૂમિ પર પણ એ જે રીતે સમતુલા સાચવી આત્મગૌરવને પ્રગટ કરી શક્યા છે તેમાં એમનાં સુરુચિ-વિવેકનો ફાળો મહત્ત્વનો છે. ઔચિત્યવાદી ગાંધીમાર્ગી, નાગર એવા પાઠકસાહેબ આમેય જે કંઈ તુચ્છ કે હીન કે અભદ્ર કે ગ્રામ્ય હોય એમાં રસ લઈ શકે એવી તો ભૂમિકા જ બરદાસ્ત ન કરી શકે. એમના હાસ્યની પાછળ જીવનની ઊંડી સમજણ, દુનિયાદારીનું બારીક અવલોકન અને શુભ-નિષ્ઠા વરતાય છે. તેમને હાસ્ય-અશ્રુનીયે બરાબર પિછાણ છે જ. તેથી જ એ હાસ્યમાં વ્યાપક સમભાવ અને નિર્દંશતા દેખાય છે. રામનારાયણમાં ગાંભીર્ય સાથે જ રમતિયાળપણાનું, એક વિલક્ષણ મિશ્રણ દૃષ્ટિગોચર થાય છે. એમના હાસ્યમાં તેથી એક અનોખો પરિપ્રેક્ષ્ય (‘પર્સ્પેક્ટિવ’) પ્રવેશે છે. રામનારાયણના હાસ્યમાં જીવનના ઉલ્લાસનું જીવનની તાજગીનુંયે રૂપ પ્રકટ થાય છે ને તે ખાસ કરીને સખ્ય-પ્રીતિનાં કાવ્યોમાં. ‘અધૂરી મૂકેલી લડઈ હજી બાકી લડવી છે’ (‘નવવરવધૂ’), ‘વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!’ (‘સખિ! તારો-’), ‘અમારું એ દંતવિહોણું હાસ્ય!’ (‘સેન્ટ્રલ સ્ટેશને’) વગેરે ઉક્તિઓમાં તેમ ‘બીજરેખા’, ’એક સન્ધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘નટવરલાલજીનો ગરબો’, ‘ઉમા-મહેશ્વર’ વગેરેમાં દાંપત્ય-સંબંધની પ્રસન્નતા સાથે વિનોદ-મજાક-ટીખળ આદિનો સુખદ-સમર્પક અનુભવ થઈ રહે છે. આ અનુભવ પાછળ સમુચિત સંવાદ-ચાતુરી, ઘટના- સંદર્ભ, ભાવ-પરિવેશ વગેરેનું પ્રદાન પણ મહત્ત્વનું હોય છે. કેટલીક વાર દેખીતું રમતિયાળપણું પ્રણયભાવની ગહરાઈને સિદ્ધ કરતુંયે જણાય છે. રામનારાયણ હાસ્ય નિષ્પન્ન કરવાની અનેક તરકીબો જાણે છે. ‘એક નવીન કાવ્ય અને તેનું શરતી અર્પણ’ — એમાં રામનારાયણની હાસ્ય નિષ્પન્ન કરવાની જે વિશિષ્ટ કળા, એમાં જે ‘પક્કાઈ રસ’ છે તે નગીનદાસ પારેખે રમણીય રીતે બતાવ્યો છે. ‘પાઠકની છીંકે’ કાવ્ય તો વિષય, છંદની પસંદગી ઉપરાંત પ્રાસ-ચાતુરીથીયે રસિકજનોને આકર્ષે છે. રામનારાયણનો આ રમત-રસ જ ‘થાક્યા આવડું બૈરીથી?’ જેવા છેકાપહ્‌નુતિ પ્રકારના કાવ્યમાં, તેમ ‘કોઈ કહેશો?’, ‘એક રાજપૂત ટેકના મધ્યકાલીન કિસ્સાના દુહા’, ‘માંદગી’ને જેવાં કાવ્યોમાં ઊછળતો જોવા મળ છે. પંડનેય હાસ્યમાં સંડોવવાની કળા ‘ચિત્રકાર ત્રિપુટીને’ જેવાં કાવ્યોમાં જોઈ શકાય. દલપતરામ, નવલરામ પછી હાસ્યવિનોદનાં ઊંચી કક્ષાનાં કાવ્યો આપવામાં; ખબરદાર પછી પ્રતિકાવ્યોના ક્ષેત્રે ઉદાત્ત કળા-સિદ્ધિ દાખવવામાં રામનારાયણનું જ નામ દેવું પડે. એમનાં પ્રતિકાવ્યોમાં અપરસમાં રાચવાની કપાતરવૃત્તિનો અભાવ એક મહત્ત્વનું લક્ષણ છે. રામનારાયણે પ્રતિકાવ્યોના આલેખન-નિમિત્તે એમની જે વિવિધ પ્રાચીન તેમ અર્વાચીન કાવ્યશૈલીઓને આત્મસાત્‌ કરી લેવાની કળા છે તેનોયે હૃદ્ય પરિચય આપ્યો છે. એમના મનોવિશ્વમાં કાલિદાસ, અમરુ જેવા કવિઓ તો હોય; તે સાથે નરસિંહ, ન્હાનાલાલ વગેરેય હોય છે. મણિલાલ, કાન્ત ને બ. ક. ઠાકોર વગેરે પાસેથી તેમ પૌરાણિક સાહિત્ય ને લોકસાહિત્ય વગેરેમાંથીયે તેઓ ઠીક ઠીક લાભ્યા છે. રામનારાયણે કોઈ એક શૈલી કે કોઈ એક ચોકઠામાં પુરાઈ રહેવાનું પસંદ કર્યું નથી એમાં પણ એમની સાચી સર્જકતાનો મિજાજ કારણભૂત જણાય છે. રામનારાયણે પ્રકૃતિ વિષયનાં કેટલાંક કાવ્યો જરૂર આપ્યાં છે, પરંતુ એ કાવ્યોમાંયે માનવીય ભાવોનો અનુપ્રવેશ તો હોય જ છે. ‘ઉદધિને’, ‘સિંધુનું આમંત્રણ’ જેવાં કાવ્યો દેખીતી રીતે ઉદધિને અનુલક્ષતાં છતાં તેમાં માનવીય અનુભવની ભૂમિકા મહત્ત્વની જણાય છે. ચંદ્ર, સૂર્ય, તારા વગેરેની મજાક ઉડાવનાર ઉદધિ નાની નાવડીની સ્પર્શરેખા પોતાના હૈયા પર ધારણ કરે અને તેય વિરલ સૌકુમાર્યથી, એ ઘટના જ કવિને મહિમાવંત જણાય છે. ‘સિંધુનું આમંત્રણ’ કેવળ પ્રકૃતિકાવ્ય ન રહેતાં પરમાત્મવિષયક કાવ્ય પણ બની રહે છે. આ કાવ્યમાંનો સિંધુ આનંદસિંધુરૂપે જ આરંભથી જ પ્રતીત થાય છે અને એના આમંત્રણમાં આધ્યાત્મિક ઉલ્લાસની છોળો અછતી રહેતી નથી. કવિનો સ્રગ્ધરા છંદ પણ એ છોળોથી ઊછળતો વરતાય છે. રામનારાયણનાં અહીંનાં પ્રકૃતિકાવ્યોમાં ઉદધિ, ડુંગર, અને ચંદ્ર-કૌમુદીનાં ઉપમાનો એમની ઉપસ્થિતિની વારંવારિતા-(‘ફ્રિકવન્સી’)ને કારણે ધ્યાન ખેંચે છે. ‘ડુંગરાની કોરે’ કાવ્યમાં ડુંગરાઓનાં કવિના કૅમેરાએ ઝડપેલાં અવનવાં ભાવસ્થિતિગત ચિત્રો અપૂર્વ જ છે; એમાં એ ડુંગરાઓની પડછે ‘તોછડા’ વૃક્ષની કરુણ સ્થિતિનું ચિત્ર મર્મભેદક જ બને છે. ‘શેષ’નું ઉચિત ને ઓછા શબ્દો દ્વારા ચિત્રો ઉપસાવવાનું કૌશલ્ય પણ અનોખું છે. તેમનાં શબ્દચિત્રોની સ્વચ્છતા, સુરેખતા ને ભાવગત એકાગ્રતા આસ્વાદ્ય હોય છે. પ્રકૃતિનાં ભવ્ય ને રમ્ય રૂપોને જોવા-માણવાની ને સર્જવાની કલામાં તેમની મનોગતિ વ્યવધાન-મુક્ત ને તેથી વેગીલી જણાય છે. જેમ રામનારાયણ પ્રકૃતિના સંદર્ભે માનવભાવોનું, તેમ માનવભાવોના સંદર્ભથી પ્રકૃતિનુંયે સૌન્દર્ય કલાત્મકતાએ મૂર્ત કરે છે. દા. ત., નીચેનું અમરુ-શૈલીનું એક કાવ્યમુક્તક એ માટે પર્યાપ્ત છે :

પોઢેલા પિયુના પરે ઝઝૂમતી કે રંગભીની વધૂ,
વિશ્વંભે ચૂમવા ચહે નિરખીને એકાન્ત આવાસનું.
ઓચિંતાં પિયુનેન ત્યાં ઊઘડતાં છાયે મુખે લાલિમા,
થંભ્યો અધ્ધર ઊગતો ક્ષિતિજથી, તેવા દીસે ચન્દ્રમા!
(‘પોઢેલા પિયુના –’)

રામનારાયણ પ્રકૃતિ ને માનવભાવોનો પરસ્પરના ઉત્કર્ષના સંદર્ભમાં જે રીતે વિનિયોગ કરે છે તે તેમની સૌન્દર્યરસિકતાનો, તેમની કવિતાની ધ્વન્યાત્મક રસસમૃદ્ધિનો જ આહ્‌લાદક પરિચય કરાવી રહે છે. ‘ગોવાલણની ગરબી’માં જે રીતે પૂર્ણિમાની રાત્રિનું અને તે સમયના આકાશ અને અંતરીક્ષનું સ્ત્રીરૂપે વર્ણન છે તેમાં ‘શેષ’નો એક આગવો નિરૂપણનો મરોડ પણ વરતાય છે.

રામનારાયણે ‘રાણકદેવી’, ‘બુદ્ધનું નિર્વાણ’, ‘તુકારામનું સ્વર્ગારોહણ જેવાં જે કાવ્યો આપ્યાં છે તે તેમના જીવનદર્શનનાં તેમ એ દર્શનને માર્મિક રીતે સ્ફુટ કરનારા કાવ્યકૌશલ્યનાંયે દ્યોતક છે. ‘રાણકદેવી’ જેવું એમનું આરંભનું કાવ્ય, બ. ક. ઠાકોરને ઐતિહાસિક વિચારણાની દૃષ્ટિએ અનુકૂળ ન જણાયેલું એવું કાવ્ય, પણ નિરૂપણકલાની દૃષ્ટિએ તો ઠીક ઠીક સંગીન જણાય છે. ‘બુદ્ધ’નું પ્રબુદ્ધપણું ઉપસાવવાની સૂક્ષ્મ કલા ‘બુદ્ધનું નિર્વાણ’ કાવ્યમાં શાંત રસની કમનીય ભાવસૃષ્ટિ રચે છે; તો એ જ સૃષ્ટિ ‘તુકારામનું સ્વર્ગારોહણ’ કાવ્યમાં અભિનવ ઉઘાડ સાથે પ્રગટ થઈ, લોકોત્તર આહ્‌લાદ બક્ષે છે. તુકારામની પત્નીની કાવ્યમાં રજૂઆત એક કલાત્મક પરિમાણ ઉપસાવી, કાવ્યગત ભાવના-દર્શનને સંસાર-જીવનનું વાસ્તવિક એવું ત્રીજું પરિણામ બક્ષી આસ્વાદ્ય સઘનતા સમર્પે છે. રામનારાયણમાં ઘટનાઓને આકર્ષક રીતે રજૂ કરવાની—એ ઘટનાઓનો પદ્યમાં યોગ્ય રીતે નિર્વાહ કરી રસોત્કર્ષ સિદ્ધ કરવાની અનોખી ફાવટ છે. એ ફાવટ કોઈ મહાકવિમાં હોય તેવી છે. એ ફાવટ મિશ્રોપજાતિ, અનુષ્ટુપ આદિ છંદોની તથા ખંડકાવ્યગત સ્વરૂપ-યોજનાની માવજતમાં, હળવી-ગંભીર ભાવાવસ્થાઓના સુરેખ ચિત્રણમાં રજૂ થાય છે. મહાકવિમાં આવશ્યક એવું વસ્તુલક્ષી નિરૂપણનું કૌશલ રામનારાયણમાં ઉત્કૃષ્ટ કોટિનું હતું એમ સમજાય છે. એમણે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્ય-પ્રકારોમાં જે કંઈ સિદ્ધિ દાખવી છે તેથીયે ઘણું વધારે દાખવી શકે એવી ક્ષમતાનો અણસાર તો આપ્યો જ છે. ‘તુકારામનું સ્વર્ગારોહણ’ કાવ્ય પણ એનું એક સ્પષ્ટ ઉદાહરણ છે.

રામનારાયણની કવિતામાં ચિંતન, ઊર્મિ અને કલ્પનાનું રસાયણ થયેલું અનેક વાર કળાય છે; ને એનું સ્પષ્ટ કારણ તો, રસિકલાલ પરીખ કહે છે તેમ[15], આ કવિ-ફિલસૂફે-ફિલસૂફ-કવિએ જીવનના અનુભવો, વિચાર, તર્ક, બોધ, દર્શનને પચાવીને એનું જે રસાયણ કર્યું તેમાંથી એમની કવિતા જન્મી એ છે. રામનારાયણની કવિતામાં ચિંતનની કામગીરી ધ્યાનાર્હ જરૂર છે, પણ એ ચિંતન ચિંતન હોવાને કારણે જ કવિતાવિરોધી થતું નથી. એમનું કાવ્યગત ચિંતન કાવ્યાર્થસાધક ચિંતન જ વિશેષે છે. એ ચિંતને એમની કવિતાને સંયમપૂત કરી તેની રસલક્ષિતાને જ વધુ તો મદદ કરી છે. વળી અન્ય કારણોએ કાવ્યમાં આવી જતી ટાઢાશ કે શુષ્કતા માટે ચિંતનને હમેશાં જવાબદાર લેખવું ઠીક નથી. વસ્તુતઃ ચિંતક રામનારાયણ કવિ રામનારાયણના વિશેષ ભાવે સંનિષ્ઠ ને સુસજ્જ સહાયક થઈ રહેલા જણાય છે. રામનારાયણની ચિંતનનિષ્ઠા ને સંયમનિષ્ઠા રસિકતાની વિરોધી નહિ પણ સદૈવ અનુરોધી જ રહી છે. રામનારાયણનું ઊર્મિ-ચિંતનનું બળ એમની કલ્પના સાથે સહકાર સાધતાં કેવું તો સુભગ પરિણામ લાવે છે તે એમની ઉપમા-ચિત્રોથી ખચિત નિરૂપણશૈલીનો જાદુપ્રભાવ જોતાં અનુભવાય છે. રામનારાયણની કલ્પનાશક્તિનું, એમના કવિસામર્થ્યનું એક રમણીય પ્રમાણ એમની ઉપમાઓ — ઉપમાચિત્રાવલી છે. અહીં માત્ર તેમનો પંક્તિનિર્દેશ જ કર્યો છે, જે જે તે કાવ્યભાવના સંદર્ભમાં કેટલી આસ્વાદ્ય છે તે ભાવકો પોતે જ પ્રતીત કરશે :


સમાય બીનસ્વર જેમ બીને, તેવો શમ્યો માતની ગોદમાં એ. (‘મંગલ ત્રિકોણ’) ને તેહની પાછળ બાળ, તેના જળે પડેલા પડઘા સમું મૃદુ બોલ્યો : (‘વૈશાખનો બપોર’) .......................સ્નેહી, ચશ્માં કાળાં કાળાં, જાણે બંધ બારણે તાળાં............................ (‘એક નવીન કાવ્ય અને તેનું શરતી અર્પણ’) હા ખેંચ અંગુલિ મીંડ લે, જ્યમ કસે નારી કેશ સુંદર મીંડલે, જ્યમ પ્રિયતમાને ખેંચીને કોઈ વાત કર્ણે જૈ કરે, ઉરવલ્લિમાં દીઠાં-અદીઠાં પર્ણપર્ણે ફરફરે, (‘ના ગમે’) જળ જંપ્યા સમા ત્યાંહી દીઠા ધ્યાનસ્થ બુદ્ધને. (‘બુદ્ધનું નિર્વાણ’) તંત્રીને નખલી છેડી, ખસે ને શૂન્યમાં રહી જતો રણકારો, અંતરિક્ષથી ખર્યો ત્યમ તારે, મૂક્તો ગગન તેજની રેખા! (‘નીલ તારક્તિ–’) રૂપાકોરો ઝગઝગ થતી નર્તકી-વસ્ત્ર કેરી તેવી દીપ્તિ લળીલળી કરે બાલિકા નાળિયેરી. (‘ઊંચે વ્યોમે’) વળી ‘ડુંગરની કોરે’, ‘પોઢેલા પિયુના-’, ‘નવવરવધૂ’, ‘એક સન્ધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘અભેદ’, ‘નર્મદાને આરે’, ‘મને કૈં પૂછો ના’, ‘જ્યારે આ આયખું ખૂટે’, ‘ઉસ્તાદને’, ‘જતો ’તો સૂવા ત્યાં–’ જેવાં કાવ્યોમાં ઉપમાનગત કલ્પનાલીલાનાં વ્યાપ ને ગહનતા, સૂક્ષ્મતા ને સઘનતા સહૃદયો પ્રતીત કરશે જ. ડોલરરાય માંકડે રામનારાયણનાં ઉપમાચિત્રોનું ઝીણવટભર્યું સુંદર નિરીક્ષણ-વિશ્લેષણ ‘શેષનાં ઉપમાચિત્રો’ લેખમાં આપેલું છે.૧૬ ડોલરરાયે ‘શેષ’ની ઉપમા-શક્તિના સાક્ષાત્કાર બાદ જ એમની કાવ્યસેવા બાબત એક મહત્ત્વનું વિધાન કરતાં લખ્યું છે :


૧૬. કાવ્યવિવેચન, ૧૯૪૯, પૃ. ૧૦૧-૧૧૪.

“આપણા કાવ્યસાહિત્યમાં વૃત્તાદિને ભાવવૈવિધ્યના વાહન તરીકે વિકસાવવાના પ્રયત્નો ઘણા કવિઓએ કર્યા છે. પણ કલ્પનામૂલ અલંકાર અને તેને યોગ્ય પ્રૌઢ ભાષાવ્યક્તિને વિકસાવીને આપણી હાલની કવિતાને મહાકાવ્યનું ક્લેવર ઘડવાને એ યોગ્ય બને એવી કરવાના પ્રયત્નો તો ગોવર્ધનરામ અને બલવન્તરાય પછી શેષે જ કર્યા છે. ગોવર્ધનરામની ‘સ્નેહમુદ્રા’માં કેટલેક સ્થળે દેખાતી ઘનીભૂત ચિત્રણશૈલી ઘણે ભાગે રૂપકાત્મક છે તો શેષની ઉપર કહી તે શૈલી ઉપમાત્મક છે : પણ બંનેની અન્તર્ગત શક્તિમત્તા બહુ ઘણી છે.” (કાવ્યવિવેચન, પૃ. ૧૧૩) ડોલરરાય ‘ઉપમાનું એક સ્વતંત્ર વિશિષ્ટ રૂપ તેમ જ મહાકાવ્યની વ્યક્તિમાં અનિવાર્ય અને ઉપકારક થઈ પડે એવું વ્યક્તિ-સ્વરૂપ લગભગ પહેલી જ વાર ગુજરાત સમક્ષ મૂકવાને માટે’૧૭ રામનારાયણનો ઋણભાવે ઉલ્લેખ કરે છે. રામનારાયણની કલાનિપુણતા, રસિકલાલ પરીખ કહે છે તેમ, તેમણે જે જુદા જુદા કાવ્યપ્રકારે સાધ્યા છે એમાં દેખાય છે. ‘છૂટા દૂહા કે સોરઠાનાં ચોસલાં, ઢાળો, ગરબા, ભજનો, જોડકણાં સમસ્યાપૂર્તિઓ, ઠઠ્ઠા-મશ્કરી, મહેણાં, મરમવાક્યો અને મુશાયરીથી માંડી કાવ્યકથાનકો, લિરિકો અને મનોભાવોનાં મૌક્તિકો સુધીના વિવિધ પ્રકારો’ એમણે ખેડ્યા છે અને એ દરેકમાં ‘વિશેષતા પકડતો અધ્યાપકનો અભ્યાસ, વિવેચકનો સૌન્દર્ય-વિવેક અને કવિનું રસનિષ્પાદન’ રસિકલાલને યોગ્ય રીતે જ જણાયાં છે.૧૮ રામનારાયણે પ્રાચીન, મધ્યકાલીન તેમ જ અર્વાચીન અનેક કાવ્યસ્વરૂપો પર હાથ અજમાવ્યો છે, ને એમાં સ્વાભાવિક રીતે જ લઘુ કાવ્યસ્વરૂપો પર મુખ્યત્વે નજર સામે રહ્યાં છે. રામનારાયણ જે તે કાવ્યસ્વરૂપની સંસિદ્ધિ માટે વસ્તુ, ભાવ, છંદ, શબ્દ—આ સર્વની પસંદગીમાં નરસિંહરાવની જેમ ભારે સભાનતા ને ચીવટ દાખવે છે; પરંતુ રામનારાયણમાં નરસિંહરાવની તુલનામાં વધુ પ્રબળ સર્જકતા ને વધુ મુક્ત અને સાથે ઉત્કટતર એવી રસિકતા-રુચિ જણાય છે.

૧૭. કાવ્યવિવેચન, પૃ. ૧૧૪. ૧૮. વિશેષ કાવ્યો; પુરોવચન, પૃ. ૧૬.

રામનારાયણે જેમ પ્રણયકાવ્યો, પ્રાર્થનાકાવ્યો, ચિંતનકાવ્યો; અર્પણ- કાવ્યો-અંજલિકાવ્યો જેવા પ્રકારોમાં તેમ પ્રતિકાવ્યો અને મુક્તકોના પ્રકારોમાંયે મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમણે ‘અભેદ’, ‘છેલ્લું દર્શન’ જેવાં સુંદર સૉનેટો; ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવું ખંડકાવ્ય અને ‘વૈશાખનો બપોર’ તથા ‘બુદ્ધનું નિર્વાણ’ જેવાં પ્રસંગકાવ્યો; ‘આતમરામને’ જેવાં ભજનો; કેટલાંક તળપદા ઢાળનાં ‘શું કહું?’, ‘સખી! તારો’, ‘સખીને’, ‘એક કારમી કહાણી’, ‘નટવરલાલજીનો ગરબો’, ‘પાંદડું પરદેશી’, ‘પરથમ પરણામ મારા’, ‘’વેલી ને વૃક્ષ’ જેવાં ગેય કાવ્યો તથા ‘નાદબ્રહ્મસ્તુતિ’, ‘માગું’-‘મનવા’ જેવા ઉસ્તાદી ગાન માટેનાં કાવ્યો વગેરે આપીને ગુજરાતી કવિતાને યથાશક્તિ સમૃદ્ધ જ કરી છે. રામનારાયણે ‘વેલી ને વૃક્ષ’ના ગીત-ઢાળમાં જે રીતે વૈતાલીય-મિશ્રોપજાતિ યોજ્યા છે તે વિશિષ્ટ છે. એમણે ગઝલો ને વ્રજશૈલીની બેએક રચનાઓ, પાદપૂર્તિઓ વગેરેય આપ્યાં છે; પરંતુ એમાં એમની કોઈ મહત્ત્વની સિદ્ધિ નથી. પાદપૂર્તિઓ એમનાં શબ્દ-રમત-રસની દ્યોતક જરૂર છે. રામનારાયણે લાવણી, આર્યા, અંજની જેવા પદ્યબંધોમાં આપેલી રચનાઓ વૈશિષ્ટ્યગુણે ઉલ્લેખનીય છે. રામનારાયણે બે સંગ્રહોમાંયે જેમ કાવ્યના પ્રકારની દૃષ્ટિએ તેમ તેના છંદસ્વરૂપની દૃષ્ટિએ પણ સારું વૈવિધ્ય બતાવ્યું છે. તેમણે પૃથ્વી, મિશ્રોપજાતિ, શિખરિણી, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તા જેવા જાણીતા છંદો ઉપરાંત વિયોગિની, સ્વાગતા જેવા છંદોનોય, અલબત્ત, થોડો જ, પણ સફળ વિનિયોગ કર્યો છે. તેમણે માત્રામેળ છંદોમાં દૂહા-સોરઠામાં ઠીક તેજ બતાવ્યું છે. તે ઉપરાંત હરિગીત-ઝૂલણા પણ ઉપયોગમાં લીધા છે. હરિગીત-ઝૂલણાનાં પરંપરિત રૂપોની એમની અજમાયશ ધ્યાનાર્હ ગણાય. તેમણે છંદોમિશ્રણોમાં તળપદા ગેય ઢાળો સાથે અક્ષરમેળવૃત્તોની મેળવણીના (‘વેલી ને વૃક્ષ’, ‘સાલમુબારક’ જેવા) પ્રેયોગો પણ કર્યા છે. વસંતતિલકા+સ્રગ્ધરા, રથોદ્ધતા+સ્વાગતા, અનુષ્ટુપ+મિશ્રોપજાતિ — વગેરે પ્રકારના પ્રયોગો તો ખરા જ. ‘એક સંધ્યા’, ‘ઓચિંતી ઊર્મિ’, ‘ખિન્ન સખાને’, ‘ઉસ્તાદને’ વગેરેમાં બેથી વધુ છંદોનાં મિશ્રણો મળે છે. રામનારાયણે ‘પૃથિવીસૂકત’માં જે પ્રકારે વૈદિક છંદોનો વિનિયોગ કર્યો છે તે પણ ઉલ્લેખનીય છે. ‘કોઈ કહેશો?’માં બરોબર ન્હાનાલાલની જ રીતે એમણે ડોલનશૈલી સિદ્ધ કરી બતાવી છે. રામનારાયણના અનુષ્ટુપ, મિશ્રોપજાતિ અને પૃથ્વી જેવા છંદોની વિશેષતાઓ અભ્યાસપાત્ર છે. ‘નવવરવધૂ’, ‘સિન્ધુનું આમંત્રણ’ અને ‘ઉસ્તાદને’ જેવાં કાવ્યોમાં અનુક્રમે શિખરિણી, સ્રગ્ધરા અને પૃથ્વીની છટાઓ આસ્વાદ્ય છે. રામનારાયણના છંદોવિધાનમાં ક્યાંક ક્યાંક શૈથિલ્ય હોવાનું ડોલરરાયે દેખાડ્યું છે. અનિરુદ્ધે પણ છંદોશૈથિલ્યનાં ચારેક દૃષ્ટાંત આપ્યાં છે૧૯, જોકે અમુક રીતના પઠને એ દોષ નિર્વાહ્ય પણ જણાય છે. રામનારાયણના વિવેચનના ગદ્યને વિષ્ણુપ્રસાદે જેમ કાચ જેવું લેખ્યું છે૨૦ તેમ તેમના સર્જનના પદ્યનેય કાચ જેવું લેખી શકાય. રામનારાયણની કથનરીતિ ડોળદમામ વિનાની, સત્ત્વનિષ્ઠ અને તેથી રસસંપન્ન તથા સ્વચ્છ- સાદી છે. એમની પદ્યશૈલીમાં લાઘવ-એકાગ્રતાનો તેમ પારદર્શકતા-નમનીયતાનો ગુણ ધ્યાનાર્હ છે. રામનારાયણ આ કે તે ખોટા આગ્રહોથી બંધાઈને ચાલતા નથી. કલાક્ષેત્રે તેમનો શબ્દવ્યાપાર-વાગ્વ્યાપાર બને તેટલો આ કે તે વિધિનિષેધોથી મુક્ત, નરવો ને રસપરક છે. તેથી એમની કવિતાશૈલીમાં પ્રસાદની-પ્રસન્નતાની આકર્ષક દીપ્તિ જોવા મળે છે. આ સંદર્ભે સુંદરમ્‌ લખે છે :

૧૯. અન્વીક્ષા, પૃ. ૧૪૯. ૨૦. પરિશીલન, પ્ર. આ., પૃ. ૧૮૬.

“ગુજરાતી સાહિત્ય અને ભાષાના આ અધ્યાપકને દરેક કાવ્યપ્રકાર માટે ઘટતી ભાષા અને શૈલી સહેલાઈથી સાંપડે છે. આર્યવાણીની સહેજ રક્ષતા - crudity, સંસ્કૃત કવિઓની લાલિત્યવતી પ્રૌઢિ, ભજનોની કુમાશ, લોકગીતોનું ઉક્તિલાઘવ અને વેગભર્યું રચનાપાટવ, અને અર્વાચીનતર કવિઓની પ્રૌઢ સ્વસ્થતા કે સાહસિક રમતિયાળપણું ‘શેષ’ની ભાષામાં છે.” (અવલોકના, પૃ. ૧૫૭) ‘શેષ’ની સર્જકતા ‘કલહ’નું ‘હલક’માં પરિવર્તન કરવામાં, ‘તારક’ (શેષનાં કાવ્યો, પૃ. ૧૦) જેવા શ્લિષ્ટ અર્થવાળા તો ‘ઘન ઘેન ચડાવે’ (શે. પૃ. ૨૧), ‘રોકડા રોટલાનો’ (શે. પૃ. ૭૦), ‘ફૂટે કડડ કંકણો’ (શે. પૃ. ૧૦૧) જેવા શબ્દપ્રયોગો યોજવામાં પણ વરતાય છે. ‘પૃથિવીસૂક્ત’ આદિમાં કેવળ અનુવાદકની જ નહીં, અનુસર્જકની શક્તિયે જે પ્રકારની એમની વૈદિક હવામાનને અનુકૂળ એવી શબ્દપસંદગી છે તેમાં દેખાય છે. રામનારાયણ કાવ્યમાં તક મળે ત્યાં જીવંત ભાષાને – બોલાતી ભાષાને પ્રયોજવાનું ટાળતા તો નથી જ, બલકે એવી ભાષા પ્રયોજવાની તકો વધાવી લેતા જણાય છે. ‘ધમાલ ન કરો’ના આદેશમાં જે કારુણ્યની તીવ્રતા વ્યંજિત થાય છે તે રસજ્ઞોના ધ્યાન બહાર ન જ રહે. વળી નાટ્યાત્મક રીતિ અપનાવીને પાત્રગત સંવાદની ઉક્તિઓમાં મનભાવોનું આલેખન કરવામાં એમની કાબેલિયત અનોખી છે. એમની પ્રસન્નચારુ સંવાદશૈલી ભાવમાધુર્યનોયે મર્મસ્પર્શી અનુભવ કરાવી રહે છે. પ્રણયના આકંઠ પાનનું રમણીય પરિણામ પતિ-પત્નીના વાક્‌ગત સંબંધમાંયે કેવું તોફાની રીતે – રમતિયાળ રીતે પ્રગટ (થાય) છે તે માણવા જેવું છે. રામનારાયણ હળવા-ગંભીર ભાવોને અનુકૂળ વાક્‌છટાઓને સિદ્ધ કરવામાં અત્યંત વિચક્ષણ છે જ. ‘શેષ’ની કવિતામાં આયાસ – કૃત્રિમતાનાં, તર્ક પરાયણતાનાં, ભાવકલ્પનાનાં ઉડ્ડયનોમાં સીમિતતાનાં થોડાંક દૂષણ અત્રતત્ર જણાતાં હોય તોયે એકંદરે તો વિષ્ણુપ્રસાદના ‘શેષનાં કાવ્યો’ સંગ્રહ માટે પ્રયોજાયેલા શબ્દો એમની સમગ્ર કવિતા માટે પ્રયોજીને કહીએ તો એમાં “શુચિત્વ અને સંસ્કારથી વાતાવરણ મંગલ છે. અહીં જુવાનનો ઉલ્લાસ, શૌર્ય ને ભાવનાશીલતા છે. તો ફિલસૂફનો વિષાદ અને ધીર પુરુષનું ડહાપણ છે, જે મનનશીલ વાચકને શુદ્ધ જીવનની પ્રેરણા આપી શકે.”૨૧

૨૧. વિવેચના, ૧૯૩૯, પૃ. ૨૦૨.

રામનારાયણનું જેમ સાહિત્યવિવેચનક્ષેત્રે તેમ સર્જનક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન છે જ એમાં શંકા નથી. એમણે ગુજરાતી કવિતાના પ્રયોગક્ષેત્રની મોકળાશ કેવીક છે તે સદૃષ્ટાંત બતાવી આપી છે. ગુજરાતીમાં હાસ્ય અને કરુણ રસની કેટલીક માર્મિક કવિતામાં એમનીયે એવી કવિતાનું સુસ્થાન હશે જ. એમણે જે કાવ્યો લખ્યાં તેમાં ગુજરાતી ભાષામાં ચિરસ્થાયી સ્થાન ધરાવે તેવાં કાવ્યો – (જેવાં કે, ‘સખી! જો-’, ‘ઉદધિને’, ‘ડુંગરની કોરે’, ‘પોઢેલા પિયુના–’, ‘બીજરેખા’, ‘એક સંધ્યા’, ‘મંગલ ત્રિકોણ’, ‘અભેદ’, ‘છેલ્લું દર્શન’, ‘વિવેચક મિત્રને’, ‘આતમરામને’, ‘પરથમ પરણામ મારા’, ‘સિંધુનું આમંત્રણ’, ‘ઉસ્તાદને’ તેમ જ ‘બુદ્ધનું નિર્વાણ’, ‘તુકારામનું સ્વર્ગારોહણ’, ‘જતો ’તો- સૂવા ત્યાં –’, ‘વેલી ને વૃક્ષ’)ની સંખ્યાની ટકાવારી ઓછી ન લેખાય. ગુજરાતી ઊર્મિકવિતાના ભાવિવિકાસના સંદર્ભમાંયે રામનારાયણ ‘શેષ’નું જે કંઈ કવિતાપ્રદાન છે તે કેટલીક રીતે દિશાસૂચક ને પ્રોત્સાહક છે. આમ તો કવિતામાં વિનીત એવા ‘શેષ’ ગુજરાતી કવિતામાં ‘વિશેષ’રૂપેયે પ્રતિષ્ઠિત છે જ અને આ પ્રતીતિ આજની તો છે જ, આવતી કાલની પણ રહેશે જ.


  1. ૧. અવલોકના, સં. ૨૦૨૧. પૃ. ૧૫૫.
  2. ૨. વિદ્રુતિ, ૧૯૭૪, પૃ. ૨૦૨.
  3. ૩. સમર્ચના, ૧૯૭૮, પૃ. ૨૦૩.
  4. ૪. અન્વીક્ષા, ૧૯૭૦, પૃ. ૧૪૮-૯.
  5. ૫. ગ્રંથસ્થ વાઙ્‌મય, ૧૯૬૭, પૃ. ૧૫.
  6. ૬. પર્યેષણા, ૧૯૫૩, પૃ. ૧૨૪.
  7. ૭. વિવેચના, ૧૯૩૯, પૃ. ૧૯૬-૨૦૨.
  8. ૮. અવલોકના, પૃ. ૧૫૬.
  9. ૯. વિદ્રુતિ, પૃ. ૨૦૪
  10. ૧૦. અવલોકના, પૃ. ૧૫૬-૧૫૭.
  11. ૧૧. ગ્રંથસ્થ વાઙ્‌મય, પૃ. ૧૪.
  12. ૧૨. વિદ્રુતિ, પૃ. ૨૦૩.
  13. ૧૩. અવલોકના, પૃ. ૧૭૫.
  14. ૧૪. પરિભ્રમણ, ભા. ૨, ૧૯૪૭, પૃ. ૨૨૦.
  15. ૧૫. વિશેષ કાવ્યો, ૧૯૫૯; પુરોવચન, પૃ. ૪૮.


{{HeaderNav2 |previous = વિવેચક રા. વિ. પા. |next = સાહિત્યસર્જક રામનારાયણ }