ભાર્વોમિ/અમૃતનાં બે બુંઠ
કૃષ્ણ-રાધા
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજલ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે!
– પ્રિયકાન્ત મણિયાર
દુર્બોધ કાવ્યોનું કોચલું નાળિયેર જેવું હોય છે. સામાન્ય ભાવક સીધી રીતે એને પામી શક્તો નથી. કોઈક કસબી ખોલી આપે તો પછી એની મીઠાશ એ માણી શકે. ગુરુ જ્ઞાન આપે તો પછી એની મીઠાશ એ માણી શકે. ગુરુગમ્ય જ્ઞાન જેવી આ ‘પરાવિદ્યા’ બધાની પહોંચની ચીજ બની શક્તી નથી. પણ કેટલાંક કાવ્યો કલકલ વહેતી સરિતા જેવાં સરલ હોય છે. આવું એક કાવ્ય એટલે પ્રિયકાન્ત મણિયારનું ‘કૃષ્ણ રાધા’. કાળ ગમે તેટલો વીતે છે, પણ નથી એ મટતું કે નથી વાસી થતું. બલકે સમય વીતે છે તેમ એનાં નવાં ને નવાં દલ-પદ્મ ખૂલતાં જાય છે. દરેક કવિનો ઉન્મેષ અલગ. ભાવ, ભાષા, ભંગી બધું જ નિરાળું. આ બહુઆયામી વ્યક્તિત્વનું કોને કયું પાસું સ્પર્શશે એની ગમ કેમ પડે? અરે સર્જકને પણ ન સમજાય એવી રીતે એની અંદરથી અનાયાસ કશુંક અવતરી જાય છે. આયાસથી પદ્ય પ્રગટે પણ કવિતા તો એની મેળે જ કાળે. પ્રિયકાન્તની પાસેથી આવી એક સરળ, સ-રસ ‘બાની’ ગુજરાતી ભાષાને મળી છે. આપણે બધાં આભૂષણથી મોહિત થઈએ છીએ પણ નિરાભરણતાનું પોતાનું અલૌકિક રૂપ હોય છે. એવું રૂપ આ કૃતિમાંથી ઝમે છે. કવિતા પોતે જ મધુર હોય છે, પણ એ જ્યારે ગીત બને છે ત્યારે શબ્દ અને સ્વરનું સંયોજન થતાં એક ચમત્કૃતિ સર્જાય છે. એવી ચમત્કૃતિ આ ગીતની પ્રત્યેક પંક્તિમાંથી પમરે છે. “આ નભ ઝૂક્યું તે કાનજી..” અધ્ધરના આભમાં નિવસતા નાથ અદૃશ્ય છે, અગમ્ય છે. પણ જે નભ ધરતીની છાતી પર નમ્યું છે, એ નીલરંગી નભમાંથી ઝૂકીને જુએ છે એ છે કાનજી. કાનજી એટલે કળાયેલ મોર. રૂપ, રંગ અને ટહુકો બધાં જ દિલદાર. અરૂપ આભનું બ્રહ્મ, સરૂપ કૃષ્ણ થઈ ઝૂમી રહ્યું છે, પણ હજુ અધૂરપ છે. પ્રકૃતિ વગરનો પુરુષ બિચારો અધ્ધર ને અધ્ધર. એને પણ આધાર જોઈએ છે અને અહીં રાધાનો પ્રવેશ થાય છે. ‘ચાંદની તે રાધા રે’ રૂપ અને શીતળતાનો સમન્વય એટલે ચાંદની. આગ વરસાવતું દિવસનું આભ અને ચાંદની રેલાવતું રાત્રિનું નભ. બન્નેમાં કેટલો ફેર? એક બાળે, બીજુ ઠારે. ચાંદનીમાં રાધાનું સજીવારોપણ એ કવિનો કસબ છે. માનવીની આરતનું બીજું નામ રાધા. વિરહ, વેદના, વ્યાકુળતા, ગમગીની આ બધાંને કોઈ એક નામ આપવું હોય તો તે છે ‘રાધા’. રૂપ, રંગ અને સુગંધનાં પ્રતીક તો ઘણાં છ પણ સૃષ્ટિનું કોઈ પણ યુગ્મ પરિપૂર્ણરૂપે મનુષ્ય જાતિને લાધ્યું હોય તો તે ‘રાધા-કૃષ્ણ’નું છે. રાધા વિનાના કૃષ્ણ અને કૃષ્ણ વિનાની રાધા એટલે દેહ વિનાનો જીવ અને જીવ વિનાનો દેહ. ચમત્કૃતિ ત્યાં છે. આ બે મળે છે પછી એક ત્રીજું જ પરિમાણ પ્રગટે છે. બન્નેનું અલગ અસ્તિત્વ મટી જાય છે. દરેક યુગ્મનું મિલન બે મટીને નહીં, બે રહીને એક થતાં અમરત્વને પામે છે. આવી પ્રાપ્તિ એ કોઈ સ્થૂળ ચીજ નથી, પણ એક ઊંડી, અવર્ણનીય અનુભૂતિ છે, જેને કવિ પણ કથી શકતો નથી કારણ એ કથનની પહોંચનો પદાર્થ જ નથી. એ તો સંવેદના છે. જેને સ્પર્શે તે ન્યાલ થઈ જાય. આ કાવ્યની પંક્તિએ પંક્તિએ આ અસ્પર્શનો આવો સ્પર્શ અનુભવાય છે. य तो वाचो निर्वतन्ते यद् प्राप्य मनसा वचः। ‘આ સરવલજલ તે કાનજી’ જલ પોતે જ જીવન છે. જીવ માત્રના જીવણ કાનજી. એમાં પણ સરોવરરૂપે એ પ્રગટે છે ત્યારે એ જલરાશિ દૃષ્ટિનો ઉત્સવ બની જાય છે. પવનની આછી-આછી લ્હેરખી આવતી હોય અને સરવરજલ સજીવ બની લ્હેરાતું હોય એ દૃશ્ય તમે નિહાળ્યું છે? જાણે કે જળનું કંપન આપણી ભીતર હલબલી રહ્યું છે. ગૌરાંગ મહાપ્રભુ નીલવર્ણના સાગરના જલરાશિને જોતાં જ ‘કૃષ્ણ-કૃષ્ણ’ કહેતાં એમાં લીન થઈ ગયા. બુંદ બુંદમાં એ અમૂર્ત મૂર્ત છે. એ તો ફિલસૂફી થઈ પણ અહીં તો આ સરવરજલમાં એ અમૂર્ત મૂર્ત થઈને દષ્ટિનો વિષય બને છે. પણ જે પાણીમાં પોયણી નથી એ ભલા કમનીય કેમ કરીને લાગે? કમલિની કે કુમુદિની વિનાનું સરોવર ભલે ભર્યું ભર્યું હોય તોય ખાલી- ખાલી લાગે. સરવરજલને પોયણી, કૃષ્ણ અને રાધા બન્ને જોઈએ. પાણી ન હોય તો પોયણી તો પ્રગટે જ નહીં. સરવર કદાચ પોયણી વિનાનું હોય પણ એ કેવું લાગે? પ્રિયાના વિરહથી ઝૂરતા પ્રેમી જેવું. વ્યાકુળ- મ્લાન મુખારવિંદ જેવું. પાણી સાથે પોયણીનું સાયુજ્ય સધાતાં જે આભા, જે શોભા, જે સૌંદર્ય પ્રગટે છે તેને તો બિચારો કવિ પણ શું કથી શકે? અખાની ભાષામાં એ ‘બાવનની બહારનો અનુભવ’ છે. ‘આ બાગ ખીલ્યો તે કાનજી,’ રંગબેરંગી, વિધવિધ ફૂલોથી મઘમઘતો બાગ સૌ દર્શકોના દિલને બહેલાવે છે. પણ જે બહેલાવનાર તત્ત્વ છે એ સ્થૂળ રૂપે દેખાતો છોડ, એનું ફૂલ, એનો રંગ કે એની સુગંધ નથી, પણ એ બધાંના સંયોજનથી જે આપણને ચાક્ષુષ થાય છે તે. કવિએ કેવું સુંદર નામાભિધાન કર્યું છે? ‘ને લ્હેરી જતી તે રાધા રે.’ આ લ્હેર એટલે વાતો વાયુ એવો અર્થ નહીં કરીએ. આ તો આપણી અંદર જે લ્હેરી જાય છે એનું નામ છે રાધા. જેના બાગમાં એ લહર વ્હેરી એની દશા તો हष्यामि च मुहर्-मुहर् । ‘આ ચાલ્યાં ચરણ તે કાનજી’ ભલે પ્લેનના જમાનામાં પહોંચી ગયા હોઈએ પણ આપણે ચાલવું તો પડે જ છે. પદયાત્રાનો-તીર્થાટનનો તો આ દેશમાં કેટલો મહિમા છે? પણ ચરણ ચાલે છે એટલે મારાને તમારા પગ હાલે છે, પણ પગલે પગલે આ પ્રભુના પગ મંડાય છે એવો અહેસાસ આપણને થાય છે ખરો? એ માટે સ્વયં કાનજી થવું પડે. તો પછી એ પગલીમાં આપણને રાધારાણી દેખાય. પ્રેમભાવ પ્રગટે ત્યારે પગલે પગલે રાધાની આહટ સંભળાય. કૃષ્ણ.. કૃષ્ણ..કૃષ્ણ.. કેશ કે સેંથી, દીપ કે આરતી.. પ્રતીકો ક્યારેય પર્યાપ્ત હોતાં નથી. એ પૂરેપૂરું કળી શકતાં પણ નથી. એ તો માત્ર ઈંગિત કરે. આ ઇશારા જે મર્મીને સમજાય એનું મર્મ વીંધાઈ જાય.એની ચેતનામાં સાયુજ્ય સધાઈ જાય. લોચન જ્યારે કહાન બને છે ત્યારે જોનારી નજર રાધા બની જાય છે. આંખની જોવાની શક્તિ તે રાધા અને જે નજર રાધા બને તેને કાન સિવાય બીજું કશું દેખાય ખરું? કાનને રાધા, રાધાને કાન આ દ્વૈત અદ્વૈતથી પણ અદકું છે. ભક્તિમાં દ્વૈત સ્વીકૃત છે, ભક્ત છે અને ભગવાન છે. રાધા છે અને કાન છે. સાકરની પૂતળી સાગરમાં ઓગળી જાય પછી કથવાનું શું અને અનુભવવાનું શું? જે છે તે બધું જ કાન છે, કૃષ્ણરૂપ છે. એ તો છે જ પણ એ જેને અનુભવે છે એ કોણ છે? એ રાધા છે, આ ‘મહાભાવ’ છે. રામકૃષ્ણદેવ આ મહાભાવથી આગળ પરમભાવમાં પગ મૂકાતાં બોલી પડ્યા : “ના, ના મારે નથી ઓગળવું, નથી ઓગળવું. નિશાની જોઈએ, નિશાની.” આપણા કવિ ઉશનસે ગાયું છે : જે આનંદ તને સ્મરવામાં તે નહીં બીજે ક્યાંહી હે પ્રિયતમ, મારું આટલડું સુખ હરી લીજો નાહીં. આટલું દ્વૈત એ મનુષ્ય જીવનું માધુર્ય છે. ભક્તને જ ભગવાનની ગરજ છે એવું છે શું? ભગવાનને પણ ભક્તની ગરજ છે. નહીં તો એ एकोहम् बहुस्याम् શું કામ થાત? આ તો આપણા નરસિંહે ગાયું છે તેમ: ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’ રાધાનાં રુસણાં ને કહાનનાં મનામણાં.. પરમાનંદને પોતામાં પરિતૃપ્તિ નહીં થઈ હોય ત્યારે તો એ કૃષ્ણ થઈને રાધાને રીઝવવા અવતર્યો હશે ને? આ કૃષ્ણ અને રાધા. રાધા અને કૃષ્ણના સાયુજ્યની ચમત્કૃતિ આ ગીતમાં જાણે કે પદે પદે રેલાઈ રહી છે. અહીં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. કૃષ્ણ સ્વામી છે અને રાધા દાસી છે એવું પણ નથી. કશો તર-તમ ભાવ આ કાવ્યમાં કળાતો નથી. આ આધુનિક યુગમાં, પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ નારીવાદી ચળવળ ચલાવી રહી છે. પણ ભારતીય જીવનમાં સ્રીપુરુષ સંબંધનું પ્રતીક ‘સીતા-રામ’ નથી ‘રાધાકૃષ્ણ’ છે. એમની વચ્ચે – આટલું ડેશ જેટલું અંતર પણ સહ્યું જાય એમ નથી. ‘રાધાકૃષ્ણ’ એક સામાસિક શબ્દ છે. આભને ચાંદની, જલને પોયણી, ચરણને પગલી... આમાં કોને કેમ કરી જુદાં પાડશો? અદ્વૈત જ આનંદને બેવડાવવા આ દ્વૈતની લીલામાં રમણે ચડ્યું છે. આ લીલા નિહાળવાનું અહોભાગ્ય કોઈક નરસિંહ કે પ્રિયકાન્ત જેવા પાગલોને મળે છે. એમની હથેળીમાંથી ટપકેલા અમૃતનાં બે બુંદ આપણને એમણે ચખાડ્યાં એ માટે આપણે એમના ઓશિંગણ છીએ.