મિથ્યાભિમાન/રંગલો અને રઘનાથભટ્ટ: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 112: | Line 112: | ||
રંગલો૰— કોણ જાણે પાર્ષદ લઈ ગયા હશે, કે વગડાના શિયાળિયાં ખાઈ ગયાં હશે.</poem> | રંગલો૰— કોણ જાણે પાર્ષદ લઈ ગયા હશે, કે વગડાના શિયાળિયાં ખાઈ ગયાં હશે.</poem> | ||
<hr> | <hr> | ||
{{reflist} | {{reflist}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 02:56, 28 October 2025
અંક ૨જો/પ્રવેશ ૨
રંગલો અને રઘનાથભટ્ટ
પ્રવેશ ૨ જો
રંગલો૰—(આવીને આડું અવળું ચારે તરફ જોઈને) આટલામાં બ્રાહ્મણનો વાસ ક્યાં હશે? અરે જીવ આ તુળસી ક્યારો તો દેખાય છે. અને વેગળી શિવની દહેરી પણ છે.
शार्दूलविक्रीडित वृत्त
क्यारो तो तुलसी तणो तगतगे, टुंके पने पोतियां,
नेवे तो लटके वळी वलगणी, धोई धर्यां धोतियां;
दीसे दर्भ जुडी, रूडी शिवतणी, देरी पणे पास छे,
ए एंधाणथकीज जाण उरमां, विप्रोतणो वास छे. १८
અરે રઘનાથભટ્ટનું ઘર આ કે?
રઘના૰—(ઉભા થઈને હાથ લાંબો કરીને.) આવો નાટક નટજી.
રંગલો૰—(લાંબે હાથે મળીને) — આવો લાડુભટ્ટજી.
રઘના૰—કેમ છે લાયક લઉવા.
રંગલો૰—ઠીક છે કાકાકઉવા.
રઘના૰—ક્યાંથી આવ્યા તમે?
રંગલો૰—તમે ત્યાંથી અમે. (લાંબો ઓઠ કરીને)
રઘના૰—છે સઉ સાજુ તાજું?
રંગલો૰—પંડ સાજે સઉ સાજું.
રઘના૰—કહોને વાત વિસ્તારી.
રંગલો૰—બાંધી મૂઠી સારી. (મૂઠી બતાવે છે)
રઘના૰—કેટલા છૈયાં છોરૂં?
રંગલો૰—પાછળ કોરૂં મોરૂં. (પોતાની હથેળીમાં હથેલી ફેરવે છે.)
રઘના૰—કાંઈ સંદેશો સારો?
રંગલો૰—આવે જમાઈ તમારો.
રઘના૰—કેમ આવે છે ચાલી!
રંગલો૰—પાડીનું પૂંછ ઝાલી.
રઘના૰—શા કામે આ વાટે?
રંગલો૰—વહુને તેડવા માટે.
રઘના૰—આવશે આજની રાતે?
રંગલો૰—રાતે કે પરભાતે.
રઘના૰—તમે આવ્યા શું રળવા?
રંગલો૰— આવ્યા તમને મળવા.
રઘના૰—તમ આવે અમ રાજી.
રંગલો૰—અમે પ્રસન્ન થયાજી.
રઘના૰—તમે બહસ્પતિ દેવા.
રંગલો૰—તમે ભેંશપતિ જેવા.
સોમના૰— (ઊભો થઈને) અલ્યા, ભેંશપતિ કોને કહેવાય?
રંગલો૰—“ભેંશનો પતિ પાડો, હોય શરીરે જાડો, તે ભગરી ભેંશનો લાડો” તેને ભેંશપતિ જેવો કહેવાય.
રઘના૰—નહિ નહિ મૂર્ખા. મહા પંડિત હોય તેને બૃહસ્પતિ જેવો વિદ્વાન કહેવાય.
રંગલો૰—મેં પણ તમને ભેંશપતિ જેવા વિદ્યમાન કહ્યા કે નહિ?
રઘના૰—(પોતાની સ્ત્રીને) અલી સાંભળે છે કે નહિ?
દેવબા૰—શું કહો છો, સોમનાથના બાપા?
રઘના૰—આ જીવરામભટ્ટનો સંદેશો આવ્યો છે. તે જમનાને તેડવા સારૂ એક બે દહાડામાં આવનાર છે, માટે લૂગડાં ચીથરાં કરવાં હોય તે કરી રાખજો.
દેવબા૰—સાલ્લા, ઘાઘરા અને કાંચળીઓ તો મેં તૈયાર કરે રાખી છે, પણ બેક ધૂપેલ કરવું છે અને કાજળ પાડવું છે.
રંગલો૰—આથી વળી વધારે કાજળ જમનાના કપાળમાં કેટલું ચોપડવું છે? કહ્યું છે કે —
वंशस्थ वृत्त
मिथ्याभिमानी वर जेहने मळ्यो,
ते माननीनो अवतार तो बळ्यो;
करे कळापो बहु सर्व काळमां,
तेने सदा काजळ छे कपाळमां। १९
રઘના૰—(સ્ત્રીને[1]) અલી સાંભળે છે?
દેવબા૰—શું કહો છો?
રઘના૰—રામનાથ મહાદેવમાં પેલા ચિદાનંદસ્વામી રહેતા હતા, તેમણે કાલે કૈલાસવાસ કર્યો. એવા સ્વામી બીજા મારા જોવામાં આવ્યા નથી. એ તો મહા જોગીરાજ હતા.
દેવબા૰—કાશીમાં એમના જેવા હશે?
રઘના૰—અરે કાશીમાં પણ એવા નહિ હોય.
દેવબા૰—ત્યારે કૈલાસમાં તો હશે જ.
રઘના૰—હું તો જાણું છું કે કૈલાસમાં પણ એવા તો સ્વામી નહિજ હોય.
રંગલો૰— જમરાજાના શહેરમાં હશેજ.
દેવબા૰—એ સ્વામીને કોણ લઈ ગયું હશે? અને તે ક્યાં ગયા હશે?
રઘના૰— એમને તો સાક્ષાત્ પ્રભુના પાર્ષદ આવીને કૈલાસમાં લઈ ગયાં હશે.
રંગલો૰— કોણ જાણે પાર્ષદ લઈ ગયા હશે, કે વગડાના શિયાળિયાં ખાઈ ગયાં હશે.
- ↑ હાસ્યરસની પુષ્ટિ વાસ્તે રંગલો બોલ બોલ કરે, માટે તેને હમેંશા ઉત્તર આપવાની જરૂર નથી. વળી તેણે અણગમતું કહ્યું, તેથી રઘનાથભટ્ટે આડી વાત ચલાવી.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.