આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/S: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
'''Satire વ્યંગકલા''' | '''Satire વ્યંગકલા''' | ||
:પાત્રવિશેષ કે વસ્તુવિશેષ પર રમૂજ, વ્યંગ વગેરે ભાવોના વિનિયોગ દ્વારા પ્રહાર કરી હાસ્ય નિષ્પન્ન કરવાની આ સાહિત્યિક પ્રવિધિ છે. આ અભિગમથી લખાતી કૃતિઓમાં હાસ્ય દ્વારા ગંભીર સમસ્યાનું નિરૂપણ કરવાનો હેતુ રહેલો છે. તેના મૂળ અર્થમાં આ સંજ્ઞા નૈતિક તેમ જ સુધારક વલણનું ૫ણ સૂચન કરે છે. | :પાત્રવિશેષ કે વસ્તુવિશેષ પર રમૂજ, વ્યંગ વગેરે ભાવોના વિનિયોગ દ્વારા પ્રહાર કરી હાસ્ય નિષ્પન્ન કરવાની આ સાહિત્યિક પ્રવિધિ છે. આ અભિગમથી લખાતી કૃતિઓમાં હાસ્ય દ્વારા ગંભીર સમસ્યાનું નિરૂપણ કરવાનો હેતુ રહેલો છે. તેના મૂળ અર્થમાં આ સંજ્ઞા નૈતિક તેમ જ સુધારક વલણનું ૫ણ સૂચન કરે છે. | ||
હાસ્ય નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યાર બાદ હોરિસ, ડ્રાયડન, રેબલેઈ, સ્વિફ્ટ, હકસલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઑનિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હકસલી કૃત, 'બ્રેવ ન્યૂ વર્લ્ડ' તથા જોર્જ ઓરવલકૃત 'ઍનિમલ ફાર્મ' આનાં ઉત્તમ ઉદાહરણો છે. | :હાસ્ય નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યાર બાદ હોરિસ, ડ્રાયડન, રેબલેઈ, સ્વિફ્ટ, હકસલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઑનિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હકસલી કૃત, 'બ્રેવ ન્યૂ વર્લ્ડ' તથા જોર્જ ઓરવલકૃત 'ઍનિમલ ફાર્મ' આનાં ઉત્તમ ઉદાહરણો છે. | ||
'''Scansion પરિમાપન''' | '''Scansion પરિમાપન''' | ||
:છંદના ચરણનું પરિમાપન, પરિમાપન એ છંદસ્વરૂપના અધ્યયનનો એક ભાગ છે. પરિમાપન સ્વરભારયુક્ત કે સ્વરભારવિહીન અક્ષરોનું હોય છે. | :છંદના ચરણનું પરિમાપન, પરિમાપન એ છંદસ્વરૂપના અધ્યયનનો એક ભાગ છે. પરિમાપન સ્વરભારયુક્ત કે સ્વરભારવિહીન અક્ષરોનું હોય છે. | ||
| Line 166: | Line 166: | ||
'''Stylistics શૈલીવિજ્ઞાન''' | '''Stylistics શૈલીવિજ્ઞાન''' | ||
:સાહિત્યકૃતિની ભાષા અને શૈલીનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ કરતું વિજ્ઞાન. તત્કાલીન વિવેચનમાં પ્રવર્તમાન સંસ્કારવાદ અને આત્મલક્ષિતાના વિરોધમાં આ વિજ્ઞાનનો જન્મ ૧૯૫૦ના અરસામાં થયો. | :સાહિત્યકૃતિની ભાષા અને શૈલીનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ કરતું વિજ્ઞાન. તત્કાલીન વિવેચનમાં પ્રવર્તમાન સંસ્કારવાદ અને આત્મલક્ષિતાના વિરોધમાં આ વિજ્ઞાનનો જન્મ ૧૯૫૦ના અરસામાં થયો. | ||
શૈલીવિજ્ઞાનના કેન્દ્રમાં 'શૈલી'નો સંપ્રત્યય છે. આ વિજ્ઞાન 'શૈલી'ના સંપ્રત્યયના આધારે એક બાજુ સાહિત્યિક કૃતિની સંરચના અને તેના પોત(Texture)નું વિશ્લેષણ કરે છે, તો બીજી બાજુ, આ વિશ્લેષણ દ્વારા કૃતિમાં રહેલી 'સાહિત્યિકતા' પર પ્રકાશ પાડે છે. આ વિજ્ઞાન ભાષાના 'સર્જનાત્મક વિનિયોગ' અને 'વ્યંજક પ્રભાવ'ના રૂપમાં સૌન્દર્યાનુભવ અને ભાષાકીય સંરચના વચ્ચે શૈલીને સેતુરૂપ ગણે છે, અને એના અધ્યયન-વિશ્લેષણ દ્વારા સાહિત્ય અને સાહિત્યિક કૃતિ અંગેની સમજણ કેળવવાનું લક્ષ્ય રાખે છે. આમ શૈલીવિજ્ઞાન સાહિત્યનો એક સિદ્ધાન્તવિચાર હોવાની સાથેસાથ અધ્યયન-વિશ્લેષણની પદ્ધતિ પણ છે. લીઓ સ્પિટ્સર, ચાર્લ્સ બાલી, રોજર ફાઉલર, રોમન યાકોબ્સન વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે. | :શૈલીવિજ્ઞાનના કેન્દ્રમાં 'શૈલી'નો સંપ્રત્યય છે. આ વિજ્ઞાન 'શૈલી'ના સંપ્રત્યયના આધારે એક બાજુ સાહિત્યિક કૃતિની સંરચના અને તેના પોત(Texture)નું વિશ્લેષણ કરે છે, તો બીજી બાજુ, આ વિશ્લેષણ દ્વારા કૃતિમાં રહેલી 'સાહિત્યિકતા' પર પ્રકાશ પાડે છે. આ વિજ્ઞાન ભાષાના 'સર્જનાત્મક વિનિયોગ' અને 'વ્યંજક પ્રભાવ'ના રૂપમાં સૌન્દર્યાનુભવ અને ભાષાકીય સંરચના વચ્ચે શૈલીને સેતુરૂપ ગણે છે, અને એના અધ્યયન-વિશ્લેષણ દ્વારા સાહિત્ય અને સાહિત્યિક કૃતિ અંગેની સમજણ કેળવવાનું લક્ષ્ય રાખે છે. આમ શૈલીવિજ્ઞાન સાહિત્યનો એક સિદ્ધાન્તવિચાર હોવાની સાથેસાથ અધ્યયન-વિશ્લેષણની પદ્ધતિ પણ છે. લીઓ સ્પિટ્સર, ચાર્લ્સ બાલી, રોજર ફાઉલર, રોમન યાકોબ્સન વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે. | ||
'''Stylometry શૈલીમિતિ''' | '''Stylometry શૈલીમિતિ''' | ||
:પરંપરાની પદ્ધતિઓને અનુસરનારા અભ્યાસીઓ અને નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ કરનારા અભ્યાસીઓ વચ્ચે શૈલી અભ્યાસક્ષેત્રે મોટું અંતર છે. નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ શૈલીવિજ્ઞાનની જે શાખામાં થાય છે તે શાખાને શૈલીમિતિ તરીકે ઓળખવામાં આવે છે. | :પરંપરાની પદ્ધતિઓને અનુસરનારા અભ્યાસીઓ અને નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ કરનારા અભ્યાસીઓ વચ્ચે શૈલી અભ્યાસક્ષેત્રે મોટું અંતર છે. નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ શૈલીવિજ્ઞાનની જે શાખામાં થાય છે તે શાખાને શૈલીમિતિ તરીકે ઓળખવામાં આવે છે. | ||
| Line 188: | Line 188: | ||
'''Surfiction અધિનવલ, પરાનવલ''' | '''Surfiction અધિનવલ, પરાનવલ''' | ||
:પરંપરાગત આધુનિકતાવાદી નવલકથાની પ્રતિક્રિયારૂપે આવેલો ફ્રેન્ચ નવલપ્રકાર, અધિનવલ વાચકને કોઈ સાદો સીધો આશ્વાસક સંદેશ કે ભાવાર્થ અર્પવાને બદલે તેને કળા અને જીવન વચ્ચેના સંવાદ પરત્વે દ્વિધામાં નાખે છે. અધિનવલ એ હકીકતે તો નવલ વિશેની નવલ છે. તે કથાની શક્યતાઓ તાગવા મથે છે અને એ રીતે પોતાની નિયામક પરંપરાને જ આહ્વાન આપે છે. | :પરંપરાગત આધુનિકતાવાદી નવલકથાની પ્રતિક્રિયારૂપે આવેલો ફ્રેન્ચ નવલપ્રકાર, અધિનવલ વાચકને કોઈ સાદો સીધો આશ્વાસક સંદેશ કે ભાવાર્થ અર્પવાને બદલે તેને કળા અને જીવન વચ્ચેના સંવાદ પરત્વે દ્વિધામાં નાખે છે. અધિનવલ એ હકીકતે તો નવલ વિશેની નવલ છે. તે કથાની શક્યતાઓ તાગવા મથે છે અને એ રીતે પોતાની નિયામક પરંપરાને જ આહ્વાન આપે છે. | ||
જે. ડી. સેલંજર જેવાઓની કૃતિઓ અધિનવલનાં ઉદાહરણરૂપ છે. | :જે. ડી. સેલંજર જેવાઓની કૃતિઓ અધિનવલનાં ઉદાહરણરૂપ છે. | ||
'''Surrealism પરાવાસ્તવવાદ''' | '''Surrealism પરાવાસ્તવવાદ''' | ||
:ફ્રાન્સમાં લેખકો અને ચિત્રકારો દ્વારા ચાલેલી ચળવળ. પરાવાસ્તવવાદ તાર્કિક ક્રમની અવગણના કરીને સ્વપ્ન અને અવચેતનની પદ્ધતિએ શબ્દોના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ સાધવાનો પ્રયાસ કરે છે. પરાવાસ્તવવાદીઓનું લક્ષ્ય ચિત્તના કોઈક ખૂણે પડેલા ભાવોને સ્વયંચાલિત (automatic) લેખન દ્વારા અભિવ્યક્ત કરવાનું છે. આન્દ્રે બ્રેતોં, સેલ્વડોર ડાલી, ઍપોલીનેર વગેરે પરાવાસ્તવવાદના મુખ્ય પુરસ્કર્તાઓ છે. પરાવાસ્તવવાદી ખરીતો ૧૯૨૪માં પ્રકાશિત થયો. ગુજરાતી સાહિત્યમાં સિતાંશુ યશશ્ચંદ્રની કવિતાઓ પરાવાસ્તવવાદી ગણાય છે. | :ફ્રાન્સમાં લેખકો અને ચિત્રકારો દ્વારા ચાલેલી ચળવળ. પરાવાસ્તવવાદ તાર્કિક ક્રમની અવગણના કરીને સ્વપ્ન અને અવચેતનની પદ્ધતિએ શબ્દોના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ સાધવાનો પ્રયાસ કરે છે. પરાવાસ્તવવાદીઓનું લક્ષ્ય ચિત્તના કોઈક ખૂણે પડેલા ભાવોને સ્વયંચાલિત (automatic) લેખન દ્વારા અભિવ્યક્ત કરવાનું છે. આન્દ્રે બ્રેતોં, સેલ્વડોર ડાલી, ઍપોલીનેર વગેરે પરાવાસ્તવવાદના મુખ્ય પુરસ્કર્તાઓ છે. પરાવાસ્તવવાદી ખરીતો ૧૯૨૪માં પ્રકાશિત થયો. ગુજરાતી સાહિત્યમાં સિતાંશુ યશશ્ચંદ્રની કવિતાઓ પરાવાસ્તવવાદી ગણાય છે. | ||
Latest revision as of 14:55, 21 November 2025
S
Sacred Book ધર્મગ્રન્થ
- કોઈ એક ધર્મના દર્શનને આધારે લખાયેલો, તે ધર્મની માન્યતાઓનો પુરસ્કાર કરતો ગ્રંથ. આ પ્રકારના ગ્રંથોમાંથી ધાર્મિક માન્યતાઓ તથા ધર્મ-વિચારને લગતી સામગ્રી પ્રાપ્ત થાય છે.
- ગુજરાતીમાં નોંધપાત્ર પ્રમાણમાં ધર્મગ્રંથો લખાયા છે, જેમ કે ‘ગીતામંથન’ (કિશોરલાલ મશરૂવાળા), ‘અનાસકિત યોગ’ (મો. ક. ગાંધી), સર્જનાત્મક કૃતિઓમાં પણ આ સામગ્રીનો મૌલિક વિનિયોગ થયેલો જોવા મળે છે. જેમ કે ‘કૃષ્ણાવતાર’ (ક. મા. મુનશી), ‘માધવ ક્યાંય નથી’ (હરીન્દ્ર દવે).
Saga વૃત્તાંત-કથા
- અંગ્રેજી શબ્દ ‘Say’ અને ‘Saga’ બન્ને એક જ મૂળમાંથી આવતા હોઈ આ શબ્દનો સીધો અર્થ ‘આલેખ’, ‘હેવાલ’, ‘વૃત્તાંત’ એવો થાય છે. સાહિત્યમાં આ સંજ્ઞા રાજાઓ, કુટુંબો કે પ્રદેશોની શ્રેણીબદ્ધ કથાઓનું સૂચન કરે છે. ‘વેતાલ પચ્ચીસી’ આ પ્રકારની કથાનું ઉદાહરણ છે. મુનશીની કથાત્રયી (‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’) ‘સિદ્ધરાજ જયસિંહ’ વિશેની વૃત્તાંત-કથા તરીકે મૂલવી શકાય.
Salgarism સલ્ગારી રાતિ
- ઇટાલિયન લેખક એમિલિયો સલ્ગારીની પરાક્રમ કથાઓમાં પાત્રો જંગલમાં નાસતી વખતે બાઓબાબના મૂળિયાં પગમાં ભરાતાં ગબડી પડે ત્યારે કથાકાર બાઓબાબ પર વનસ્પતિવિશેનો બોધ આપવા ક્રિયા થંભાવી દે છે. નવલકથામાં આ પ્રકારે ક્રિયા થંભાવી વિવરણો આપનાર ૨. વ. દેસાઈની શૈલી ગુજરાતી સાહિત્યમાં સુવિદિત છે.
Sarcasm કટાક્ષ
- કડવું કે વ્યંગભર્યું વિધાન. આવા વિધાનનો હેતુ અન્યને પીડા પહોંચાડવાનો હોય છે. અંગ્રેજ કવિ લૉર્ડ બાયરને ‘The vision of Judgement’માં દોરેલું સધે(Southey)નું ચિત્ર આનું જાણીતું ઉદાહરણ છે.
Satire વ્યંગકલા
- પાત્રવિશેષ કે વસ્તુવિશેષ પર રમૂજ, વ્યંગ વગેરે ભાવોના વિનિયોગ દ્વારા પ્રહાર કરી હાસ્ય નિષ્પન્ન કરવાની આ સાહિત્યિક પ્રવિધિ છે. આ અભિગમથી લખાતી કૃતિઓમાં હાસ્ય દ્વારા ગંભીર સમસ્યાનું નિરૂપણ કરવાનો હેતુ રહેલો છે. તેના મૂળ અર્થમાં આ સંજ્ઞા નૈતિક તેમ જ સુધારક વલણનું ૫ણ સૂચન કરે છે.
- હાસ્ય નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યાર બાદ હોરિસ, ડ્રાયડન, રેબલેઈ, સ્વિફ્ટ, હકસલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઑનિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હકસલી કૃત, ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ તથા જોર્જ ઓરવલકૃત ‘ઍનિમલ ફાર્મ’ આનાં ઉત્તમ ઉદાહરણો છે.
Scansion પરિમાપન
- છંદના ચરણનું પરિમાપન, પરિમાપન એ છંદસ્વરૂપના અધ્યયનનો એક ભાગ છે. પરિમાપન સ્વરભારયુક્ત કે સ્વરભારવિહીન અક્ષરોનું હોય છે.
Scenario દૃશ્યબંધ
- ચલચિત્રની પટકથાના વસ્તુની રૂપરેખા. પટકથા તૈયાર કરતાં અગાઉ પાત્રો, પ્રસંગો તથા વાર્તાના મુખ્ય પ્રસંગોને આધારે તૈયાર કરાતી આ રૂપરેખા સમગ્ર પટકથાનાં મહત્ત્વનાં પાસાંઓનો ખ્યાલ આપે છે, તથા વાર્તાનાં મુખ્ય દૃશ્યોનો ક્રમવાર નિર્દેશ કરે છે.
Schools and Movements, Literary સાહિત્યિક સંપ્રદાયો અને આંદોલનો
- અમુક માર્ગદર્શક સિદ્ધાંતો વિશે જેમનામાં સર્યસંમતિ સધાઈ હોય અને જેઓ અમુક સાહિત્યને પોતાના વિચારો વડે પ્રભાવિત કરવા માગતા હોય એવા સર્જકોએ ઊભું કરેલું હેતુપૂર્વકનું જૂથ. આવાં જૂથો પોતાના સિદ્ધાંતોના પ્રસાર માટે ખરીતાઓ બહાર પાડે છે અને સામયિક કે સામૂહિક પ્રકાશન પ્રવૃત્તિ ચલાવે છે. આવાં જૂથો ઘણીવાર નવી પેઢીના વિચારોની અભિવ્યક્તિ રૂપ હોય છે, અને પરંપરા સામેના વિપ્લવરૂપે કામ કરતા હોય છે. આંદોલન એ સંપ્રદાયોમાંથી જ આવેલું, પણ અમુક સમયગાળા માટે અમુક દેશોના સાહિત્ય પર વર્ચસ્વ ધરાવતું પરિબળ છે. જેમ કે, પરાવાસ્તવવાદ, ભવિષ્યવાદ.
Science Fiction વિજ્ઞાનકથા
- વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ સાથે અસ્તિત્વમાં આવેલું આ કથાસાહિત્યનું સ્વરૂપ છે. વૈજ્ઞાનિક સિદ્ધિઓ તરફના માનવીય પ્રતિભાવન રજૂ કરતી કથાઓ વિજ્ઞાનકથાઓ તરીકે ઓળખાય છે. અમેરિકન વાર્તાકાર એડગર એલન પો વિજ્ઞાનકથાના સૌપ્રથમ લેખક ગણાય છે. ત્યાર બાદ જુલે વર્ન તથા એચ. જી. વેલ્ઝની વિજ્ઞાનકથાઓ ઘણી પ્રસિદ્ધિ પામી. ગુજરાતીમાં વિજ્ઞાનકથાઓ બહુ જૂજ પ્રમાણમાં છે. ર. વ. દેસાઈની નવલકથા ‘પ્રલય’ (૧૯૫૦) આ પ્રકારની કૃતિ છે.
Scientific Literature વૈજ્ઞાનિક સાહિત્ય
- વૈજ્ઞાનિક અભિગમથી લખાયેલા તથા સાહિત્યિક ગુણવત્તા ધરાવતા ઇતિહાસ, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે શાખાઓના ગ્રંથોને વૈજ્ઞાનિક સાહિત્ય તરીકે ઓળખવાનું વલણ છે. આ રીતે જ્ઞાનપ્રદ સામગ્રીને તાર્કિક પદ્ધતિએ રજૂ કરતા તથા સર્જનાત્મક દૃષ્ટિ ધરાવતા ઐતિહાસિક સંશોધન વિશેના એ. જે. ટોયન્બીનાં પુસ્તકોનો વૈજ્ઞાનિક સાહિત્ય તરીકે ઉલ્લેખ કરી શકાય.
Scientific Realism વૈજ્ઞાનિક વાસ્તવવાદ
- વૈજ્ઞાનિક વાસ્તવવાદ એ સર્જકચિત્ત ઉપર થયેલી ભૌતિકવિજ્ઞાનના વિકાસની અસરનું પરિણામ છે. વૈજ્ઞાનિક અભિગમ સાહિત્યમાં ‘વિગતપ્રચૂર વાસ્તવવાદ’ (સુરેશ જોષી, કિંચિત્ પૃ. ૩૩) સ્વરૂપે દાખલ થયો. ઝોલા વગેરેની નવલકથાઓમાં આ પ્રકારનું વલણ જોવા મળે છે. વૈજ્ઞાનિક વાસ્તવવાદના પ્રતિકારરૂપે પ્રતીકની સ્થાપના થઈ.
Screen Play પટકથા
- ચલચિત્ર માટેની દૃશ્ય વાર લખાયેલી કથા. વાર્તા કે નાટકનું ચલચિત્રમાં રૂપાંતર કરવાના હેતુથી આ પ્રકારની કથા લખાય છે. અહીં વાર્તાનિરૂપણ કરતાં દૃશ્યરચના અને સંવાદો ઉપર વિશેષ લક્ષ અપાય છે.
Secondary sources દ્વૈતીયિક આધારો
- જુઓ : Source-book.
Selection-Restrictions વરણ નિયંત્રણો
- વાક્યમાં એક પદ સાથે બીજું પદ સંકળાય એના વરણ અંગેના ચોક્કસ સંદર્ભનિયમો, વરણ-નિયંત્રણોને આધારે કર્તા અને ક્રિયાપદ કે કર્મ અને ક્રિયાપદ સાથે સંગતિ સાધી શકાય છે. આ વરણ-નિયંત્રણોનો ભંગ કરીને સાહિત્યભાષા પોતાની વિશિષ્ટતા ઊભી કરે છે.
Self-Elegy આત્મકરુણિકા
- પોતાના અવસાન પૂર્વે કવિએ રચેલું પોતાના મૃત્યુ વિશેનું કાવ્ય.
- જેમ કે, નર્મદનું કાવ્ય ‘નવ કરશો કોઈ શોક રસિકડા’ આ પ્રકારનું કાવ્ય છે.
- જુઓ : Elegy.
Semantic Component અર્થઘટન
- જુઓ : Generative Grammar.
Semantics અર્થવિજ્ઞાન
- સંકેતક દ્વારા જે સંકેતિત થાય છે તેનું અધ્યયન કરતી સામાન્ય ભાષાવિજ્ઞાનની શાખા. ભાષાવૈજ્ઞાનિક અર્થવિજ્ઞાન ભાષિક સંકેતો સાથે કામ પાડે છે. ભાષાના અર્થવૈજ્ઞાનિક વિશ્લેષણનું મુખ્ય કાર્ય ભાષાનાં વાક્યોનું કઈ રીતે અર્થઘટન થાય છે, વાક્યો કઈ રીતે સમજાય છે અને વાક્યો બાલ જગતની પ્રક્રિયાઓ તથા એના પદાર્થો સાથે કઈ રીતે સંકળાય છે વગેરેનો અભ્યાસ કરવાનું છે. આધુનિક સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન જેવા સાહિત્યિક અભિગમોમાં અર્થ વિજ્ઞાનનું ઘણું મહત્ત્વ છે.
Sememe અર્થિમ
- કોશપરક નહીં પણ અર્થવૈજ્ઞાનિક હેસિયત ધરાવતો અર્થનો એકમ. આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારમાં આ સંજ્ઞા સાહિત્યિક સંદર્ભમાં પ્રયોજાય છે.
Semiology સંકેતવિજ્ઞાન
- જુઓ : Semiotics.
Semiosis સંકેતપ્રક્રિયા
- સાહિત્યિક સંકેતવિજ્ઞાનની સંજ્ઞા. આ એક એવી પ્રક્રિયા છે જેમાં સંવેદક માટે કશુંક સંકેત તરીકે કાર્ય કરે છે.
Semiotics સંકેતવિજ્ઞાન
- સંકેતતંત્રનું સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક અધ્યયન કરતું વિજ્ઞાન. સંસ્કૃતિનાં વિભિન્ન ક્ષેત્રોમાં વપરાતાં સંકેતતંત્રોનું સ્વરૂપ, સંકેતો અને તેમના દ્વારા સંકેતિત અર્થો વચ્ચેનો સંબંધ વગેરે સંકેતવિજ્ઞાનના મુખ્ય અભ્યાસવિષયો છે. સંકેતો એ સામાજિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિનું અભિન્ન અંગ છે. આથી સંકેતવિજ્ઞાનનો વિકાસ એક આંતરવિદ્યાકીય અધ્યયન તરીકે થયો છે. સાહિત્ય તથા લલિત કલાઓ આખરે તો સંકેતોની જ એક વ્યવસ્થા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંકેતવિજ્ઞાનને સાહિત્યના અધ્યયન પરત્વે પ્રયોજવાનું વલણ વ્યાપક બન્યું છે. સ્વીસ ભાષાવિજ્ઞાની સોસૂર તથા અમેરિકન ફિલસૂફ ચાર્લ્ઝ પીર્સ આના મુખ્ય પુરસ્કર્તાઓ ગણાય છે. રોલાં બાર્થ, જૂલ્ય ક્રિસ્તેવા, ચાર્લ્ઝ મૉરિસ, કૅયર ઍલાપ, ઉમ્બર્તો એકો, રોબર્ટ શોલ્સ વગેરેનું આ વિષયમાં મહત્ત્વનું અર્પણ છે.
Semi-sentence અર્ધ-વાક્ય
- સંપૂર્ણપણે વ્યાકરણિક પણ નહીં અને અ-વાક્ય પણ નહી’ એવું વાક્ય. વ્યાકરણિક વાક્ય અને અર્ધ-વાક્ય વચ્ચે મહત્ત્વનો ભેદ એ છે કે સંપૂર્ણ વ્યાકરણિક વાક્યો પર અર્થઘટન આરોપવું પડતું નથી, જ્યારે અર્ધ-વાક્ય પર અર્થઘટન આરોપવું પડે છે. જિરાલ્ડ કાત્ઝ અર્ધ-વાક્યને વિચલિત વાક્ય કહે છે. સાહિત્યમાં અર્ધ-વાક્યો મહદ્અંશે કાવ્યના વાક્ય-વિન્યાસમાં જોવા મળે છે.
Sense of Humour વિનોદવૃત્તિ
- વિનોદવૃત્તિ દ્વારા સર્જકની પ્રકૃતિની એક લાક્ષણિક્તાનું સૂચન થાય છે. હાસ્યસાહિત્યનો સર્જક તેને સુલભ સામગ્રી તરફ વિનોદવૃત્તિથી જુએ છે. આમ સર્જન-સામગ્રીના નિમિત્તે જીવન તરફનું સર્જકનું આ વલણ તેના દાર્શનિક દૃષ્ટિબિંદુનો પણ નિર્દેશ કરે છે.
Sensibility સંવેદનાશીલતા
- સર્જકમાં રહેલી સૂક્ષ્મ ભાવોને ગ્રહણ કરવાની સાહજિક વૃત્તિનું સૂચન આ સંજ્ઞામાં રહેલું છે. સૌંદર્યશાસ્ત્રીય વિભાવનાઓ તરફના સહજ પ્રતિભાવનો અર્થ પણ તેમાં સમાયેલો છે. સર્જક અનુભૂતિની ચર્ચા કરતાં ઓલ્ડસ હક્સલી સંવેદનશીલતા અને પ્રેરણા (Intuition)ને સાંકળે છે.
- જેન ઑસ્ટનની નવલકથા ‘સેન્સ ઍન્ડ સેન્સિબિસિટી’ના પ્રકાશનથી આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. ત્યાર બાદ ટી. એસ. ઍલિયટે દરેક સર્જકમાં રહેલા સર્જક-ગુણ તરીકે તેનો પુરસ્કાર કર્યો.
Sensory words સંવેદશબ્દો
- ચિત્ત અને ઇન્દ્રિયો પર સીધો પ્રભાવ પાડતી અભિવ્યક્તિઓ અને શબ્દરચનાઓ. જેમ કે, રાવજી પટેલની ‘ઢોલિયે’ કાવ્યની પંક્તિઓ જુઓઃ
"સાગ ઢોલિયે પાંખ ફૂટશે.
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.
જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો
અમને ઘડીવાર તે ગંધ ઊંઘની આલો"
Sentence-Grammar વાક્યકેન્દ્રિત વ્યાકરણ
- ૧૯૫૭ પછી અસ્તિત્વમાં આવેલું ચૉમ્સ્કીનું ‘સંસર્જનાત્મક વ્યાકરણ’, વાક્ય-વ્યાકરણ કે વાક્ય-કેન્દ્રિત-વ્યાકરણ કહેવાય છે. આ વ્યાકરણમાં ભાષાને વાક્યોના ગણ તરીકે ઓળખાવવામાં આવી છે. આ વ્યાકરણ વાક્યોના ગણ અંગેના અમૂર્ત નિયમો આપી તે નિયમોનાં રૂપાંતરણોનો સંબંધ સમજાવે છે. અને વિશ્વભરની ભાષાઓમાં રહેલી કોઈ સાર્વત્રિક ભૂમિકા શોધવાને પ્રયાસ કરે છે.
- આધુનિક ભાષાવિજ્ઞાન તેમ જ ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચાર હવે વાક્યકેન્દ્રિત નહીં, પણ પાઠકેન્દ્રિત, એટલે કે વાક્ય અતિવર્તી બન્યા છે. હવે વાક્યનો નહિ, પણ પાઠનો મહિમા વધ્યો છે.
Sentimentality ઊર્મિમાંદ્ય
- કૃતિમાં વસ્તુની આવશ્યકતાથી વિશેષ એવું દુઃખદ ભાવોનું નિરૂપણ. વાગ્મિતા અને નીતિશાસ્ત્રના સંદર્ભમાં સાહિત્યિક કૃતિમાં જોવા મળતો આ મહત્ત્વનો દોષ છે.
- કૃતિના આ દોષને ભાવાત્મક સમધિકતા (Emotionl Redundancy) તરીકે જોવામાં આવે છે. સર્જકમાં રહેલી આત્મદયા(Self pity)ને લીધે તથા ભાવાભિવ્યક્તિમાં સંયમ તથા પરિપક્વતાના અભાવને કારણે આ દોષ કૃતિમાં દાખલ થાય છે.
Sermon ઉપદેશ
- ખ્રિસ્તી ધર્મપરંપરામાંથી મળતી આ સંજ્ઞા ધાર્મિક સ્થળોમાં ધર્મોપદેશના સ્વરૂપમાં રજૂ થતા પ્રસંગો, રચનાઓનું સૂચન કરે છે. ખ્રિસ્તી સમાજમાં બીજી સદીથી આ પ્રકારનું સાહિત્ય જોવા મળે છે. જૈન મુનિઓ દ્વારા રચાયેલી ‘સ્તવન’ તથા ‘સજઝાય’ તરીકે ઓળખાતી પદ્યરચનાઓ સાથે ખ્રિસ્તી ઉપદેશ સરખાવી શકાય.
Sestet, Sextet ષટ્ક
- છ પંક્તિઓથી યુક્ત કાવ્ય કે અંતરો. આ સંજ્ઞા પેટ્રાર્કશાઈ સૉનેટના બીજા ખંડનો નિર્દેશ કરવા માટે પણ પ્રયોજાય છે.
- જુઓ : Sonnet.
Setting પરિવેશ
- વાર્તા, નવલકથા કે નાટકમાં વિગતવાર રજૂ થતો સમય અને સ્થળનો સંદર્ભ. સામાન્ય રીતે વસ્તુસંકલના(plot)ના પ્રારંભિક તબક્કામાં લેખક પરિવેશ નિરૂપે છે.
- રંગભૂમિના સંદર્ભમાં આ સંજ્ઞા દૃશ્યરચના તથા સાધનસામગ્રીનો નિર્દેશ કરે છે.
- જુઓ : Background, Locale.
Short-Short Story ટૂંકી ટૂંકી વાર્તા
- ટૂંકી વાર્તા(Short Story)ની સરખામણીમાં ટૂંકા કદની વાર્તા, સામાન્ય રીતે ૫૦૦થી ૧૫૦૦ શબ્દોની મર્યાદામાં મળતી વાર્તાઓ ટૂંકી ટૂંકી વાર્તા તરીકે ઓળખાય છે. આટલી ઓછી શબ્દમર્યાદામાં પણ વાર્તામાં સંઘર્ષ (Conflici) સુધીનો વિકાસ અનિવાર્ય છે તેમ જ પાત્રાલેખન તથા ભૂમિકાનું પણ નિરૂપણ આવશ્યક છે. ટૂંકી વાર્તાનાં બધાં જ મુખ્ય લક્ષણો હોવા ઉપરાંત ટૂંકી વાર્તાની સરખામણીમાં અહીં વધુ લાઘવ અને તીવ્ર કથાવિકાસ અભિપ્રેત છે.
Short Story ટૂંકી, વાર્તા નવલિકા
- નિરૂપણાત્મક ગદ્યમાં લખાતું કથાસાહિત્યનું આ સ્વરૂપ નવલકથા સાથે સ્વરૂપગત સામ્ય ધરાવે છે. તેનાં મૂળ પરીકથાઓ, પ્રસંગલેખન વગેરેમાં પડેલાં છે. આધુનિક ટૂંકી વાર્તા ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં એડગર ઍલન પો દ્વારા અમેરિકામાં આરંભાઈ. ગુજરાતી સાહિત્યમાં આ સ્વરૂપ અંગ્રેજી સાહિત્યની અસરના ભાગરૂપે અસ્તિત્વમાં આવ્યું તે અગાઉ જૈન અને બૌદ્ધ સાધુઓ ધર્મવિષયક ટૂંકી વાર્તાઓ લખતા હતા. સાચા અર્થમાં ગુજરાતીમાં આ સ્વરૂપ વીસમી સદીના આરંભમાં દાખલ થયું.
Sign સંકેત
- સંકેતવિજ્ઞાની ચાર્લ્સ મોરિસના મત મુજબ સંકેતમાં સંકેતક અને સંકેતિત વચ્ચેનો સંબંધ યદૃચ્છામૂલક અને રૂઢિગત હોય છે.
Signification સંકેતન
- સંકેતન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કૃતિમાં અર્થ નિષ્પન્ન થાય છે.
Simile ઉપમા
- સ્પષ્ટીકરણ, સંદર્ભ, અલંકરણ વગેરે હેતુઓ માટે ઉપમા કાલ્પનિક તુલના રજૂ કરે છે. આ માટે ઉપમામાં ‘સમું’, ‘જેવું’ વગેરે સમાનતા-સૂચકો પ્રયોજવામાં આવે છે.
- જેમ કે, નરસિંહરાવ દિવેટિયાની પંક્તિ :
‘હરણાં સમ અબ્ધિ તરંગ બધાં’.
Sincerity સંનિષ્ઠા
- સાહિત્યકૃતિના મૂલ્યાંકનના એક માપદંડ તરીકે મહત્ત્વના લેખાતા આ લક્ષણને જુદા જુદા સમયમાં વધતું ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે. સાહિત્યની રંગદર્શી વિભાવનાઓમાં આ લક્ષણ સર્જકની સાહજિક, ઉદાત્ત સર્જકતાના પર્યાય તરીકે જોવામાં આવે છે. ઇંગ્લૅંડમાં વિકટોરિયન યુગના સર્જકો-વિચારકોએ આ સંજ્ઞામાં નૈતિકતા(Morality)નું આરોપણ કર્યું. ઉત્તમ કવિતાની પોતાની વિભાવનામાં મેથ્યું આર્નલ્ડ આ સંજ્ઞાનો ‘સંપૂર્ણ સચ્ચાઈ’ના અર્થમાં ઉલ્લેખ કરે છે.
Situation પરિસ્થિતિ
- સાહિત્યક્ષેત્રે કથાકૃતિની ક્રિયા અને પાત્રના વિકાસ માટે સમય અને સ્થળનો વિશિષ્ટ સંદર્ભ પૂરો પાડતી સંજ્ઞા.
Sketch રેખાચિત્ર
- સામાન્ય રીતે વર્ણનાત્મક શૈલીમાં લખાયેલો ગદ્યખંડ. પ્રસંગચિત્રના સ્વરૂપે કેટલાંક શબ્દચિત્રો ટૂંકી વાર્તાનાં લક્ષણો પણ ધરાવે છે. જેમ કે ‘નામરૂપ’, (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ) કે "ધૂળમાંની પગલીઓ’ (ચંદ્રકાન્ત શેઠ)નાં શબ્દચિત્રો. યુરોપમાં એકોક્તિનાટ્યકાવ્ય (Monodrama)ના એક પ્રકાર તરીકે પણ શબ્દચિત્રો લખાયાં છે.
Slang ઉપશિષ્ટ ભાષા
- સામાન્ય ભાષાનું વિશિષ્ટ સ્વરૂપ. સામાન્ય ભાષાથી એની ભિન્નતા શબ્દોના વિશિષ્ટ ઉપયોગમાં રહેલી છે. ઉપશિષ્ટભાષાના ઉચ્ચારણથી વ્યક્તિનો સામાજિક દરજ્જો નહિ, પણ તેનું સ્તર પારખી શકાય છે. ઉપશિષ્ટ ભાષાના ઘડતરમાં અર્થદ્યોતકતાની ઉત્કટતા મુખ્ય છે. એમાં રૂપક, લક્ષણાનો વિશેષ ઉપયોગ થાય છે. ગુજરાતી ભાષામાં ‘પોલ્સન’–ખુશામદના અર્થમાં તથા ‘ઠનઠન ગોપાળ’—ખાલીના અર્થમાં જાણીતા પ્રયોગો છે. વિદ્યાર્થીઓ, ચોરો, વેપારીઓ વગેરેનાં પોતાનાં વિશિષ્ટ જૂથોની બોલી પણ ઉપશિષ્ટ ભાષા જ છે. સાહિત્યમાં પાત્રાલેખન માટે કે સ્થળનું વાતાવરણ ઊભું કરવા માટે ઉપશિષ્ટ ભાષાનો ઉપયોગ થાય છે.
Slanguage ઉપશિષ્ટ ભાષા
- જુઓ : Slang.
Slapstic મુખર હાસ્ય
- મૂળે લાકડાના બે ચપટા ટુકડા અને હાથાવાળો પદાર્થ. સૌપ્રથમ હર્લક્વીન (Harlquin) દ્વારા એક મૂકનાટ્ય(pantomime)માં આનો પ્રયોગ થયો હતો. ભવાઈ, હળવાં પ્રહસનો વગેરેમાં આનો ઉપયોગ મુખરહાસ્ય નિષ્પન્ન કરવા માટે થાય છે.
Social Conscience સામાજિક ચેતના
- સાહિત્યને સામાજિક પરિસ્થિતિના વિચારમંચ તરીકે મૂલવતા સર્જકો સામાજિક ચેતનાનો કૃતિના પાયાના લક્ષણ તરીકે ઉલ્લેખ કરે છે. વાસ્તવવાદનું અનુસંધાન કેળવતી આ વિચારધારા સર્જકના સમાજ સાથેના સંબંધને સર્જકની વૈયક્તિક લાગણીઓથી વિશેષ મહત્ત્વ આપે છે.
Social Realism સામાજિક વાસ્તવવાદ
- માકર્સવાદી સિદ્ધાન્તોના પ્રચારના હેતુથી પ્રસારમાં આવેલા આ વાદનો રશિયામાં ઉદ્ભવ થયો. ત્યાર બાદ અન્ય સામ્યવાદી દેશોમાં તેનો ફેલાવો થયો. આ વિચારધારામાં કલાકારને સમાજવાદી (Socialist) રાજ્યના પ્રાણભૂત અંગ તરીકે મૂલવવામાં આવે છે, તથા સમાજવાદી(Socialist) સમાજના પ્રશ્નોની કલામાં રજૂઆત કરવી તેને કલાકારનું લક્ષ્ય માનવામાં આવે છે. શોલોખોફ જેવા સર્જકોએ આ વિચારધારાને ઉત્તમ રૂપે સાહિત્યમાં નિરૂપી છે. નિસર્ગવાદ (Naturalism)ની સામેની પ્રતિક્રિયા રૂપે પણ આ વાદને જોવાનું વલણ છે. સામાજિક વાસ્તવવાદના સૈદ્ધાન્તિક સ્વરૂપની ઉત્તમ વિચારણા માકર્સવાદી વિવેચક જૉર્જ લૂકાચ, પિએર મશરે, જૂલ્ય ક્રિસ્તેવા વગેરેનાં લખાણોમાં જોવા મળે છે.
Sociolinguistics સમાજ-ભાષાવિજ્ઞાન
- ભાષા અને સમાજ વચ્ચેનાં સંબંધના બધાં જ પાસાંઓનું અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની શાખા. સામાજિક જૂથોની ભાષાકીય અસ્મિતા, ભાષા પ્રત્યેના સામાજિક દૃષ્ટિકોણો, ભાષાનાં માનક અને અમાનક સ્વરૂપો, રાષ્ટ્રભાષાના ઉપયોગની આવશ્યક્તાઓ અને તેની તરેહો, સામાજિક વિચરણો અને ભાષાના સ્તરે, બહુભાષિકતાના સામાજિક આધારો વગેરે આ શાખાના મુખ્ય અભ્યાસવિષયો છે. ભાષાનું સમાજશાસ્ત્ર (Sociology of Language) એ આ શાખાની વૈકલ્પિક સંજ્ઞા છે. આ સંજ્ઞા ઉપરોક્ત અભ્યાસવિષયો ભાષાવૈજ્ઞાનિક નહીં, પણ સમાજશાસ્ત્રીય અધ્યયન સાથે સંકળાયા હોવાનું સૂચન કરે છે. બોલીનો અભ્યાસ કેટલીક વાર સમાજભાષાવિજ્ઞાનની શાખા તરીકે ગણાયો છે તો કેટલીકવાર એ અભ્યાસને બીજાથી અલગ તારવવા ‘બોલીવિજ્ઞાન’ નામની જુદી જ સંજ્ઞાથી પણ ઓળખાવાયો છે. આધુનિક શૈલીવિજ્ઞાન, પ્રોક્તિ-વિશ્લેષણ (Discourse Analysis) વગેરેમાં સમાજ-ભાષાવિજ્ઞાનનું મહત્ત્વનું પ્રદાન છે. ડેલ, હાય્મ્ઝ, લેબવ, ફિશમન, બર્નસ્ટીન વગેરે આ શાખાના મહત્ત્વના પુરસ્કર્તાઓ છે.
Sociological criticism સમાજશાસ્ત્રીય વિવેચન
- જ્ઞાનની વિવિધ શાખાઓને અનુસંગે સાહિત્યનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાંથી વિવેચનની જે શાખાઓ અસ્તિત્વમાં આવી તેમાંની એક મહત્ત્વની શાખા તે સમાજશાસ્ત્રીય વિવેચન. સાહિત્યને સમાજના પ્રતિબિંબ તરીકે જોવાની માન્યતા આ વિવેચનશાખાના ઉદ્ભવના મૂળમાં છે. આ પ્રકારના વિવેચનનો ઉપક્રમ સાહિત્યકૃતિમાંથી પ્રગટ થતા સમાજના ચિત્રને મૂલવવાનો હોય છે.
- ફ્રેન્ચ ઇતિહાસકાર ઈપોલીતે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સૌપ્રથમ વાર સમાજશાસ્ત્રીય અભિગમથી વિવેચન કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ ડન્કન, બેટસન, હર્બર્ટ રીડ વગેરેનું આ શાખામાં મહત્ત્વનું પ્રદાન છે.
- માકર્સવાદી વિવેચન એ આ પ્રકારના વિવેચનનો અત્યંત પ્રભાવશાળી ફાંટો છે. ત્રોત્સ્કી, કોડવેલ, બર્ક, લૂકાચ, રેય્મન્ડ વિલિયમ્સ વગેરેએ માકર્સવાદી સાહિત્યિક વિવેચનક્ષેત્રે નોંધપાત્ર કામ કયું છે.
- જુઓ : Marxist Criticism.
Soliloquy સ્વગતોક્તિ
- અન્ય કોઈ પણ પાત્રની અનુપસ્થિતિમાં પોતાના વિચારોને પ્રગટપણે રજૂ કરવા તે. નાટકમાં આ પ્રવિધિનો અવારનવાર વિનિયોગ થાય છે. અહીં નાટકના પ્રેક્ષકો આ ઉક્તિ સાંભળી શકે છે, પરંતુ નાટકની વાર્તાના અનુસંધાનમાં જે તે પાત્ર એકાંતમાં પોતાની જાત સાથે જ વાતચીત કરતું જોવા મળે છે. એકોક્તિ (Monologue) અને સ્વગતોક્તિમાં એટલો તફાવત છે કે એકોક્તિ અન્ય પાત્ર દ્વારા છૂપાઈને કે પ્રત્યક્ષ સાંભળવામાં આવે છે, જ્યારે સ્વગતોક્તિમાં અન્ય પાત્રની અનુપસ્થિતિ અનિવાર્ય છે. રંગભૂમિમાં ઉપયોગમાં લેવાતી સ્વગતોક્તિને એકોક્તિના એક સ્વરૂપ તરીકે જોવાનું પણ વલણ છે.
- જુઓ : Aside, Monologue.
Solipsism સ્વજ્ઞાનવાદ
- સ્વ એ જ વાસ્તવિક જ્ઞાનનો મુખ્ય હેતુ છે એવો મત. આદર્શવાદનું આ આત્યંતિક સ્વરૂપ છે.
Song ગીત
- મુખ્યત્વે જેનો હેતુ સ્વરનિયોજિત ગાન માટેનો છે એવું ઊર્મિકાવ્ય.
Song Book ગાન-સંચય
- રાગ આલેખ સહિતનાં ગીતોનો સંચય.
Sonnet સૉનેટ
- ચૌદ પંક્તિનું ઊર્મિકાવ્ય. આ કાવ્યસ્વરૂપનો ઉદ્ભવ ૧૨૨૦માં ઇટલીમાં થયો. દાન્તેએ સૌપ્રથમ વાર આ કાવ્યસ્વરૂપનો વિશિષ્ટ ઉપયોગ કર્યો ૧૫૨૭માં ઇટલીથી પાછા ફર્યા બાદ અંગ્રેજ કવિ સર ટૉમસ વ્યાટે આ કાવ્યસ્વરૂપ અંગ્રેજી ભાષામાં પ્રયોજ્યું. ત્યાર બાદ અર્લ ઑફ સરીએ અને ત્યાર પછી ૧૫૬૯માં સ્પેન્સરે તેના બંધારણમાં કેટલાક ફેરફારો કર્યા. અંગ્રેજીમાં સૉનેટના પ્રસારમાં આ ઉપરાંત સિડની, શેક્સપિયર, ગ્રે, કૃપર, વડર્ઝવર્થ વગેરેનો ફાળો નોંધપાત્ર છે. આ કાવ્યસ્વરૂપના વિસ્તૃત પ્રસાર સાથે તેના બંધારણમાં પ્રયોગો થતા ગયા. તે મુજબ પેટ્રાર્કન, એલિઝાબેધન, મિલ્ટોનિક, શેક્સપિયરિયન વગેરે પ્રકારો અસ્તિત્વમાં આવ્યા. આ પૈકી આઠ અને છ પંક્તિઓનાં બે ચરણ ધરાવતો પેટ્રાર્કન પ્રકાર (abba, abba cde, ded/cde, cde) વિરોધ પ્રચાર પામ્યો. શેક્સપિયરિયન પ્રકારમાં ત્રણ ચતુષ્પદો અને એક યુગ્મ (abab, cded, ef ef gg)ને સમાવેશ થાય છે. ગુજરાતીમાં બ. ક. ઠાકોર દ્વારા આ કાવ્યપ્રકાર દૃઢ થયો.
Sound Poetry નાદકવિતા
- નવી કવિતાનો પ્રકાર. કવિતાના પઠન પ્રયોગ માટે એના નાદ પર ભાર મૂકતી આ પ્રકારની રચનાઓ વાક્ય વિન્યાસ અને અર્થનો તર્ક બાજુએ રાખી કેવળ નાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે સિતાશુ યશશ્ચન્દ્ર ‘હો ચિ મિન્હ માટે એક ગુજરાતી કવિતા’.
Source-books આધારગ્રન્થો
- સંશોધન અને વિવેચનની પ્રક્રિયાનું મહત્ત્વનું અંગ. આધારગ્રંથોનું ધ્યેય જે તે વિષય કે વિષયાંગને લગતી માહિતી પૂરી પાડવાનું છે.
Speech વાણી
- ભાષા એ સંપ્રેષણનું માધ્યમ છે. વાણી એ માધ્યમનો અમુક વ્યક્તિએ અમુક પ્રસંગે કરેલો ઉપયોગ છે. વાણી ક્ષણિક છે, ઉત્પન્ન થતાં લુપ્ત થાય છે. ભાષા અને વાણી વચ્ચે મહત્ત્વનો ભેદ એ છે ભાષા સમાજની મૂડી છે. એક સામાજિક સંસ્થા છે; જ્યારે વાણી વ્યક્તિગત છે. વાણીને લેખનના વિરોધે પ્રયોજવાની પ્રથા છે. વાણી શ્રાવ્ય છે, જ્યારે લેખન દૃશ્ય છે.
Spell મંત્ર
- સામાન્ય રીતે અશુભ તત્ત્વોના પ્રતિકારરૂપે રચવામાં આવેલાં પદ્યો. ભક્તિકવિતામાં મંત્રની બાની તથા સ્વરૂપનો વિનિયોગ કરવામાં આવે છે. શેક્સપિયર દ્વારા ‘મૅકબેથ’માં ‘થ્રિ વિચિઝ’ના સંદર્ભમાં તથા ટાગોર દ્વારા ‘મુક્તધારા’ નાટકમાં મૌલિક રીતે આ પદ્યરચનાની પ્રણાલીનો સાહિત્યિક વિનિયોગ થયો છે.
Spontaneity સહજસ્ફૂરણા
- રંગદર્શી કવિતા (Romantic Poetry)નું આ મહત્ત્વનું લક્ષણ સાહિત્યકૃતિમાં આયાસના અભાવે સહજ રીતે વ્યક્ત થતી સર્જકતાનું સૂચન કરે છે. વડર્ઝવર્થ દ્વારા અપાયેલી ઊર્મિકવિતાની વ્યાખ્યામાં કવિતામાં સહજસ્ફૂરણાનો પુરસ્કાર થયો છે. વિચારની સરખામણીમાં પ્રેરણાનું મહત્ત્વ સ્વીકારતી રંગદર્શી કવિતામાં આ લક્ષણ જેટલું મહત્ત્વ ધરાવે છે તેટલું આધુનિક વિવેચનમાં તેનું સ્થાન નથી.
Sprung rhythm લય-પ્લુતિ
- અક્ષરો અને નિયમિત ગણો પર નહિ, પણ સ્વરભાર આધારિત લય. અક્ષરો નહિ, પરંતુ સ્વરભાર પંક્તિને રચતા હોવાથી પંક્તિઓની લંબાઈમાં ખાસ્સો ફેરફાર નોંધી શકાય છે. આ સંજ્ઞા ૧૯મી સદીના અંગ્રેજ કવિ જિરાલ્ડ હોપકિન્ઝે ઘડી હતી. તેમના મત મુજબ લય-પ્લુતિ મોટા ભાગના પદ્ય તેમ જ ગદ્યસાહિત્યમાં જોવા મળે છે.
Standard language માનક ભાષા
- શિક્ષણ, વાણિજ્ય, પત્રકારત્વ, પ્રસારણ વગેરેના અધિકૃત માધ્યમ તરીકે સંસ્થાગત બનેલી ભાષા, જેની પાછળ ભાષાકીય નહીં પણ સામાજિક કે સાંસ્કૃતિક કારણો રહેલાં હોય છે. માનક ભાષાનાં મુખ્ય ચાર લક્ષણો છે : (૧) ઐતિહાસિકતા (ભાષાની પરંપરા, પેઢી દર પેઢીનો વિકાસ) (૨) માનકીકરણ (ઉપલબ્ધ વિકલ્પોમાંથી એકને માનક માનવું) (૩) જૈવિકતા (Vitality-ભાષાના પ્રયોજક સમાજમાં વાણી તેમ જ લેખનમાં ઉપયોગ) (૪) સ્વાયત્તતા (Autonymy–કોઈ બીજી ભાષા પર નહીં, પણ પોતાના પર નિર્ભર. બોલી માનક ભાષાથી એ અર્થમાં જુદી પડે છે કે એમાં ‘સ્વાયત્તતા’ તથા ‘માનકીકરણ’નાં લક્ષણો હોતાં નથી. સાહિત્યના સિદ્ધાંતવિચારનું માધ્યમ માનક ભાષા જ છે.
Stanza શ્લોક
- મૂળ ઇટાલિયન શબ્દનો અર્થ વિરામસ્થાન (Station) એવો થાય છે. સાહિત્યમાં આ સંજ્ઞા પદ્યરચનાની પંક્તિઓના એકમનું સૂચન કરે છે. આવા એકમોની શ્રેણીથી સમગ્ર કાવ્ય બને છે. આ એકમની પંક્તિ સંખ્યા તથા તેનું બંધારણ કાવ્યના સ્વરૂપ અનુસાર હોય છે.
Stichomythia આશુસંવાદ
- સંવાદનું એક વિશિષ્ટ સ્વરૂપ. પદ્યસંવાદમાં એકની એક પંક્તિમાં જૂજ ફેરફાર સાથે વારાફરતી બે પાત્રો ત્વરિત, પણ નિયંત્રિત દલીલોનો અર્થ ઉપસાવે છે. જેમ કે, ઉમાશંકર જોશીના ‘૧૯મા દિવસનું પ્રભાત’ :પદ્યનાટકમાં નીચેનો સંવાદ :
"દ્રૌપદી : હા! પાંચ પુત્રે મુજ ખાલી કૂખ!
ગાંધારી : આ દુઃખથી તો ભલી ઠાલી કૂખ!
દ્રૌપદી : મારી કૂખે લુપ્ત સત્પિતૃવંશ
ગાંધરી : આ કૂખ સૂતો કલિનો જ અંશ!"
Stock-characters રૂઢ પાત્રો
- સાહિત્યકૃતિમાં નિરૂપવામાં આપતા ભાવકને અતિપરિચિત એવાં સામાજિક પાત્રો માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. આ પ્રકારનાં પાત્રોનાં લક્ષણો વિશે વાચક માહિતગાર હોય છે તથા તેની વર્તણૂક, તેનાં દૃષ્ટિબિંદુઓ, તેનાં વલણ વગેરેની અગાઉથી કલ્પના કરી શકતો હોય છે. વઢકણી સાસુ, કંજૂસ વેપારી વગેરે આ પ્રકારનાં પાત્રો છે. કથાસાહિત્યમાં આ પાત્રોનો વિપુલ પ્રમાણમાં વિનિયોગ થયેલો જોવા મળે છે. સંસ્કૃત નાટકોમાં આવતું વિદૂષકનું પાત્ર આનું ઉત્તમ ઉદાહરણ છે.
Stock Response રૂઢ પ્રતિભાવ
- આઈ. એ રિચર્ડઝ દ્વારા સૌ પ્રથમ પ્રયોજાયેલી આ સંજ્ઞા કૃતિના વાચન બાદ મળતા તાત્કાલિક, સાધારણ પ્રતિભાવનું સૂચન કરે છે. મોટે ભાગે આ પ્રકારનો પ્રતિભાવ ચીલાચાલુ દૃષ્ટિબિંદુ, અપૂરતી સમજ તથા અસંગત અભિગમ દર્શાવે છે.
Stock-situations રૂઢ પરિસ્થિતિ
- સાહિત્યકૃતિમાં વર્ણવવામાં આવતી રોજિંદા જીવનની સામાન્ય ઘટનાઓ તથા સામાન્ય માણસોના જીવનમાં અવારનવાર બનતી અસાધારણ ઘટનાઓનો નિર્દેશ આ સંજ્ઞા દ્વારા મળે છે. જેમ કે, અસંખ્ય પ્રેમકથાઓમાં જોવા મળતો પ્રણયત્રિકોણ.
Stoicism નિગ્રહવાદ
- સુખ અને દુઃખ બંનેને સમભાવે સ્વીકારવામાં માનનારો વાદ. ઈ. સ. પૂર્વે ચોથી સદીના ગ્રીક તત્ત્વજ્ઞાનીઓના જૂથની વિચારધારાનો આ સંજ્ઞા નિર્દેશ કરે છે. આ જૂથ એવું માનતું હતું કે મનુષ્ય વાસનાઓથી પર હોવો જોઈએ અને આનંદ કે દુઃખની પરિસ્થિતિમાં અલિપ્ત થવો જોઈએ નહિ. પહેલી સદીના ગ્રીક તત્ત્વજ્ઞાની એપિકટેટસ અને બીજી સદીના રોમન સમ્રાટ માર્ક્સ ઓરેલિયસનાં લખાણોમાં આ વિચારધારાનો પ્રભાવ જોવા મળે છે.
Story વાર્તા
- નિરૂપણાત્મક શૈલીમાં ગદ્ય કે પદ્યમાં લખાયેલી કાલ્પનિક કૃતિ, પાત્રનિરૂપણ અને વસ્તુસંયોજન એ વાર્તાલેખનનાં મહત્ત્વનાં પાસાંઓ છે.
- જુઓ : Fiction, Novel, Short Story, Fable.
Stream of Consciousness ચેતનાપ્રવાહ
- ‘ચેતનાપ્રવાહ’ એ સંજ્ઞા સૌપ્રથમ મનોવિજ્ઞાની વિલ્યમ જેમ્ઝ દ્વારા ૧૮૯૦માં એમના પુસ્તક ‘principles of psychology’માં પ્રયોજાઈ હતી. ‘ચેતના પ્રવાહ’ એ પાત્રના ચિત્તમાં અવિરતપણે પ્રવાહિત :સોસર, રોમન યાકોબ્સન, રોલાં બાર્થ, જૂલ્ય ક્રિસ્તેવા, તોદોરોવ વગેરે આ અભિગમના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
Structure સંરચના
- મનોવિજ્ઞાની-જીવવિજ્ઞાની ઝાં પ્યાઝે (Jean piaget) સંરચનાની ત્રણ અન્યોન્યાશ્રિત વિશેષતાઓ જણાવે છે : (૧) સાવયવતા (Wholeness) (૨) રૂપાંતરણ (Transformation) (૩) સ્વ-નિયંત્રણ(Self-regulation). સાવયવતા એટલે કૃતિના કે પદાર્થના ઘટકોનું અસ્તિત્વ અને તેની વ્યવસ્થા. એમના પરસ્પરના સંબંધો નિયમાધીન હોય છે તેમ જ આ જ નિયમોની પરિભાષામાં સંરચનાને એક સાવયવ રૂપમાં રજૂ કરી શકાય. રૂપાંતરણ (Transformation) એ સંરચનાની જીવંતતાનો નિર્દેશ કરે છે. સંરચના ગતિશીલ છે, પરિવર્તનો નિરંતર આવ્યા કરે છે અને તે જ કારણે સંરચના સાવયવ બને છે; જ્યારે સ્વ-નિયંત્રણ (Self-regulation) મુજબ સંરચના પોતે જ પોતાની મેળે અંતિમ બિંદુ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારમાં આ સંજ્ઞા કેન્દ્રવર્તી છે. Style શૈલી, રીતિ
- આ સંજ્ઞા ભાષાકીય અભિવ્યક્તિની પદ્ધતિનું સૂચન કરે છે, વિચાર, ઘટના, સંવાદ વગેરેને ગદ્ય કે પદ્યમાં લેખક કે વક્તા ‘કેવી રીતે’ રજૂ કરે છે તે આ સંજ્ઞાનો અભિપ્રેત અર્થ છે. કોઈ એક કૃતિ કે કર્તાની શૈલીની તપાસ કરવા માટે તેની બાની, શબ્દપસંદગી, વાક્યરચના, અલંકાર, રૂપકનું નિરૂપણ તથા વાગ્મિતાકલા વગેરેનો અભ્યાસ કરવો જરૂરી છે.
- વાગ્મિતા(Rhetorics)ના મૂળ સિદ્ધાંતો અનુસાર શૈલીના ત્રણ સ્તરો ગણાવવામાં આવે છે : ઊર્ધ્વ (High), મધ્ય (Middle), અને નિમ્ન (Low).
- આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારમાં શૈલી એક મહત્ત્વનો સંપ્રત્યય છે; જે શૈલીવિજ્ઞાન તરીકે ઓળખાય છે.
Stylistics શૈલીવિજ્ઞાન
- સાહિત્યકૃતિની ભાષા અને શૈલીનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ કરતું વિજ્ઞાન. તત્કાલીન વિવેચનમાં પ્રવર્તમાન સંસ્કારવાદ અને આત્મલક્ષિતાના વિરોધમાં આ વિજ્ઞાનનો જન્મ ૧૯૫૦ના અરસામાં થયો.
- શૈલીવિજ્ઞાનના કેન્દ્રમાં ‘શૈલી’નો સંપ્રત્યય છે. આ વિજ્ઞાન ‘શૈલી’ના સંપ્રત્યયના આધારે એક બાજુ સાહિત્યિક કૃતિની સંરચના અને તેના પોત(Texture)નું વિશ્લેષણ કરે છે, તો બીજી બાજુ, આ વિશ્લેષણ દ્વારા કૃતિમાં રહેલી ‘સાહિત્યિકતા’ પર પ્રકાશ પાડે છે. આ વિજ્ઞાન ભાષાના ‘સર્જનાત્મક વિનિયોગ’ અને ‘વ્યંજક પ્રભાવ’ના રૂપમાં સૌન્દર્યાનુભવ અને ભાષાકીય સંરચના વચ્ચે શૈલીને સેતુરૂપ ગણે છે, અને એના અધ્યયન-વિશ્લેષણ દ્વારા સાહિત્ય અને સાહિત્યિક કૃતિ અંગેની સમજણ કેળવવાનું લક્ષ્ય રાખે છે. આમ શૈલીવિજ્ઞાન સાહિત્યનો એક સિદ્ધાન્તવિચાર હોવાની સાથેસાથ અધ્યયન-વિશ્લેષણની પદ્ધતિ પણ છે. લીઓ સ્પિટ્સર, ચાર્લ્સ બાલી, રોજર ફાઉલર, રોમન યાકોબ્સન વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
Stylometry શૈલીમિતિ
- પરંપરાની પદ્ધતિઓને અનુસરનારા અભ્યાસીઓ અને નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ કરનારા અભ્યાસીઓ વચ્ચે શૈલી અભ્યાસક્ષેત્રે મોટું અંતર છે. નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ શૈલીવિજ્ઞાનની જે શાખામાં થાય છે તે શાખાને શૈલીમિતિ તરીકે ઓળખવામાં આવે છે.
Stylostatistics શૈલીસાંખ્યિકી વિજ્ઞાન
- શૈલીના અભ્યાસમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિ સાથે ઈયત્તાપૂર્ણ અભિગમ દાખવનાર અને ટેબ્યુલેશનનો ઉપયોગ કરનાર શૈલીવિજ્ઞાનની આ શાખા શૈલીસાંખ્યિકી-વિજ્ઞાન તરીકે ઓળખાય છે. જોઝફીન માઈલ્ઝ કાવ્યના શબ્દભંડોળના આંકડાશાસ્ત્રીય અધ્યયન માટે જાણીતા છે,
Subjective આત્મલક્ષી
- ‘વસ્તુલક્ષી’ની વિરુદ્ધની આ સંજ્ઞા કૃતિના વસ્તુ પરત્વે સર્જકના અંગત અભિગમનું સૂચન કરે છે. આમ કૃતિના પાત્ર દ્વારા અભિવ્યક્ત થતા વિચારો, લાગણીઓ લેખકની અનુભૂતિમાંથી સીધાં પ્રગટ થયાં હોય.
- આ સંજ્ઞા આત્મકથનાત્મક લેખનશૈલીનું પણ સૂચન કરે છે. મર્યાદિત ભાવકો માટે લખાયેલી કૃતિ પણ આત્મલક્ષિતાની અસર સૂચવે છે. આ સંજ્ઞા વિવેચક દ્વારા કૃતિના વિવેચનમાં થતા પોતાની અંગત રુચિના વિનિયોગનું સૂચન કરે છે.
Sublime ઉદાત્ત
- લોન્જાઈનસે ઘડેલી અભિવ્યક્તિલક્ષી સંજ્ઞા. લોન્જાઈનસના મતે ઉદાત્તતા એવું તત્ત્વ છે, જે કાવ્યમાં પરમ ગુણ તરીકે સર્વાંગે વ્યાપીને રહ્યું છે અને તેનો સ્પર્શ થતાં ભાવકનો આત્મા ઉત્કૃષ્ટતાનો અનુભવ કરે છે. લોન્જાઈનસના મતે ઉદાત્તતાના પાંચ સ્રોત છે : (૧) વિચારની ભવ્યતા (૨) ભાવની ઉત્કટતા (૩) સમુચિત્ત અલંકારરચના (૪) પદરચનાની ઉત્કૃષ્ટતા (૫) ગૌરવાન્વિત રચનાવિધાન.
Sub-literature ઉપસાહિત્ય
- વ્યાપક લોકરુચિને સંતોષવા સર્જાયેલા નહિવત સૌન્દર્યનિષ્ઠ મૂલ્ય ધરાવતા છીછરા કલાસાહિત્યને ઉપસાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આમાં અશ્લીલ સાહિત્ય, વિજ્ઞાનનવલ કે લોકપસંદ ગાયનનોનો સમાવેશ થાય છે. આવું સાહિત્ય અસાર સાહિત્ય (Kitsch) તરીકે પણ ઓળખાય છે.
Subplot ઉપવસ્તુ
- જુઓ : Counterplot.
Subtext આંતરકૃતિ
- કવિતા કે કથાની વ્યક્ત બાહ્ય વસ્તુસંકલનાની નીચે રહેલા આંતરસંકેતો અને આંતરપરિસ્થિતિ. આ દ્વારા આડકતરી અર્થચ્છાયાએ પરથી ભાવકે કૃતિનાં ધ્યેય અને પ્રયોજનો તારવવાનાં રહે છે.
Superlatio અતિશયોક્તિ અલંકાર
- જુઓ : Hyperbole
Supernatural Story અદ્ભુત કથા
- અદ્ભુત (Supernatural)ની વિભાવના મનુષ્યની ઊંડી કલ્પનાશક્તિમાંથી જન્મી છે એવું માનસશાસ્ત્રીઓ માને છે. ફ્રોઈડિયન માનસશાસ્ત્ર આ વિભાવના માટે મનુષ્યને આધુનિકતાની સાથોસાથ અલૌકિક માન્યતાઓ તરફ ઘસડનાર મનુષ્યના ચિત્તમાં રહેલ દમિત શિશુગ્રંથિ (Repressed Infantile Complex)ને જવાબદાર ગણે છે. આમ નૈસર્ગિક તર્કથી ગ્રહણ ન કરી શકાય તેવી સામગ્રીને આધારે લખાયેલી વાર્તા, નવલકથા અદ્ભુત કથા તરીકે ઓળખાય છે. એડગર ઍલન પો. વોલ્તર દેલ મેર વગેરેએ આ પ્રકારની કેટલીક વાર્તાઓ આપી છે.
Surfiction અધિનવલ, પરાનવલ
- પરંપરાગત આધુનિકતાવાદી નવલકથાની પ્રતિક્રિયારૂપે આવેલો ફ્રેન્ચ નવલપ્રકાર, અધિનવલ વાચકને કોઈ સાદો સીધો આશ્વાસક સંદેશ કે ભાવાર્થ અર્પવાને બદલે તેને કળા અને જીવન વચ્ચેના સંવાદ પરત્વે દ્વિધામાં નાખે છે. અધિનવલ એ હકીકતે તો નવલ વિશેની નવલ છે. તે કથાની શક્યતાઓ તાગવા મથે છે અને એ રીતે પોતાની નિયામક પરંપરાને જ આહ્વાન આપે છે.
- જે. ડી. સેલંજર જેવાઓની કૃતિઓ અધિનવલનાં ઉદાહરણરૂપ છે.
Surrealism પરાવાસ્તવવાદ
- ફ્રાન્સમાં લેખકો અને ચિત્રકારો દ્વારા ચાલેલી ચળવળ. પરાવાસ્તવવાદ તાર્કિક ક્રમની અવગણના કરીને સ્વપ્ન અને અવચેતનની પદ્ધતિએ શબ્દોના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ સાધવાનો પ્રયાસ કરે છે. પરાવાસ્તવવાદીઓનું લક્ષ્ય ચિત્તના કોઈક ખૂણે પડેલા ભાવોને સ્વયંચાલિત (automatic) લેખન દ્વારા અભિવ્યક્ત કરવાનું છે. આન્દ્રે બ્રેતોં, સેલ્વડોર ડાલી, ઍપોલીનેર વગેરે પરાવાસ્તવવાદના મુખ્ય પુરસ્કર્તાઓ છે. પરાવાસ્તવવાદી ખરીતો ૧૯૨૪માં પ્રકાશિત થયો. ગુજરાતી સાહિત્યમાં સિતાંશુ યશશ્ચંદ્રની કવિતાઓ પરાવાસ્તવવાદી ગણાય છે.
Suspense રહસ્ય
- નિરૂપણાત્મક (Narrative) ગદ્ય કે પદ્યમાં–સામાન્ય રીતે વાર્તા, નવલકથા કે નાટકમાં—આવતી અનિશ્ચિતતા, અપેક્ષા અને કુતૂહલપૂર્ણ રસસ્થિતિ. રસના આવિર્ભાવનું મૂળ કારણ.
- જેમ કે ભગવતીકુમાર શર્માની નવલકથા ‘ઊર્ધ્વમૂલ’માં કથાનાયકનાં માતા-પિતા કોણ છે એ પ્રશ્ન રહસ્ય (Suspene) તરીકે આગળ આવે છે.
Swan-Song હંસગીત
- મૃત્યુ વિશેનું ગીત. વ્યક્તિને છેલ્લી અંજલિ આપતું ગીત. રાવજી પટેલની રચના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ને ઉમાશંકર જોશી હંસંગીત તરીકે ઓળખાવે છે. (શબ્દની શક્તિ, પૃ. ૮૩)
Syllable અક્ષર
- ભાષાવિજ્ઞાનમાં ધ્વનિસમુચ્ચયના ઉચ્ચારણમાં શ્રાવ્યતાનાં બે સર્વોચ્ચ બિન્દુઓ વચ્ચેના ગાળાને અક્ષર કહે છે. ‘પાન’ ભીંત, મૂક વગેરે એક એક અક્ષરનાં ઉદાહરણો છે. કવિતા એ મુખ્યત્વે શ્રવણની કળા હોવાથી કાવ્યપઠનમાં અને ભાવનમાં અક્ષરો મોટું કાર્ય કરે છે.
Syllepsis અધિયુક્તિ
- જુઓ : Zeugma.
Symbol પ્રતીક
- પ્રતીક યોજના એ કોઈ કવિતાક્ષેત્રનો વિશેષ નથી. અન્ય ક્ષેત્રોમાં પણ પ્રતીક યોજનાનો આશ્રય લેવાય છે. કવિતાનાં સંદિગ્ધ અને તરલ પ્રતીકોને ગણિતનાં સ્થિર અને નિશ્ચિત પ્રતીકો સાથે વિરોધાવવાથી બંનેના હેતુ અને કાર્યની ભિન્નતા સ્પષ્ટ જોઈ શકાય છે. ગણિતમાં પ્રતીક, મૂલ્ય અને અર્થની નિશ્ચિતતા ઊભી કરવા ઉપરાંત અર્થગ્રહણના માર્ગને ટૂંકાવવાનો તરીકો છે. કવિતામાં કવિ અસ્પષ્ટતામાંથી સ્પષ્ટ થવા અસ્પષ્ટતાનો લાંબો માર્ગ એ રીતે પસંદ કરે છે કે અર્થગ્રહણની સુગમતાને દૂર ઠેલી અર્થગ્રહણના માર્ગને વિલંબાવવાનો તરીકો છે. ગણિતનું પ્રયોજન માહિતીને વધુ ને વધુ નક્કર કરી આપવાનું છે, જ્યારે કવિતાનું પ્રયોજન માહિતીને વધુમાં વધુ વિખેરી ઓગાળી નાખવાનું છે. રોજિંદી ભાષામાં રહેલી માહિતીની નક્કરતાને કવિ કોઈ ને કોઈ રીતે વિખેરવા માગે છે અને એમ કરવામાં કવિ પાસે પ્રતીક એ હાથવગું સાધન છે.
Symbolic Action પ્રતીકાત્મક ક્રિયા
- કેનિથ બર્ક દ્વારા પ્રયોજાયેલી આ સંજ્ઞામાં સર્જનાત્મક કૃતિમાં વિનિયોગ પામતી ક્રિયાને વ્યાવહારિક ક્રિયા(Practical Action)થી જુદી પાડવાનો હેતુ સમાયેલો છે. બર્ક કવિતાને કવિના ચિત્તમાં રહેલી સમસ્યાના ઉકેલની ક્રિયા તરીકે ઓળખાવે છે. નાટ્યાત્મક કવિતાના સંદર્ભમાં આ સંજ્ઞાને બર્ક વિશેષ અર્થમાં પ્રયોજે છે. કૃતિમાં નિરૂપાતા પ્રતીકાત્મક મૃત્યુમાં કવિ વ્યવહાર જગતની સમસ્યાઓનો પ્રતીકાત્મક ઉકેલ જોતો હોય છે.
Symbolism પ્રતીકવાદ
- પ્રતીકને જ સાહિત્યનું પ્રાણભૂત તત્ત્વ માનતો વાદ. પ્રતીકવાદી કવિતા એટલે તિર્યક્ કવિતા, જેમાં અત્યંત બૌદ્ધિક અને સંવેદનની અત્યંત સંકુલ ચિત્તસ્થિતિઓનું મિથ અને પ્રતીકોના ઉપાદાન દ્વારા વર્ણન નહીં, પણ પ્રત્યાયન કરવામાં આવે છે. આ વાદ ભાષાને વિધાન કે પુનર્વિધાનના કાર્યથી મુક્ત કરવા માગે છે અને પદ્યબંધથી મુક્ત વાક્યસંદર્ભોનો, તર્કયુક્ત કલ્પન-રચનાઓનો અને અર્થમૂલ્યોથી નિરપેક્ષ એવી નાદ સંપત્તિનાં મૂલ્યો વડે નિયંત્રિત શૈલીનો પુરસ્કાર કરવામાં માને છે. વિશિષ્ટ, કૂટકરણ, સંક્ષેપ, નિઃશબ્દતા, શબ્દભંગ, શબ્દસંયોજન વગેરે દ્વારા કવિતાનું અને ખાસ કરીને આધુનિક કવિતાનું, સીધાં વિધાનોની બહારનું જે સત્ય સાંપડ્યું છે તેનાં મૂળ પ્રતીકવાદમાં છે. ૧૮૮૦ પછી ઊભી થયેલી ફ્રેન્ચ કાવ્યપ્રવૃત્તિની ઝુંબેશને ઓળખાવવા જ્યાં મોરેઅસ નામના કવિએ ‘પ્રતીકવાદ’ નામ આપ્યું. બૉદલેર, પૉલ વર્લે. આર્થર રેમ્બો, સ્ટીવન્ મૅલાર્મે, પૉલ વૅલેરી વગેરે આ વાદના પ્રમુખ પુરસ્કર્તાઓ છે.
Sympathy સમસંવેદન
- કૃતિમાં નિરૂપાયેલા ભાવ, વિચાર કે પાત્ર સાથે ભાવાત્મક એકરૂપતાનો ભાવકને થતો અનુભવ આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ જ રીતે કૃતિમાં પ્રગટ થતા ભાવ, વિચાર કે પાત્રમાં પોતાની જાતનું પ્રક્ષેપણ કરવાના ભાવકના વલણને અન્તઃક્ષેપ (Empathy) તરીકે ઓળખવામાં આવે છે. વિવેચનમાં આ બંને સંજ્ઞાની એકસાથે ચર્ચા કરવામાં આવે છે.
- જુઓ : empathy
Symploce આદ્યંત પુનરુક્તિ
- એકના એક શબ્દ કે શબ્દજૂથનું પંક્તિઓના પ્રારંભમાં અને એકના એક શબ્દ કે શબ્દજૂથનું પંક્તિઓના અંતે યુગપત થતું પુનરાવર્તન તે આદ્યંત પુનરુક્તિ છે. બીજી રીતે કહીએ તો અહીં આદ્ય પુનરુક્તિ(Anaphora) અને અંત્યપુનરુક્તિ (epiphora)નો સાથે ઉપયોગ હોય છે.
- જેમ કે, રાવજી પટેલના કાવ્ય ‘સ્વ. હુંશીલાલની યાદમાં’ની પંક્તિઓ.
તમારા થૂંકની ગંગા વહે છે કાનમાં બાપા
તમારા થૂંકની જે જે થતી’તી ગામમાં બાપા
Synaesthesia ઇન્દ્રિયવ્યત્યય
- એક કરતાં વધુ ઇન્દ્રિયોનાં એકસાથે પહોંચતાં સંવેદનો. એક ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થતા કલ્પનનો અન્ય ઇન્દ્રિય દ્વારા થતો પ્રત્યક્ષ.
- જેમ કે, રાવજી પટેલના ‘આભાસી મૃત્યુનું ગીત’ કાવ્યની પંક્તિ.
‘રે હણહણતી મેં સાંભળી સુવાસ’
Synecdoche લક્ષણો
- સમગ્રને માટે ખંડ અને ખંડ માટે સમગ્રનો, સામાન્ય માટે વિશેષ અને વિશેષ માટે સામાન્યનો ઉપયોગ કરતો અલંકાર.
- જેમ કે, અનિલ જોશીના ‘કન્યાવિદાય’ની પંક્તિઓ.
- જુઓ :
"સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી માલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે."
Syntagmetic Relationships ક્રમવર્તી સંબંધો
- જુઓ : Paradigmatic Relationships.
Syntax વાક્યવિન્યાસ
- પદોને એક સળંગ ઉક્તિરૂપે અન્વિત કરવા માટેના નિયમતંત્રને વાક્યવિન્યાસ કહે છે. વાક્યવિન્યાસ એ ‘સંસર્જનાત્મક વ્યાકરણ’ના અધ્યયનનું મુખ્ય લક્ષ્ય છે. કાવ્યભાષા વાક્યવિન્યાસના નિયમતંત્રનું અતિક્રમણ કરે છે. અને એ દ્વારા કાવ્યાત્મક પ્રભાવો નિષ્પન્ન કરે છે.
Syuzhet કથાંશક્રમ
- રશિયન સ્વરૂપવાદી ગદ્યકથાવિશ્લેષણમાં કથાંશસંખ્યા (Fabula) અને કથાંશક્રમ (Syuzhet) જેવી સંજ્ઞાઓના મૂળમાં પ્રત્યગ્રતાનો સંપ્રત્યય છે. કથાંશ સંખ્યા કથાની ઘટનાઓનો કાલક્રમ જ નિર્દેશે છે, પરન્તુ કથાકાર કથાને આકર્ષક બનાવવા બનેલી ઘટનાઓના ક્રમને પોતાની રીતે, અંગત રીતે ગોઠવે છે, એમાં કાલાનુક્રમિકતાને એ તોડી નાખે છે. આ ક્રિયા દ્વારા કથા ધ્યાનપાત્ર બને છે એટલે કે કથાંશક્રમ અપરિચિતીકરણ કે પ્રત્યગ્રતા ઊભી કરે છે.