ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/સંપાદક-પરિચય: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 35: | Line 35: | ||
બચુભાઈએ 82 વર્ષની જિંદગીમાં ગુજરાતને પત્રકારત્વ ક્ષેત્રે નમૂનેદાર માસિક આપીને નવી પેઢીના ઉછેર માટેનું સક્ષમ સાધન પૂરું પાડ્યું છે, જે આજે (2003) પણ સંસ્કારસિંચનનું કામ કરી રહ્યું છે. ‘કુમાર’ના પત્રકારત્વ માટે 1948માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. 1953માં મુંબઈ રાજ્ય દ્વારા ગુજરાતી લિપિ સુધારણા સમિતિ બનાવી હતી. તેમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1954માં મુંબઈ રાજ્યે બચુભાઈની પ્રતિભાનું યોગ્ય સન્માન કર્યું અને ગવર્નર દ્વારા રાજ્યની વિધાનપરિષદમાં તેમની છ વર્ષ માટે નિમણૂક થઈ હતી. આ પછી ભારત સરકારે બચુભાઈ રાવતને 1975માં ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજ્યા હતા. | બચુભાઈએ 82 વર્ષની જિંદગીમાં ગુજરાતને પત્રકારત્વ ક્ષેત્રે નમૂનેદાર માસિક આપીને નવી પેઢીના ઉછેર માટેનું સક્ષમ સાધન પૂરું પાડ્યું છે, જે આજે (2003) પણ સંસ્કારસિંચનનું કામ કરી રહ્યું છે. ‘કુમાર’ના પત્રકારત્વ માટે 1948માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. 1953માં મુંબઈ રાજ્ય દ્વારા ગુજરાતી લિપિ સુધારણા સમિતિ બનાવી હતી. તેમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1954માં મુંબઈ રાજ્યે બચુભાઈની પ્રતિભાનું યોગ્ય સન્માન કર્યું અને ગવર્નર દ્વારા રાજ્યની વિધાનપરિષદમાં તેમની છ વર્ષ માટે નિમણૂક થઈ હતી. આ પછી ભારત સરકારે બચુભાઈ રાવતને 1975માં ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજ્યા હતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{સ-મ|||'''— અલકેશ પટેલ'''<br>[ | {{સ-મ|||'''— અલકેશ પટેલ'''<br>[https://gujarativishwakosh.org/રાવત-બચુભાઈ/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર]}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
Latest revision as of 03:16, 18 February 2026
શાહ, ચુનીલાલ વર્ધમાન (જ. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; અ. 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અને વિવેચક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ તરફથી પ્રગટ થતા ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં તેઓ જોડાયા અને સહતંત્રીનો હોદ્દો પ્રાપ્ત કર્યો. તેમાં તેમણે પ્રાસંગિક નોંધો, પુસ્તકોનાં અવલોકનો આપવાની પ્રણાલી શરૂ કરી. તેમાંથી લાંબા સમયે નિવૃત્ત થયા બાદ ‘અખંડ આનંદ’ માસિકના સંપાદક તરીકે તેમણે કામગીરી કરી. 1941માં ગુજરાતી સાહિત્ય પરિષદના પત્રકાર વિભાગના તેઓ પ્રમુખ રહેલા. તેમણે ‘સાહિત્યપ્રિય’ તખલ્લુસથી લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી, અને નવલકથા તથા વાર્તાસંગ્રહના ક્ષેત્રે ઠીક ઠીક પ્રદાન કર્યું. તેમને ખાસ કરીને ઇતિહાસમાં વધુ રુચિ હોવાને કારણે પ્રારંભમાં બંગાળી, મરાઠીના હિંદી અનુવાદનો આધાર લઈને તેમણે ગુજરાતીમાં નવલકથાઓ રચવા માંડી. ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષા પર તેઓ સારુ પ્રભુત્વ ધરાવતા. ‘ધારાનગરીનો મુંજ’ (1911) ઐતિહાસિક નવકલથાથી તેમને સારી પ્રસિદ્ધિ મળી. ત્યારબાદ તેમણે ‘કર્મયોગી રાજેશ્વર’ (1935); ‘રાજહત્યા’ (1937); ‘અવંતીનાથ’ (1939); ‘સોમનાથનું શિવલિંગ’ (1913); ‘વસઈનો ઘેરો’ (1916); ‘પાટણની પડતીનો પ્રારંભ’ (1916); ‘મૂળરાજ સોલંકી’ (1920); ‘રૂપમતી’ (1941); ‘એકલવીર’ અને ‘નીલકંઠનું બાણ’ (1947) ખાસ ઉલ્લેખનીય ઐતિહાસિક નવલકથાઓ આપી.
ત્યારબાદ સામાજિક નવલકથાઓમાં ‘જિગર અને અમી’ (1944) અતિ લોકપ્રિય બનેલી. ‘વિષચક્ર’ (1946); ‘સંધિકાળ’ (1956); ‘કંટક-છાયો પંથ’ (1961) જેવી રોમૅન્ટિક અને મહત્વાકાંક્ષી નવલકથાઓ તેમણે આપી. ‘એક માળાનાં ત્રણ પંખી’માં તેમણે બે પેઢીઓ વચ્ચેનો વિચારસંઘર્ષ પ્રસ્તુત કર્યો છે.
જ્યારે ટૂંકી વાર્તાક્ષેત્રે તેમણે ‘રૂપાનો ઘંટ’ (1942); ‘વર્ષા અને બીજી વાતો’ (1954); ‘કાળની પાંખે’ (1958) નામક સંગ્રહો આપ્યા છે. તેમણે ‘ચાંપરાજ હાંડો’ (1906), ‘દેવનર્તકી’ (1958) અને ‘સાક્ષર મહાશય’ (1964) જેવાં નાટકો પણ આપ્યાં છે. ‘રત્ન જીવનજ્યોત’ (1943) તેમનો ચરિત્રસંગ્રહ છે. બાળસાહિત્યક્ષેત્રે તેમનાં ‘ધરતીને ખોળે’ (1944) અને ‘હૈયાનું ધામ’ (1963) પુસ્તકો જાણીતાં છે. ગુજરાત સાહિત્ય સભાના અન્વયે તેમણે 1930-31ના ગ્રંથસ્થ વાઙ્મયની સમીક્ષા પણ આપી છે. ‘હૈયાની થાપણ’ (1956) તેમજ ‘ભોળો ખેડૂત’ જેવા કેટલાક અનુવાદો પણ તેમની પાસેથી મળ્યા છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1937ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર
રાવત, બચુભાઈ (જ. 27 ફેબ્રુઆરી 1898, અમદાવાદ; અ. 12 જુલાઈ 1980, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક. બચુભાઈનું મૂળ નામ ઉમેદસિંહ, પરંતુ ઘરમાં બધા લાડમાં બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનનું નામ પણ એ જ થઈ ગયું. બચુભાઈએ થોડું પ્રાથમિક શિક્ષણ તો અમદાવાદમાં લીધું, પરંતુ તે સમયના ગોંડલ રાજ્યમાં પિતાની નોકરી હોવાથી ત્યાં રહેવા ગયા અને મેટ્રિક સુધીનું શિક્ષણ ગોંડલમાં જ લીધું. બચુભાઈના વડવાઓ પાંચ પેઢીથી દેશી રજવાડાની સેવામાં હતા.
મેટ્રિક પાસ કર્યા પછી કૉલેજમાં અભ્યાસ કરવાની બચુભાઈની તાલાવેલી હતી, પરંતુ પિતાજીનો આદેશ માથે ચઢાવી 1915માં ગોંડલની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. નાનપણથી જ વાંચનના જબરા શોખીન બચુભાઈએ 1919 સુધીની શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાન પુષ્કળ વાંચન કર્યું એટલું જ નહિ, પરંતુ કલા અને સાહિત્ય પ્રત્યે વિશેષ રુચિ કેળવી.
બહુમુખી પ્રતિભા ધરાવતા બચુભાઈને ગોંડલમાં ભારે અકળામણ થતી અને અમદાવાદ જવા હંમેશાં તત્પર રહેતા. 1920માં તેમને આ મોકો મળી ગયો અને ‘સસ્તું સાહિત્ય’માં જોડાયા. તે દરમિયાન મુંબઈમાં હાજી મહમ્મદ ‘વીસમી સદી’ નામનું માસિક ચલાવતા. તેમાં જોડાવા માટે બચુભાઈ મુંબઈ પહોંચ્યા, પરંતુ હાજી મહમ્મદનું અવસાન થતાં ‘વીસમી સદી’ બંધ પડ્યું અને જુલાઈ 1922માં ‘નવજીવન પ્રકાશન મંદિર’માં કામગીરી શરૂ કરી.
બચુભાઈ ગોંડલમાં હતા ત્યારથી કલાગુરુ રવિશંકર રાવળના પરિચયમાં આવેલા. તે ઉપરાંત તેઓ ‘જ્ઞાનાંજલિ’ નામનું હસ્તલિખિત માસિક, ‘ધ્વનિ’ નામનું હસ્તલિખિત સાપ્તાહિક અને ‘નેપથ્યમાંથી’ નામનું હસ્તલિખિત અનિયતકાલીન સામયિક ચલાવતા, તેનાથી રવિશંકર રાવળ ઘણા પ્રભાવિત થયા હતા. શ્રી રાવળ પોતે ગુજરાતના કિશોરો-યુવાનો માટે એક સામયિક શરૂ કરવા સતત વિચાર કર્યા કરતા કેમ કે તે અરસામાં લગભગ તમામ વર્ગ માટે સામયિકો હતાં, પરંતુ કિશોરો અને યુવાનો માટે નહોતાં. શ્રી રાવળના એક મિત્ર મસ્તરામ પંડ્યાના પરિચિત કિશોરો અનંત અને ઉપેન્દ્ર તે સમયે ‘કુમાર’ નામનું એક હસ્તલિખિત ગૃહમાસિક ચલાવતા. રવિશંકર રાવળને ‘કુમાર’ નામ ગમી ગયું અને 1924ના જાન્યુઆરીમાં ‘કુમાર’નો પ્રારંભ થયો. ‘વીસમી સદી’ની સચિત્રતાના ઢાંચા પર શરૂ થયેલું આ માસિક ક્રમશ: વિકસતું જઈને કલા, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, રમતગમત અને અન્ય અનેક વિષયોને આવરી લઈ વિશ્વકોશીય સ્વરૂપ પામ્યું. 1943માં રવિશંકર રાવળે કુમારને સમેટી લેવાનો વિચાર કર્યો ત્યારે તેનું ‘કુમાર કાર્યાલય લિ.’માં રૂપાંતર થયું અને બચુભાઈ રાવત તેના તંત્રી બન્યા. એમના નેજા નીચે મુદ્રણકલા અને રજૂઆતના અવનવા પ્રયોગો સાથે કુમારનું પ્રકાશન વધુ સત્વશીલ બનતું ગયું.
બચુભાઈ રાવત ‘કુમાર’ના પ્રારંભથી 1980માં તેમના અવસાન સુધી તેની સાથે જોડાયેલા રહ્યા.
બચુભાઈએ 82 વર્ષની જિંદગીમાં ગુજરાતને પત્રકારત્વ ક્ષેત્રે નમૂનેદાર માસિક આપીને નવી પેઢીના ઉછેર માટેનું સક્ષમ સાધન પૂરું પાડ્યું છે, જે આજે (2003) પણ સંસ્કારસિંચનનું કામ કરી રહ્યું છે. ‘કુમાર’ના પત્રકારત્વ માટે 1948માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. 1953માં મુંબઈ રાજ્ય દ્વારા ગુજરાતી લિપિ સુધારણા સમિતિ બનાવી હતી. તેમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 1954માં મુંબઈ રાજ્યે બચુભાઈની પ્રતિભાનું યોગ્ય સન્માન કર્યું અને ગવર્નર દ્વારા રાજ્યની વિધાનપરિષદમાં તેમની છ વર્ષ માટે નિમણૂક થઈ હતી. આ પછી ભારત સરકારે બચુભાઈ રાવતને 1975માં ‘પદ્મશ્રી’ પુરસ્કારથી નવાજ્યા હતા.
‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (જ. 28 જુલાઈ 1905, માંગરોળ, જિ. જૂનાગઢ) : ગુજરાતના જાણીતા વિદ્વાન. માંગરોળ(સોરઠ)ના વતની. તેઓ શાળાનું મૅટ્રિક્યુલેશન (માધ્યમિક શાળાંત પરીક્ષા) સુધીનું અને પિતાજી પં. કાશીરામ કરશનજી શાસ્ત્રી (બાંભણિયા) પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્યો અને વેદાંતનું શિક્ષણ પામેલા.
1923માં માંગરોળ (સોરઠ) નજીકના ચંદવાણા ગામમાં અધ્યાપન માટે એક વર્ષ ગાળ્યા પછી માંગરોળની પિતાશ્રીની સંસ્કૃત પાઠશાળામાં ખંડસમયના શાસ્ત્રી તરીકે અને કૉરોનેશન હાઈસ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે પૂરાં 11 વર્ષની ઉચ્ચ વર્ગમાં સંસ્કૃત અને ગુજરાતીના વિષયે અધ્યાપનની સેવા આપી. આ સમય સુધીમાં એમની તીક્ષ્ણ સંશોધક-વૃત્તિ એમને ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના ક્ષેત્રે ખેંચી ગઈ અને અનેક લેખો ઉપરાંત જૂની ગુજરાતીના ક્ષેત્રે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સંશોધન એમને હાથે શરૂ થઈ ગયું.
1936ના પહેલા મહિનામાં એ અમદાવાદ સ્થિર થવા આવ્યા. એક વર્ષ ‘પ્રજાબંધુ’ – સાપ્તાહિકના તંત્રી-ખાતામાં સેવા આપી અને 1937ના એપ્રિલથી ગુજરાત વિદ્યાસભા(એ વખતની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)માં સંશોધક તરીકે દાખલ થઈ એક પછી એક ઉત્તમ ગ્રંથ આપવા લાગ્યા. 1939થી અનુસ્નાતક વર્ગમાં ગુજરાતી ક્ષેત્રે અપભ્રંશ અને જૂની ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ શીખવવા લાગ્યા. 1944માં મુંબઈ યુનિવર્સિટીએ એમને એમ.એ.ના વર્ગ લેવાની માન્યતા આપી. 1951થી ગુજરાત યુનિવર્સિટીમાં એ માન્યતા ચાલુ રહી. 1955માં આ યુનિવર્સિટીએ પીએચ.ડી.ના માર્ગદર્શન માટે માન્યતા આપી. સતત 42 વર્ષના અધ્યાપનકાર્ય દરમિયાન હજારથીયે વધુ સંખ્યાના એમ.એ.ના વિદ્યાર્થીઓને એમણે ભણાવ્યા, જ્યારે 26 વર્ષમાં એમના પોતાના જ 15 શિષ્યો પીએચ.ડી. થયા; વચ્ચે 1961થી 1971 સુધી અમદાવાદની બાલાભાઈ દામોદરદાસ મહિલા કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના સંલગ્ન અધ્યાપક; ભો. જે. વિદ્યાભવનમાં છેલ્લાં 46 વર્ષથી તો તેઓ માનાર્હ અધ્યાપક છે.
1952માં ગુજરાતી વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના સંશોધનક્ષેત્રે આપેલા પ્રદાન માટે ગુજરાત સાહિત્ય સભા-અમદાવાદ તરફથી ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને ઇતિહાસક્ષેત્રે ‘દ્વારકા’ ઉપરના નિબંધને માટે 1971માં દ્વારકાના ગુજરાત ઇતિહાસ પરિષદ અધિવેશનમાં ગોકાણી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. આ ઉપરાંત પુદૃષ્ટિમાર્ગીય પુસ્તકાલય નડિયાદ, ગુજરાત રિસર્ચ સોસાયટી-મુંબઈ અને ગુજરાત ઇતિહાસ પરિષદ-દ્વારકા તરફથી પણ એમને સુવર્ણચંદ્રકો પ્રાપ્ત થયા છે. છેલ્લે લંડનની ગુજરાતી સંસ્થાએ એમને પ્લૅટિનમ ઍવૉર્ડથી પણ સન્માનિત કર્યા (2004). 1952માં મુંબઈ યુનિવર્સિટીનું ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો માટે નિમંત્રણ. એ પછી વડોદરા યુનિવર્સિટીના સંગીત મહાવિદ્યાલય તરફથી ‘ભરત-નાટ્યશાસ્ત્ર અને આચાર્ય અભિનવગુપ્ત’ ઉપર 7 અને ‘ભાણ : એક નાટ્યપ્રકાર’ ઉપર 3 વ્યાખ્યાનો. 1966માં અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી સ્વ. રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ને હસ્તે ‘વિદ્યાવાચસ્પતિ’ની પદવી. 1976માં વ્યાકરણ અને ભાષાશાસ્ત્રક્ષેત્રે મળેલી સિદ્ધિ માટે રાષ્ટ્રપતિ ડૉ. ફકરુદ્દીન અલી અહમદને હસ્તે ‘પદ્મશ્રી’નું માન. આ ઉપરાંત બીજાં 39 માનપત્રો શાસ્ત્રીજીને મળ્યાં છે. એમાં કેટલાંક કાગળ ઉપર, કેટલાંક તામ્રપત્રો, પિત્તળપત્રો, કાંસ્યપત્રો અને લાકડા ઉપર છે. 1977માં પ્રયાગની ભારતી પરિષદ તરફથી ‘મહામહિમોપાધ્યાય’ની પદવીથી વિભૂષિત. આ ઉપરાંત પણ શાસ્ત્રીજીને ‘ભાષાભાસ્કર’, ‘વેદવેદાંત-ચક્રવર્તી’, ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’, ‘શુદ્ધાદ્વૈતાલંકાર’, ‘ધર્મભાસ્કર’, ‘બ્રહ્મર્ષિ’, ‘ભારત-ભારતી રત્ન’, ‘પ્રભાસરત્ન’, ‘વાચસ્પતિ’, ‘ભારતમાર્તંડ’ અને ‘જ્ઞાતિરત્ન’ વગેરે પદવીઓ પ્રાપ્ત થઈ છે.
ગુજરાતી વ્યાકરણોમાં ‘ગુજરાતી ક્રમિક વ્યાકરણ’, ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર’, ‘ગુજરાતી પારંપરિક વ્યાકરણ’, ‘ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ’; ભાષાશાસ્ત્રના ખેડાણમાં ‘સંસ્કૃત ભાષા’; ‘વાગ્વિકાસ’, ‘ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ’, ‘ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા’, ‘ભાષા અને ગુજરાતી ભાષા’, કોશક્ષેત્રે ‘ગુજરાતી અનુપ્રાસકોશ’, ‘પાયાનો ગુજરાતી કોશ’, ‘લઘુ જોડણીકોશ’, ‘ગુજરાતી લઘુકોશ’, ‘અમરકોશ’ (ગુજરાતી અનુવાદ), ‘બૃહદ ગુજરાતી કોશ (ભાગ : 1, 2)’, ‘દસ ભાષાનો વનૌષધિકોશ’ વગેરે.
મહાભારતના મૂળરૂપ ‘ભારતસંહિતા’ 24,000 શ્ર્લોકોની (પ્રકાશન : 1998) અલગ કાઢી એમાંથી 8,800 શ્ર્લોકોની ‘જયસંહિતા’ તારવી છપાવી (ગુજરાત રિસર્ચ સોસાયટી-મુંબઈ-અમદાવાદનું 1977નું પ્રકાશન). ઉચ્ચ કોટિનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું કાર્ય. એ પદ્ધતિએ બીજરૂપ ‘ગીતા શતશ્ર્લોકી’ (પ્રકાશન : 1971) અને ‘હરિવંશ’નો સંક્ષેપ (પ્રકાશન : 1979) પણ આપ્યાં છે.
ભો. જે. વિદ્યાભવન દ્વારા 1997-98માં પ્રકાશિત થયેલ શ્રીમદ્ ભાગવત પુરાણની સમીક્ષિત આવૃત્તિના ગ્રંથ 4 : ભાગ-1 અને 2 (સ્કંધ 10થી 12) અને ગ્રંથ 3ના 9મા સ્કંધનું સંપાદન પૂજ્ય શાસ્ત્રીજીએ કર્યું છે. એમાં દેશના વિવિધ ગ્રંથભંડારોમાંથી મેળવેલ હસ્તપ્રતો અને ભાગવત પુરાણની 4 જેટલી ટીકાઓમાંથી નોંધેલાં પાઠાંતરોને આધારે સંપાદનકાર્ય કરવામાં આવ્યું છે. આ ઉપરાંત Bhagavata : Epilogue જે છે તેમાં ભાગવત પુરાણના વિષયો, તેનું કર્તૃત્વ, પુરાણ-મહાપુરાણનાં લક્ષણો ઇત્યાદિની વિગતે ચર્ચા થઈ છે તે પ્રદાન શાસ્ત્રીજીનું છે. વિશેષમાં શાસ્ત્રીજીએ ‘ભાગવત-મહાપુરાણ’નું સંપાદન શ્રીમદ્વલ્લભ વિશ્વધર્મ સંસ્થા માટે પણ કર્યું છે. તેમાં પંદરમી સદી પૂર્વે થયેલા ચાર ટીકાકારોનાં પાઠાંતરો અને પ્રક્ષેપો આપવામાં આવ્યાં છે અને સૌથી જૂનો પાઠ બનારસની 12મી સદીની પ્રાચીન વાચનાનો છે, જેને કેન્દ્રમાં રાખી આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે.
1969ના ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢમાં ભરાયેલ 25મા અધિવેશનમાં ભાષા-સાહિત્ય-ઇતિહાસ-પુરાતત્વ વિભાગના અધ્યક્ષ અને 1975ના ગુજરાત ઇતિહાસ પરિષદના પાટણ અધિવેશનના પ્રમુખ. વળી 1983માં પુણેમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 33મા અધિવેશનમાં પ્રમુખ.
1938માં મુંબઈ ‘આકાશવાણી’ ઉપર ‘હવેલીનું સંગીત’ એ વિષય ઉપર વાર્તાલાપ આપ્યા પછી અમદાવાદ કેન્દ્રમાં એમના દોઢસોથીયે વધુ વાર્તાલાપ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ‘બહાઉદ્દીન કૉલેજ અમૃત મહોત્સવ સમિતિ-જૂનાગઢ’ તરફથી અર્પિત ફંડની ‘ભક્તકવિ નરસિંહ મહેતા સ્મારક વ્યાખ્યાનમાળા’ના 1979ના પ્રથમ વર્ષના ઉદ્ઘાટક વ્યાખ્યાતા, જેમનું 1980ના નવેમ્બરમાં એ જ યુનિવર્સિટીએ સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કર્યું હતું.
શાસ્ત્રીજીના અનેક વિષયે અત્યાર સુધીમાં 240 ગ્રંથ છપાયા છે અને નવા લખાયે જાય છે. હજારથીયે વધુ લેખ છપાઈ ગયા છે, જેમાં સંશોધનમૂલક લેખોની સંખ્યા 300થી વધુ છે. આજે 100 વર્ષની ઉંમરે પણ પ્રતિદિન 10થી ઓછા નહિ એટલા કલાક ઢતાથી સતત કાર્ય કરનાર શાસ્ત્રીજી વિરલ સારસ્વત છે.
‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર
✼ ✼ ✼