સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જવાહરલાલ નેહરુ/મનુષ્યનો આત્મા: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} મનુષ્યનો આત્મા કેવી અજબ ચીજ છે! સંખ્યાતીત પરાજયો વેઠયા છત...") |
(No difference)
|
Latest revision as of 12:36, 31 May 2021
મનુષ્યનો આત્મા કેવી અજબ ચીજ છે! સંખ્યાતીત પરાજયો વેઠયા છતાં આદર્શને ખાતર, સત્યને ખાતર, શ્રદ્ધાને ખાતર, દેશને ખાતર તથા ઇજ્જતને ખાતર માણસ યુગયુગાન્તરોથી પોતાના જીવનનું, તથા જેને પોતે પ્યારામાં પ્યારું લેખતો હોય તે બધાંનું, બલિદાન આપતો આવ્યો છે. એ આદર્શ ભલે બદલાય, પણ આત્મબલિદાનની માણસની એ તાકાત કાયમ રહી છે અને એટલા ખાતર તેનું ઘણું ઘણું દરગુજર કરી શકાય એમ છે તથા તેને વિશે હાથ ધોઈ નાખવાનું અશક્ય બની જાય છે. ભારે આપત્તિની પળે પણ તેણે પોતાનું ગૌરવ છોડ્યું નથી, કે નથી પોતે સેવેલા આદર્શો પરની શ્રદ્ધા તેણે ગુમાવી. કુદરતનાં પ્રચંડ બળોના રમકડા સમો તથા આ વિરાટ વિશ્વમાં એક રજકણ સમો હોવા છતાં, નિસર્ગની મૂળભૂત શક્તિઓ સામે તેણે પડકાર ઉઠાવ્યો છે. માણસમાં ખરે જ દેવનો કંઈક અંશ છે — અને સાથેસાથે જ તેનામાં શેતાનનો પણ અંશ છે. [‘મારું હિંદનું દર્શન’ પુસ્તક : ૧૯૫૧]