દરિયાપારથી/ગિલ્ગામેશ વળી કોણ?: Difference between revisions
(+૧) |
m (Meghdhanu moved page દરિયાપારથી.../ગિલ્ગામેશ વળી કોણ? to દરિયાપારથી/ગિલ્ગામેશ વળી કોણ? without leaving a redirect: removing ... as per advice) |
(No difference)
| |
Latest revision as of 01:53, 15 May 2026
૧૮૪૫ના અરસામાં બે અંગ્રેજોએ જ્યારે અત્યારના ઇરાકના પ્રદેશમાં બે જુદી જુદી જગ્યાઓએ ખોદકામ શરૂ કર્યું, ત્યારે ત્યાંથી ઈ.પૂ.ની આઠમી સદીનાં નગરોની અનેક નિશાનીઓ મળી આવી. મોટાં મોટાં શિલ્પો, સ્તંભો અને દીવાલોની સાથે સાથે ત્યાંનાં જીવનનાં દૃશ્યો કોતરેલા પાષાણ-ખંડો પણ મળી આવ્યા. એમાંના કેટલાક પર લાંબાં લાંબાં વર્ણનો કોતરેલાં હતાં. નિનેવેહ નામની જગ્યાએથી તો જાણે રાજવી પુસ્તક-પ્રાસાદો જ મળી આવ્યા. પુસ્તકો પણ કેવાં? કાગળ પર લખાયેલાં નહીં, પણ પાષાણો પર ટંકાયેલાં. પચીસ હજાર જેટલી એવી તકતીઓના ભગ્નાવશેષ ત્યાંથી નીકળ્યા. બધા પર એકસરખી લિપિ હતી – પાતળી, તીણી, શંકુ આકારની દેખાતી. પછીનાં વર્ષોમાં નજીક-પૂર્વનાં સિરિયા, ઈરાન, પેલેસ્ટાઈન, ટર્કી વગેરે દેશોમાંનાં બીજાં કેટલાંક સ્થાનો પરથી પણ આવી તકતીઓ પ્રાપ્ત થઈ. એ દરેક જગ્યાની તકતીઓ પરની ભાષા જુદી હતી – જોકે લિપિ ક્યારેક સરખી પણ હતી. બૅબિલોન અને અસિરિયાની એ ભાષાઓ ‘અક્કાડિયન’ ભાષામાંથી વિકસેલી ગણાઈ છે. એ સમયના અભ્યાસીઓ એ પાતળી લિટીઓથી બનેલા અજાણ્યા અક્શર ઉકેલવા મથ્યા. એમાં જ્યૉર્જ સ્મિથ નામનો એક ‘બિન-અભ્યાસી’ શિલ્પી પણ હતો. અંગત રસને લઈને, પથ્થરની તકતીઓ પર કોતરેલી લિપિ શીખવા-સમજવા પાછળ એણે પંદર વર્ષ ગાળ્યાં. અંતે કેટલીક તકતીઓનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં એ સફળ થયા. ને ત્યારે જાણ થઈ કે અનેક વાર્તાઓનું બનેલું એ તો એક મહાકાવ્ય હતું. ઉપરાંત, ચિરંતન યુવાવસ્થાનું રહસ્ય ચોરતા સર્પની, તેમજ એક ભયાનક જળ-પ્રલયની વાર્તાઓ જોતાં અનુવાદકોનું ધ્યાન ખાસ ખેંચાયું, કેમ કે બાઈબલ તથા કુરાનમાં આવતી, દુનિયાના સર્જનની તેમજ જળ-પ્રલયની કથાઓ સાથે એ વાર્તાઓ મળતી આવતી હતી. આ પાષાણ-કંડિકાઓ પરની લિપિ પરથી મેળવેલું એ લખાણ “ ગિલ્ગામેશ મહાકાવ્ય” તરીકે ઓળખાયું. બાઈબલ અને કુરાનથી પણ પહેલાં એ લખાયેલું હશે, તેમ મનાયું છે. અનેક સાહસો, વિજયો, કઠિનાઈ, દુઃખો, અને ગ્નાન-પ્રાપ્તિની વાતોથી સભર હોઈ એ કૃતિ ઉદાત્ત અને અનન્ય ગણાઈ છે. એની વાર્તા મુખ્યત્વે ગિલ્ગામેશ નામની એક વ્યક્તિ પર આધારિત છે, પણ એમાંથી પ્રતીત થતા સંદર્ભોને ઘણી વ્યાપક રીતે જોવામાં આવે છે. એની કેટલીક આવૃત્તિઓ થઈ છે, ને બધી થોડી થોડી જુદી પડતી રહે છે, પણ દરેકમાં વાર્તા તો ગિલ્ગામેશની જ છે. ઉરુક નામના નગરનો એ મહારાજા હતો. એને દેવો જેવું સ્વરૂપ અને દૈવી શક્તિ મળેલાં હતાં, ને સાથે જ, માનવ-સહજ નશ્વરતા પણ. દેવ-દેવીઓનાં કૃપા તથા ક્રોધની અસર પાત્રોનાં જીવન પર પડતી રહે છે, અને જાતજાતની પેટા કથાઓ આ મહાકાવ્યમાં વણાયેલી દેખાય છે. પોતાનું સામર્થ્ય દર્શાવા, તેમજ ટકાવી રાખવા, ગિલ્ગામેશે નગરની ચોતરફ ઊંચો કિલ્લો બાંધવા પ્રજાને હુકમ કર્યો. એ કામ વર્ષોનાં વર્ષો ચાલતું રહ્યું, ને થાકેલા, કંટાળેલા લોકોએ મદદ માટે દેવોને પ્રાર્થના કરી. જાણે એના જ જવાબમાં મોકલાયો હોય તેમ, એન્ડિડુ નામનો વનવાસી શક્તિ-પુરુષ ત્યાં આવી ચડે છે. મંદિરની નર્તકી શામ્હાત એને નગરની અંદર લઈ જાય છે. પહેલાં તો ગિલ્ગામેશ અને એન્ડિડુ એકબીજા સાથે યુદ્ધ કરે છે. એમાં એન્ડિડુ જ એક વાર ગિલ્ગામેશને કોટની ઊંચી દીવાલ પરથી લપસીને પછડાતાં બચાવે છે, ને એ પછી બંને ઘનિષ્ટ મિત્રો બને છે. સંયુક્ત રીતે બંને હમ્બાબા નામના રાક્શસને મારી નાખે છે. વળી, દેવોના એક વૃષભની હત્યા કરે છે. દેવોની ઉપેક્શા બંને કરતા જ રહ્યા હતા, તેથી એમનો શાપ પામીને એન્ડિડુ એક અસાધ્ય રોગનો ભોગ બને છે, ને મૃત્યુ પામે છે. ગિલ્ગામેશ અત્યંત દુઃખ પામે છે, તેમજ ત્યારે એને ખ્યાલ આવે છે કે સમય આવતાં પોતે પણ મૃત્યુ પામશે જ. એ નીકળી પડે છે એવા કોઈ એક મનુષ્યને શોધવા કે જેણે અમરત્વ પ્રાપ્ત કર્યું હોય. એવા મનુષ્ય હતા ઉત્નાપિશ્ટિમ. પૃથ્વી પરના મહાજળ-પ્રલયમાંથી પણ એ બચી ગયેલા. એમણે ગિલ્ગામેશને કહ્યું કે એ જળ-પ્રલયની કથા કહેતાં છ દિવસ અને સાત રાત થશે. જો એ આખો સમય ગિલ્ગામેશ જાગતો રહી શકશે, તો અંતે એ ગિલ્ગામેશને અમરત્વનું રહસ્ય આપશે. ગિલ્ગામેશ એટલું સળંગ જાગતાં રહી નથી શકતો. છતાં, એના પર કરુણા કરીને ઉત્નાપિશ્ટિમ એટલું જણાવે છે કે ચિર-યૌવનનો છોડ ક્યાં મળશે. એ મેળવવા માટે ગિલ્ગામેશ છેક સમુદ્રને તળિયે ડુબકી મારે છે, એને મેળવે પણ છે, પરંતુ એ આરામ કરતો હોય છે ત્યારે એક સર્પ એ છોડને ચોરી જાય છે. પહેલાં તો ગિલ્ગામેશ ખૂબ નિરાશ થઈ જાય છે, પણ પછી સમજે છે કે પૃથ્વી પરના બધા લોકોની જેમ પોતાને પણ ક્યારેક તો મરવું પડશે જ. એ ઉરુક દેશમાં પાછો ફરે છે, પોતે અને એન્ડિડુએ સિદ્ધ કરેલાં સત્કાર્યોનું સ્મરણ કરે છે, એના પર મનન કરે છે, અને પછી સમજે છે કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં પોતે કરેલાં સત્કાર્યો દ્વારા જ અમર બનતી હોય છે, ને એ જ છે અમરત્વનું સાચું રહસ્ય. મહાકાવ્યને અંતે આવો સાર મળે છે. દુનિયાની મહાન ઉપદેશ-કથાઓમાંની આ એક ગણાય છે. ઉપરાંત, એ બધા પ્રદેશો કેવા હતા, તેની ખરેખરી જાણ તો કોઈને નથી, કારણકે એ તો કદાચ દટાયેલા હોય તો હોય. પણ આ કથા ઝીણી વિગતો દર્શાવતાં ચિત્રાંકનો દ્વારા, ખૂબ રસપ્રદ રીતે, પણ આલેખાઈ છે. એ દ્વારા છતાં થાય છે પાત્રોનાં દેખાવ અને વ્યક્તિત્વ – અહંકારી ગિલ્ગામેશ, ઉદાર-દિલ એન્ડિડુ, સુંદરી શામ્હાત વગેરે; તથા સ્થાનો, જેવાંકે ઊંચા સ્તંભ ને કમાનોથી યુક્ત વિશાળ પ્રાસાદ, પ્રજાજનોથી ભરેલાં ચોગાન, નાળિયેરીનાં વૃક્શવાળા નદી-કિનારા વગેરે; તેમજ દૃશ્યો, જેમકે ગિલ્ગામેશને બચાવવા હાથ લંબાવતો એન્ડિડુ, મોટી પાંખો વીંઝતો આવતો દૈવી વૃષભ, સંગીત ને ભોજન સાથેની મહેફિલો વગેરે. છેલ્લે, ગિલ્ગામેશ રાજા તરીકેની પોતાની જવાબદારી સમજે છે, અને પ્રજા પ્રત્યે ઉદાર થવા તત્પર બને છે. આ એનો જીવન-બોધ છે. ગમે તેવું મહાન, તોયે પારકું – એવું ઘણાંને લાગે, ને એની અંદરની વાતો વિચિત્ર ને નીરસ પણ લાગે, તો એટલો ખ્યાલ રાખીએ કે અન્યદેશીય પ્રજાને આપણા પ્રાચીન ગ્રંથો પણ એવા પ્રકારના લાગી શકે છે. જેમકે, આપણું ‘મેઘદૂત’ કાવ્ય આપણને કેવું હૃદયસ્થ હોય છે. ઘણાં બિનભારતીયોને એ કલ્પન જ ગાંડા જેવું લાગે છે : “ વાદળ સાથે તે કોઈ વાતો કરતું હશે?, ને સંદેશો મોકલતું હશે?” આવું બનતું જાય તેમ તેમ આપણે શીખતાં જઈએ કે પોતાનું-પારકું, ગમતું-અણગમતું, સમજાતું-ના સમજાતું વગેરે બધું સાપેક્શ હોય છે. નવું નવું જાણતાં જઈને બુદ્ધિથી, મનથી વધારે સમૃદ્ધ થતાં જવું – તે જ સાર છે અભ્યાસનો.