બહુરંગી/રામ જાણે!: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 00:50, 27 May 2026

રામ જાણે

વાત-વાતમાં સૌ કોઈ કહેતું - રામ જાણે. શું રામને આ વાતની ખબર હશે? રામ જાણે. સીતામાતા સમાણાં : ધરતીમાં શું કામ? રામ જાણે. રામે સીતાને ન રોક્યાં શું કામ? રામ જાણે.

પેટના જણ્યા લવ-કુશ. રામબાણ ઉપાડશે બાપની સામે સીતા જાણતાં’તાં? રામને કશી હતી ખબર? રામ જાણે.

આજેય દીકરા, સામા પડતા બાપની સામે આજેય દીકરા, હાથ ઉગામે માતા સામે રામ કશી સદ્‌બુદ્ધિ ન આપી શકે, કેમ? રામ જાણે.

ગામનો જ ધોબી નિંદા કરશે, સીતા વન વન વલવલશે સગી જનનીથી વધુ વહાલી કૈકેયી! નડશે રામને કનડશે રામના બાપા દશરથને, હાયકારે જીવડો જશે. રામને આ બધી વાતોની ગંભીરતા નહીં હોય? રામ જાણે.

મને તો પક્કા પાયે એમ જ લાગે છે : બચ્ચારા જીવને રામને કશી ખબર નહીં પડી હોય એટલે જ તો આપણે બધા કહીએ છીએ ઊલટથી વટથી “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?" રામને સહેજેય અણસાર-આવ્યો હોત તો, રાજરાણી સીતાને લઈને જંગલમાં જતે? રાવણના હાથે સીતાનું હરણ થવા દેતે? રામ જાણે.... રામ જાણે.... રામ જાણે... આજેય અગ્નિપરીક્ષા આપવી પડે છે, દહેજના ખપ્પરમાં હોમાવું પડે છે, તો’ય રામ ચૂપ શા માટે? રામ જાણે... પણ, આજની સીતાઓ સઘળું જાણે, આજના રામોને બરાબર પિછાણે આધુનિક રામાયણ કેવું લખાશે? સીતા જાણે... સીતા જાણે.... રામ શું જાણે ખાક?

ચંદ્રા શ્રીમાળી
કાવ્યસંગ્રહ ‘વલોણું’માંથી