સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાનાભાઈ ભટ્ટ/ઘરમાં જ દેવાળું?: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણે સૌ કેળવણી આપવા નીકળ્યા છીએ. પણ આવતી પેઢીને કેળવણી આપ...") |
(No difference)
|
Latest revision as of 11:40, 2 June 2021
આપણે સૌ કેળવણી આપવા નીકળ્યા છીએ. પણ આવતી પેઢીને કેળવણી આપવાનો દાવો કરનારા આપણે આપણી સ્ત્રીઓની કેળવણી વિશે વિચાર કર્યો છે ખરો? કોઈએ પોતાના ઘરમાં નવી કેળવણી દાખલ કરી? કોઈ પોતાનાં બાળકો સાથે અર્ધો કલાક પણ ગાળીએ છીએ? આપણી સંસ્થાના અધ્યાપક વર્ગ સિવાયના પટાવાળા, ખેતીના સાથીઓ, ચોકીદાર વગેરે કાર્યકર્તાઓ પણ જીવનસંસ્કારના એટલા જ અધિકારી છે, એમ આપણે કદી વિચાર્યું છે? એમનાં બાળકો પણ આપણાં બાળકોના જેટલાં જ જ્ઞાન-સંસ્કારનાં હકદાર છે, એમ આપણે માન્યું છે? દુનિયા આખીને કેળવણી આપનાર આપણે સ્ત્રીઓને, બાળકોને, રસોયાને, આપણી કામ કરનાર બાઈને જ સંસ્કારવિહોણી રાખશું? દુનિયાને કેળવણી આપનારા આપણા ઘરમાં જ દેવાળું કાઢશું? [‘કોડિયું’ માસિક : ૧૯૫૯]