આત્માની માતૃભાષા/23: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘લોકલમાં’ વિશે | નિરંજન ભગત}} <poem> એની દીઠી ન નજરે મુખમાધુરી...")
 
No edit summary
Line 41: Line 41:
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬}}
{{Right|મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬}}
</poem>
</poem>
{{Poem2Open}}
૧૯૫૩માં સૂરતમાં ‘લેખકમિલન'ના ઉપક્રમે ‘મારો પ્રિય વિદ્યમાન ગુજરાતી લેખક’ શીર્ષકથી ઉમાશંકર વિશે પ્રથમ વાર જ વ્યાખ્યાન કરવાનો અવકાશ પ્રાપ્ત થયો હતો. વ્યાખ્યાનમાં કલાનો સંયમ, સહાનુભૂતિ, વાસ્તવિકતા, પરલક્ષિતા અને નાટ્યાત્મકતાના સંદર્ભમાં ઉમાશંકરની ૧૯૫૩ લગીનાં સૌ કાવ્યોમાંથી અત્યંત મહત્ત્વનાં કાવ્યો તરીકે ત્રણ કાવ્યોનો ઉલ્લેખ કર્યો હતો. એમાં એક કાવ્ય હતું ‘લોકલમાં’ (અન્ય બે કાવ્યો તે ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’ અને ‘સદ્ગત મોટાભાઈ’).
આમ, ગુજરાતી વિવેચનમાં ઉમાશંકરના એક મહત્ત્વના કાવ્ય તરીકે ‘લોકલમાં’ પ્રથમ વાર જ ધ્યાન પર આવ્યું હતું. એથી પછી ૧૯૬૯માં એક ‘પ્રશ્નોત્તરી'માં ‘તમારી કોઈ અત્યંત મહત્ત્વની કૃતિ સહૃદયોની નજર બહાર રહી ગઈ હોય એવું બન્યું છે? તો કઈ કૃતિ?’ એવા પ્રશ્નના ઉત્તરમાં ઉમાશંકરે કહ્યું હતું, ’ ‘લોકલમાં’. પણ તે ભાઈ નિરંજન ભગતે પછીથી પકડી પાડ્યું છે.’ આમ, ઉમાશંકરે ‘લોકલમાં'ને એમનું એક અત્યંત મહત્ત્વનું કાવ્ય ગણ્યું છે. આરંભથી મને, હમણાં જ કહ્યું તેમ, એક અત્યંત મહત્ત્વનું કાવ્ય લાગ્યું હતું. ‘લોકલમાં’ એ મારું પ્રિય કાવ્ય છે. વળી એમાં, હમણાં જ જોઈશું તેમ, એમાં નગરકવિતા છે, નગરજીવનની કવિતા છે — એથી કંઈક વિશેષ પ્રિય એવું કાવ્ય છે.
જર્મન વિવેચક જ્યોર્જ સિમેલ (George Simmel)નું એક વિધાન, નગર અને નગરજીવન, નગરકવિતા અને આધુનિકતા વિશેનું એક અત્યંત મહત્ત્વનું વિધાન છે, ‘The interpersonal relationships of people in big cities are characterized by a markedly greater emphasis on the use of the eyes than on that of the ears. This can be attributed chiefly to the institution of public conveyances. Before buses, railroads, and trams became fully established during the nineteenth century, people were never put in a position of having to stare at one another for minutes or even hours on end without exchanging a word.’ આ વિધાનમાં ‘લોકલમાં’ કાવ્યની ભૂમિકા છે.
ઉમાશંકર પ્રવાસપ્રિય મનુષ્ય અને કવિ હતા. એ ચિરપ્રવાસી હતા, જગતપ્રવાસી હતા. કિશોર અવસ્થામાં એમણે એમની જન્મભૂમિ બામણાની આસપાસના ગ્રામપ્રદેશો — સવિશેષ આબુ આદિ ડુંગરો — માં પગવારે અનેક પ્રવાસો કર્યા હતા. આયુષ્યના આરંભનો દોઢ દાયકો — ૧૯૧૧થી ૧૯૨૮ લગી — તેઓ બામણા અને ઈડરના ગ્રામપ્રદેશમાં વસ્યા હતા. ૧૯૨૮થી ૧૯૮૮ લગી, આયુષ્યના અંત લગી, ૬ દાયકા લગી તેઓ ઔદ્યોગિક ક્રાંતિની સરજત જેવા નગર અમદાવાદમાં વસ્યા હતા, વચમાં ૧૯૩૪થી ૧૯૩૯ લગી અરધો દાયકો તેઓ ઔદ્યોગિક સંસ્કૃતિના મહાનગર મુંબઈમાં વસ્યા હતા. આ ૬ દાયકા દરમિયાન એમણે દેશમાં અને વિદેશોમાં બસમાં, ટ્રામમાં, ટ્રેઇનમાં, સ્ટીમરમાં, એરોપ્લેઇનમાં એમ વિવિધ આધુનિક વાહનવ્યવહારનાં સાધનો દ્વારા અનેક પ્રવાસો કર્યા હતા. આ પ્રવાસો દરમિયાન જે અનુભવો થયા તે વિશે એમણે અનેક કાવ્યો રચ્યાં હતાં. એમાંનાં કેટલાંક કાવ્યો એમણે પ્રવાસ દરમિયાન જ રચ્યાં હતાં, તો કેટલાંક કાવ્યો પ્રવાસો પછીના સમયમાં પશ્ચાત્દર્શન રૂપે રચ્યાં હતાં. ‘લોકલમાં’ કાવ્ય એમણે ૧૯૩૬માં મુંબઈમાં રચ્યું હતું. આ કાવ્ય એમણે લોકલમાં પ્રવાસ પછી પશ્ચાત્દર્શન રૂપે રચ્યું હતું. જ્યૉર્જ સિમેલના પૂર્વોક્ત વિધાનમાં સૂચન છે તેમ ‘લોકલમાં’ કાવ્ય ૧૯મી સદી પછીના સમયમાં જ રચી શકાય અને ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્કૃતિના મહાનગર જેવા મુંબઈમાં જ રચી શકાય.
‘લોકલમાં'માં સ્થળ છે મુંબઈની સબર્બન લોકલ ટ્રેઇન. સમય વહેલી સવારનો હોય. કાવ્યમાં જે ઘટના છે તે સાંજના સમયે શક્ય જ નથી, કારણ કે સાંજના સમયે ચર્ચગેટથી અંધેરી-વિહાર જતી ટ્રેઇનમાં ભારે ભીડ હોય, અને સૌ પ્રવાસીઓ દિવસભરના કામકાજને અંતે થાક્યાપાક્યા હોય; એથી વહેલી સવારના સમયે જ શક્ય હોય. વળી સન્નારીનું જે વર્ણન છે તેમાં એ તાજગી અને સ્ફૂર્તિભર્યા હોય એવું સૂચન છે. એવું વહેલી સવારના સમયે જ શક્ય હોય. કાવ્યમાં ત્રણ પાત્રો છે: વૃદ્ધ, કાવ્યનાયક અને સન્નારી. વૃદ્ધ સૌંદર્યવંચિત ચિરંતૃષિત છે. મધ્યમવર્ગનો, મધ્યમવયનો કાવ્યનાયક હોય, એ અન્-રોમૅન્ટિક અને પ્રશિષ્ટ સંયમશીલ સજ્જન છે. મધ્યમવર્ગનાં મધ્યવયનાં સન્નારી હોય. એમનું સ્વચ્છ, સુઘડ, સાદું પરિધાન હોય અને આછું-અમથું પણ આકર્ષક, સુંદર પ્રસાધન હોય. આ ત્રણે પાત્રોનો વહેલી સવારે વિરાટ-અંધેરીથી ચર્ચગેટ જતી લોકલમાં કામકાજ અંગેનો આ પ્રવાસ હોય. વળી ટ્રેઇનમાં અન્ય પ્રવાસીઓ પણ હોય જ. કાવ્યમાં ઘટના (action) છે વૃદ્ધના ચિરંતૃષિત ક્ષીણ નેત્રોનું પરમ તૃપ્ત પ્રસન્ન નેત્રોમાં ક્ષણિક પરિવર્તન. આ પરિવર્તનને કારણે, આ ઘટનાને કારણે ‘લોકલમાં’ એક અત્યંત કરુણ નાટ્યાત્મક કાવ્ય છે.
લોકલના ડબ્બામાં બે ખાનાં છે. પ્રત્યેક ખાનામાં બેઠકો માટે બે પાટિયાં છે. એક ખાનામાં વૃદ્ધના મોંની સામે એમનું મોં હોય એમ એક પાટિયા પર સન્નારી બેઠાં છે. જે દિશામાં સન્નારીનું મોં હોય એ જ દિશામાં મોં હોય એમ બીજા ખાનામાં એક પાટિયા પર કાવ્યનાયક બેઠા છે. અને એ જ ખાનામાં સામેના પાટિયા પર વૃદ્ધ બેઠા છે. આમ, સન્નારી વૃદ્ધની સામે અને કાવ્યનાયકની પૂંઠે બેઠાં છે. સૌ પ્રવાસીઓ એમની બેઠક પર સ્થિત-સ્થિર છે. લોકલ વેગીલી છે, ગતિમાં છે. સર્વત્ર સંપૂર્ણ મૌન છે, શાંતિ છે. કંઈક જે અવાજ છે તે માત્ર લોકલના ધબકાર અને તાલનો અવાજ છે. આ પરિસ્થિતિમાં કાવ્યનાયકને એકસાથે સૌંદર્ય અને કરુણતાનું સહસા દર્શન થાય છે.
‘લોકલમાં'માં ૩ ખંડ છે: ખંડ ૧ (પંક્તિ ૧-૧૧)માં કાવ્યનાયકને સૌંદર્યનું દર્શન થયું હતું એનો ઉલ્લેખ છે. ખંડ ૨ (પંક્તિ ૧૨-૨૩)માં કાવ્યનાયકને સૌંદર્યનું ક્ષણિક દર્શન થયું હતું એના કારણનો ઉલ્લેખ છે. ખંડ ૩ (પંક્તિ ૨૪-૩૦)માં કાવ્યનાયકને સૌંદર્યનું ક્ષણિક દર્શન થયું હતું તે ક્ષણિક નહિ પણ દીર્ઘકાલીન દર્શન હતું એનો ઉલ્લેખ છે.
{{Poem2Close}}
18,450

edits