ભારતીયકથાવિશ્વ−૫/માર્કણ્ડેયપુરાણ/વસિષ્ઠ-વિશ્વામિત્ર વચ્ચે સંઘર્ષ: Difference between revisions
(+1) |
(No difference)
|
Latest revision as of 15:58, 20 January 2024
હરિશ્ચન્દ્ર સ્વર્ગમાં ગયા પછી તેમના પુરોહિત વસિષ્ઠ જળમાંથી બહાર નીકળ્યા. ગંગામાં રહી બાર વર્ષે બહાર નીકળેલા પુરોહિત વિશ્વામિત્રની બધી કથા સાંભળીને વિશ્વામિત્ર ઉપર બહુ ક્રોધે ભરાયા. તે બોલ્યા,
‘મહાભાગ, દેવ બ્રાહ્મણનું પૂજન કરનારા હરિશ્ચન્દ્ર રાજાને વિશ્વાંમિત્રે બહુ દુઃખી કર્યા છે. તેમને રાજ્યભ્રષ્ટ પણ કર્યા. મારા સો પુત્રો મારવા છતાં જેટલો ક્રોધ મને આવ્યો ન હતો તેટલો ક્રોધ હરિશ્ચન્દ્ર સાથે જે દુર્વ્યવહાર કર્યો તેનાથી આવ્યો છે. મારા આશ્રિત, નિરપરાધ, ધર્માત્મા રાજાને સ્ત્રી, પુત્ર-સમેત દુઃખી કર્યા છે તો તે દુરાત્મા, બ્રહ્મદ્વેષી, વિઘ્નહર્તા વિશ્વામિત્ર મારા શાપથી બગલો બની જાય.’
વસિષ્ઠ ઋષિનો શાપ સાંભળીને વિશ્વામિત્રે તેમને આડિ થવાનો શાપ આપ્યો. આમ બંને ઋષિઓ એકબીજાના શાપથી પક્ષી તરીકે જન્મ્યા અને બંને ક્રોધે ભરાઈને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. આડિ તરીકે જન્મેલા વસિષ્ઠ બેહજાર યોજન ઊંચે ઊડ્યા, એટલે બગલા તરીકે જન્મેલા વિશ્વામિત્ર તેથી પણ વધારે ઊંચે — ત્રણ હજાર છણ્ણુ યોજન ઊંચે ઊડ્યા. બંને એકબીજાને પાંખોથી પ્રહાર કરીને પ્રજાજનોને ભયભીત કરવા લાગ્યા. બગલો રાતા નેત્રે આડિને મારવા લાગ્યો ત્યારે આડિ પણ ઊંચી ડોક કરીને બગલાને પ્રહાર કરવા લાગ્યો. તેમની પાંખોના વાયુથી પર્વતો પૃથ્વી પર પડવા લાગ્યા, પૃથ્વી પણ કાંપવા લાગી, સમુદ્રના જળને તે ઊછાળવા લાગી, જાણે પાતાળમાં જવા માગતી ન હોય તેમ એક બાજુએ નમી ગઈ. પર્વતોના પડવાથી, સમુદ્રના ઊછળવાથી, ભૂકંપથી કેટલાંક પ્રાણીઓ નાશ પામ્યાં, સમસ્ત જગત હાહાકાર કરવા લાગ્યું. દેવતાઓને લઈને બ્રહ્મા બંને પક્ષીઓ પાસે આવીને બોલ્યા, ‘હવે તમે યુદ્ધ બંધ કરો, તો જ જગતના મનુષ્યોને શાંતિ થશે.’ બ્રહ્મદેવની વાત સાંભળી ન સાંભળી કરીને બંનેએ યુદ્ધ ચાલુ રાખ્યું. એટલે પછી બ્રહ્માએ લોકહિત સાધવા બંનેનું પક્ષીરૂપ લઈ લીધું. બંને ઋષિઓનો ક્રોધ શાન્ત થયો એટલે બ્રહ્માએ કહ્યું, ‘તમે જે ભયંકર યુદ્ધ કર્કહ્યું તેમાંથી હવે બહાર આવો. વસિષ્ઠ, વિશ્વામિત્રે રાજાનો કોઈ અપરાધ કર્યો નથી, ઊલટ તેમને સ્વર્ગપ્રાપ્તિ કરાવી છે. હવે તમે આ યુદ્ધ બંધ કરો. બ્રહ્મતેજ એ જ તમારું બળ છે.’ બંનેએ વેર ભૂલીને એકબીજાના અપરાધ ક્ષમા કર્યા અને પોતપોતાના આશ્રમમાં ગયા.
(૯)