ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/કુબેર અને અગસ્ત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 16:58, 24 January 2024


કુબેર અને અગસ્ત્ય

કુબેર એક કથા કહે છે, ‘એક વેળા કુશવતી નામના સ્થળે દેવસભા મળી હતી. આમંત્રણ મળવાને કારણે હું પણ ત્રણસો યક્ષોને લઈને ગયો હતો. મારી સાથે જે યક્ષો હતા તે શસ્ત્રધારી અને ભયાનક આકૃતિવાળા હતા. મેં માર્ગમાં પક્ષીઓ અને પુષ્પોવાળાં વૃક્ષો ધરાવતા યમુનાકિનારે આકરું તપ કરતા ઋષિ અગસ્ત્યને જોયા. તેઓ સૂર્ય સામે હાથ ઊંચા કરીને બેઠા હતા. તે તેજસ્વી ઋષિને જોઈને મારો એક મિત્ર મણિમાન મૂર્ખતા, અજ્ઞાન, ગર્વને કારણે થૂંક્યો, તે થૂંક આકાશમાંથી સરીને મહર્ષિ અગસ્ત્ય પર જઈ પડ્યું. અગસ્ત્યે આ જોઈને મને કહ્યું, ‘તમારા આ દુષ્ટ મિત્રે તમારી આંખો સામે મારું અપમાન કર્યું છે એટલે તે પોતાની બધી સેવાને લઈને એક મનુષ્યના હાથે મૃત્યુ પામશે. એ બધા મૃત્યુ પામશે એટલે તમને એનું ભારે દુઃખ થશે. આ સેનામાં જે તમારી આજ્ઞાનું પાલન કરશે તે પુત્ર-પૌત્રો સહિત બચી જશે. હવે તમે જાઓ.’

(આરણ્યક પર્વ, ૧૫૮)