હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : હરિવલ્લભ ભાયાણી, મકરંદ દવે: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:05, 27 February 2024
મારા અક્ષરો બગડતા હોય છે.
મોતીના દાણા, હવે મોર પગલાં થવા લાગ્યાં, યું બી સહી.
પણ વાંચનારને તકલીફ પડે એ વિચારે
સહી કરવાનું મન થતું નથી
હરિવલ્લભ ભાયાણી પરના પત્રમાં મકરંદ દવે –
ક ખ ગ ઘ સ્હેજ કણસીને કણસલાં થૈ ગયાં
મોતીના દાણા હવે તો મોર પગલાં થૈ ગયાં
મેં અછોવાનાં કર્યાં તોયે અછકલા થૈ ગયા
શબ્દ તો અળવીતરા અર્થે અડપલા થૈ ગયા
વાંકાચૂકા સત્યનું કાઢે પગેરું આ કલમ
અક્ષરોયે મા’તમા ગાંધીનાં સગલાં થૈ ગયાં
જ્ઞ-નાં મીઠાં બોર સારુ બોરડી ઝંઝેડતા
પંડિતોની પાઘડી પર ઢ-ના પગલા થૈ ગયા
એમની ટ્રમ્પેટના છે એ જ ગજવૈયા ગજબ
નિજની સંગતમાં એ તાબડતોબ તબલાં થૈ ગયાં
એ અછાંદસ થૈને આભડછેટથી છેટા સર્યા
છંદથી છમછમ કર્યું કોકે, છમકલાં થૈ ગયાં
તેં દીધેલાં રણ હજી આ ચોપડીમાં સાચવું
શાહીનાં મૃગજળની પાછળ મન મરગલાં થૈ ગયાં
આ ગઝલના તાજિયા ટાઢા પડ્યા મક્તા વિષે
કાળજાં છેદીને આ કાગળ કરબલા થૈ ગયા
ઓ સુખનવર, ખુશનવીસી આપની સુખ્યાત છે
કખગના તોય શાથી કાથાકબલા થૈ ગયા