ગ્રંથ અને ગ્રંથકાર/દલસુખભાઈ ડાહ્યાભાઈ માલવણિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Corrected inverted comas)
No edit summary
 
Line 41: Line 41:
આ ઉપરાંત અનેક લેખો અને સહ-સંપાદનો.
આ ઉપરાંત અનેક લેખો અને સહ-સંપાદનો.
</poem>
</poem>
સરનામું:
 
{{right|'''સરનામું :''' લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, નવરંગપુરા, અમદાવાદ-૯.}}<br>
{{right|'''સરનામું :''' લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, નવરંગપુરા, અમદાવાદ-૯.}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 03:03, 13 June 2024

દલસુખભાઈ ડાહ્યાભાઈ માલવણિયા

[૨૨-૭-૧૯૧૦]

સંશોધક શ્રી દલસુખભાઈ માલવણિયા સૌરાષ્ટ્રમાં આવેલા સાયલાના વતની છે, અને એમનો જન્મ પણ એ જ ગામમાં તા. ૨૨-૭-૧૯૧૦ના રોજ થયો હતો. જ્ઞાતિએ તેઓ ભાવસાર છે. પિતાનું નામ શ્રી ડાહ્યાભાઈ કુંવરજી માલવણિયા અને માતાનું નામ પાર્વતીબહેન. એમનાં લગ્ન ઈ. ૧૯૩૨માં શ્રી મથુરાગૌરી સાથે થયાં હતાં. સાયલાની તાલુકાશાળામાં ચાર ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને તેમણે માધ્યમિક શાળાનાં પાંચ ધોરણોનું શિક્ષણ સુરેન્દ્રનગરની શેઠ એન. ટી. એમ. હાઈસ્કૂલમાં લીધું. એ પછી જયપુરની જૈન ટ્રેનિંગ કૉલેજમાં અને બિકાનેરમાં રહીને ‘ન્યાયતીર્થ’નો અભ્યાસ કર્યો. ઈન્દોરમાં બંગાલ સંસ્કૃત એસોસિયેશનની ‘ન્યાયતીર્થ' પરીક્ષા આપી તે પદવી મેળવી. ઈ. ૧૯૪૪થી ૧૯૫૯ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈનદર્શનના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું અને હાલ તેઓ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડાયરેકટર તરીકેની પોતાની ફરજ બજાવી રહ્યા છે. અધ્યાપન અને સંશોધન એ એમનો મુખ્ય વ્યવસાય છે અને તેને પરિણામે તેમની લેખનપ્રવૃત્તિનાં સુફળો પ્રાપ્ત થયાં છે. મ. મ. શ્રી વિધુશેખર ભટ્ટાચાર્ય અને પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી સુખલાલજીની વિદ્યાસાધનાએ તેમને જીવનમાં સંશોધનપ્રવૃત્તિનો રસ જગાડ્યો છે. સંશોધનવિષયક પૂર્વતૈયારીનો પ્રાથમિક પાઠ વિધુશેખર ભટ્ટાચાર્યની અધ્યાપનપદ્ધતિ જોઈને મળે, અને એ પછી પં. સુખલાલજી સાથે સહસંપાદન કરતાં એમને એ પ્રકારના કાર્યની તાલીમ મળી. એમનું મુખ્ય અર્પણ જૂનાં પુસ્તકોનું સંશોધન કરી, અનુવાદ, વિસ્તારથી તુલનાત્મક ટિપ્પણો અને પ્રસ્તાવનાયુક્ત સંપાદનોનું છે. લેખક ગુજરાતી, હિન્દી, બંગાળી, સંસ્કૃત, પ્રાકૃત, પાલિ અને અંગ્રેજી ભાષાઓ જાણે છે. એમણે મુખ્ય લેખનકાર્ય ગુજરાતી અને હિન્દીમાં તેમ જ કવચિત્ અંગ્રેજીમાં પણ કર્યું છે. ગુજરાતી-હિન્દીમાં સામાજિક કે ધાર્મિક વિષયમાંની એમની લેખનપ્રવૃત્તિ, રૂઢસમાજની વિરુદ્ધમાં અને જૂના અનાવશ્યક સંસ્કારોમાંથી સમાજ મુક્ત થઈ ઉદાર વિચારોને અપનાવતો થાય એ દૃષ્ટિએ થાય છે. એમનાં સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં સંપાદનો એ આ જમાનાની તેવી આવશ્યકતાને અનુરૂપ છે એમ તેઓ માને છે. ૧૯૨૭માં શ્રી માલવણિયા બિકાનેરમાં અભ્યાસ કરતા હતા ત્યારે ‘જૈન પ્રકાશ’ માટે અધિકારીની લેખ-માગણીથી એમણે પ્રથમ લેખ લખેલો. ભારતીય દર્શન-ધર્મ એ એમનો પ્રિય અધ્યયન વિષય છે, કારણ કે એ જ પ્રારંભથી શીખવાની એમને સગવડ મળી છે. આધ્યાત્મિકતા, ધર્મ, દર્શન-એ વિષયોમાં એમની ગતિ રહી હોવાને કારણે એમના મનગમતા લેખનવિષયો પણ એ રહ્યા છે; અને એ વિષય પરનાં પ્રકાશિત પુસ્તક તેઓ વાંચે છે. સમાજની કોઈ દુર્ઘટના જાણવા-વાંચવામાં આવતાં તેઓ સહજ રીતે એ વિશે લખવા પ્રેરાય છે. એમના કેટલાક ધાર્મિક-સામાજિક લેખોએ જૈન પત્રોમાં ભારે ઊહાપોહ મચાવેલો; ખાસ કરીને ભગવાન મહાવીર અને ગાંધીજીની તુલનાવાળા એમના લેખે સામાજિક, ખાસ કરીને જૈન સામાજિક, પ્રવૃત્તિમાં સુધારણાની દૃષ્ટિએ તેમને રસ છે. ચરિત્ર, દર્શન, સાહિત્ય-ઇતિહાસ વિષયક પુસ્તકો ઉપરાંત એમનાં સ્વતંત્ર સંપાદનો અને ગુજરાતીમાં ‘ગણધરવાદ’, ‘સ્થાનાં-સમવાયાંગ’ જેવા અનુવાદોથી શ્રી માલવણિયા વિદ્વાન સંશોધક-સંપાદક તરીકે પ્રતિષ્ઠત થયા છે. તેઓ પ્રાકૃત ટેક્ર્સ્ટ સોસાયટી અને જૈન કલ્ચરલ રિસર્ચ સોસાયટીના મંત્રી છે. પ્રાકૃત ટેક્સ્ટ સિરીઝ, આગમ પ્રકાશંન અને સન્મતિ પ્રકાશનના સામાન્ય સંપાદક છે અને જ્ઞાનોદય ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ગુજરાત યુનિ.ની પ્રાકૃતની અભ્યાસ સમિતિના અધ્યક્ષ તરીકે એમની વરણી થઈ છે.

કૃતિઓ
૧. ભગવાન મહાવીર (હિન્દી) : મૌલિક, ચરિત: પ્ર. સાલ ૧૯૪૬.
પ્રકાશક : જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, વારાણસી.
૨. આગમ યુગકા અનેકાંતવાદ (હિન્દી): મૌલિક, દર્શન; પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક : જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, વારાણસી.
૩. જૈનાગમ (હિન્દી); મૌલિક, સાહિત્ય-ઇતિહાસ; પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક : જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, વારાણસી.
૪. જૈન દાર્શનિક સાહિત્યકા સિંહાવલોકન (હિન્દી) : મૌલિક, સાહિત્ય-ઇતિહાસ, પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક : જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, વારાણસી.
૫ . આત્મમીમાંસા (હિન્દી) : મૌલિક, દર્શન: પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ, વારાણસી.
૬. નિશીય-એક અધ્યયન (હિન્દી) : મૌલિક, ધાર્મિક; પ્ર. સાલ ૧૯૫૯.
પ્રકાશક : સન્મતિ જ્ઞાનપીઠ, આગરા.
૭. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ (હિન્દી-સંસ્કૃત) : સંપાદન: પ્ર. સાલ ૧૯૪૯.
પ્રકાશક : ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
૮. ધર્મોત્તરપ્રદીપ (સંસ્કૃત) : સંપાદન: પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : જયસ્વાલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, પટણા.
૯. પ્રમાણવાર્તિક (સંસ્કૃત): સંપાદન; પ્ર. સાલ ૧૯૫૯.
પ્રકાશક : બનારસ યુનિવર્સિટી, વારાણસી.
૧૦. ગણધરવાદ (ગુજરાતી) : અનુવાદ, પ્ર. સાલ ૧૯૫૨.
પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ.
૧૧. સ્થાનાંગ-સમવાયાંગ (ગુજરાતી) : અનુવાદ, પ્ર. સાલ ૧૯૫૫.
પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
૧૨. જૈનધર્મ ચિંતન (ગુજરાતી) : પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : જગમોહન કોરા સ્મારકમાળા, મુંબઈ.
૧૩. આગમ યુગનું જૈન દર્શન (ગુજરાતી) : અનુવાદ, પ્ર. સાલ ૧૯૬૬.
પ્રકાશક : સન્મતિ જ્ઞાનપીઠ.
આ ઉપરાંત અનેક લેખો અને સહ-સંપાદનો.

સરનામું : લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, નવરંગપુરા, અમદાવાદ-૯.