કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૪. કવિતા ન કરવા વિશે કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. કવિતા ન કરવા વિશે કવિતા|જયન્ત પાઠક}} <poem> કવિતા કરવાનું બં...") |
(No difference)
|
Revision as of 12:24, 10 July 2021
૩૪. કવિતા ન કરવા વિશે કવિતા
જયન્ત પાઠક
કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરોવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઈ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય?
ના, ના, એવું એવું તો ના થાય —
પણ… પછી
જલપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુનાં ફૂલ ના ફૂટે,
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊંચે ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ તો કશું ના થાય
— એટલે કે કશું થાય જ નહીં!
૨૭-૯-’૭૭
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૨૮-૩૨૯)