ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 80: Line 80:
'''ફેરો નથી જ ફોક, વકરો વહાલાને મળ્યે,'''
'''ફેરો નથી જ ફોક, વકરો વહાલાને મળ્યે,'''
</poem>}}
</poem>}}
{{HeaderNav2
|previous = સાંભળ સહિયર
|next = ચંદની રાત
}}

Revision as of 09:58, 19 May 2025


ચંદની રાત કેસરિયા તારા

ચંદની રાત કેસરિયા તારા રે,
પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.
વણઝારે આડત કીધી રે,
કાયા નગરી ઈજારે લીધી રે.
દાણી, દાણ ઘટે તે લેજો રે,
પોઠી હમારા જાવા દેજો રે.
જેવા વાડીના કુંમલા મરવા રે,
તેવા પોઠી હમારે ભરવા રે.
ભલે મલિયા, ભલે મલિયા રે,
તારા ગુણ ન જાયે કલિયા રે.
મહેતા નરસૈંયાના સ્વામી રે,
સરવે ગોપી આનંદ પામી રે.

ચંદની રાત

ચાંદની ખીલી છે. પણ પોતાના ધવલ પ્રકાશમાં બધું એકાકાર કરી મૂકે એટલી બધી ઘટ્ટ નથી, તારાઓને પણ પ્રકાશવા દે એવી આછી છે. તે વિશ્વભવનને ધોળી નથી દેતી, કેસરનાં રંગછાંટણાં રહેવા દે છે. દૂધમાં જાણે કેસરના તંતુ તરતા હોય એમ ચાંદનીમાં તારાઓ ચમકે છે. માત્ર એકાકાર બ્રહ્મનો અનુભવ અહીં નથી, બ્રહ્મની લીલાનો વિસ્તાર છે. આનંદના ક્ષેત્રમાં રંગના નેજા ફરકાવતા યાત્રીઓ જાય છે, એ જોઈ શું યાદ આવે?

પોઠી ભરવા ચાલ્યા વણઝારા

આ વિરાટ બ્રહ્માંડોમાં અસંખ્ય જીવો કર્મની ખેપે નીકળી પડ્યા છે. કાયા ધરીને સહુ કોઈ સાટાંદોઢાં કરવા મંડી પડે છે. પણ અમૂલખ વસ્તુ કોના હાથમાં આવે છે? સરવણ કાપડી બોલ્યા છે :

કાયાનગરમાં હાટડાં રે જી,
વસ્તુ ભરી અમૂલ્ય, મોરા વીરા રે.
સુગરા નર હોય તે સાવે જી રે,
નુગરા જાય નરાશ, મોરા વીરા રે,
દલ ખોજીને કરો દીવડો હો જી.

આપણા સંતોને સોદાગરનું, વણઝારનું રૂપક ઘણું પ્રિય છે. નરસિંહે પણ સંતો, હમે રે વેવારિયા શ્રી રામનામના’ કહી પેઢી ખોલી છે. આ રામનામના, સતનામના વેપારી ખરચૈ ન ખૂટે, વા કો ચોર ન લૂટે’ એવી દોલતને ગાંઠે બાંધે છે ને જગતની બજારમાંથી જીતનો ડંકો બજાવી ઊપડી જાય છે. ધરમદાસનું પદ છે :

હમ સતનામ કે ઔપારી,
કોઉ કોઉ લાદે તાંબા પીતલ, કોઉ કોઉ લોગ સુપારી,
હમને લાદા નામ ધની કા, પૂરન ખેપ હમારી.

સંતોની પૂરન ખેપ’ છે. નરસિંહે જ કહ્યું છે તેમ ‘લાખ વિનાનાં લેખાં નહિ ને પાર વિનાની પુંજી’ રળવાનું કામ તેમનું. પણ ચાવી નગદ કમાણી કરવાનો કીમિયો શું? નરસિંહ આ પદમાં એની ચાવી આપે છે.

વણઝારે આડત કીધી

નરસિંહનો વણઝારો અમૂલખ ખજાનાથી ભરેલી પોઠ લઈ અનંતના કેડા ૫૨ ચાલ્યો જાય છે પણ સહુથી પહેલાં એ જાણે છે કે : ‘વણઝારે આડત કીધી રે’. એ તો માત્ર આડતિયો છે. કર્મની ખેપ તો આપણે પણ કરવા આવ્યા છીએ પણ આપણે માલિક થઈ બેસીએ છીએ, અને અંતે માર ખાઈએ છીએ. ‘ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા, નરસૈયાનું કામ’, એવું કામ કરતાં આપણને આવડતું નથી. પોતાના નામના માર્કા વિના આપણને ક્યાંય ચેન પડતું નથી. પણ આપણને જે નામરૂપની હાટડી મળી છે, એ પણ આપણી પોતાની નથી.

કાયા નગરી ઇજારે લીધી રે

અહીંનો વેપાર વધારતાં જ બે વસ્તુ પાકી નોંધી રાખવાનું નરસિંહ કહે છે : એક તો ‘હું કરું, હું કરું” પર ચોકડી મારી ‘સમરને શ્રીહિર’નું પાટિયું મારી દેવાનું. જે સદાય જાગે, સદાય આગે એવા સામળિયા શેઠના આપણે વાણોતર છીએ. અને વેપાર ખોટો કર્યો ને ચોપડા ખોટા ચીતર્યાં તો મોટા ધણીને મોઢું બતાવવું ભારે થઈ પડશે એ કદી ભૂલવું નહીં. બીજું, અહીંથી જવાનું નક્કી જ છે. કાયા તો ઇજારે લીધેલું કર્મસ્થાન છે. ઇજારો ક્યારે પૂરો થશે કે માલિક ક્યારે પાછો ખેંચી લેશે તેનું કહેવાય નહીં એટલે ‘મેલ મમતા પરી’ — અહીંની માયાને વળગી રહેવાનું પોસાય તેમ નથી. આ નગરીમાં પ્રવેશ કરતાં જ તેમાંથી જાગ્યા ત્યાંથી હેમખેમ બહાર નીકળવાની તૈયારી કરે તે વેપારી હોશિયાર.

દાણી, દાણ ઘટે તે... જાવા દેજો રે

અમારી પાસેથી આ નગરીના જે કાંઈ લાગા હોય તે ખુશીથી લેજો. શારીરિક દુઃખ, માનસિક વ્યથા કે આત્મિક અજંપને અમે તમારા નિયમનું પાલન કરવા જતાં લેશમાત્ર લેખીશું નહીં. તમે એક એક પાઈ વસૂલ કરજો. પણ અમારી પોઠને આનંદભેર અહીંથી રવાના થવા દેજો. આ કાયાનગરીનો દાણી કોણ છે? આપણને એ ક્યાંયે દેખાતો નથી. પણ જે જોઈ શકે છે તે જાણે છે કે અનંતનો સ્વામી આ નાનકડી કાયામાં અંતર્યામી બની દાણ વસૂલ કરતો રહે છે. આપણાં વિચાર, વાણી, વર્તનનો એ રજેરજ હિસાબ રાખે છે. અને સંસ્કારનાં બીજરૂપે આપણી સાથે એને બંધાવી આપણે હાથે જ એનાં ફળ લણાવે છે. આ કાયાનગરીનો ઇજારો કદાચ પૂરો થાય, પણ તેથી દેણું મટતું નથી. બીજી કોઈ કાયામાં બંધાઈ એ ચૂકવી આપવું પડે છે. જેટલી કરચોરી એટલી કેદ. માણસ કેવો વેપાર કરે છે તે મહત્ત્વનું છે પણ એ શેનો વેપાર કરે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. હળદરના વેપારી કરતાં હીરાના વેપારીને વધુ મૂલ્ય ચૂકવવું પડે છે. માણસ જેમ ઊંચો ચડે તેમ એની જાગૃતિ વધવી જોઈએ, કારણ કે એની જવાબદારી પણ વધે છે. ‘દાણલીલા’માં નરસિંહે ગાયું છે :

ગંગા ને જમુના વચે જી રે,
ચોકી બેસે આદ,
માણસ જોઈને માગીએ રે,
જેવો માલ તેવી રે જકાત.

આદિકાળથી આવી બડકમદાર ચોકી બેઠી છે. અને નરસિંહ કેવો માલ લઈને ત્યાંથી નીકળે છે? જેણે જીવનની કોમળતાને, મધુરતાને, સુગંધને મન ભરીને માણી હોય એવા મરમી પાસેથી જ આવી પંક્તિઓ મળે. કલ્પના કરું છું કે મહેતાજી ગિરિ તળેટી ને કુંડ દામોદરમાં નહાવા જતા હશે ત્યારે કોઈ વાર આસપાસની અમરાઈ મહોરી ઊઠી હશે. આંબાની ઘટાઓમાંથી મંજરી ઝરી ઝરી જતી હશે, મરવા કૂંણું મોં બહાર કાઢીને આ સૃષ્ટિના રહસ્યને કૌતુકથી નીરખી રહ્યા હશે. અને મહેતાજીનું ભાવિભોર મન ગાઈ ઊઠ્યું હશે :

જેવા વાડીના કુંમલા મરવા રે,
તેવા પોઠી હમારે ભરવા રે.

આ સૃષ્ટિમાં એક લેવા જેવી ચીજ હોય તો તે આવા નવીન જીવનની તાજગી છે. વાડીના મરવાને કરમાતાં શી વાર? જરાક ઊની આંચ લાગી, જરાક પવન ફૂંકાયો કે એ ખરી પડે, ધૂળમાં મળી જાય, અને એને કાંઈ ધૂળમાં મળવા દેવાય? આ ક્ષણિક જીવન પણ કોમળ મરવા જેવું રાખી શકીએ તો? તો જ વસંતના ઉત્સવમાં પ્રવેશ મળે. ‘ફાગુન કે દિન ચાર’ — આવા વસંતની મહેકથી સભર ચાર દિવસને, વસંતના ઉત્સવને, જીવનના પહેલા સુકુમાર તત્ત્વને જ ત્યારે પોઠ ભરીને સાથે લઈ જવાની નરસિંહ વાત કરતા લાગે છે. પછી તો નિત દરસન, નિત ઓચ્છવ કીરતન.’ અને જ્યાં આવો ઉત્સવ મચે ત્યાં નંદકુમાર કાંઈ આઘા રહે? ભલે મલિયા’ એમ કહીએ ત્યાં એને સામેથી ભેટી પડતાં શી વાર? નરસિંહે કેસરિયા તારા કહ્યું ત્યારથી જ આવા કોઈ મુકામ પર વણઝાર આવી પહોંચશે એવી આશંકા હતી. એક દુહામાં આ આખાયે પદનું નામું વાંચી શકાય છે :

લહાવો લેજો લોક, હૈયે માંડી હાટડી,
ફેરો નથી જ ફોક, વકરો વહાલાને મળ્યે,