ભજનરસ/ઉપાડી ગાંસડી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ઉપાડી ગાંસડી | }} {{Block center|<poem> '''ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય?''' '''નબળાની હોય તો નાખી રે દઈએ,''' {{right|'''આ તો વેવારિયા શેઠની રે,'''}} {{right|'''કેમ નાખી દેવાય?-'''}} '''અણતોળી ગાંસડી ને અડવાણા...")
(No difference)

Revision as of 11:19, 19 May 2025


ઉપાડી ગાંસડી

ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય?

નબળાની હોય તો નાખી રે દઈએ,
આ તો વેવારિયા શેઠની રે,
કેમ નાખી દેવાય?-
અણતોળી ગાંસડી ને અડવાણા ચાલવું,
એની નજર રાખવી ઠેઠની રે,
કેમ નાખી દેવાય?-
ઝીણી ઝીણી રેતી તપે છે.
લૂ તો ઝરે છે માસ જેઠની રે,
કેમ નાખી દેવાય?-
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
દાઝ્યું ઓલાય મારા પેટની રે,
કેમ નાખી દેવાય?-

પ્રેમને માર્ગે ગમે તેટલો બોજો અને મુસીબતો આવે પણ ભક્તને મન એ ફૂલની પાંખડી અને મૌજની રમત બની જાય છે. વેઠ કહેતાં જ આપણા મનમાં બળજબરી, ત્રાસ, પરાણે ઢસરડો એવા ભાવ જાગે પણ આ ભજન વેઠ શબ્દનાં કઠણ છોતરાં-ફોતરાં ઊખેડી નાખી અંદરના આનંદરસનું પાન કરાવે છે. મીરાંની આત્મમસ્તીનો ટહુકો આ ભજનમાં પદે પદે સંભળાય છે.

ઉપાડી ગાંસડી... વેવારિયા શેઠની રે

ભજનના ઉપાડથી જ આપણી સામે એક ચિત્ર ખડું થાય છે. કોઈ પરગજુ, દયાળુ જીવ મીરાંને પૂછે છે : અરે, બાઈ! શા માટે આવડી મોટી વેઠની ગાંસડી માથે ઉપાડી જાય છે? મેલને પડતી. તારે શું કામ આવો બોજો વેઠવો જોઈએ? જવાબમાં જાણે મીરાંના મોં પર મલકાટ ને બેએક વેણ સરી પડતાં દેખાય છે. કહે છે ઃ ખરી વાત. આ ગાંસડી નાખી જ દઉં. કોઈ નિર્માલ્ય અને નાદાન માણસની એ સોંપણી હોત તો નાખી જ દીધી હોત. પણ શું કરું? આ તો આખા વિશ્વનો કારભાર ચલાવતા સબળ ધણીની સોંપણી છે. એ તો તલેતલ ને રજેરજનો જવાબ માગે. અમારે તો મૂળથી એ વેરિયા શેઠ સાથે નામનો વેવાર. અમે એનાં વાણોતર : નરસિંહની સાખે :

અમે રે વેવારિયા શ્રી રામનામના,
વેપારી આવે છે સહુ ગામ ગામના.

કહો, આ ‘નામ ગઠરિયાં’ ક્યાંથી નાખી દેવાય? એટલે તો ભાઈ, બાંધ ગઠરિયાં હૈં તો ચલી.’

અણતોળી ગાંસડી... ઠેઠની રે

પણ દયાળુ જીવ એમ મીરાંને છોડે તેમ નથી. એ વળી પૂછે છે : તેં આ ગાંસડીનું તોલમાપ તો કરાવ્યું છે ને? કે બસ એમ જ ઉપાડી લીધી? કાંઈ લખ્યું જોખ્યું છે તારી પાસે? આ તો વેઠનો વારો. ભલે મજૂરી કે મહેનતાણું ન મળે. પણ આટલા કામના બદલામાં કાંઈ ઈનામ, બક્ષિસ, માન-અકરામ ખરું કે નહીં? વળી મીરાંના મોં પર મલકાટ ને જવાબ : ના રે બાપુ, શું માપ કે શું જોખ? ગાંસડી તો અણતોળી જ ઉપાડી લીધી છે. ન શિરની ફિકર, ન પગની પરવા.મારી નજર તો એની રખવાળીમાં છે. મારે તો ઠેઠ, માલિકના ધામ સુધી પહોંચાડવી એ જ લગન છે મનમાં. મારો શ્વાસ તૂટે પણ એનું સોંપેલું કામ વચ્ચે ન અટકે ન બટકે. મારી સુરતા તો ગાતી જાય છે :