અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/મિલનની પ્રસન્નતાનો અણસાર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:51, 25 June 2025

મિલનની પ્રસન્નતાનો અણસાર

હરીન્દ્ર દવે

છેલકડી
જગદીશ જોષી

નાનકડી શેરીને

ગમતી કવિતાઓ યાદ કરું ત્યારે અનેક રચનાઓ યાદ આવે છે: તેમાંથી જગદીશ જોષીની એક રચનાની જ અહીં વાત કરીશ.

કોઈકની પ્રતીક્ષા કરીએ ત્યારે આપણે શણગાર સજીને બેસીએ છીએ – આવનારા સ્વજનને છાજે એવા સ્વાગત માટે તત્પર એવા આ શણગાર સાથે. અને આ પ્રતીક્ષામાં રાત વીતી જાય છે? કે કોઈકની અણિયાળી મોજડી જ સૂરજનું તેજ બનીને આવે છે? આ પગરવ નથી, ત્યાં સુધી પાલવ સ્થિર છે, પણ એ સંભળાય ત્યારે:

નાનકડી શેરીને છેલકડી પહેરાવો
એવી આ ડેલી એક લાગશે,
અણિયાળી મોજડીમાં ચમક્યો સૂરજ એમાં
પાલવ સફાળો મારો જાગશે.

લ્હેરિયાતા સાફાનું છોગું છકેલ
મારી ભીની ભીની પાંપણમાં મરકે,
પોતીકા થડકારા ભૂલીને દલડું તો
રોઝડીના ડાબલા શું ફરકે,
ગરકેલો મોર મારો પીંછાંના માંડવડે
એકાદો ટહુકો તો માગશે!

તમે કોઈની પ્રતીક્ષા કરો, ત્યારે એ વ્યક્તિ આવે એ પહેલાં તો એનું ચિત્ર આંખ સામે આકારાઈ જતું હોય છે! ભીની પાંપણમાં લહેરાતા સાફાનું છોગું મલકી ઊઠે છે: આ છોગાની કલ્પનાએ, છોગાળો નાયક નથી એ કારણે પાંપણ ભીની થાય છે અને એ છોગું દેખાય ત્યારે હર્ષમાં પણ પાંપણ પર ઝાકળનાં બિંદુઓ બાઝી જતાં હોય છે. હૃદયના ધબકારા જાણે આપણા કેન્દ્રમાંથી ખસી દૂર ક્ષિતિજ પર પ્રલંબતા રસ્તા પરથી આવી રહેલા અસવારના અશ્વના ડાબલા બની જાય છે.

જગદીશનાં ગીતોમાં વિરહ, એકલતા, વેદનાની વાત એટલી બધી હોય છે કે મિલનની પ્રસન્નતાનો કોઈક અણસાર આવે ત્યારે ગમતા માનવી સાથે કોઈક બારીક ક્ષણે આંખો આપમેળે વાત કરી લે એવી લાગણી થાય છે. અહીં નાયિકા વિરહિણી છે, પણ આવનારા મિલનમાં એને શ્રદ્ધા છે, એટલે જ તો એ કહે છે:

આંખોમાં આમતેમ પારેવાં ઊડે
ને કમખામાં દીવડાની જ્યોત,
હુક્કાની જેમ મને પી જાજો વા’લમા!
કે હું જ કરું મારી ગોતાપોત
તારા આવતાંની સાથે અહીં કોણે જોયું કે
મારું આયખું પરાયું થઈ ભાગશે!

ગાંજાથી ભરેલી ચલમને એક જ ઘૂંટમાં પી જનારા બડે ગુલામઅલી ખાંના ગુરુની વાત યાદ આવે છે: પ્રેમના અમલને પણ આમ એક જ ઘૂંટમાં પી જવાની વાતમાં મોહિની તો ત્યાં રહી છે. આ રીતે વહાલમમાં ઓતપ્રોત થયા પછી નાયિકા પોતે જ પોતાની શોધમાં પડી જાય છે: કોઈ આવે અને આખુંયે આયુષ્ય જાણે પરાયું થઈ જાય…

ના, અર્થઘટનની કેડીએ આથી આગળ જવું નથી. આ કોની પ્રતીક્ષા છે? કઈ ડેલીની વાત છે? અણિયાળી મોજડીમાં કયો સૂરજ પ્રગટે છે? અને કોણ હુક્કાની જેમ નાયિકાનેપોતામાં શ્વસી લે છે! આ પ્રશ્નોના જવાબ દરેકે પોતાની રીતે શોધવાના છે.

(એકાંતની સભા)