અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/હમરદીફ-હમકાફિયાની ગઝલ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હમરદીફ-હમકાફિયાની ગઝલ|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> સાત પુષ્પોને...")
(No difference)

Revision as of 06:22, 15 July 2021


હમરદીફ-હમકાફિયાની ગઝલ

ચિનુ મોદી `ઈર્શાદ’

સાત પુષ્પોને નિચોવી માપસર,
એક અફવા તરબતર તૈયાર કર.

મેઘમાળાઓ વિખેર્યા બાદ તું,
આભના ખાલીપણાથી કેમ ડર?

ટેવવશ કે લાગણીવશ, શી ખબર!
પણ, હજી સ્હોરાય મન તારા વગર.

પાલખીનો ભાર લાગે છે હવે,
રાજરાણી લાગણી! હેઠે ઊતર.

શ્વાસની લાંબી ઘણી લાંબી સફર,
ક્યાં થયો ‘ઇર્શાદ’ તું અજરાઅમર?
(‘અફવા’માંથી)