સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દુનિયાનો દાતાર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
(+1)
 
Line 48: Line 48:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = બાલશંકર કંથારિયા
|previous = ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્'
|next = સુરસિંહજી ગોહિલ - ‘કલાપી’
|next = બહુરૂપિણી
}}
}}

Latest revision as of 03:23, 2 April 2026

૧. દુનિયાનો દાતાર

ત્રિભુવનદાસ લુહાર - ‘સુન્દરમ્’

ધરતીનો ધારણહાર આવ્યો, ભાઈ,
તરણાંનો તારણહાર આવ્યો, ભાઈ,

હીરામોતીથી મોંઘેરા હાર,
અમૃતબિન્દુના રૂપેરી તાર,
રામની ધેનુના દૂધની ધાર, ૫
મીઠાઈના ભાર
બાળગોપાળને કાજ લાવ્યો, ભાઈ
મામો મીઠો મેઘરાજ આવ્યો, ભાઈ. ધરતી૦

આભ માંહે એણે ડંકા વગાડ્યા,
સૂતેલા ઇન્દરરાજ જગાડ્યા.
રાજાએ મેઘના મંડપ બાંધ્યા,
જગનને માંડ્યા,
દેવો તણે દરબાર આવ્યો, ભાઈ,
ઇન્દરનો છડીદાર આવ્યો, ભાઈ. ધરતી૦

માટીની ચાદર ઓઢી સૂતેલાં,
જાગી ઊઠ્યાં બીજ, વેલી ને વેલા,
હૈયે ઝર્યા માને પ્રેમના રેલા,
સુધાના ભરેલા
જીવનના સંદેશ લાવ્યો, ભાઈ,
મહેનતના સંદેશ લાવ્યો, ભાઈ. ધરતી૦

ધરતીએ પંકપલંગ બિછાવ્યા,
મોર બપૈયાના નાચ નચાવ્યા,
ધાન રિઝાવી ખેડૂએ સુવાડ્યાં,
ઢબૂરીને ઊંઘાડ્યાં,
ભોજન કેરો થાળ લાવ્યો, ભાઈ,
રામરાજાનો બાળ આવ્યો, ભાઈ. ધરતી૦

રામરાજા કેરી મહેર ઊતરશે,
ગાય દૂઝી દૂઝી ગોરસ ભરશે,
ખેડૂની ઊની આંતરડી ઠરશે,
ભંડારો ભરશે,
દુનિયાનો દાતાર આવ્યો, ભાઈ,
અમૃતનો અવતાર આવ્યો, ભાઈ ધરતી૦
કાવ્યમંગલા’માંથી

સ્વાધ્યાય

૧. આ કાવ્યના મથાળામાં રહેલું સૂચન વિગતે સ્પષ્ટ કરો.
૨. ઉલ્લાસની લહાણ કરાવતાં કરાવતાં શ્રમના આનંદની પણ મેઘ લોકોને લહાણ કરાવે છે, એવું આ કાવ્યમાં કોઈ જગ્યાએ કવિ સૂચવે છે? એ ઉપરથી તમને એમ લાગે છે કે સાચા આનંદ માટે પ્રમાણિક પરિશ્રમની જરૂર છે?
૩. ‘ધરતીએ પંકપલંગ બિછાવ્યા’થી શરૂ થતી આખી કડી સમજાવો.