ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/‘નળાખ્યાન’માં શૃંગારરસ — પ્રેમાનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>દમયંતીનો ચોટલો દેખીને અતિ સોહાગ  
{{Block center|'''<poem>દમયંતીનો ચોટલો દેખીને અતિ સોહાગ  
અભિમાન મૂકી લાજ આણી પાતાળ પેઠા નાગ</poem>'''}}.
અભિમાન મૂકી લાજ આણી પાતાળ પેઠા નાગ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં 'નાગ' (ઉપમા) કરતાં 'ચોટલો’ (ઉપમાન) વધુ પ્રભાવક હોવાથી વ્યતિરેક અલંકાર બને છે. એવી રીતે, દમયંતીના વદનથી ઝંખવાઈને ચંદ્ર વાદળ પૂંઠે સંતાયો.
અહીં 'નાગ' (ઉપમા) કરતાં 'ચોટલો’ (ઉપમાન) વધુ પ્રભાવક હોવાથી વ્યતિરેક અલંકાર બને છે. એવી રીતે, દમયંતીના વદનથી ઝંખવાઈને ચંદ્ર વાદળ પૂંઠે સંતાયો.

Latest revision as of 02:36, 3 October 2024

‘નળાખ્યાન'માં શૃંગારરસ

પ્રેમાનંદ

નળ-દમયંતીની વાર્તા પ્રેમાનંદે વિસ્તારથી-એકસઠ કડવાં (અધ્યાય)માં કહી છે. ‘નળાખ્યાન'નું ચોથું 'કડવું' મધુર છે. વ્યતિરેક અલંકાર આવી વિપુલતાથી ભાગ્યેજ પ્રયોજાયો હશે. વ્યતિરેક એટલે શું? વર્ડ્ઝવર્થનું 'લ્યુસી’ કાવ્ય લઈએ. લ્યુસી વાદળશી ઉન્નત અને હરિણી શી રમતિયાળ હતી. આ થયો ઉપમા અલંકાર. જો લ્યુસી વાદળથી વધુ ઉન્નત અને હરિણીથી વધુ રમતિયાળ હોત, તો વ્યતિરેક અલંકાર થાત. ચોથા કડવામાં પ્રેમાનંદે કેટકેટલી પંક્તિઓને વ્યતિરેકથી અલંકૃત કરી છે! દસે આંગળીએ વીંટી પહેરે તે માણભટ્ટ! નાગ પાતાળલોકમાં વસે, ચંદ્ર વાદળથી ઢંકાય, પોપટ વનમાં રહે, કોયલ કાળી હોય, સરસ્વતી કુમારિકા હોય, કપોત ડોકીમાં મોં સંતાડે, હાથી સ્વમસ્તકે ધૂળ નાખે અને કમળ જળમાં ખીલે આ થયાં વાસ્તવિક ‘તથ્યો'. એમને કાલ્પનિક કારણો સાથે સાંકળી આપીને પ્રેમાનંદે કાવ્યનું 'સત્ય' નિપજાવ્યું છે; જેમ કે, દમયંતીના ચોટલાથી લજવાઈને નાગ પેઠા પાતાળે.

દમયંતીનો ચોટલો દેખીને અતિ સોહાગ
અભિમાન મૂકી લાજ આણી પાતાળ પેઠા નાગ.

અહીં 'નાગ' (ઉપમા) કરતાં 'ચોટલો’ (ઉપમાન) વધુ પ્રભાવક હોવાથી વ્યતિરેક અલંકાર બને છે. એવી રીતે, દમયંતીના વદનથી ઝંખવાઈને ચંદ્ર વાદળ પૂંઠે સંતાયો.

ભીમકસુતાનું વદન સુધાકર દેખી નવ સોહાય
જોઈ જોઈ ચંદ્ર ક્ષીણ પામે, તે અભ્ર પૂઠે સંતાય.

પ્રેમાનંદે 'વદન સુધાકર' કેમ કહ્યું? વદન સુધાકર જેવું છે કે સુધાકરથી ચડિયાતું છે? દમયંતીના નેત્રને મત્સ્ય-પંખી-ભ્રમર કરતાં ચડિયાતાં દર્શાવતો વ્યતિરેક અલંકાર જુઓ—

કહે નારદ 'સાંભળિયે રાજા! મીન, ખંજન, મધુકર
નેત્ર-ભ્રકુટિ દેખીને જળ, વન, કમળ કીધાં ઘર.

પ્રેમાનંદની ત્રેવડ જુઓ કે ત્રેવડી ઉપમા આપી છે! નારદ આગળ વર્ણન કરે છે: દમયંતીની નાસાકૃતિ જોઈને પોપટ વનમાં નાઠો, કંઠ કલ્લોલ સાંભળીને કોયલ કાળી પડી ગઈ, વાણી સાંભળીને વાગ્દેવીને વૈરાગ ઊપજ્યો, દાંત દેખીને દાડમ ફાટ્યું, ગ્રીવાથી શરમાઈને કપોતે મોં સંતાડ્યું. કુચમંડળથી કુંજરકુળ હાર્યું, હતાશ હાથીએ નિજ મસ્તક પર ધૂળ નાખી, કોમળ કર પેખીને કમળ જળમાં પેઠું.

સૃષ્ટિ કરતાં બ્રહ્માજીએ તેજનું ભર્યું એક પાત્ર
તે તેજનું બ્રહ્માજીએ ઘડ્યું દમયંતીનું ગાત્ર.

દમયંતી ઘડાઈ ગયા પછી જરાક અમથું તેજ વધ્યું. એનું કરવું શું? બ્રહ્માજીએ એમાંથી ચંદ્ર ઘડ્યો. આમ પ્રેમાનંદ ચંદ્ર ઉપર દમયંતીની સરસાઈ સિદ્ધ કરે છે. પછી પ્રશ્ન પૂછે છે, 'ચંદ્ર આદિકાળથી છે, અને દમયંતી તો હમણાં આવી. આવું કેમ બને?’ ઉત્તર આપતાં પોતે જ કહે છે, ‘બ્રહ્માજીએ દમયંતીને ઘડી તો રાખી હતી આદિકાળથી, પરંતુ યોગ્ય પતિ અત્યારે જન્મ્યો એટલે હમણાં સૃષ્ટિ પર મોકલી.’ પ્રેમાનંદ અને કાલિદાસની ઉપમાઓ સરખાવીએ. 'કુમારસંભવ'માં પાર્વતીનું વર્ણન કરતાં કાલિદાસ કહે છે, ‘યજ્ઞવેદિ-શી તેની પાતળી કેડ પર ત્વચાના સોહામણા સળ પાડીને, નવયૌવને કામદેવના આરોહણ માટે પગથિયાં રચ્યાં હતાં.' 'મેઘદૂત'નો યક્ષ મેઘને ભલામણ કરે છે, ‘વમળને કારણે જાણે નાભિ દેખાડતી હોય, તેવી નદીના જળનો સ્વાદ તું ચાખતો જજે.’ પ્રેમાનંદમાં વમળની જેમ તાણી લેતી કે પગથિયાંની જેમ આરોહણ કરાવતી ઉપમાઓ મળતી નથી. ઉપમા તેને હોઠવગી છે પણ હૈયાવગી નથી. શૃંગારનું વાતાવરણ છે, પણ રતિની ભાવોત્કટતા નથી. જોકે કથાના આવડા મોટા ફલક પર પ્રેમાનંદ સરખા રસપલટા બીજો કોઈ ગુજરાતી કવિ કરાવી શક્યો નથી. 'તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે, અને ધારે છે ત્યારે શાંતરસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે.'

—નવલરામ

***