ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/એક ઇજન — ભૂપેશ અધ્વર્યુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(No difference)

Revision as of 10:11, 27 October 2024

એક ઇજન

ભૂપેશ અધ્વર્યુ

ભૂપેશ અધ્વર્યુ ૧૯૮૨માં માત્ર બત્રીસની વયે અવસાન પામ્યા. છાંદસ, અછાંદસ, અને ગીત રચનાઓ સમાવતા તેમના કાવ્યસંગ્રહ ‘પ્રથમ સ્નાન'નું મરણોત્તર પ્રકાશન થયું. તેમાંનું દીર્ઘકાવ્ય ‘એક ઇજન' આજે ઇજન (આમંત્રણ) આપી રહ્યું છે.

આ કાવ્યનાં નાદસૌંદર્ય અને અર્થસૌંદર્ય એકમેક સાથે હરીફાઈમાં ઊતર્યાં છે. દલપતરામની મનહર છંદમાં રચાયેલી પંક્તિ તમને યાદ હશે, ‘પોલું છે તે બોલ્યું એમાં કરી શી તેં કારીગરી? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે!' આને મળતા આવતા વનવેલી છંદમાં આ કાવ્ય રચાયું છે. એનો આ અંશ કાનથી વાંચજો હોંકે.

ગ્રીસની પુરાકથા છે. ઈડિપસ બાલ્યવયમાં જ માતા-પિતાથી વિખૂટો પડી ગયો, રાજા થયા પછી પોતાની માતા સાથે અજાણતામાં લગ્ન કરી બેઠો અને આ વાતની જાણ થતાં તેણે પ્રાયશ્ચિત્તરૂપે નિજની આંખો ફોડી નાખી. માતા તરફના અકુદરતી આકર્ષણને મનોવૈજ્ઞાનિકો ‘ઈડિપસ કોમ્પ્લેક્સ' કહે છે. કાવ્ય વાંચતાં આ સંદર્ભ યાદ રાખવા જેવો છે. સમગ્ર કાવ્ય માતાની ઉક્તિરૂપે છે.

ભૂપ, મને લાગી તારી પ્યાસ — એને માણું. તપ્ત મારો કંઠ તારા કાનનાં કમાડ પરે પટકાતો રોજ
આજ ચરમવ્યાકુલ બની તુમુલ મચ્યો છે
તને એનું નથી ભાન, નથી જાણ — એને માણું. ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ. આ ધધડ્યા મિજાગરા, આ કકળ્યા મિજાગરા, આ તૂટતા મિજાગરા
ને પલકમાં તૂટશે કમાડ — તને કશી નથી જાણ. પછી કૂપમાં પારેવાં જેવો ફડ ફડ ફડ મારો વીંઝાતો વીંઝાતો
એવો ઘૂમશે અવાજ, થશે તરંગિત જલ નીચે જલ નીચે જલ પછી જલ પછી જલ પછી જલ…'

માતા પુત્રને તલસે છે, પણ આ તલસાટ મીઠો, માણવા જેવો છે. શોષાતા કંઠમાંથી છટકીને માતાનો અવાજ માથું પટકે છે પુત્રના કાન પર, રોજેરોજ, પણ આજે તો સવિશેષપણે. ‘ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ'માં માતાની સ્વાભાવિક વાત્સલ્યછલોછલ ઉક્તિ સંભળાય છે. ભૂપેશનું ‘ભૂપ' કર્યામાં અપત્યપ્રેમ સાથે પ્રણય પણ ડોકાય છે. માતાનો અવાજ કાનના કમાડ ધધડાવે, કકળાવે અને તોડે છે. વેતાળપચીસીની વાર્તા જેવું રહસ્યમય વાતાવરણ રચાતું જાય છે. ‘વીંઝાતો વીંઝાતો' વડે અવાજ બે વાર પાંખ ફફડાવે છે. ‘જલ'ના છ આવર્તન દ્વારા કૂવો અતલ હોવાનું દેખાય છે.

સ્મિત નહીં, ચુંબનથી મત્ત બન્યા ઓષ્ઠે નહીં, મૂછિર્ત ન નૈન કે ન વિશ્રંભની ગોઠ, નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન. અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય...

ઉદરના અવકાશે હજુયે તું ફરક્યા કરે છે કૂણું. હજુયે હજુયે મને ખાટું ખાટું ભાવે અને વમન ને દોહદની ડમરીઓ છૂટે
અને માસ પછી માસ પછી માસ એમ નવને કે આઠને કે કોઈકે ટકોરે
ફૂટે વેણ, વેણ વેણ વેણ — પ્રસવની ચીસ. ફીણ ફીણ ફીણ ફીણ — તોફાની હલ્લેસે જોડ્યાં બાવડાં ને ડાબલા
ને પ્રસવની ચીસ. ભૂપ… ચીસ… ભૂપ… ચીસ… તારા કાનનાં કમાડ કેરા તૂટશે મિજાગરા. આવ, ઊંવાં ઊંવા, મારા લાલ.

માતા રતિક્રીડાનાં સૂચનોને નકારીને પોતાને અક્ષતયોનિ અને અનાઘ્રાત કહે છે જે અલબત્ત એની તનોસ્થિતિ નહિ પણ મનોસ્થિતિ દાખવે છે. આ ભાવ વર્ણવવામાં કવિએ વિવેકપૂર્વક સંસ્કૃતમય ભાષા પ્રયોજી છે. ‘ફરક્યા કરે છે કૂણું'- તૃણ અને બાળક બન્ને માટે ‘ફરકે' ક્રિયાપદની વરણી સહેતુક છે. આપન્નસત્વા સ્ત્રીને ખાટું ખાવાના દોહદ થાય તેની તીવ્રતા દર્શાવવા કવિ ‘ડમરી'નું બળવાન રૂપક પ્રયોજે છે. વેણનાં (પ્રસવની પીડાનાં) મોજાં દર્શાવવા એ શબ્દનાં ચાર આવર્તન કર્યાં છે. પ્રસૂતિના વર્ણનમાં કવિ કમાલ કરે છે. આ રક્તરંજિત અવસર માટે તોફાનમાં સપડાયેલી નૌકા અને ડાબલા બોલાવતા તોખારનાં કલ્પનો કામે લગાડે છે. ચીસ સાથે આરંભના ‘કાનનાં કમાડ'નું અનુસંધાન જોડી આપીને ‘ઊંવા ઊંવા'નો મંગલનાદ બોલાવે છે.

સૂરજે તપેલ લાલચોળ મારી ફફળતી કાય. છાતીમાં છવીલ્લ બની ઊનાં ઊનાં ઊકળે છે દૂધ. આવ, મારાં ભૂરિયાં ગલૂડિયાં, તું ચસ્ ચસ્ આવ.

કવિ પરકાયાપ્રવેશ કરી માતાના ઉરોજમાં ઉછળતા ધાવણને કલ્પે છે. આ સાંસ્કૃતિક નહિ પણ પ્રાકૃતિક કૃત્ય હોવાથી કવિ ‘ગલૂડિયા'ના રૂપક વડે માતાના વાત્સલ્યની અભિવ્યક્તિ કરે છે. જન્મ પછી પુત્ર ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓમાં જીવે છે-

ગયાં ગામ, ગયા ટીંબા, ગયાં શામળાં તમાલવન, શંકુદ્રુમ કામાક્ષીના દેશ રહ્યા પીછે, રહ્યાં પીછે તપોવન. ઠેક્યા હિમનગ ઠેક્યા, ઠેક્યા સૂસવતા નદ, ક્યાંક છૂટી ગયાં પાદત્રાણ, ડાળીમાં ઝલાઈ ગયા શિરપેચ, ઉત્તરીય-અધોવસ્ત્ર લીરા લીરા અને તૂટ્યા કટિબંધ તૂટ્યા. એક તૂટ્યો ના અવાજ, મારો તૂટે ના અવાજ, એમ તૂટે ના અવાજ, મારા ઉદરથી પ્રતિક્ષણ પ્રસવ્યો જે જાય એમ તૂટે ના અવાજ.

શંકુદ્રુમ અને તમાલ વૃક્ષવિશેષ છે, કામાક્ષી સ્ત્રીનો જાતિવિશેષ છે. આવી પદાવલિથી કવિ આપણને શામળભટ કે બાણભટના સમયમાં લઈ જાય છે. બધું લીરેલીરા અને ચીરેચીરા થાય છે પણ માતાનો ઉદરઊઠ્યો અવાજ તૂટતો નથી.

મારી છાતીએ કિલ્લોલ તારો વેર — એને માણું....આવ, આવ રે ભૂપેશ, આવ.

શીર્ષકને સાર્થક કરતી અંતિમ પંક્તિ સાથે કાવ્ય પૂરું થાય છે. ૧૯૭૫માં રચાયેલું આ કાવ્ય એવું બળકટ છે કે છંદકૌશલ્ય સંદર્ભે રમેશ પારેખના કાવ્ય ‘લાખા સરખી વારતા' (૧૯૭૨)ની, અને કલ્પનવૈચિત્ર્ય સંદર્ભે સુરેશ જોષીના કાવ્ય ‘મૃણાલ, મૃણાલ' (૧૯૬૮)ની યાદ અપાવે.

***