પ્રત્યક્ષ પત્રસેતુ/`રૂપાંતર’-શ્રેણી(અમૃત ગંગર)વિશે કેટલુંક : રમણીક સોમેશ્વર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 15:33, 6 March 2026

‘રૂપાંતર’ ચર્ચા
૨૦ ક
રમણીક સોમેશ્વર

[અમૃત ગંગરની લેખમાળા ‘રૂપાંતર’ વિશે થોડુંક]

પ્રિય રમણભાઈ, કુશળ હશો. ‘પ્રત્યક્ષ’ જાન્યુ.-માર્ચ : ૨૦૦૮નો અંક વાંચતાં વાંચતાં તમારી સાથે થોડી વાત કરવાનું મન થયું છે. વિશેષરૂપે આજે શ્રી અમૃત ગંગરની લેખમાળા ‘રૂપાંતર’ વિશે થોડી વાત કરવી છે. અમૃત ગંગરનો પહેલો પરિચય વર્ષો પૂર્વે એમની કચ્છી કવિતાથી. શ્રી માવજીભાઈ સાવલાના ‘કચ્છ કલામ’માં એમનાં કાવ્યો વાંચી કચ્છી ભાષામાં પણ આવાં આધુનિક પ્રવાહનાં કાવ્યો લખાય છે એ વાતનો રોમાંચ અનુભવેલો. પછી ‘કચ્છ કલામ’ અને આકાશવાણી નિમિત્તે ક્યારેક એ કાવ્યો વિશે થોડું લખવાનું પણ થયેલું. ત્યારબાદ ફિલ્મકલા વિશેના એમના લેખો ‘નવનીત સમર્પણ’, ‘ફાર્બસ’, ‘સમીપે’ આદિમાં વાંચતો રહું. જો કે એ વિષયમાં હું ખાસ કાંઈ જાણું નહીં, છતાં એક નવી આબોહવાના સ્પર્શનો આનંદ અનુભવતો રહું. આજે પણ આ લખવા બેઠો છું ત્યારે આ લેખમાળા વિશે લખવા જેટલો અભ્યાસ કે ક્ષમતા મારી પાસે નથી એ જાણું છું – છતાં એક ભાવક તરીકે કશુંક લખવાનું મન થયું છે તે લખું છું. લેખમાળાના પ્રારંભે જ સંપાદકીય નોંધમાં તમે લખો છો કે માધ્યમ-રૂપાંતરના કલાકસબને તપાસવાના આ ઉપક્રમમાંથી માધ્યમ-રૂપાંતરના પડકારો અને નોખાં અનોખાં પરિણામોનો રસપ્રદ અને અભ્યાસપ્રદ પરિચય મળી રહેશે – એ વાતની પ્રતીતિ પ્રથમ લેખથી જ મળી રહે છે, ‘રૂપાંતર’ની ભૂમિકામાં જ શ્રી ગંગરે સાહિત્ય અને સિનેમાના કલાકસબની તાત્ત્વિક અને કલાપરક વિશેષતાઓ અને વિલક્ષણતાઓની વાત સોદાહરણ કરી છે અને ઇન્ટરટેકસ્યુઆલિટીના બૃહદ્‌ અને બહોળા સંદર્ભમાં સાહિત્ય અને સિનેમાના સંબંધોની વાત કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે તે મુજબ ખરેખર આ લેખશૃંખલાથી ‘ગુજરાતી ભાષામાં સિનેમેટોગ્રાફી વિશે તાત્ત્વિક અને વૈચારિક ચર્ચાનું ફલક વિસ્તરશે.’ – એમ થાય એ જ એની ખરી ફલશ્રુતિ. નવલકથા અને ફિલ્મમાં ટાઇમ ઍન્ડ સ્પેસ – કાળ અવકાશ વિશેનું એમનું દર્શન પણ મને ગમી ગયું. ‘સૂરજ કા સાતવાં ઘોડા’ – ધર્મવીર ભારતી અને શ્યામ બેનેગલ. બંનેની ભૂમિકા, બંનેનું દર્શન, બંનેની કલામીમાંસા અને રૂપાંતરની આખી પ્રક્રિયાની વાત એમણે એમના લેખમાં કલાત્મક રીતે વણી લીધી છે. નવલકથા અને સિનેમા એ બંને માધ્યમના રચનારીતિ, સંકલના, દૃશ્યાત્મકતા આદિ મુદ્દાઓને સુંદર રીતે સાંકળીને એમણે ભારતી-બેનેગલની જુગલબંદીને સોદાહરણ ઉપસાવી આપી છે. એ વાંચતાં વાંચતી ભારતી અને બેનેગલ – બંને સર્જકોની સર્જક તરીકેની વિશેષતાઓ અને વિચક્ષણતાઓ પણ પ્રગટ થાય છે અને બંને માધ્યમોને કલાત્મક રીતે જોવાની એક દૃષ્ટિ સાંપડે છે. દેશ-વિદેશની ઉત્કૃષ્ટ સાહિત્યકૃતિઓ અને એમાંથી રૂપાંતરિત સિનેમાઓનો અહીં જે પરિચય સાંપડવાનો છે એ પણ આ લેખશૃંખલાનું મોટું આકર્ષણ છે. ‘રૂપાંતર’ને આવકારતાં આનંદની અભિવ્યક્તિ રૂપે અહીં આટલું જ...

વડોદરા.
૧૯-૬-૨૦૦૮


– રમણીક સોમેશ્વર

[એપ્રિલ-જૂન ૨૦૦૮, પૃ. ૫૦]